એક શિષ્યા, કુ. એસ. ઈ. વાલ્ડોની નોંધોમાંથી

સ્વામી વિવેકાનંદના પ્રત્યક્ષ સંપર્કનું સદ્ભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ એક વાતમાં સર્વસંમત છે કે જે લોકો એમને કેવળ એક વ્યાખ્યાતા તરીકે જાણે છે તેઓ તો તેમની સાચી શક્તિ અને મહત્તાનો અલ્પાંશ જ જાણે છે. એમના જ્ઞાનના સૌથી વધુ સમુજ્જવલ ઉન્મેષો, એમની વાક્છટાનાં ઉચ્ચતમ ઉડ્ડયનો અને એમની ગહનતમ મનીષાનો પડઘો પાડતા ઉદ્ગારો એ બધું તો એમના ચુનંદા મિત્રો અને શિષ્યો સાથેના એમના નિકટવર્તી વાર્તાલાપમાં જ વ્યક્ત થાય છે. આમ છતાં દુર્ભાગ્યે એવું બન્યું છે કે આટલા સમય સુધી પ્રસિદ્ધ થયેલી એમની કૃતિઓએ આપણને કેવળ ‘વ્યાખ્યાતા વિવેકાનંદ’નું જ દર્શન કરાવ્યું છે; જ્યારે ‘મિત્ર, અધ્યાપક કે પ્રેમાળ ગુરુ’ એવા વિવેકાનંદનું દર્શન તો માત્ર જે કેટલાક ધન્ય લોકોને એમના ચરણે બેસવાનો વિરલ અધિકાર પ્રાપ્ત થયો તેમને જ થયું છે. એમના પ્રસિદ્ધ થયેલા પત્રોમાં એમની મહાન આધ્યાત્મિક પ્રતિભાનાં આ પાસાંની ઝાંખી આપણને થાય છે એ ખરું, પરંતુ એક અંતરંગ વર્તુળની નિકટતામાં એમણે ઉચ્ચારેલી વાણી પ્રસ્તુત કરવામાં તો તે પુસ્તક પ્રથમ છે.

સ્વામીજીએ અમેરિકામાં કરેલા કાર્યની શરૂઆતથી જ એમણે એમની અથાગ સેવા બજાવેલી એવાં ન્યૂયોર્કના મિસ એસ. ઈ. વાલ્ડોએ એમની વાણીની આ નોંધ લીધી હતી. સ્વામીજીએ પોતાના ‘રાજયોગ’ પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલ પાતંજલ યોગસૂત્રોનું ભાષાંતર અને વિવરણ તેમની પાસે લખાવ્યું હતું; સંસ્કૃત સૂત્રોનો સાચો અર્થ કાઢવા માટે આત્મચિંતનનાં જે ઊંડાણોમાં એ સરકી ગયા હોય તેમાંથી બહાર આવીને એ જે કાંઈ ઉચ્ચારે તે ટપકાવી લેવા માટે સજ્જ થઈને, કલમ ઉપરની શાહી સૂકાવા દીધા વિના પોતે કેવી રીતે કલાકો સુધી રાહ જોતાં બેસી રહેતાં તેની વાત એમણે મારી આગળ અનેક વખત કરેલી. પ્રેસમાં મોકલવા માટેનાં સ્વામીજીનાં તમામ અમેરિકન પ્રકાશનો પણ આ બહેને તૈયાર કર્યાં હતાં. સ્વામી વિવેકાનંદને તેમની શક્તિમાં એટલી બધી ઊંડી શ્રદ્ધા હતી કે વ્યાખ્યાનની ટાઈપ કરેલી નોંધો એ તેમને સોંપી દેતા અને ઠીક લાગે એ રીતે તેનો નિકાલ કરવાનું સૂચવતા; કેમ કે પોતાના કાર્યની ફલસિદ્ધિ પ્રતિ એ એટલા હદે ઉદાસીન હતા કે વ્યાખ્યાનોની આ નોંધ ઉપર અછડતો દૃષ્ટિપાત કરવા માટે પણ કોઈ એમને લલચાવી શક્તું નહિ.

હૃદય અને બુદ્ધિથી બજાવેલી આવી સતત નિષ્ઠાભરી સેવાને લીધે શિષ્યાના ચિત્તે ગુરુના ચિત્ત સાથે એટલું બધું તાદાત્મ્ય સાધ્યું કે શોર્ટહેન્ડની મદદ વગર પણ અદ્ભુત સંપૂર્ણતા અને ચોકસાઈથી તેઓ એમના ઉપદેશની નોંધ લઈ શકતાં. તેમણે પોતે જ કહ્યું છે તેમ, જાણે એવું લાગતું કે સ્વામી વિવેકાનંદના વિચારો તેમનામાં સંચરતા અને કાગળ ઉપર શબ્દદેહ ધારણ કરતા. એક વખત તેઓ થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કના નિવાસસ્થાને આવી નોંધોનો જ એક ભાગ કેટલાક સામાન્ય આગંતુકોને સંભળાવી રહ્યાં હતાં. એ વખતે સ્વામી વિવેકાનંદ આ મુલાકાતીઓ ઓરડો છોડી ગયાં ત્યાં સુધી આમથી તેમ આંટા મારતા રહ્યા. પોતાની આસપાસ શું બની રહ્યું છે તેનું જાણે કશું જ ભાન નહીં! એ પછી તેઓ મિસ વાલ્ડો તરફ ફર્યા અને બોલ્યા, ‘મારા વિચારો અને શબ્દો આટલી બધી સંપૂર્ણતાથી તમે શી રીતે ઝીલી શક્યાં છો? આ તો જાણે હું જ પોતાને બોલતો સાંભળી રહ્યો હોઉં એવું લાગતું હતું!’ આથી વિશેષ અન્ય પ્રશંસાની શી જરૂર?

મદ્રાસ – દેવમાતા

નવેમ્બર, ૧૯૦૮

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories