વેદ-વેદાંત અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું પ્રત્યક્ષ આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે. શ્રીરામકૃષ્ણદેવનું જીવન સમજ્યા વિના કોઈ વેદ-વેદાંત અને અવતારો વગેરેને સમજી શકે નહિ. કારણ કે, તે બધાંનું સ્પષ્ટીકરણ શ્રીરામકૃષ્ણ હતા. તેમના જન્મ સાથે જ સત્ય યુગનો આરંભ થયો છે. ત્યારથી જ બધા ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરી પ્રેમ પામશે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના, ગરીબ-અમીર વચ્ચેના, ભણેલા અને અભણ વચ્ચેના, બ્રાહ્મણ-ચાંડાલ વચ્ચેના, બધા ભેદભાવ જડમૂળથી દૂર કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના પુરોગામી હતા, હિંદુઓ અને મુસલમાનો, તેમજ હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. જુદાઇનો કલહ હતો તે હવે ગયા યુગની વાત બની ગઈ છે. આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધા છે.
[સ્વામી વિવેકાનંદના પત્રો, ભાગ 2, પૃ : 100]
જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચાર હું, તમે કે બીજું કોણ કરે છે એની કશી કિંમત નથી. પરંતુ હું એમને તમારી સમક્ષ રજૂ કરું છું અને એની પરીક્ષા કરીને નક્કી તમારે કરવાનું છે. આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે અને માનવજાતિના મંગલ કાજે તમારે અત્યારે જ નક્કી કરવાનું છે કે તમે જીવનના આ મહાન આદર્શોનું શું કરવા માગો છો. એક વાત આપણે યાદ રાખવાની છે કે તમે કદી પણ જોયાં નહીં હોય અથવા સ્પષ્ટ જ કહું તો તમે કદી પણ સાંભળ્યાં નહીં હોય એવાં પવિત્ર જીવનોમાં સૌથી પવિત્ર જીવન એમનું હતું. અને એ હકીકત છે કે તમે જે ભાગ્યે જ વાંચ્યું હોય, અરે ભાગ્યે જ જે તમારી નજરે પણ પડ્યું હોય એવો આત્મશક્તિનો અતિ અદ્ભુત આવિષ્કાર આજે તમારી નજર સમક્ષ દેખાય છે. તેમને અંતર્ધાન થયાં હજુ પૂરાં દસ વરસ થયાં નથી તે પહેલાં તો આ શક્તિ આખી પૃથ્વી ઉપર ફરી વળી છે, એ હકીકત પણ તમે નજરે જુઓ છો ! તેથી આપણી પ્રજાના મંગલને માટે, આપણા ધર્મના મંગલને માટે, આ મહાન આધ્યાત્મિક આદર્શને તમારી સમક્ષ મૂકવાની મારી ફરજ છે. તમારી પોતાની મેળે જ ન્યાય કરજો; તમારાં હૃદયોના ઊંડાણમાં એ શાશ્વત સાક્ષી બિરાજે છે; અને સંભવ છે કે એ જ શ્રીરામકૃષ્ણદેવ આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે અને માનવ જાતના મંગલ અર્થે તમારાં હૃદયોનાં દ્વાર ખોલી નાખે અને આપણે પુરુષાર્થ કરીએ કે ન કરીએ, પરંતુ જે અવશ્યમ્ ભાવિ છે તે મહાન પરિવર્તન સારુ પ્રવૃત્ત થવા માટે, તમને સત્યનિષ્ઠ અને દૃઢ બનાવે. ભાઈઓ ! ઈશ્વરનું કાર્ય તમારા કે મારા જેવાની રાહ જોઈને બેઠું નથી. એ તો પોતાના કાર્યકરોને સેંકડોને હજારોની સંખ્યામાં ધૂળમાંથી ઊભા કરી શકે એમ છે. એમની દોરવણી પ્રમાણે કાર્ય કરવાની આપણને જે તક મળે છે, એ આપણે માટે ગૌરવરૂપ અને ખાસ કૃપારૂપ છે. [સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 4, પૃ. સં. 185-86]
Your Content Goes Here