અભયવાણી
ઈહલોક અને પરલોકમાં ઠાકુર તમારી સંભાળ લેશે.
તમે જે શોધ્યું છે તેને વળગી રહો. તમારી જાતને કહો, ‘જો કે મારું બીજું કોઈ નથી પણ મારે એક મા છે.’
ઠાકુર મને કહેતા, ‘જે કોઈ ઈશ્વરનો વિચાર કરે છે, તેઓને કદી જરૂરિયાત જણાતી નથી.’
તમને શંકાઓ થશે જ, પ્રશ્નો થશે અને ફરી વિશ્વાસ પ્રાપ્ત થશે. તે પ્રમાણે જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે.
એકવાર પણ જેણે ઠાકુરનું શરણ શોધ્યું છે, તેને વધુ કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. જો કોઈ તેને વારંવાર બોલાવે તો ઠાકુરને સહાનુભૂતિ પ્રગટે છે અને તેથી ભક્તિભાવપૂર્ણ સ્નેહ મનુષ્યમાં પ્રગટે છે. આ સ્નેહ ખાતર સ્નેહ બધી જ આંખોથી છૂપો હોવો જોઈએ.
બેટા, આ ધ્યાનમાં રાખ. માણસે શરણાગતિ સ્વીકારવી જોઈએ અને ઈશ્વરની દયા મેળવવા માટે રાહ જોવી જોઈએ; ત્યારે જ તેને દયા મળે છે.
આપણે જે કંઈ છીએ, ઠાકુર તેનો મુખ્ય આધાર છે, તેઓ આદર્શરૂપ છે. ગમે તે સંજોગોમાં પણ જો તમે તેને ગ્રહણ કરી રાખશો તો તમે કદી ખોટે માર્ગે નહિ જાઓ.
ઠાકુરના બધા શબ્દો છપાયા છે. તમે તો માત્ર તેમના એકાદ ઉપદેશને અનુસરો તો તમને સર્વસ્વ મળી જશે.
બધાંને ઈહલોકમાં અને પરલોકમાં પણ આશીર્વાદ પ્રાપ્ત થાઓ!
બધા સંજોગોમાં સંતોષ રાખ અને ઠાકુરનું નામ લેતી રહે.
કોઈ કુવિચાર તને સતાવે ત્યારે તારા ચિત્તને કહેઃ ‘એનો (માનો) બાળક હોઈ, આવી પ્રવૃત્તિમાં પડવા જેટલો અધમ હું કેમ બની શકું!’ તારા ચિત્તને શાંતિ અને શક્તિ મળશે એ તું જોજે.
શું! તું મારું સંતાન હોવા છતાં, તારો વિનાશ થાય! જેઓ અહીં આવ્યા છે, જેઓ મારાં સંતાન છે તેમને મુક્તિ મળી જ ચૂકી છે. ખુદ ભગવાન પણ મારાં સંતાનનું કશું બૂરું કરી શકે નહિ!
જગતને માતૃત્વનું નિદર્શન પૂરું પાડવા એમણે મને પાછળ રાખી છે.
માની પ્રાર્થનાઃ ‘ઠાકુર, જુદે જુદે સ્થળે મારાં અનેક સંતાનો છે, મને ઘણાનાં નામ યાદ નથી. કૃપા કરી એમનું કલ્યાણ કરજો.’
ઠાકુરે મને ખાતરી આપી કહ્યું છે કે જે કોઈ તમારું શરણ લેશે તેના અંતકાળે હું હાથ પકડીશ અને એને યોગ્ય માર્ગે લઈ જઈશ.
મારાં સંતાનોના કલ્યાણ માટે હું ગમે તે કરી શકું.
ડરો નહિ! જ્યારે તમે દુઃખમાં હો ત્યારે તમારી જાતને કહો, ‘મારે મા છે.’
તમે નિષ્ઠાવાન હો તો ઘેર બેઠાં ગંગા થાય.
પ્રભુ આપણી મૂર્ખામી જાણે છે, તે આપણને ક્ષમા કરે છે.
ધારો કે મારા એક બાળકે પોતાની જાતને કાદવથી ખરડી છે તો એને મારે પોતે જ સાફસૂફ કરવું પડશે અને મારા ખોળામાં લેવું પડશે. ભૂલો કરવી એ મનુષ્યનો સ્વભાવ છે. એને કેમ સુધારવી તે બહુ ઓછા નિંદકો જાણે છે.
‘મા’ કહેતું કોઈ મારી પાસે આવે ત્યારે મારાથી રહેવાતું નથી.
જેમને મેં મારા તરીકે સ્વીકાર્યાં છે તેમને હું આઘાં હડસેલી શકતી નથી.
સજ્જનોની હું મા છું, તેમ દુર્જનોની પણ હું મા છું. કદી ડર મા. દુઃખમાં હો ત્યારે તારી જાતને આટલું જ કહેજે ‘મારે પણ મા છે.’
તને મુંઝવે એવો વિચાર જ્યારે પણ આવે ત્યારે તું મને સંભારજે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો