(ગતાંકથી આગળ)
શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં! સહુના ઠાકુર હતા શ્રીરામકૃષ્ણ. મુસલમાન, અબ્દુલ-વાજિદ, ખ્રિસ્તી વિલિયમ વગેરે કેટલાકે શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરેલાં. જાતજાતના મત-સંપ્રદાયોના, જાતજાતના ભાવોથી રંગાયેલા ભક્તોના હૃદયમાં શ્રીરામકૃષ્ણનો આ રીતે જ આવિર્ભાવ થયેલો અને અનુભૂતિ થયેલી. વળી દર્શન પ્રસંગોમાં, “શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” પુસ્તકના લેખક સ્વામી શ્રી શારદાનંદ મહારાજની વાત યાદ આવે – “ઈશ્વર અનુરાગી વ્યક્તિઓ, ભલેને કોઈ પણ મતની હોય તેમને બધાંને ઠાકુર હંમેશાં પોતાના પરમ આત્મીય માનતા. એ લોકો પોતપોતાના માર્ગમાં જે રીતે આગળ વધી પૂર્ણતા પ્રાપ્ત કરી શકે તે માટે ખૂબ કાળજી રાખતા. સહિષ્ણુતાથી એમને મદદ કરતા. વળી, સાચા અર્થમાં જે યોગ્ય ઈશ્વરભક્તો હતા તે સહુને એક અલગ જાતિ કહી ઠાકુર એમનો નિર્દેશ કરતા અને એમની સાથે એક પંગતમાં બેસી જમવામાંય મનમાં અવઢવ ન રાખતા.”
ગદાધર ચટ્ટોપાધ્યાયના સહધર્મિણી શારદામણિદેવી શ્રીરામકૃષ્ણને ભવતારિણીના સ્વરૂપે નીરખતાં. તારકનાથ જે બાદમાં સ્વામી શિવાનંદ બનેલા, તેઓ શ્રીરામકૃષ્ણને ‘મા’ કહીને સંબોધતા. બીજા કેટલાય ભક્ત-લોકોની અંતરની અનુભૂતિ તો કદાચિત્ બહાર વ્યક્ત પણ નહિ થઈ હોય! સ્વામી વિવેકાનંદના ઠાકુર જે શ્રીરામકૃષ્ણ તે એમને માટે કોણ એ તો પ્રશ્નાતીત જ.
ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણદેવના ગળાના કેન્સર રોગની હોમિયોપથીની પદ્ધતિથી દવા કરતા હતા તેઓ એ સમયના લબ્ધ પ્રતિષ્ઠિત એમ. ડી., વિજ્ઞાન સભાના સંસ્થાપક તેમજ મેડિકલ સાયન્સ મૅગેઝિનના (સામયિકના) પરિચાલક હતા. તેઓ વૈજ્ઞાનિક રીતે અને એવી દૃષ્ટિથી શ્રીરામકૃષ્ણનો ઉપચાર કરવા આવેલા; પણ શ્રીરામકૃષ્ણનાં દર્શન અને એમની કથાવાર્તા સાંભળી ડૉ. સરકાર સમૂળગા જ બદલાઈ જઈને એક જુદી જ વ્યક્તિ બની ગયેલા. પછીથી તો એવું બનવા માંડ્યું કે ડૉ. સરકાર દિવસોના દિવસો અને કલાકોના કલાકો સુધી શ્રીરામકૃષ્ણદેવના કથામૃતનું પાન કરતા રહ્યા. અનેક રાતો શ્રીઠાકુરના ચિંતન અને ધ્યાનમાં વિતાવવા માંડ્યાં. પોતાની આવકમાં નુકશાન થતું હતું છતાંયે પોતાનું બધું જ કામકાજ છોડીને શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી જતા. ભજન સાંભળીને દાકતરને પણ ભાવ થવા માંડેલો અને તેથી જ પછી એમણે શ્રીઠાકુર અને એમના ભક્તોના ભાવને વૈજ્ઞાનિક સ્વીકૃતિ આપી હતી. શ્રીરામકૃષ્ણ વિશે એમણે કહેલું, ‘As a man I have the greatest regard for him.’ (એક માણસ તરીકે હું એમને સર્વોચ્ચ સન્માનનીય વ્યક્તિ માનું છું.) ડૉ. સરકાર ઠાકુરના દેહરોગની દવા કરવા આવ્યા હતા અને ભવરોગના વૈદ્યરાજ શ્રીરામકૃષ્ણના પ્રેમબંધને બંધાઈ ગયા! કેવળ તેઓ જ નહિ, ઠાકુરની આ પ્રેમજાળમાં એક પછી એક પકડાતા ગયા. ડૉ. રાજેન્દ્ર દત્ત, ડૉ. નિતાઈ હાલદાર, ડૉ. ભગવાનદાસ રુદ્ર, રાખાલ દાકતર, દુર્ગાચરણ દાકતર, દોકડી દાકતર, ડૉ. ભાદુડી, ડૉ. પ્રતાપ દાકતર, મધુસૂદન દાકતર, શ્રીનાથ દાકતર વગેરે વગેરે! શ્રીરામકૃષ્ણ દાકતરોના ઠાકુર ન હોત તો શું આ રીતે એમની પાસે આટલા બધા દાકતરો બંધાત ખરા કે?
શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અધરલાલ સેન, ક્યારેક-ક્યારેક શ્રીરામકૃષ્ણ અને એમના ભક્તોને પોતાને ઘેર આમંત્રી, એમના સત્સંગમાં આનંદોત્સવ કરતા. આ જાતના આનંદ ઉત્સવમાં એક વાર અધરે પોતાના કેટલાક મિત્રોને પણ નિમંત્રેલા, તેમાંના એક હતા સાહિત્યસમ્રાટ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. સાહિત્યસમ્રાટ પોતાની સ્વભાવસિદ્ધ ભાષામાં શ્રીરામકૃષ્ણ પર પ્રશ્નની ઝડી વરસાવી રહ્યા. એના જવાબમાં શ્રીરામકૃષ્ણ પણ સહજ સરળ ઉપમાની સહાયથી ગંભીર, ગૂઢ તત્ત્વકથા સંભળાવતા રહ્યા. એ પછી કીર્તનની પણ વ્યવસ્થા હતી. કીર્તન સાંભળતાં-સાંભળતાં શ્રીઠાકુર તો સમાધિસ્થ થઈ ગાય. બંકિમ તો આશ્ચર્યે અવાક્ બનીને જોઈ રહ્યા. શ્રીરામકૃષ્ણ તો ભાવમાં આવી નૃત્ય પણ કરવા લાગ્યા. અંગ્રેજી ભણેલા બંકિમ આ બધું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જોઈ રહ્યા. કથા કરતાં-કરતાં વચ્ચે જ એમણે પોતાના દેવદુર્લભ કંઠે ભજન પણ ગાયું. વિદાયવેળાએ બંકિમે શ્રીઠાકુરને પ્રણામ કર્યાં. ભાવભીને હૈયે બંકિમે શ્રીરામકૃષ્ણને પોતાના ઘેર આવવા આમંત્રણ પણ આપેલું. એક જ દિવસમાં દ્રવીભૂત થયેલા સાહિત્યસમ્રાટ બંકિમના પણ ઠાકુર બની ગયા શ્રીરામકૃષ્ણ!
શ્રીરામકૃષ્ણ મથુરબાબુ સાથે તીર્થ-દર્શન કરવા જઈ રહ્યા હતા. દેવઘરના વૈદ્યનાથ ધામે હજુ તેઓ પહોંચ્યા જ હતા ત્યાં શ્રીરામકૃષ્ણે દેવઘર ગામના લોકોના દુઃખકષ્ટથી પીડિત ચહેરા જોયા. બે-વાર પેટ પૂરતું ખાવાના સાંસા, અંગ ઢાંકવાને પૂરતાં કપડાનાં ફાંફાં! મથુરબાબુને શ્રીરામકૃષ્ણ કહે, “આમને ખાવાને અન્ન, પહેરવાને કપડાં આપો!” મથુરબાબુ સંમત ન થયા. કહે કે આમાં તો પુષ્કળ ખર્ચ થશે. શ્રીરામકૃષ્ણ કહે, “તો હવે મારે આગળ જાત્રા કરવા નથી જવું.” તેઓ તો ગામનાં દીન દરિદ્ર ગ્રામવાસીઓ વચ્ચે જઈને બેસી પડ્યા. નિરુપાય, લાચાર બની મથુરબાબુએ કલકત્તાથી કપડાંલત્તાં અને અન્યાન્ય અન્ન સામગ્રી લઈ આવીને શ્રીરામકૃષ્ણની મનઃકામના પૂર્ણ કરી. આ જ રીતે મથુરની પોતાની જમીનદારી અંતર્ગત રાનાઘાટ પાસેના કલાઈઘાટાની ગરીબ પ્રજા પરનો કર શ્રીરામકૃષ્ણે મથુરને કહીને માફ કરાવ્યો હતો. દરિદ્ર દેવઘરવાસી યા ક્લાઈઘાટાની ગરીબ પ્રજાના શું રામકૃષ્ણ પ્રાણપ્યારા ઠાકુર બન્યા નહોતા? તેઓ તો હતા કગાળ ગરીબોના ઠાકુર!
બાગબજારના પુલ પાસે એક દીનહીન બ્રાહ્મણ રહે. નામ એમનું દીનનાથી મુખોપાધ્યાય. તેઓ નિરંતર ભગવાનનું નામ જપે. ભગવાનના પરમ ભક્ત. શ્રીરામકૃષ્ણે એમનું નામ સાંભળ્યું. મથુરબાબુ પાસે જઈને દીનનાથને ઘેર લઈ જવા માટે તેમણે હઠ કરી. નછૂટકે મથુર ગાડી કરી શ્રીરામકૃષ્ણને લઈ દીનનાથને ઘેર જઈ પહોંચ્યા. તે દિવસે દીનનાથને ત્યાં શુભ પ્રસંગ હતો, પોતાના દીકરાની જનોઈ. આવા મોટા માણસ પોતાને ત્યાં આવ્યા, તેથી દીનનાથને એક બાજુ આનંદ અને બીજી બાજુ એમને ક્યાં બેસાડવા એ પ્રશ્નની મુંઝવણ અને મુસીબત. દીનનાથને મળી વાતચીત કરી શ્રીરામકૃષ્ણ પાછા ફર્યા. શ્રીરામકૃષ્ણ હતા દીનના ઠાકુર. તેથી જ તેઓ સામે ચાલીને દીન બ્રાહ્મણ દીનનાથને ઘેર જઈ શક્યા.
દક્ષિણેશ્વર કાલીમંદિરનો મહેતર રસિક હંમેશાં જોતો કે શ્રીરામકૃષ્ણ પાસે અનેક લોકો આવ-જા કરે છે. રાત-દિવસ ત્યાં ભજન-કીર્તન થાય છે. એ દૂરથી નિહાળ્યા કરતો. રોજબરોજના ઈશ્વરીય પ્રસંગો, કથાવાર્તા, ભજન-કીર્તનથી ગુંજતું શ્રીરામકૃષ્ણનું ઘર જોઈ જોઈને એક મૂક વેદના રસિકના મનમાં ઘુમરાયા કરતી. રસિકને થતું કે એનાં એવાં નસીબ નથી કે શ્રીરામકૃષ્ણની કૃપા પામે, એમનો ચરણસ્પર્શ કરે. એક દિવસ શ્રીરામકૃષ્ણ શૌચક્રિયા પતાવી પોતાના ઘર ભણી પાછા ફરી રહ્યા હતા. હજુ નોબતખાના પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો રસિક લાંબો થઈ ભોંય પર આળોટી પડ્યો. શ્રીરામકૃષ્ણનાં પવિત્ર ચરણ પકડી આર્ત સ્વરે તેણે પોતાના પ્રાણની વ્યથા વ્યક્ત કરી જ દીધી. “મારું શું થશે?” શ્રીરામકૃષ્ણ તો અચાનક આ જોઈ ચમક્યા અને એ જ પળે સમાધિસ્થ થઈ ગયા. રસિકની આંખોમાંથી તો ચોધાર આંસુની ધાર. સમાધિ ઊતરી. પછી સાંત્વના દેતાં શ્રીરામકૃષ્ણ બોલ્યા, “તારું બધું જ થઈ ગયું.” અને પછી ઉમેર્યું કે અંત સમયે પોતે જ આવીને રસિકને તેડી જશે. અછૂત રસિક મહેતર કૃપા પામ્યો. મૃત્યુ સમયે રસિકને શ્રીરામકૃષ્ણે દર્શન દીધેલાં. શ્રીરામકૃષ્ણ અછૂતોના પણ શ્રીઠાકુર હતા.
વહાણમાં બેસી ઠાકુર કામારપુકુર જતા હતા. સાથે ભાણેજ હૃદય અને શ્રીમા. વહાણ આવીને દીવાનગંજે નાંગર્યું. અહીંથી તેઓને પગપાળા કામારપુકુર જવાનું હતું. પણ દૈવ પ્રતિકૂળ. આકાશમાં કાળાંડીબાંગ વાદળાંની ઘોર ઘટા, અનરાધાર વરસાદ પડવા માંડ્યો. સાંજ પડવા આવી હતી. હૃદય રાતવાસા માટે આશ્રમ શોધવા નિકળ્યા. દીવાનગંજમાં ખાસ્સા પૈસાદાર લોકો વસતા હતા. તેમાં એક ભક્તિમાન કંદોઈ હતો. એણે એક મકાન બાંધેલું પણ એના મનમાં હોંશ હતી કે એ ઘરમાં કોઈ સાધુસંત આવી ત્રણ દિવસ રાતવાસો રહે તો સારું. હૃદયે રહેઠાણની તલાશમાં એમની પાસે જઈને બધી વાત કરી. વાત સાંભળી પરમ પ્રેમ અને આદરસત્કાર સાથે શ્રીરામકૃષ્ણને એમના આપ્તજનો સાથે કંદોઈએ રાખ્યા અને ગામમાં જે ઉત્તમ ખાદ્યસામગ્રી મળી એના વડે એમની સેવા કરી. બીજે અને ત્રીજે દિવસે પણ અનરાધાર વરસાદના પ્રકોપને લીધે કંદોઈને ત્યાં જ શ્રીરામકૃષ્ણને રોકાવું પડ્યું. ભક્ત કંદોઈની ઇચ્છા પૂરી થઈ અને એણે એમની મન ભરીને સેવા પણ કરી. કંદોઈ માટે હતા શ્રીરામકૃષ્ણ ભક્ત-વાંચ્છા-પૂર્ણકારી, ભક્તપ્રિય, ભક્તપ્રાણ, ભક્ત-પ્રીતિદાતા, ઠાકુર.
નાટ્યકાર ગિરિશ ઘોષ એ જમાનામાં અતિ વિખ્યાત. એમનું રચેલું નાટક “ચૈતન્યલીલા” ત્યારે બિડન સ્ટ્રીટનાં સ્ટાર થિયેટરમાં ભજવાતું હતું. ગિરિશ ત્યારે હજુ શ્રીરામકૃષ્ણના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા નહોતા. એક દિવસ તો શ્રીરામકૃષ્ણ પોતાની ભજન મંડળી લઈ ઊપડ્યા “ચૈતન્યલીલા” જોવા. જઈને પહોંચ્યા સ્ટાર થિયેટરે. તે વખતે ચૈતન્યની ભૂમિકા ભજવી રહી હતી, અભિનેત્રી નટી વિનોદિની અને બીજાં બધાં જ નટ-નટીઓના અભિનયને જોઈને શ્રીરામકૃષ્ણને લાગ્યું કે અસલ અને નકલ બધું એકરૂપ જ છે. તેમણે વિનોદિનીને આશીર્વાદ આપ્યા, “ચૈતન્ય હો.” તે નાટક થિયેટરની નટીઓ કે જે સમાજમાં વારાંગનાના નામથી ઓળખાતી તે સર્વને શ્રીરામકૃષ્ણે સમાજમાં ઊંચું સ્થાન કરી આપ્યું. એ પછી શ્રીરામકૃષ્ણે “પ્રહ્લાદચરિત્ર”, “વૃષકેતુ”, “નિમાઈસંન્યાસ” અને “દક્ષયજ્ઞ” નાટકો પણ જોયેલાં. રંગમંચ પર જ્યારથી પદાર્પણ કર્યું ત્યારથી શ્રીરામકૃષ્ણ બંગ રંગમંચના આરાધ્યદેવતા બની ગયા હતા. તેથી જ બંગાળના રંગમંચો એમની છબીથી શોભવા માંડ્યા છે અને અભિનયની શરૂઆત પહેલાં એમની છબીને પ્રણામ કરવાની પ્રણાલી પણ ત્યારથી જ પ્રચલિત થઈ છે. કેવળ નટી વિનોદિનીને જ આશીર્વાદ એમણે આપ્યા હતા એવું ન હોતું. એ વિનોદિનીના માધ્યમે ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળનાં સર્વ નટનટીઓને આશીર્વાદ આપ્યા હતા. શ્રીરામકૃષ્ણ આમ બંગ-રંગમંચ અને નટનટીઓના પણ ઠાકુર હતા.
શ્રીરામકૃષ્ણ એમની ભિક્ષા મા ધની લુહારણના ય ઠાકુર હતા. બધાં જ સામાજિક નિયમ બંધનો છિન્ન કરીને બ્રાહ્મણ ગદાઈએ પરમાનંદથી, કહેવાતી હલકી જાતિની સ્ત્રી ધનની પોતાની ભિક્ષામાતા (જનોઈ દેતી વખતે બટુક જેની ભિક્ષા ગ્રહણ કરે તે) તરીકે પસંદ કરી હતી. ધનીની રાંધેલી રસોઈ ગદાઈ છીનવીને ખાતા. ધનીની ભાણેજ શંકરી લુહારણને પણ મનોમન ઇચ્છા કે પોતે રાંધીને ઠાકુરને જમાડે. ઠાકુરે શંકરીની ઇચ્છા પણ પૂર્ણ કરી હતી. ઠાકુર જન્મ્યા ત્યારે એમની નાળ કામારપુકુરની દાયણ ભૈરવીએ કાપેલી. હલકી જાતની ધની, શંકરી, દાયણ ભૈરવી, આ બધાંએ જ શું ઠાકુરમાં પોતપોતાના ઇષ્ટનાં દર્શન નહોતાં કર્યાં?
દક્ષિણેશ્વર મંદિરનો દરવાન હનુમાનસિંહ મહાવીર હનુમાનનો ઉપાસક અને શ્રીરામકૃષ્ણ પ્રત્યે એનો પુષ્કળ અનુરાગ. એ વખતે એક પંજાબી પહેલવાન મંદિરના ચોકીદારની નોકરી કરવા આવ્યો. કદાવર સશક્ત શરીર. મથુરનાથે શરત મૂકી, જો હનુમાનસિંહને કુસ્તીમાં હરાવે તો એને દરવાન બનાવશે. કુસ્તી લડવાનો દિવસ નક્કી થઈ ગયો. પંજાબી પહેલવાન પોતાને તાજોમાજો અને સ્ફૂર્તિવાળો રાખવા માટે વ્યાયામ કરતો અને સારો સારો ખોરાક ખાતો. આ તરફ હનુમાનસિંહ દિવસમાં એક વાર જમતો, એકટાણાં કરતો અને પોતાના ઇષ્ટનો જપ કરતો. શ્રીરામકૃષ્ણની નજરથી આ વાત છૂપી ન રહી. તેઓ હનુમાનસિંહને સ્નેહ કરતા. એમણે હનુમાનસિંહને એકટાણાં કરતો જોઈ હારજીતના પરિણામ વિશે પૂછયું. હનુમાન કહે, -“આપની કૃપા હશે તો હું ચોક્કસ જીતીશ જ.” ઠાકુરની કૃપાથી હનુમાનસિંહ જીતેલો પણ ખરો. ત્યારથી હનુમાનસિંહના ઠાકુર બન્યા શ્રીરામકૃષ્ણ. કેવળ હનુમાનસિંહ જ નહિ, યદુમલ્લિકનો દરવાન શીખ સિપાઈ કુંવરસિંહ પણ શ્રીરામકૃષ્ણને પોતાના ઇષ્ટરૂપે જોતો.
કલકત્તાના બાગબજારના ગોંસાઈપાડાનો માણસ મન્મથ આમ તો જાતનો ભટ્ટાચાર્ય બ્રાહ્મણ. પણ એણે જનોઈને તિલાંજલિ આપેલી. આહારવિહારમાં પૂરો સ્વચ્છંદી. ખાવુંપીવું બધું જ નિયમ બહારનું. એક શ્રીમંત જમીનદારને ત્યાં નાયબની નોકરી કરતો. કસરતબાજ, વ્યાયામમાં નિપુણ, દેહ નીરોગી અને બળવાન. સહુ મન્મથ ગુંડાથી ડરતા. એ જ ગોંસાઈપાડામાં શ્રીરામકૃષ્ણનાં પરમ ભક્ત યોગીનમાના નામે એક મહિલા રહેતાં. યોગીનમાનું શ્રીરામકૃષ્ણનાં દર્શને જવું-આવવું એના ભાઈ હીરાલાલને ન ગમતું. જે દિવસે શ્રીરામકૃષ્ણ યોગીનમાને ઘેર પધારવાના હતા, તે દિવસે શ્રીરામકૃષ્ણને જેર કરવા હીરાલાલે મન્મથ ગુંડાને બોલાવેલો. પણ ઠાકુરને જેર કરવા આવેલો મન્મથ ગુંડો પોતે જ જેર બની ગયો. ઠાકુરના પવિત્ર સ્પર્શે ગુંડો મન્મથ સાધુ મન્મથ બની ગયો. ફરી એણે યજ્ઞોપવીત ધારણ કરી. કષ્ટદાયક કૃચ્છસાધન વ્રત ધર્યું. મુખે અહર્નિશ ઈશ્વરનામ જપ. ઠાકુર મન્મથ માટે ‘પ્રિયનાથ’, ‘મન્મથના’ જીવનસર્વસ્વ બની ગયા.
કેવળ મન્મથ જ નહિ, શિમુલિયાનો દારૂડિયો બિહારી, ગિરિશનો યારમિત્ર શરાબી કૃષ્ણધન દત્ત, બાગબજારનો શરાબી પદ્મવિનોદ પણ શ્રીરામકૃષ્ણના સંસર્ગમાં આવી સુધરીને જુદી જ વ્યક્તિઓ બની ગયેલા. શરાબી બિહારીના દિવસો શ્રીરામકૃષ્ણની આરાધના અને નામગુણ કીર્તનમાં વીતવા માંડ્યાં. શ્રીકૃષ્ણધન માટે શ્રીરામકૃષ્ણ હતા ‘પ્રાણ પ્યારા યાર’ પદ્મવિનોદ શ્રીરામકૃષ્ણનું નામ ઉચ્ચારતો ત્યાં તો એની આંખમાંથી આંસુ ટપકતાં. તેથી શ્રીરામકૃષ્ણ ગુંડા, દારૂડિયા અને શરાબીના પણ ઠાકુર હતા.
શ્રીરામકૃષ્ણની પરિચારિકા-નોકરડી વૃંદા દાસી ઘણાં વર્ષોથી દક્ષિણેશ્વરમાં ઠાકુરનું કામકાજ કરતી. સાવ અભણ પણ મનોમન સમજી જાણી ગઈ હતી કે શ્રીરામકૃષ્ણ કોણ છે. માસ્ટર મહાશય (મહેન્દ્રનાથ ગુપ્ત, ‘શ્રીરામકૃષ્ણ કતામૃત’ના રચયિતા) પહેલી વાર જ્યારે ઠાકુરનાં દર્શને આવ્યા ત્યારે ઘરના ઊંબરા નીચે જ વૃંદા દાસી બંધબારણા પાસે ઊભેલી. માસ્ટર મહાશયે પૂછયું, ‘અચ્છા, તેઓ શું ખૂબ ચોપડાં વાંચે છે?” વૃંદાનો જવાબ હતો, “અરે બાબા ચોપડાં બોપડાં કેવાં? એમને તો બધું મોંએ જ છે!”
રાણી રાસમણિના ઘરની જૂની દાસી ભગવતી ક્યારેક-ક્યારેક દક્ષિણેશ્વર આવતી ત્યારે ઠાકુરનાં દર્શન કરતી. જુવાનીમાં પગ આડો પડી ગયેલો. એ બહારચલી થઈ ગઈ હતી. પણ પછી સમજી ગઈ કે ઠાકુરનો આશરો લેશે તો પોતાની મુક્તિ થશે. એ વિશ્વાસના જોરે એણે એક વાર ઠાકુરને પગે પડીને ચરણસ્પર્શ કરેલો. ગિરિશના નોકર ઈશને ઘણી વાર ઠાકુરનાં દર્શન કરેલાં અને એક વાર ગિરિશને ઘેર એણે ઠાકુરને પીરસીને જમાડેલા પણ ખરા. ઠાકુરે પણ આનાકાની વિના એનું પીરસેલું જમી લીધેલું. ઠાકુરને પ્રેમ ન હોત તો એ શક્ય બનત ખરું? નોકર-ચાકર, દાસ-દાસી, નોકરડી-ચાકરડી વગેરેના ઠાકુર શ્રીરામકૃષ્ણ એ રીતે એમના હૃદય સિંહાસન પર બિરાજેલા.
(ક્રમશઃ)
ભાષાંતરકાર: ડૉ. સુકન્યા ઝવેરી
Your Content Goes Here