એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા અવાજે પ્રાર્થના કરી રહ્યો હતો. “હે પ્રભુ, તમે આવો, હે પ્રિય, તમે દયા કરી આવો” પ્રાર્થનામાં એટલી અંતરની સાચી ભાવના હતી કે તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. એ જ સમયે શ્રીરામકૃષ્ણદેવ કાલીઘાટથી એ જ રસ્તે પાછા ફરી રહ્યા હતા. એકાએક તેમણે ઘોડાગાડી રોકાવી અને નીચે ઊતરીને દોડીને ફકીરની પાસે આવ્યા. બન્ને એકબીજાને ભેટી પડ્યા અને પ્રેમાશ્રુ વહાવવા લાગ્યા. આ અદ્‌ભુત દૃશ્ય જોઈને બધા આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.

ઈ.સ. ૧૮૮૫માં ગળામાં કૅન્સર થવાથી શ્રીરામકૃષ્ણદેવને કલકત્તાના શ્યામપુકુર મકાનમાં ૩૧મી ઑક્ટોબરે સવારે લાવવામાં આવ્યા. ત્યાં એક ખ્રિસ્તી સંન્યાસી શ્રી પ્રભુદયાલ મિશ્ર આવ્યા. પાંત્રીસેક વર્ષની ઉંમર, ઘઉંવર્ણો ચહેરો, વિશાળ આંખો, મોટી દાઢી, હાથમાં છડી, યુરોપિયન વસ્ત્રોમાં સજજ એવા આ સંન્યાસીએ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં પ્રવેશ કર્યો કે તરત જ શ્રીરામકૃષ્ણદેવે તેમને આવકાર આપ્યો. વાતચીતના પ્રસંગમાં શ્રી મિશ્ને તુલસીદાસજીને ટાંકતાં કહ્યું: “દરેક વ્યક્તિમાં રામ જ રહેલા છે.” શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: “એક રામ, તેનાં હજાર નામ. ખ્રિસ્તીઓ જેને ગૉડ કહે છે, તેને જ હિન્દુઓ રામ, કૃષ્ણ, ઈશ્વર અને અન્ય નામોથી બોલાવે છે. એક તળાવના અનેક ઘાટ છે. હિન્દુઓ એક ઘાટથી પાણી પીએ છે અને કહે છે જલ, ખ્રિસ્તીઓ અન્ય ઘાટથી પાણી પીએ છે અને તેને કહે છે વૉટર, મુસલમાનો અન્ય ઘાટથી પાણી પીએ છે અને કહે છે- પાની. તેવી જ રીતે ખ્રિસ્તીઓ માટે જે ગૉડ છે તે જ મુસલમાનો માટે અલ્લાહ છે.”

ઓરડામાં બેઠેલા અન્ય ભક્તોએ મિસ્ટર વિલિયમની વાત કરી, જેઓ પ્રોટેસ્ટેન્ટ ખ્રિસ્તી હતા. તેમણે ગુડ ફ્રાયડેના દિવસે (સંભવત: ૧૮૭૬માં) શ્રીરામકૃષ્ણદેવની મુલાકાત લીધી હતી અને શ્રીરામકૃષ્ણદેવમાં તેમણે ઈશુખ્રિસ્તનો સાક્ષાત્ આવિર્ભાવ જોયો હતો. શ્રી મિશ્રે કહ્યું, “અત્યારે તેમને (શ્રીરામકૃષ્ણદેવને) તમે આમ જુઓ છો, વળી તેઓ જ સ્વયં ઈશ્વર છે. તમે લોકો તેમને ઓળખી શકતા નથી. અત્યારે હું પોતાની આંખોથી તેમને સાક્ષાત્ જોઈ રહ્યો છું, પણ મેં તેમને દિવ્ય દર્શનમાં પહેલાં જ જોયા હતા. મેં એક બગીચો જોયો, જેમાં તેઓ એક ઊંચી જગ્યા પર બેઠા હતા. નીચે એક અન્ય વ્યક્તિ બેઠેલી હતી પણ તે એટલી આગળ વધેલી ન હતી. વાતચીતના પ્રસંગમાં મિશ્રે પાટલુન નીચે પહેરેલું ભગવા રંગનું વસ્ત્ર બતાવ્યું અને પોતાની વ્યક્તિગત વાતો કરી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં જનમ્યા હતા. પછી ઈશુ ખ્રિસ્તને પોતાના ઈષ્ટરૂપે સ્વીકારી ક્વેકર સંપ્રદાયમાં જોડાયા. પોતાના એક ભાઈના લગ્નના દિવસે લગ્નમંડપ ભાંગી પડતાં તે તથા તેમનો બીજો એક ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. તે જ દિવસે તેમણે સંસાર ત્યાગ કર્યો હતો.

થોડીવાર પછી શ્રીરામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં મિશ્રને કહ્યું: “તમે જેના માટે પ્રયત્ન કરો છો તે અવશ્ય મળશે.” મિશ્રે શ્રીરામકૃષ્ણમાં પોતાના ઈષ્ટ ઈશુ ખ્રિસ્તને જોયા અને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. પછી ભક્તોને તેમણે કહ્યું: “તમે લોકો તેમને ઓળખતા નથી. તેઓ ઈશુ ખ્રિસ્ત પોતે જ છે.”

શ્રીરામકૃષ્ણને દિવ્ય અનુભૂતિ થઈ હતી કે વિભિન્ન ધર્મો અને સંપ્રદાયોના લોકો તેમની પાસેથી પ્રેરણા મેળવશે અને આધ્યાત્મિક પ્રગતિ સાધશે. તેમના જીવનકાળમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોના કેટલાય અનુયાયીઓ તેમની પાસે આવતા અને તેમની મહાસમાધિ પછી પણ આ ક્રમ ચાલુ છે.

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે એક મુસલમાનની ચાની દુકાનમાં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોયો. સ્વામી અંખડાનંદજીએ આશ્ચર્યથી આ વિશે પૂછ્યું ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો: “મને ખબર નથી, આ કોનો ફોટો છે. હું બજારમાં ગયો હતો. જે કાગળમાં વસ્તુઓ વિંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. તેમની આંખોથી હું મુગ્ધ થઈ ગયો. મને લાગ્યું કે તેઓ અમારા પયગમ્બર જેવા જ હોવા જોઈએ એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.”

સ્વામી અંખડાનંદજી જયારે તિબેટમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે કૈલાસની પાસે છેકરામાં લાસાનો એક ધનવાન ખામ્હા તેમની પાસેનો શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોઈને ભાવાવસ્થામાં આવી ગયો અને તેને લાગ્યું કે આ તો સાક્ષાત્ ઈશ્વરનાં જ ચક્ષુ છે. તેણે સ્વામી અંખડાનંદજી પાસેથી આ ફોટો માગી લીધો અને દરરોજ તેની પૂજા કરવા માંડ્યો.

૧૯૦૨માં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ ન્યુયોર્કમાં પોતાના અભ્યાસના ઓરડામાં બેઠા હતા ત્યારે એક અમેરિકન યુવતીએ પ્રકાશનના કાર્ય માટે ત્યાં પ્રવેશ કર્યો. પ્રવેશતાંની સાથે જ વેદી પર રાખેલ શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોઈને તે દિઙ્મૂઢ થઈ ગઈ, કારણ કે થોડા વખત પહેલાં તેને બોસ્ટોનમાં શ્રીરામકૃષ્ણદેવના અદ્‌ભુત દિવ્ય દર્શન પ્રાપ્ત થયાં હતાં પણ ત્યારે તેને ખબર નહોતી કે એ હિન્દુ યોગી કોણ હતા. સ્વામી અભેદાનંદજી પાસેથી તેણે તેમના ગુરુ વિશે બધુ જાણ્યું. પાછળથી તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને મિસ લાગ ફ્રેન્કલીન ગ્લૈનમાંથી સિસ્ટર દેવમાતા બની ગઈ અને રામકૃષ્ણ સંઘના વિદેશનાં કેન્દ્રોમાં તેણે ઘણી સેવા કરી.

અમેરિકાની અન્ય એક યુવતીને પણ સ્વપ્નમાં એક ભારતીય યોગીનાં દિવ્ય દર્શન થયાં હતાં. આ ઘટના વિવેકાનંદજીના અમેરિકા પ્રવાસ પહેલાંની છે. ઘણાં વર્ષો સુધી તે આ યોગીની શોધના નિષ્ફળ પ્રયાસ કરતી રહી. વિવાહ પછી તે ન્યુયોર્કની પાસે ન્યુજર્સીનાં મોન્ટક્લેયરમાં રહેવા આવી. સ્વામી વિવેકાનંદજીનાં વ્યાખ્યાનો સાંભળીને તે વેદાંતની અનુયાયી બની ગઈ. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ તેના ઘરની મુલાકાત લેતા. એક વાર સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી સારદાનંદજીએ વાતચીતના પ્રસંગમાં પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવનો ફોટો દેખાડ્યો ત્યારે તેનાર્થી બોલી જવાયું: “ઓહ, આ તો તે જ ચેહરો છે!” પછી તેણે પોતાના દિવ્યદર્શનની તેમને વાત કરી. આ મહિલા (મિસેસ વ્હીલર) જીવનભર શ્રીરામકૃષ્ણદેવનાં પરમ ભક્ત રહ્યાં.

શ્રીરામકૃષ્ણદેવને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં, પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ રૂપે સ્વીકારી રહ્યા છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરી તેમના ચરમ લક્ષ્યની સિદ્ધિ હાંસલ કર્યા પછી પોતાના અનુભવના આધારે કહ્યું હતું: “જેટલા મત, તેટલા પથ. બધા જ ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે, જો કે માર્ગ જુદાજુદા છે.”

કલાડ એલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘The God of All’માં વિસ્તારથી આલેખે છે કે “શ્રીરામકૃષ્ણદેવનો સર્વ ધર્મો પ્રત્યેનો ઉદાર દૃષ્ટિકોણ જે ઈશ્વરના સાક્ષાત્ અનુભવ પર આધારિત છે, ધર્મોની વિવિધતાની સમસ્યાના સમાધાન માટે એક વ્યાવહારિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે.”

બોસ્ટોન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ફ્રેંસિસ કલૂનીએ લખ્યું હતું: “શ્રીરામકૃષ્ણ બીજા ધર્મના અનુયાયીઓની સાથે રહીને ખ્રિસ્તી ધર્મને સાચવવાનો એક આધાર પ્રસ્તુત કરે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે, આપણે ઈશુ તરફ જેટલી તીવ્ર ગતિથી યાત્રા કરીશું, એટલું જ વધારે આપણે સમજી શકીશું કે ઈશુ ઇચ્છતા હતા કે, આપણે આપણા ધર્મોના ઘેરામાંથી બહાર નીકળીને એમને શોધીએ.” આ જ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મુહમ્મ્દ દાઉદ રાહબરે લખ્યું હતું: “સદીઓની ગુલામીની અવધિમાં હિન્દુઓના ધાર્મિક વિચારાને મુસલમાનો તથા ઈસાઈઓએ હીન દૃષ્ટિભાવથી જોયા છે. રાજનૈતિક સ્વતંત્રતા મેળવ્યા બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ છે અને હિન્દુઓના ધાર્મિક પ્રયત્નોની તીવ્રતાએ ગૈારવ પ્રાપ્ત કર્યું છે. શું સીધા અને સરળ શ્રીરામકૃષ્ણ પોતાની રીતે પૂર્ણ વૈજ્ઞાનિક નહોતા? એમના પવિત્ર જીવનમાં આપણે ધર્મ અને વિજ્ઞાનનો એક સમન્વય જોઈ શકીએ છીએ.”

કલકત્તાના વિદ્વાન હોસૈનુર રહમાન પોતાના પુસ્તક ‘Shri Ramakrishna: The Symbol of Harmony of Religions’માં વિસ્તારથી આલેખે છે કે શ્રીરામકૃષ્ણ સાર્વજનિક સુસંવાદિતાનું ઊગમસ્થાન છે.

આજે આપણે અત્યંત કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. એવું ધર્મમંદિર બનાવવાની તાતી જરૂરીયાત છે જેમાં હિન્દુઓ અને બિનહિન્દુઓ એક જ પરમ ચૈતન્યની આરાધનામાં હાથ મિલાવે. આ પ્રેરણા આપણને શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મળશે. પ્રખ્યાત પાશ્ચાત્ય મનીષી પ્રો. મૅક્સમ્યૂલર શ્રીરામકૃષ્ણ વિશેના પોતાના લેખમાં લખે છે: “શ્રીરામકૃષ્ણનાં વચનો દ્વારા કેવળ એમની જ વિચારધારા આપણી સમક્ષ પ્રગટ થતી નથી, પરંતુ કરોડો માનવીઓની શ્રદ્ધા અને આશા પ્રગટ થયેલ છે, ત્યારે એ દેશના ભાવિ વિશે આપણને ખરેખર આશા બંધાય છે… ઈશ્વર હાજરાહજૂર છે એવો સતત વહેતો ભાવ એ જ ખરેખર તો એવી સર્વ સામાન્ય ભૂમિકા છે જેની ઉપર સમીપના કાળમાં ભવિષ્યનું મહાન ધર્મમંદિર રચાશે અને એ મંદિરમાં હિન્દુઓ અને બિનહિન્દુઓ એક જ પરમચૈતન્યની આરાધનામાં હાથ મિલાવશે અને અનેક હૃદયો જોડશે, એવી આપણે આશા રાખી શકીએ.”

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે તેમના ચરણોમાં એ જ પ્રાર્થના કે આપણે તેમના જીવન-સંદેશમાંથી પ્રેરણા લઈ, ‘જેટલા મત તેટલા પથ’ એ વાણીનો સ્વીકાર કરી આવા મહાન ધર્મમંદિરના નિર્માણ કાર્યની સાધનામાં પ્રવૃત્ત થઈ શકીએ.

Total Views: 125
By Published On: February 1, 1993Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram