વિદ્વાન ઈ.પી. ચેલિશેવ ભારતમાં તેમ જ પોતાના દેશમાં, વિદ્વદ્જગતમાં સુવિખ્યાત છે. યુ.એસ. એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના અધ્યક્ષમંડળના તેઓ સભ્ય છે અને તે જ એકેડમીના સાહિત્ય-ભાષા વિભાગના તેઓ એકેડેમિશ્યન સેક્રેટરી પણ છે. વિશેષમાં, મોસ્કોમાં ૧૯૮૮માં સ્થાપાયેલી વિવેકાનંદ સોસાયટીના તેઓ સ્થાપક પ્રમુખ છે. સોવિયેત રશિયામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિશે અધ્યયનના પ્રચાર માટે તેઓ હંમેશાં આતુર રહ્યા છે.
સોવિયેત- ઈંડિયન ફ્રેંડશિપ સોસાયટીના તેઓ એક સ્થાપક સભ્ય છે અને ૧૯૬૪ થી, તેના એક ઉપાધ્યક્ષ છે. રશિયન, હિંદી અને અંગ્રેજીમાં વિદ્વત્તાભર્યા લખાણો બદલ ૧૯૬૭માં તેમને નેહરુ-પારિતોષિક એનાયત થયું હતું. યુ.એસ.એસ.આર.માં પ્રકાશિત ૮ અને ભારતમાં પ્રકાશિત ૭ મળી કુલ ૧૫ પુસ્તકો ઉપરાંત તેમના લેખો વગેરેની સંખ્યા ૩૦૦ ઉપર થવા જાય છે.
સ્વામી વિવેકાનંદના સંદેશના પ્રસારમાં તેમના પ્રદાનની કદરરૂપે શ્રીરામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચરે તેમને પોતાનું બહુમૂલ્ય વિવેકાનંદ સન્માન આપી વિભૂષિત કર્યા છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ગયા ફેબ્રુઆરીમાં ઈન્સ્ટિટયૂટમાં આ સન્માનની અર્પણવિધિ કરી હતી.
વિવેકાનંદ-સન્માન સ્વીકારતી વખતે વિદ્વાન ઈ.પી. ચેલિશેવે આપેલું વ્યાખ્યાન અહીં આપ્યું છે.
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આદરણીય શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ,
સૌ પ્રથમ, આ અતિ ઉચ્ચ સન્માન બદલ આપ સૌ પ્રત્યે મારી ઊંડી કૃતાર્થતા વ્યક્ત કરવા ચાહું છું.
ભારતના આવા મહાન આધ્યાત્મિક નેતાને હસ્તે આ સન્માન સ્વીકારવું એ મારે માટે ઘણું ગૌરવભર્યું છે. આ સન્માન કેવળ મારી નિજી સેવાઓનો સ્વીકાર નથી પરંતુ, સ્વામી વિવેકાનંદના વારસાના અધ્યયન અને પ્રચારના કાર્યમાં મારા દેશના વૈજ્ઞાનિકોએ આપેલા ફાળાનો આદર છે.
અમારા દેશમાં, રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓમાં અને તેના સ્થાપકના ફલદાયી વારસામાં રસ તો બહુ વર્ષ પૂર્વે જાગ્યો હતો. પોતાના સમયમાં, ગઈ સદીના અંત ભાગમાં, સ્વામી વિવેકાનંદની અને એમના ગુરુ શ્રીરામકૃષ્ણની કૃતિઓ લિયો તોલ્સ્તોયે વાંચી હતી અને રશિયામાં તેમના વિચારોનો પ્રસાર કરવા પ્રયત્ન કર્યો હતો. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના બોધ તરફ તોલ્સ્તોય વળ્યા તે કંઈ આકસ્મિક કે કામચલાઉ ઘટના ન હતી. રશિયાની આમપ્રજાના વિશાળ વર્ગે ભારત પ્રત્યે જે ઊંડો રસ દાખવ્યો હતો તે એની પૂર્વભૂમિકા હતી. માનવી જીવન, સત્ય અને આધ્યાત્મિક પૂર્ણતાના અર્થની ખોજમાં એમને જે પ્રશ્નો ઉભા થયા તેમના ઉત્તર શોધવા માટે એ મહાન લેખક શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના વિચારો તરફ વળ્યા. આજની સભ્યતાના સગવડવાદ અને અધોગતિ પ્રત્યેના પોતાના વલણમાં તેઓ વિવેકાનંદની નજીક હતા. મનુષ્યના આધ્યાત્મિક સત્ત્વ અને બધા ધર્મોની સચ્ચાઈની સમાનતા પર આ ભારતીય ચિંતકે મૂકેલા ભાર વગેરે બાબતના વિચારોથી તેઓ આકર્ષાયા હતા. પોતાના જમાનાના ભોળા ખેડૂતોની પીડા ઓછી કરવાના અને પ્રામાણિકતા, સત્યપ્રિયતા અને વાસનાઓ ઉપર અંકુશ રાખવાના તોલ્સ્તોયના પોતાના પ્રયત્નોને આ વિચારો ટેકો આપતા હતા. ધર્મ પ્રત્યેના વિવેકાનંદના વલણની પણ તોલ્સ્તોય ઘણા નજીક હતા. કારણ કે એમાં જીવનની નક્કર વાસ્તવિકતાનો સ્વીકાર હતો અને એમાં લોકોને રોટલો પૂરો પાડવાની અને પોતાનું માનવીય ગૌરવ જાળવવાની, સ્વાતંત્ર્ય માટેના સંગ્રામની તથા વધારે ઉજ્જવળ ભવિષ્યની ખેવના હતી. તોલ્સ્તોયે સ્વામી વિવેકાનંદમાં રસ દાખવ્યો તેના સુફલરૂપ, એ ભાત પાડતા ભારતીય ચિંતકની કેટલીક કૃતિઓનો અનુવાદ રશિયન ભાષામાં ઓક્ટોબર ક્રાન્તિ પહેલાં થયો હતો એમ નિ:શંકપણે કહી શકાય.
પચાસના દાયકામાં દિલ્હીના રામકૃષ્ણ મિશન સાથે સંપર્કો સાધવામાં આવ્યા. એ વર્ષોમાં મિશનના વિખ્યાત પ્રતિનિધિ સ્વામી રંગનાથાનંદજીને મળવાનું સદ્ભાગ્ય મેળવનાર હું પ્રથમ રશિયન વૈજ્ઞાનિક હતો. યુ.એસ.એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના ઈન્સ્ટિટયૂટ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ વતી અમારા દેશની મુલાકાતે આવવાનું નિમંત્રણ મેં તેમને આપ્યું હતું. ૧૯૬૧ની એમની લેનિનગ્રેદ અને મોસ્કોની મુલાકાત ઘણી ફલદાયી બની હતી.
૧૯૬૩માં સોવિયત સંઘમાં સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવામાં આવી હતી. એ વેળા એકેડમિશિયન બી.જી.ગફુરોવના અધ્યક્ષપદ હેઠળ અમારા દેશમાં એક મહોત્સવ સમિતિની રચના કરવામાં આવી હતી. મોસ્કોની એકેડમી ઓફ સાયન્સિઝના ઈન્સ્ટિટયૂટ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં એક વૈજ્ઞાનિક પરિષદ મળી હતી. એકેડેમીના અધ્યક્ષ એ સમયે ગફુરોવ હતા. એ પરિષદમાં એ.ડી. લિતમેન, ઈ.એન. કેમેરોવ અને ઈ.પી. ચેલિશેવે નિબંધવાચન કર્યું હતું. સોવિયેત વર્તમાન પત્રોમાં વિવેકાનંદ વિશે સાહિત્ય પ્રકાશિત થયું હતું. ‘ભારતીય માનવતાવાદી, ગણતંત્રવાદી અને દેશભક્ત સ્વામી વિવેકાનંદ.’ એ શીર્ષક હેઠળ મેં એક લેખ લખ્યો હતો, યુ.એસ.એસ.આર.માંથી, સ્વામી વિવેકાનંદના વારસાને અને એમનાં કાર્યને સમજવાનો તથા એમને વિશે નવો અભિગમ દર્શાવવાનો એ પ્રથમ પ્રયત્ન હતો. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના આમુખ સાથે એ લેખ ‘સ્વામી વિવેકાનંદ સેન્ટીનરી મેમોરિયલ વૉલ્યુમ’માં તે પ્રકાશિત થયો હતો.
સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દીની ઉજવણી યુ. એસ. એસ. આર.માં ભારત-સોવિયેત સંબંધોના વિકાસની મહત્ત્વની કેવળ એક જ ઘટના માત્ર ન હતી પરંતુ, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના આ વિષયમાં વૈજ્ઞાનિકોમાં તેથી ઉત્સાહ પુરાયો હતો. મોસ્કો યુનિવર્સિટીના પ્રાધ્યાપક વી.એસ. કોસ્ન્યુચેન્કોના આ ક્ષેત્રમાંના પ્રદાનનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે.
રામકૃષ્ણ મિશનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર સાથેના અમારા જે સંબંધ સુદૃઢ થયા હતા, તેમાં ૧૯૮૩ની મિશનની મારી મુલાકાત પછી વિશેષ ચેતન આવ્યું છે. પછીથી સ્વામી લોકેશ્વરાનંદે સોવિયેત સંઘની મુલાકાત લીધી હતી. સોવિયેત સંઘમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં અને વૈજ્ઞાનિકો, લેખકો તથા બીજા પ્રસિદ્ધ માણસોને તેઓ મળ્યા. એમના પ્રયત્નથી ૧૯૭૮ના આરંભમાં, સંસ્કૃતિઓની પારસ્પરિક અસર, શાંતિની સુદૃઢતા, મૈત્રી અને પ્રજા-પ્રજાઓ વચ્ચે પારસ્પરિક સમજણ વિશે કલકત્તામાં એક પ્રતિનિધિક સંવિવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને યુ.એસ.એસ.આર. બન્નેની સાંસ્કૃતિક જગતમાં ખ્યાતનામ વ્યક્તિઓએ અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.
રામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચર દ્વારા ૧૯૮૭માં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ સ્ટડીઝ ઈન ધ સોવિયેત યુનિયન’ પુસ્તક દ્વારા સ્વામી વિવેકાનંદના વારસાના અધ્યયનમાં સોવિયત વૈજ્ઞાનિકોએ આપેલા મેં ફાળાની નિ:શંક રીતે કદર કરવામાં આવી છે, એમ અમે સમજીએ છીએ. એ ગ્રંથમાં વિવેકાનંદના વારસાના યુ.એસ.એસ.આર.ના બધા વૈજ્ઞાનિકોના પ્રયત્નોને સમાવવાની મેં કોશિશ કરી છે. સ્વામી વિવેકાનંદના બોધનાં વિવિધ પાસાંઓ અંગે કેટલાક સોવિયેત વૈજ્ઞાનિકોએ કરેલા સ્વાધ્યાયનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે.
પી. કોસ્ન્યુચેન્કી, એ. લિતમેન, આર.રાઈબાકોવ, ઈ.કોમેરોવ, એ. ત્કાચેવા, એ જ્ઞાન્યુક-દાનિલ્યુક, એ.સી.મેઝેન્ત્સેવા, વગેરે. આ લેખકના લેખો પણ તે સંગ્રહમાં છે.
ભારતીય ચિંતકના વારસાનું અધ્યયન કરવામાં અને અમારા દેશમાં તેનો પ્રસાર કરવામાં. આમ, સોવિયેત વૈજ્ઞાનિકોએ ખૂબ કાર્ય કર્યું છે. આમ છતાં, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રત્યે લોકોએ જે રસ દાખવ્યો છે તે પૂરો સંતોષપ્રદ નથી જ. અમારા વૈજ્ઞાનિકોના પ્રકાશનોનો ફેલાવો ઘણો નાનો છે અને એથી માંગ સંતોષાતી નથી. આને કારણે, ‘ભારતીય જ્ઞાન’ સાથે સંકળાયેલા, ભારતીય આધ્યાત્મિક પ્રવૃત્તિનાં પાસાંનો, અમારાં કેટલાંક મુદ્રણ – માધ્યમોએ એકપક્ષી, વિવેક વિનાનો ચિતાર આપ્યો છે. દુર્ભાગ્યે, આ ભારતીય મેધાએ જે સત્ય મૂલ્યોનું સર્જન કર્યું છે. તેમની અને કહેવાતાં મૂલ્યો વચ્ચેના તફાવતને દરેક વ્યક્તિ સમજી શકતી નથી. મોસ્કોમાં, જૂન ૧૯૮૮માં અમે સ્વામી વિવેકાનંદ સોસાયટીની સ્થાપના કરી. આ સોસાયટી સ્થાપવાની પ્રેરણા અમને આપનાર અને તેના ઉદ્ઘાટનમાં સહભાગી બનનાર સ્વામી લોકેશ્વરાનંદના અમે ખૂબ ઋણી છીએ. એ નવી સ્થાપેલી સોસાયટીની પ્રવૃત્તિઓ, પડી ગયેલી ખાઈને પૂરવાનો પ્રયત્ન કરશે અને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના ક્ષેત્રની સાચી જાણકારીને ઉત્તેજન આપશે.
અમારા દેશમાંની સામાજિક જીવનની પુનર્જાગૃતિની પ્રક્રિયા ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના અધ્યયન પ્રત્યે નવો અભિગમ અપનાવવાની જરૂરતનો આદેશ કરે છે. સ્વામી વિવેકાનંદે ક્યાંક કહ્યું છે કે, ‘હું જેમ જેમ મોટો થતો જાઉં છું તેમ, તેમ સર્વ પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, તે ભારતીય વિચારનો અર્થ વધારે સમજતો જાઉં છું.’ રોમાં રોલાંના શબ્દોમાં, ‘મુક્ત ધરા પરના મુક્ત માનવીને’ તેઓ ચાહતા હતા. સાથોસાથ, વિવેકાનંદ કહેતા કે, ભૌતિકવાદથી મનુષ્યની ગહનતાનો પાર પામી શકાતો નથી. અર્થાત્, મનુષ્યની આધ્યાત્મિક પ્રવૃત્તિના સંકુલ વ્યાપારને સમજાવવા ભૌતિકવાદ સમર્થ નથી. ભૂંડા ભૌતિકવાદની પીઠિકાએથી માનવ અને સમાજના કોયડાઓ અવલોકનાર અને મનુષ્યને અવલોકનાર બધા વૈજ્ઞાનિકોના વિજ્ઞાનને માટે સ્વામી વિવેકાનંદના આ શબ્દો પડકારરૂપ છે. કમનસીબે અમારા દેશમાં આવા વૈજ્ઞાનિકોનો તોટો નથી. બાબાવાક્યને અને છાપેલ કાટલાંને આઘાં ઠેલવાનું આહ્વાન સ્વામી વિવેકાનંદના શબ્દોમાં રહેલું છે. એ બાબાવાક્ય અને એ છાપેલ કાટલાં હવે અમને સંતોષી શકતાં નથી અને વૈજ્ઞાનિકો, ચિંતકો, કવિઓ, કલાકારો અને માનવી તથા સમાજની વિદ્યાના પંડિતોના ભાવાત્મક અનુભવનો પૂરો ઉપયોગ કરવા તેમણે અમને પ્રેર્યા છે; અને અમે અગાઉ એ સર્વને ટીકાના પરિપ્રેક્ષ્યમાં જ જોતા હતા. ભારતીય જ્ઞાનનાં ઊંડાણોનો તાગ લેવા હજી અમારે ઘણું કરવાનું છે. અમારા સદ્ભાગ્યે જે સૂત્રો આજે અમે તજી રહ્યા છીએ, તેની અસર હેઠળની અમારી ચિંતન-રીતિને ફક્ત છોડી દેવા પૂરતો જ કંઈ એ સાદો-સીધો સવાલ નથી. અમારી આસપાસની વાસ્તવિકતા પ્રત્યે અમારે વધારે વ્યાપક અને વધારે મુક્ત દૃષ્ટિ નાખવી જરૂરી છે અને ભારત સહિતના બીજા દેશોમાંના આધ્યાત્મિક સંસ્કૃતિના ક્ષેત્રમાં જે ઘટનાઓ અને વ્યાપારો ચાલી રહ્યા છે તેમનો ન્યાય તોળવાનો વધારે વધારે સ્થિતિસ્થાપક અને વધારે પરલક્ષી દૃષ્ટિકોણ શોધવો જોઈએ.
આ બધું જે કહ્યું છે તેનો આશય, સ્વામી વિવેકાનંદ જેવા વિચારકોની કૃતિઓના હેતુ વિશે કે શાસ્ત્રીય સમજણ વિશે શંકા ઉઠાવવાનો નથી અથવા તો ભારતના સામાજિક-રાજકીય જીવનપટ પર પહેલાંની કે અત્યારની સ્વામી વિવેકાનંદનાં દૃષ્ટિબિંદુઓથી પડેલી અસરોની સુરેખ અને તટસ્થ સમીક્ષા તજવાનો પણ નથી. આ મૂઠી ઊંચેરા ચિતકનાં દૃષ્ટિબિંદુઓના અર્થઘટનમાં અમારા વૈજ્ઞાનિકો અને ભારતીય વૈજ્ઞાનિકો વચ્ચે થોડો તફાવત રહેવાનો જ. કારણ કે જગત પ્રત્યે જોવાનાં આપણાં દૃષ્ટિબિંદુઓ જુદાં છે. પણ એથી કોઈએ ભય પામવાનો નથી. ઊલટું, અમને લાગે છે કે આપણે વધારે વારંવાર મળવું જોઈએ – અને ચર્ચા કરવી જોઈએ અને વિવેકાનંદ સોસાયટીની સ્થાપનાનો આ જ તો હેતુ છે, જેથી આપણે એકબીજાની વધારે નજીક આવી શકીએ અને એકબીજાને વધારે સારી રીતે સમજી શકીએ.
૧૯૮૮માં રશિયાના નામકરણની સહસ્રાબ્દી અમે ઊજવી. આ શુભ પ્રસંગે સંસ્કૃતિના અનેક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ ઉજવણીમાં હિંદુ ધર્મના એકમાત્ર પ્રતિનિધિ સ્વામી લોકેશ્વરાનંદ હતા. મોસ્કોના બોલ્શાઈ થિયેટરમાં રખાયેલ મહોત્સવમાં રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડાઓની અને અનેક દેશોમાંથી આવેલા બીજા ધર્મોના પ્રતિનિધિઓની સાથે સ્વામીજીએ અધ્યક્ષમંડળીમાં માનભર્યું સ્થાન લીધું હતું.
સમારંભ પૂરો થયા પછી નોવોસ્તી પ્રેસ એજન્સીમાં એક ગોળમેજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને નજીક લાવવામાં, મૈત્રીને મજબૂત કરવામાં અને પરસ્પરને સમજવામાં આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રદાન વિશે ચર્ચા રાખવામાં આવી હતી. સ્વામી લોકેશ્વરાનંદે, લેનિનગ્રેદ અને નોવગોરોદના મેટ્રોપોલિટન એલેક્ષાઈએ અને મેં એ ગોળમેજીમાં ભાગ લીધો હતો. રશિયન-આધ્યાત્મિક સંસ્કૃતિનાં ઘણાં લક્ષણો ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિમાં હતાં, તેની અમને ચર્ચા દરમિયાન જાણ થઈ. રશિયન અને ભારતીય, બંને સંસ્કૃતિઓમાં અને આધ્યાત્મિકતામાં અંત:કરણ અતિ અગત્યની કોટિ છે. ભારત અને રશિયા બંનેની આધ્યાત્મિક સંસ્કૃતિઓ માટે પ્રાકૃતિક પરિબળોની જાળવણી, પ્રકૃતિપૂજા-પ્રકૃતિને ઈજા પહોંચાડવી એ પાપ મનાતું હતું. – અગત્યનું લક્ષણ છે. ભારતના આગળ પડતા ચિંતકોના બોધમાં, કવિઓ, કલાકારો, અને શિલ્પીઓની કૃતિઓમાં આ સામાન્ય માનવીય મૂલ્યો અનુસ્યૂત રહેલાં છે અને આ બાબત સોવિયેત યુનિયનમાં લોકોના વિશાળ વર્ગનું ધ્યાન ખેંચે છે.
સ્વામી વિવેકાનંદના વારસામાં આપણને આ બધું સાંપડે છે. એમના શબ્દોમાં અર્વાચીનતાનો આશ્ચર્યકારક રણકો છે અને વિશેષ અગત્યનું તો એ છે કે, એમના શબ્દો અમારી ભાવના સાથે પૂરા સુસંગત છે. ભારતના પ્રાચીન ગૌરવની પુન: સ્થાપનાના માર્ગની એમની ખોજને અમે સમજી શકીએ છીએ. કારણ કે તવારીખની અમારી જાણકારીનું અને જીવનના સ્રોતો માટે લોકોના જ્ઞાનનું શોધન કરવાના રાહે આજે અમે ચડેલા છીએ. જેથી સારા ભવિષ્યનું નિર્માણ કરી શકાય. ધાર્મિક અને જાતિવાદી સંઘર્ષોના પાયામાં પડેલા, રહસ્યવાદ સામે, પ્રત્યાઘાતી રૂઢિવાદ સામે, પૂર્વગ્રહો અને વહેમો સામે જંગે ચડવાનું વિવેકાનંદનું આહ્વાન આજની આપણી દુનિયાને પણ એટલું જ લાગુ પડે છે. વિજ્ઞાન અને ધર્મનિરપેક્ષ શિક્ષણની વિવેકાનંદે કરેલી પ્રશંસા આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. કારણ કે એ બંને બાબતો કંઈ ફક્ત થોડીક ગણીગાંઠી વ્યક્તિઓ માટે જ નહીં પરંતુ, સમગ્ર માનવજાતને માટે સુલભ બનવી જોઈએ; સ્વામીજી સામાજિક પ્રશ્નોને સૌથી અગત્યના ગણતા હતા અને સામાજિક ન્યાયમાં તેમ જ ભાવિ યુગ ‘શૂદ્રો’-પતિત વર્ગો-ની મુક્તિનો યુગ હશે, – તેમાં તેમની શ્રદ્ધા હતી તેનું આ દ્યોતક છે. ‘રશિયામાં નવા યુગનો અરુણોદય થશે’, એ સમાજવાદી ક્રાંતિ પહેલાં બોલાયેલી સ્વામી વિવેકાનંદની આર્ષવાણીને અમે આજે પણ યાદ કરીએ છીએ.
આ કારણને લઈને જ, અમે ઠરાવ્યું કે, સોવિયેત યુનિયનમાં ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના અધ્યયન અને પ્રચાર માટેની મંડળીને ‘સ્વામી વિવેકાનંદ સોસાયટી’ નામ આપવું. અમારા પ્રથમ પગલા તરીકે એમ. સેલ્ગેનિક અને ઓ. યિઝેન્ત્સેવા, વિવેકાનંદ સોસાયટીના જનરલ સેક્રેટરી અને સેક્રેટરી બંનેએ સંપાદિત કરેલા, વિવેકાનંદના સંચાલિત લેખોનું પ્રકાશન કરવા અમે ધારીએ છીએ. તે દરમિયાન, ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ વિષયક મૂલ્યવાન સામગ્રી પ્રદર્શિત કરતા વાર્ષિક ‘બુલેટીન’નું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. ‘જેમને વિષે મારો ખૂબ ઊંચો મત છે તે વિવેકાનંદની સંચયિત ચિંતનકણિકાઓની આવૃત્તિ અમે તૈયાર કરીએ છીએ’. એમ, ૧૯૦૯માં પોતાના મૃત્યુને આગલે વર્ષે લખનાર લિયો તોલ્સ્તોયની ઈચ્છાને અમે અંશત: પરિપૂર્ણ કરીશું. દુર્ભાગ્યે પોતાની આ ઈચ્છાને તેઓ પરિપૂર્ણ કરી શક્યા ન હતા.
ભારતના સહકાર વિના અમારી સોસાયટી કાર્ય કેવી રીતે કરી શકે? તેની તો કલ્પના કરવી પણ અમારે માટે મુશ્કેલ છે ને તેથી ભારતની ગણ્ય માન્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતિભાઓએ અમને જે ટેકો આપ્યો છે તે અમારું મોટું પ્રેરક બળ છે. આ સોસાયટીના સભ્ય થવાની ઈચ્છા દર્શાવનાર સંચાલકો અને અમારા દેશબંધુઓનાં ઉત્સાહ અને ધગશથી અમને ખાતરી થઈ છે કે, સ્વામી વિવેકાનંદ સોસાયટી, આપણી બંને પ્રજાઓ વચ્ચેની ગાંઠ વધારે સુદૃઢ કરી, અને મૈત્રીને તથા પારસ્પરિક સમજણને વધારે મજબૂત કરી, પોતાનું કાર્ય પરિપૂર્ણ કરશે.
આદરણીય શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી અને આ ભવ્ય સમારોહમાં ભાગ લેનાર બધાં સજ્જનો અને સન્નારીઓ આપ સૌના માયાળુપણા બદલ પુન: એક વાર મારી કૃતજ્ઞતા પ્રગટ કરવી મને ગમશે.
ભાષાંતર : શ્રી દુષ્યત પંડ્યા
Your Content Goes Here