શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે. બધા આદર્શો મૃત્યુ પામશે; અને એના સ્થાને વિષયલાલસા અને વિલાસના જોડારૂપ પુરુષ અને સ્ત્રી દેવતા તરીકે રાજ્ય કરશે. પુરોહિતને સ્થાને ધન બેસશે; દગાબાજી, અત્યાચાર અને સ્પર્ધાઓ તેની પૂજાવિધિઓ બનશે અને માનવ આત્માનું બલિદાન અપાશે. આવું કદી બની શકે નહિ.
ફરી એકવાર ચક્ર ઊંચે ચડી રહ્યું છે, ફરીવાર ભારતમાંથી સ્પંદનો ગતિમાન બન્યાં છે, જેનું નજીકના ભવિષ્યમાં દુનિયાની અંતિમ સીમાઓ સુધી પહોંચવા માટે નિર્માણ થયું છે. માનો, અરે માનો કે આદેશ થઈ ચૂક્યો છે. ઈશ્વરીય આજ્ઞા નીકળી ચૂકી છે કે ભારતનું ઉત્થાન અવશ્ય થશે અને ભારતની જનતા અને પ્રજા સુખી થવાનાં છે.
ભારતનું ઉત્થાન થશે, સ્થૂળ શક્તિ વડે નહિ પરંતુ આત્માની સૂક્ષ્મ શક્તિ વડે; વિધ્વંસના ધ્વજ સાથે નહિ, પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજ સાથે, સંન્યાસીનાં ભગવાં કપડાંથી; દોલતની શક્તિથી નહિ પરંતુ ભિક્ષા પાત્રની એટલે કે ત્યાગની શક્તિથી.
હું મારા અંત:ચક્ષુથી જોઉં છું. આ અરાજકતા અને કલહ કંકાસમાંથી બહાર ઊભું થતું સંપન્ન ભારત, પ્રતાપી અને અજેય, વેદાન્તના મસ્તક અને ઈસ્લામના દેહ સાથે… કારણ આપણી માતૃભૂમિ બે મહાન ધર્મોનું સંધિસ્થાન છે. હિંદુ ધર્મ અને ઈસ્લામ – વેદાંતનું મસ્તક અને ઈસ્લામનું શરીર એક માત્ર આશા છે.
ઊઠો, જાગો અને આપણી ભારતમાતાને પુનરુત્થાન પામેલી પૂર્વે હતી તેના કરતાંયે વધુ પ્રતાપી, પોતાના સનાતન સિંહાસન પર અહીં જ બિરાજમાન થયેલી જુઓ.
– સ્વામી વિવેકાનંદ
(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’માંથી, પૃ.૪૩-૪૬)
Your Content Goes Here