ભક્તિનો ઉપાય

માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ?

શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ. ઈશ્વરનાં ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વહેવારમાં રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહિ, વચ્ચે-વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં, અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ. રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાયબકરાં ખાઈ જાય. ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. હંમેશાં સત્ અસત્ નો વિચાર કરવો. ઈશ્વર જ સત્ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય, એવી રીતે વિચાર કરતાં-કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.

માસ્ટર (વિનયપૂર્વક) સંસારમાં કેવી રીતે રહેવું ?

શ્રીરામકૃષ્ણ – બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી. જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

“મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે, ‘મારો રામ’, ‘મારો હરિ’ એમ કહીને બોલાવે, પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી. કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે ? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડાં પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાનહેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ-જેમ વધુ કરો તેમ-તેમ આસક્તિ વધે.”

“હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સસારના કામમાં હાથ લગાડવા જોઈએ.”

“પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંત સ્થાનમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવહલાવ કર્યે દહીં જામે નહીં. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.”

“વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વરચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે, પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની-કાંચનના જ વિચાર આવે.”

“સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ, દૂધને જો પાણીમાં નાખો તો દૂધપાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિ રૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે.”

“સાથે-સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામકાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે ? રોટલાદાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન મળે. એટલે રૂપિયા જીવનનું ધ્યેય થઈ શકે નહિ. આનું નામ વિચાર-સમજો છો ?”

માસ્ટર-જી હા, મેં હમણાં પ્રબોધચંદ્રોદય નાટક વાંચ્યું છે. તેમાં છે ‘વસ્તુવિચાર.’

શ્રીરામકૃષ્ણ – હા, વસ્તુવિચાર. જુઓ, રૂપિયામાંય શું છે અને સુંદર શરીરમાંયે શું છે ? વિચાર કરો કે સુંદર સ્ત્રીના શરીરમાંય માત્ર હાડકાં, માંસ, ચરબી, મળમૂત્ર એ બધું છે. ઈશ્વરને છોડીને માણસ એ બધી વસ્તુઓમાં કેમ મન પરોવે છે ? કેમ ઈશ્વરને ભૂલી જાય છે ?”

માસ્ટર-શું ઈશ્વરનાં દર્શન થઈ શકે ?

શ્રીરામકૃષ્ણ-હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામગુણકીર્તન, વસ્તુવિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.

માસ્ટર-કેવી અવસ્થામાં એમનાં દર્શન થાય ?

શ્રીરામકૃષ્ણ-ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રીપુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા સારુ માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારુ કોણ રડે છે ? જેમ-તેમ નહિ પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ.” એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યું :

“બોલાવને મન પૂરા પ્રયાસે,

કેમ મા શ્યામા આવે ના !

કેમ મા કાલી આવે ના !

મન ખરેખર આતુર હો,

તો જાસુંદ-બિલ્વપત્ર લો !

ભક્તિ-ચંદન લગાવીને,

(માને) પગે પુષ્પાંજલિ દો !”

“ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતાની પછી જ ઈશ્વરદર્શન ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ, આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેના જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

“વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે, તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય મળે.”

“આતુર બનીને ઈશ્વરને બોલાવવો જોઈએ. બિલાડીનું બચ્ચું માત્ર “મ્યાઉં-મ્યાઉં” કરીને તેની માને બોલાવી જાણે. મા તેને જ્યાં રાખે ત્યાં રહે, ક્યારેક રસોડામાં, તો ક્યારેક જમીન ઉપર તો ક્યારેક પથારી ઉપર રાખે. બચ્ચાને દુઃખ થાય તો તે કેવળ ‘મ્યાઉં-મ્યાઉં’ કરીને માને બોલાવે, બીજું કંઈ જાણે નહિ. મા ગમે ત્યાં હોય, પણ એ ‘મ્યાઉં-મ્યાઉં’ શબ્દ સાંભળીને એ આવી પહોંચે.”

Total Views: 896

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.