આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ

વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ.

આપણે ભૌતિક સંસ્કૃતિની વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમકે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ માનો કે સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં જ સ્ત્રીપુરુષો સાચી આધ્યાત્મિક વૃત્તિવાળાં છે. હવે માત્ર આટલા જ લોકોના આધ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડને જંગલીપણામાં અને ભૂખમરામાં ડુબાડવાં? શા માટે કોઈએ ભૂખે મરવું જોઈએ? મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે શી રીતે શક્ય બન્યું? તેનું કારણ હતું ભૌતિક બાબતમાં હિંદુઓનું અજ્ઞાન, મુસલમાનોએ જ તેમને દરજીએ સીવેલાં કપડાં પહેરતાં શીખવ્યું. હું ઇચ્છું છું કે શેરીની ધૂળ ખોરાકમાં ભળી ન જાય તેવી રીતે સ્વચ્છતાથી ભોજન કરવાનું પણ હિંદુઓ મુસલમાનો પાસેથી શીખ્યા હોત! ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુધ્ધાં જરૂરી છે. “રોટી! રોટી” જે ઈશ્વર આપણને અહીં રોટી આપી શકતો નથી તે સ્વર્ગમાં શાશ્વત સુખ આપશે તેમ હું માનતો નથી. છટ, ભારતને ઉન્નત બનાવવું છે, ગરીબોને રોટલો પહોંચાડવો છે. શિક્ષણનો વિસ્તાર કરવો છે અને પુરોહિતપ્રથાનાં અનિષ્ટોને દૂર કરવાં છે. પુરોહિતપ્રથા ન જોઈએ! સામાજિક જુલમો ન જોઈએ! વધારે અન્ન, બધા માટે વધારે તક! અંગ્રેજો પાસેથી વધારે સત્તા મેળવવા આપણા મૂર્ખ યુવાનો સભાઓ ભરે છે, પણ અંગ્રેજો માત્ર હસે છે. જે બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેવા કોઈ સ્વતંત્રતાને પાત્ર નથી. માનો કે અંગ્રેજોએ તમને બધીય સત્તા આપી દીધી; તો ત્યારે જેઓ સત્તા ઉપર હશે તેઓ લોકોને દબાવી રાખશે. તેમને સ્વતંત્રતા આપશે નહીં. ગુલામો બીજાને ગુલામો બનાવવા માટે જ સત્તા માગે છે.

હવે, આ બધી પ્રગતિ આપણે ધીરેધીરે લાવવાની છે અને તે પણ આપણા ધર્મ માટેનો આગ્રહ રાખીને અને સમાજને સ્વતંત્રતા આપીને. પુરાણા ધર્મમાંથી પુરોહિતપ્રથાનો નાશ કરો. એટલે તમને દુનિયામાંનો શ્રેષ્ઠ ધર્મ સાંપડશે. હું કહું છું તે સમજી શકો છો? શું તમે ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ ઘડી શકશો? હું માનું છું કે તે શક્ય છે અને શક્ય હોવું જોઈએ.

સ્વામી વિવેકાનંદ

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકાટ દ્વારા પ્રકાશિત ‘“સ્વામી વિવેકાનંદના પત્રો(સંચયન)”માંથી, પૃ.૫૨-૫૩)

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.