વેદમાં પરમાત્માનું એક વર્ણન આવે છે. એમાં આખા બ્રહ્માંડથી ભરીને વિલસતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા બ્રહ્માંડથી પણ દશ આંગળ ઊંચો ‘अत्यतिष्ठत् दशाङ्गूलं’ છે એમ કહ્યું છે. આ રીતે જુઓ તો જ્યાં હાથ મૂકો ત્યાં ધર્મ છે અને જ્યાંથી હાથ ઉપાડી લો ત્યાં પણ ધર્મ છે. માનવીનો આત્મા જ્યાં જ્યાં પહોંચે છે, તે સર્વ ધર્મ છે. ધર્મ બ્રહ્માંડને ભરીને આનંદક્રીડા કરતો કરતો માનસ-સરોવરમાં અનંત લહેરિયાં રચતો જ રહ્યો હોય છે. તેને ક્યાં, કેવી રીતે, કેટલો. એવા શબ્દોથી બાંધી લેવાની કોશિશ કરવી એ આકાશને બાંધવાની કોશિશ કરવા જેવું છે. એટલે જ પુરાણોમાં કહ્યું છે : धर्मो रक्षति रक्षितः । ધર્મની રક્ષા કરનાર અને ધર્મની – ધર્મે કનેથી – રક્ષાનો અધિકાર પ્રાપ્ત કરનાર બંને ધર્મ છે. કહેવાતા હિંદુ ધર્મની આ એક વિશેષતા છે. એ સનાતન છે. અનાદિ અને અનંત છે. આવો એ ધર્મ બ્રહ્માંડનો પ્રાણવાયુ છે, એવી એના અનુયાયીઓની માન્યતા છે.
હિંદુઓના આવા આ ધર્મની એટલે કે હિંદુ ધર્મની ઊડીને આંખે વળગે એવી એક ખૂબી છે કે એ ધર્મ કોઈ એક ચોક્કસ વ્યક્તિએ કે સમુદાયે સ્થાપ્યો નથી. ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્તે સ્થાપ્યો, મુસ્લિમ ધર્મ હઝરત મહમંદ પયગંબરે પ્રબોધ્યો. જૈન ધર્મ ભગવાન મહાવીર અથવા એથીયે આગળ વધીને જોઈએ તો ભગવાન ઋષભદેવે સ્થાપ્યો. બૌદ્ધ ધર્મ બુદ્ધ પછી અસ્તિત્વમાં આવ્યો. જ્યારે હિંદુ ધર્મ એ રીતે કોઈ ચોક્કસ વ્યક્તિએ સર્જીને આખી પ્રજાને માથે લાદેલું આધિભૌતિક કે આધિદૈહિક કોઈ તંત્ર નથી.
હકીકતમાં તો, રામ અને કૃષ્ણને કોઈએ ‘હિંદુ’ કહીને સંબોધ્યા હોત તો એમને અને એમની આસપાસના સૌને ભારે અચરજ થાત! ‘હિંદુ?’ તેઓ મનોમન પોકારી ઊઠત : “અમે હિંદુઓ છીએ એમ? અમે ‘મનુ’ની સંતતિ એટલે માનવ’ એ અર્થમાં અમને કોઈએ ‘માનવ’ કહ્યા હોત તો પણ સમજી શકાત! ‘બ્રહ્માવર્ત’ અને ‘આર્યાવર્ત’ના સંદર્ભમાં અમને ‘બ્રહ્મવર્તી’ કે ‘આર્યાવર્તી’ તરીકે કોઈએ ઓળખાવ્યા હોત તો તે પણ સમજી શકાત. પણ આ હિંદુ શબ્દ અમારાથી સમજી શકાતો નથી.
ઉચ્ચારભેદે સર્જાયેલા આ ‘હિંદુ’ શબ્દ જરા ઇતિહાસમાં ડોકિયું કરશું તો સહેજે પણ સૌ કોઈથી સમજી શકાય તેમ છે. જમાના પહેલાં ઈરાન આદિ દેશમાં વસતા લોકો ‘સિંધુ’ નદીના પ્રદેશમાં વસતા તેમના પિતરાઈઓને ‘સિંધુ’ કહેતા. પણ ‘સ’નો ઉચ્ચાર તેઓ બરાબર કરી શકતા નહોતા અને ‘સિંધુ’ શબ્દ તેમના મોઢામાં ‘હિંદુ’ બની જતો. આમ, ‘સિંધુ’ કાળે કરીને ‘હિંદુ’ બની ગયો.
આ હિંદુઓ પોતાની નિવાસભૂમિને ‘બ્રહ્મવર્ત’ અને પાછળથી ‘સપ્ત-સિન્ધવ:’ કહેતા. ત્યાર બાદ તેઓએ પોતાની ભૂમિ વિસ્તારી અને ‘સપ્ત-સિન્ધવ:’ તથા વિંધ્ય વટાવીને દક્ષિણ સાગર તરફ દોટ મૂકી. આમ, તેઓ હિમાલયથી કન્યાકુમારી સુધીની ધરતીમાં હજારો ગામો, સેંકડો શહેરો, અસંખ્ય આશ્રમો વચ્ચે પોતાનાં થાણાં નાખી રહ્યા; અને વ્યક્તિ અને સમાજની સુખાકારી કાજે આધ્યાત્મિક ચિંતન દ્વારા, સંજોગો અને સમયને અનુસરી વર્ણો. આશ્રમો, વગેરેની રચના કરી. તેને અનુસરી નીતિ-નિયમો અને સામાજિક રીતરિવાજો ઘડ્યા અને લોકોએ એને ધર્મને નામે અપનાવ્યા.
આવી રીતે કાળે કરીને રચાતો, સ્થપાતો ગયેલ એ ધર્મ હવા અને પ્રકાશ જેટલો, આકાશ અને અંતરિક્ષ જેટલો વ્યાપક બન્યો અને તેની વ્યાપકતાને કારણે અનેક નામે ઓળખાયો. મહાભારતે તેની વ્યાપકતાનો નિર્દેશ કરતાં કહ્યું, ‘જે અહીં નથી તે ક્યાંય નથી અને જે અહીં છે તે સર્વત્ર છે’. ગીતા, જે પોતે મહાભારતનો જ અંતર્ગત ભાગ છે, તેમાં આ ‘ધર્મ’ શબ્દ અનેક નામે પ્રયોજાયો છે. જાતિધર્મ, કુળધર્મ, ક્ષત્રિયધર્મ, પતિવ્રતા ધર્મ, વ્યવસાય ધર્મ : ડગલે ને પગલે આવા ધર્મો ઉપસ્થિત થયા છે પણ તેને સનાતન ધર્મ નથી કહ્યો. આ હકીકત સમજાવવા ગીતાનો દસમો અધ્યાય ‘વિભૂતિયોગ’ સમજવા જેવો છે. તેમાં ધર્મ અને અધર્મની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આવા જે ધર્મો છે એને ત્યાં ને ત્યાં જ રહેવા દઈ, એ વસ્તુની અંદર જે શક્તિ છે, એ જ ધર્મ છે.
આ ધર્મની પૂરેપૂરી સ્પષ્ટતા ગીતાના જ અઢારમા અધ્યાયમાં મળે છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । (૧૮-૬૬) બધા ધર્મોને મૂકી તું મારે શરણે આવ! અને ‘મારે’ની સ્પષ્ટતા કરતાં કહે છે, तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।। (૧૮-૬૧) સર્વભાવથી તું तमेव – ‘તારા’ જ શરણે જા! તારા એટલે કોના? નાનામોટા અનેક પ્રશ્નો જે તારા મનમાં સંશયનાં તોફાનો ઊભાં કરે છે, એ તોફાનોને શમાવીને તારી બુદ્ધિને સ્થિર થતાં જે સૂઝે તેને અર્થાત્ એવી પરિસ્થિતિમાં તારી બુદ્ધિને પ્રકાશિત કરે એવા તારા આત્માને શરણે જા. કારણ કે હું ત્યાં જ રહેલો છું. આ જ તારો ધર્મ છે. આ હિંદુ ધર્મ છે.
Your Content Goes Here