* તમે પોતાને માટે જે ઇચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પોતાને માટે ન ઇચ્છતા હો એ બીજા માટે પણ ન ઇચ્છો. આ જ જિનશાસન તીર્થંકરોનો ઉપદેશ છે.

* હું તમામ જીવોને ક્ષમાપ્રદાન કરું છું, તમામ જીવો મને ક્ષમા આપે, તમામ પ્રાણીઓ તરફ મને મૈત્રી ભાવ છે. મને કોઈ સાથે વેર નથી.

* અસત્ય બોલીને પણ પોતે સફળ ન થઈ શક્યો એવો શોક અસત્ય બોલ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુઃખી બને છે. અસત્ય બોલીને એ બીજાને ઠગવાનો સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બોલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પોતાના અસત્યને પકડી ન પાડે એ વિચારથી પણ એ દુઃખી બને છે. આ પ્રમાણે અસત્ય વ્યવહારનું પરિણામ દુઃખજનક છે. આ પ્રમાણે વિષયોથી અતૃપ્ત બની ચોરી કરતો એ દુઃખી અને આશરા વિનાનો બનતો જાય છે.

* દુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો એ વિજય પરમ વિજય છે.

* ક્ષમાથી ક્રોધને હણો. નમ્રતાથી માનને જીતો, સરળ સ્વભાવથી માયા ઉપર અને સંતોષથી લોભ ઉપર વિજય મેળવો.

* જેવી રીતે અંધની આગળ લાખ્ખો-કરોડો દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષને વિપુલ શાસ્ત્રાધ્યયન પણ અર્થહીન છે.

* ‘અચૌર્યાણુવ્રતી શ્રાવકે ન ચોરીનો માલ ખરીદવો જોઈએ કે ન કોઈને ચોરી કરવા માટે પ્રેરવો જોઈએ. તેમ જ રાજ્ય વિરુદ્ધ અર્થાત્ ટેક્સ-કર વગેરેની ચોરી કે નિયમ વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં જોઈએ. વસ્તુઓમાં ભેળસેળ વગેરે ન કરવી જોઈએ. ખોટા સિક્કા કે નોટ ન બનાવવા જોઈએ.

* જેવી રીતે હાથીનું પૂછડું, પગ, સૂંઢ વગેરેને જે સ્પર્શ કરીને એ હાથી છે એવું માનનારા જન્માંધ લોકોનો અભિપ્રાય મિથ્યા છે. તેવી રીતે અનેક ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે વસ્તુ જાણી લીધી છે” એવી પ્રતિપત્તિ-સ્વીકૃતિ કરનારાઓનું તદ્વસ્તુવિષયક જ્ઞાન મિથ્યા ગણાય છે.

* જે પુરુષ કેવળ પોતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનોની નિંદા કરે છે અને એ રીતે પોતાનું પાંડિત્ય બતાવે છે એ સંસારમાં મજબૂત રીતે જકડાઈ ગયેલા છે.

(“સમણસુત્તં”માંથી સાભાર)

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.