શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ઈ.સ. ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું : “હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે. “આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે, જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.
જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
રામકૃષ્ણ – લીલા – કથા શ્રવણ મંગળ
ત્રિતાપ- તાપિત- થાય સુણીને શીતળ.
મલિન હૃદય કેરી મલિનતા જાય,
પ્રભુનું સ્વરૂપ પ્રતિભાત જેમ થાય.
સ્વરૂપ છટાથી મુગ્ધ થાય પ્રાણમન,
નવિન જીવન થાય જાય પુરાતન.
પંચભૂતો, ઈન્દ્રિયો મોહિત થઈ જાય;
લાખ ચિત્ત સમચિત્ત એક ચિત્ત થાય.
મટશે સંદેહ થશે અજ્ઞાન મારણ;
થશે માયા – પાશ- ફાંસ- ત્રાસથી તારણ.
જગત મોહિની માયા, વિશ્વ નાખે રંદે;
દેખીને પ્રભુની સેવા પોતે રોવા મંડે.
એવી આ લીલાનો સિંધુ શ્રીપ્રભુની કથા,
કળી કાળે ખેલા કૂવા માંહે સિંધુ યથા.
આનંદી ઠાકુર આવું કર્યું ન શ્રવણ,
નખના ખૂણામાં જે દેખાડે ત્રિભુવન.
દેખવામાં આંખની સહાય નવ માગે,
રામકૃષ્ણ લીલા કથા જેને હૈયે જાગે.
ગુપ્ત અવતાર પ્રભુ વિશ્વ-અધિરાજ,
અંગ ધાર્યો નિરક્ષર બ્રાહ્મણનો સાજ.
અલંકાર દીનજનતણો દીના ચાર;
પછીથી વિચાર પેલા કરે નમસ્કાર.
એક નૂર આદમી હજાર-નૂર વસ્ત્ર;
અંતર છુપાવવાનું વેશ મોટું શસ્ત્ર.
ચિત્ત છુપાવવા લોક અન્ય વેશધારે;
પણ પાછો પૂર્વવત્ પોતાને સંસારે.
એવો ધાર્યો નવ હતો શ્રીપ્રભુએ વેશ;
દીન તો ખરે જ દીન શંકાનો ન લેશ.
કાયા મન વાણી બોલે વંશની મૂરતિ;
સમ રૂપ રંગ સ્વભાવ પ્રકૃતિ.
જન્મથી જ ધાર્યો વેશ દીન ને નરમ;
જાણે શું માણસ થાય બ્રહ્માનેય ભ્રમ.
એ ઠાકુરને સાજે વેશ એવો બરાબર;
તિલ માયે શક્તિ ન કે જાણી શકે નર.
ક્રિયાનો કલાપ તેવો, જેવું ધાર્યું તન;
માયા મુગ્ધ બદ્ધ નર, મીંચેલ નયન.
સદ્બુદ્ધિ હીન ક્ષીણ, આસક્તિનો દાસ;
કામિની કાંચન કેશ સદા અભિલાષ.
ઊર્ધ્વદૃષ્ટિ નહિ, તેમાં લીન મન પ્રાણ;
ઘાણીમાં બાંધેલ જાણે બળદ સમાન.
કેમ કરી દેખે લીલા ઓળખે શું, અને;
મહા યોગેશ્વર જયહાં પાગલ શાં બને.
શિશુની સમાન વિષ્ણુ સિંધુ નીરે તરે;
શું રહસ્ય ચતુરાસ્ય ગાયોવત્સ હરે!
સુખહીન શુકદેવ વિહીન વસન;
વ્યાસે તો પુરાણ લખ્યાં તોય દુ:ખીમન;
કરી મન ઈંદ્રિયહિ લીન તાન માય;
નામ અવિરામ શ્રીનારદ ગાયે જાય.
તોયે નવ પામ્યા તત્ત્વ ઉદાસીન જેવા;
કરે ભાંજઘડો બધે વિના લેવા દેવા.
અનંદવદને જપી પામ્યા ન આભાસ;
અનંતે વિચારી કર્યો પાતાળમાં વાસ.
અગણિત ફેણ માથા એકત્ર કરીને;
લજવાઈ ધરણીને રાખે છે ધરીને.
દેવગણો, વૃથાશ્રમ અનર્થ યાતના;
જાણી ફરે સ્વર્ગ માંહે લઈ વારાંગના.
શું હું કહું યોગી ઋષિ શ્રદ્ધાના આસ્પદ;
અનશને એકમને ધ્યાને નિગમન.
ગયા શતશત યુગ થાય ન ગણન
તોય ન્હોય સિદ્ધકામ મરમ અધિક;
છુપાવે કાયાને માથે વધારી વલ્મિક.
એવા તત્ત્વાતીત, જેહ મળે ન સાધને;
માયા મત્તચિત નર કેમ રે પિછાને;
એવા આ ઠાકુર ગુપ્ત અવતાર સાજે
સંગે ભક્તગણ આવી વંશમાં બિરાજે.
પોતે મહાગુમ જેમ તેમ ભક્તજન;
ખાણ માંહે માટી વિદ્યા જાણે કે
દુર્બળ સુગુપ્ત, તોય સર્વશક્તિધામ;
દેખશે જે લેશે પ્રભુ રામકૃષ્ણ નામ
સુણો રે અબુધ મન લીલા-કથા સાર;
ભવ્ય વ્યાધિની ઔષધિ, શાંતિનો ભંડાર
શ્રીરામકૃષ્ણ થાય જયેષ્ઠ સહોદર;
ભક્તિમાન શાસ્ત્ર પાડી પંડિત પ્રવાહ
કુશળ ભણાવવામાં સુણી એવી કથા;
કમાવા સારુ એ વિપ્ર આવ્યા કલકત્તા
કરી પાઠશાળા ઝામા પુકુરે સ્થાપન;
નિકટમાં દિગંબર મિત્રનું સદન
આવી ગયા પ્રભુય ત્યાં થોડા દિન બાદ;
રહે બન્ને ભાઈઓ સુખે રહિત વિષાદ.
કરે મોટાભાઈ સદા નાનાનું જતન;
કરવા અભ્યાસ કહે શાસ્ત્ર વ્યાકરણ.
પણ મન ભણવામાં તેનું નવ ગરે;
તેથી મોટાભાઈ તેને ઉપદેશ કરે.
ભણશો નહિ તો પછી કરશો શું ભાઈ;
આગળ સંસાર કેમ ચાલશે ગદાઈ?
સુણી વેણ ભાઈનાં, જરાક દૃઢ સ્વરે;
દીધો મોટાભાઈને ઉત્તર ગદાધરે.
‘એ વિદ્યાર્થી કહો ભાઈ મળે ક્યું ફળ;
લોટ, દાળ, ચોખા તણા સીધા જ કેવળ.
અંતરે અવિઘા આણે જે વિદ્યા-અર્જુન
શીખવાનું એવી વિદ્યા શું છે પ્રયોજન?
ભણવાની વાતમાં એ નવ દીએ કાન;
અહીં તહીં ફર્યા કરે, કદી ગાય ગાન;
ભાગ્યવાન પાડોશમાં મિત્ર દિગંબર
અવારનવાર પ્રભુ જતા તેને ઘેર;
જાણી તેને રામકુમારનાં સહોદર.
‘પધારો ભૂદેવ’ કહી આપતા આદર,
ક્રમે બાળકોને સ્ત્રીઓ થયા પરિચિત;
અંતરથી ચાહે તેને જોઈ શુદ્ધ ચિત્ત
સુણતા શ્રીમુખેથી અમૃતભર્યું ગીત;
ભાવ અને રસભર્યું ભજન – સંગીત
પ્રભુનાં ભજનો હતા મહાશક્તિ વાહી;
પાષાણહૃદય સુણી દ્રવે ક્ષણ માંહી.
તુરંત આંખોથી છૂટે જળના ફુવારા;
દર દર ચાલુ થતી નેત્રોમાંથી ધારા.
સુણ્યા જેણે કાને તેહ મહા ભાગ્યવાન;
માધુરી ઝંકારે જાગી ઊઠે તેના પ્રાણ.
શ્રીમુખેથી મોહક સંગીત જય ફુટે
સુણતા હૃદયવીણા ઝણઝણી ઊઠે.
એક તો મોહક છબી નાવે વાણી માંહ્ય
ભજન સુણતા મન તેમાં ડૂબી જાય.
મનોહર ગીત સ્વરે, એવી તો માધુરી;
શ્રીકંઠે છુપાઈ જાણે મોહન બાંસુરી.
સ્ત્રીઓ ભૂલે બાળકોને સુણતા સંગીત
નિહાળી પ્રભુને સર્વે અતિ આહ્લાદિત.
જુએ નહિ એક દિ’ તો દુ:ખી થાય મને;
મોકલાવે સમાચાર પ્રભુ દેવ કને.
જેણે જોયા એક વાર, અને સુણ્યું ગાન;
પછી ઘર માંહે તેના ટકે નવ પ્રાણ.
રામકૃષ્ણ લીલા-કથા અતિશય મીઠી;
ઝરણી અમૃત સંજીવની જાણે દીઠી.
હ્રદયને તૃપ્તકારી મધુર ભારતી;
રામકૃષ્ણ પુરાણ આ આપે ઉચ્ચગતિ.
Your Content Goes Here