(૩૦મી જાન્યુઆરી,૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજે વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ મિશન આશ્રમમાંના શ્રીરામકૃષ્ણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આપેલું અઘ્યક્ષીય પ્રવચન)

એક નાના સમુદાયના લોકો માટે નહિ પણ સમગ્ર માનવજાત માટે શ્રીરામકૃષ્ણનું આગમન થયું હતું. શ્રીરામકૃષ્ણના, શ્રીશારદામાના અને સ્વામી વિવેકાનંદના બોધમાં માનવ ઉત્કૃષ્ટતાનો મહાન સંદેશ સમાયેલો છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ સાથે સંકલિત બલપ્રદ અને ઊર્ધ્વારોહી સાહિત્યમાંથી બોધ પામવાનું હજી આપણી પ્રજાની બહુમતિને બાકી છે. સ્વાતંત્ર્ય પહેલાંના યુગમાં આપણા બહુસંખ્ય લોકો વિવેકાનંદ સાહિત્ય વાંચતા અને ભારતની આઝાદી માટે જંગે ચડવા અદમ્ય ઉત્સાહ તેમાંથી પામતા. મોટાં બલિદાનો પછીથી આપણે ૧૯૪૭માં આઝાદી પ્રાપ્ત કરી. આઝાદ થયા પછી, આપણા લોકોએ એટલા જ ઉત્સાહથી વિવેકાનંદજીનું અધ્યયન ચાલુ ન રાખ્યું અને એને પરિણામે એ આઝાદીનો ઉપયોગ સર્વોદય માટે કરવાનું આપણે ન શીખ્યા. એટલે સ્વાતંત્ર્યોત્તર કાળમાં ભ્રષ્ટાચાર, હિંસા, મનની લઘુતા જેવા આપણા જાહેર અને ખાનગી જીવનને કોરી ખાતાં, બધા પ્રકારનાં અનિષ્ટો આપણા સમાજમાં ઘૂસી ગયાં છે. રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન સ્વાતંત્ર્ય પછી પણ એ જ ખંતથી આપણા લોકોએ જારી રાખ્યું હોત તો આવી કરુણ દશા ઊભી ન થઈ હોત. સ્વ. આર્નલ્ડ ટૉયન્બી નામના અંગ્રેજ ઇતિહાસ લેખકે કહ્યું છે કે, આજના જગતને ભારત જ બચાવી શકશે. તેમને ક્યું ભારત વિવક્ષિત છે? આપણે જેમાં જીવી રહ્યા છીએ તે આજનું માંદલું ભારત નહીં પણ બુદ્ધ, અશોક, રામકૃષ્ણ અને મહાત્મા ગાંધીનું જ ભારત.

રામકૃષ્ણ – વિવેકાનંદની જીવન કથાના ફ્રેન્ચ આલેખક રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણનો પરિચય એક અદ્‌ભુત વાક્યથી આપ્યો છે. શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ વિશેના ગ્રંથા એમણે માર્મિક અને ભક્તિયુક્ત દૃષ્ટિથી લખ્યા છે. પોતાના પાશ્ચાત્ય વાચકોને એ પુસ્તક વિશે કહેતાં તેઓ લખે છે: ‘રામકૃષ્ણ ગાંધીના જેવા કર્મવી૨ ન હતા, કે ગઅટે (Goethe) કે ટાગોરની માફક કલા કે ચિંતન પ્રવીણ પણ ન હતા. પોતાના સમયની રાજકીય કે સામાજિક પ્રવૃત્તિથી દૂર, આંખે વળગે તેવા પ્રસંગ વિનાના મર્યાદિત જીવન ઢાંચામાં પોતાનું બાહ્ય જીવન વ્યતીત કરનાર તેઓ બંગાળના એક નાના ગ્રામીણ બ્રાહ્મણ હતા.’

શ્રીરામકૃષ્ણના બહિર્જીવન વિશે આમ લખ્યું છે. પણ એની પછીનું વાક્ય અદ્‌ભુત છે: ‘પરંતુ એમનું આંતરજીવન મનુષ્યો અને દેવોની સર્વ બહુલતાને આવરી લેતું હતું.’

આ કથન આશ્ચર્યજનક છે. બાહ્ય દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ તદ્દન સામાન્ય દેખાતા હતા, પણ આંતરિક રીતે એમનામાં વિરાટ વિકાસ થયો હતો.

હું શાળામાં ભણતો હતો ત્યારે અમારા આચાર્યે એક દહાડો કહ્યું હતું, ‘બાળકો, તમારે એક બાબત જાણવી જોઈએ: સાદું જીવન અને ઊર્ધ્વચિંતન. એ વાત મારા મગજમાં પ્રવેશી ગઈ. એ કથન ૫૨ મેં વિચાર કર્યો: સાદું જીવન અને ઊર્ધ્વચિંતન! કેવો અદ્‌ભુત વિચાર! બે ત્રણ વ૨સ પછી મેં શ્રીરામકૃષ્ણ કથામૃતનું અધ્યયન કર્યું. મને સાદા જીવન અને ઊર્ધ્વ ચિંતનનું ઉત્તમ ઉદાહરણ એમાં સાંપડ્યું. પછીના વર્ષોમાં મેં પૂજ્ય શારદામાનું જીવન ચરિત્ર વાંચ્યું તો, ત્યાં પણ મને એ આદર્શ જોવા મળ્યો. તેઓ પણ બાહ્ય દૃષ્ટિએ સામાન્ય ગ્રામનારી હતાં પણ, અંતર જુઓ તો અનંત માતૃત્વની જ્યોત ત્યાં પ્રકાશતી હતી. અનંત માતૃત્વથી હૃદય ધબકતું હતું. આજે આપણા મોટા ભાગના લોકોનું જીવન એથી સાવ વિપરીત છે. એમની બાહ્ય જિંદગી ભભકાદાર છે પણ, અંદરથી એ સાવ પોકળ છે; એ ઊર્ધ્વ જીવન અને સાદું કે, નહિવત્ ચિંતન છે!

શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શારદામા અને સ્વામીજીના બોધનું આપણે શું કરવું? એ સવાલ આજે આપણે પૂછવો જોઈએ. ગાંડા નિયમો અને પ્રતિબંધોથી ભરેલો ધર્મનો વિકૃત ખ્યાલ માનવભૂતનાં મનને અને હાથપગને જોરથી જકડી રાખે છે. એ બધાં બંધનો છેદવા અને માનવજાતને મુક્ત કરવા શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા. સાચો ધર્મ નિત્ય આનંદ અને મુક્તિ અર્પે છે. શ્રીરામકૃષ્ણ આનંદથી છલકાતા. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચશો તો તમને જોવા મળશે કે શ્રીરામકૃષ્ણનો ખંડ આનંદનું ધામ હતો. યુવાન અને તેમાંના કેટલાક તો બુદ્ધિશાળી વિદ્યાર્થી એવા અનેક શિષ્યો શ્રીરામકૃષ્ણને હતા અને તેઓ તેમને પ્રબોધતા. પણ એમની બોધ આપવાની પદ્ધતિ એવી હતી કે પોતે શીખવે છે તેનું ભાન ગુરુને નહોતું રહેતું અને પોતે શીખી રહ્યા છે તેવું ભાન શિષ્યને નહોતું રહેતું! વેદાન્તના વિશાળ અને ગહન દર્શન અને અધ્યાત્મ તરીકે સ્વામી વિવેકાનંદ દ્વારા એ બોધ જગતમાં પ્રગટ થયો હતો.

એ દર્શન અને અધ્યાત્મની બે મોટી બાબતો પર સ્વામીજીએ ભાર મૂક્યો હતો. પ્રથમ મનુષ્યજાતિના આધ્યાત્મિક વલણની બાબત છે; અર્થાત્ દરેક જીવમાં નિગૂઢ શિવત્વ રહેલું છે. જીવન દ્વારા, કાર્ય દ્વારા અને માનવ સંબંધો દ્વારા એ શિવત્વનો તમારે સાક્ષાત્કાર કરવાનો છે. બીજી બાબત એ છે કે શિવત્વનો એ સાક્ષાત્કાર આંતરિક રીતે ધ્યાન દ્વારા અને બાહ્ય રીતે સેવાવૃત્તિ દ્વારા થાય છે. આપણે આ પાઠ ભૂલી ગયા છીએ. એટલે જ તો સાચું ધર્માચરણ જે શક્તિ અચૂક બક્ષે તે આપણા કહેવાતા ધર્મનું આચરણ આજે બક્ષી શકતું નથી. ધર્મ પ્રબળ શક્તિ છે એ શ્રીરામકૃષ્ણે દર્શાવ્યું છે. જંતુત્વની કક્ષાએથી ઊંચકીને એ તમને પરમાનંદની કક્ષાએ લઈ જાય છે. આપણી વેદાંત ફિલસૂફી ભારપૂર્વક નિત્ય કહે છે: ‘જંતુ ન રહો, જંતુ ન રહો, મુક્ત બનો. પોતાને વશ વર્તવાની કોઈ શક્તિ તેની પાસે નથી. પણ વેદાંત કહે છે, તમારા પાશને ફેંકી દો. એ તમારો નથી. જંતુ ન થાઓ. મુક્ત બનો.’

એ સંદેશ આપણે સાંભળ્યો પરંતુ આપણા નબળા મનને કારણે આપણે તેને ખોટો સમજ્યા. આપણામાંથી અનેકને, ‘મુક્ત બનો’ એટલે ‘હવે આપણે અનિયંત્રિત બનીએ’ એમ થયું. બધું અનિયંત્રિતપણું મુક્તિને નકારવા બરાબર છે. સ્વનિયમન મુક્ત મનુષ્યની એંધાણી છે.

આજે સવારે આ સ્થાને આવેલા શ્રીરામકૃષ્ણના સુંદર મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. ભારતમાં અનેક મંદિરો છે. આવા મંદિરની વિશિષ્ટતા શી છે? મંદિર માત્ર સુંદર સ્થાપત્યની ચીજ નથી. અધ્યાત્મશક્તિને જન્મ દેવા અને ફેલાવવાનું એ કેન્દ્ર છે. વિવિધ સેવાપ્રવૃત્તિઓ દ્વારા માનવ પરિસ્થિતિમાં સુધારણા કરવાનો ભગીરથ પુરુષાર્થ એક રામકૃષ્ણ મંદિર પાછળ રહેલો છે. ‘ગીતા’, ‘ઉપનિષદો’, ‘શ્રીમદ્ ભાગવત’ જેવા સાહિત્યમાંથી તેમજ શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રી શારદામા અને સ્વામી વિવેકાનંદ પાસેથી પણ આપણને એ સંદેશ મળે છે. એ સંદેશ પ્રતિ આપણે લક્ષ નહીં આપીએ તો મંદિરની અંદર કેવળ મૂર્તિ અને બહાર શયતાનની લીલા જોવા મળશે. આપણા અર્વાચીન રાષ્ટ્રીય ઇતિહાસનો એ બોધપાઠ છે. બધો સમય ‘ધર્મિષ્ઠ’ રહીને આપણે એકબીજાનું શોષણ કર્યું છે. અને આખો દેશ અધોગતિ પામ્યા છે. એક જ આત્મા બધાં ભૂતોમાં છે તે વેદાન્તના બોધને આપણે વીસરી ગયા. ચારિત્ર્ય ઘડતર કરતા ધર્મના એ ગહન લક્ષણનું સ્મરણ કરાવવા શ્રીરામકૃષ્ણનું આગમન થયું હતું.

‘શ્રીમદ્ ભાગવત’માંથી ત્રણ શ્લોકો આ સંદેશ સુંદર રીતે રજૂ કરે છે. ત્રીજા સ્કંધમાં કપિલના અવતારમાં પોતાની માતા દેવહૂતિને એ આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. ત્યાં આ શ્લોકો આવે છે:

‘સદા સર્વ ભૂતોમાં એમના આત્મા તરીકે હું વસું છું; પણ મર્ત્ય માનવી, મારા એ રૂપની અવજ્ઞા કરીને મૂર્તિ-પૂજા કરે છે એ વિડંબના છે.’ ‘બધા’ ભૂતોના ગૌરવને હણીને મૂર્તિમાંના મને નાનીમોટી અર્ચના સાથે, જે પૂજે છે તેનાથી હું જરીય તુષ્ટ નથી.

અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને સામાન્ય જનતાના શોષણની પ્રથા દ્વારા સદીઓથી આપણે એ કર્યું છે. કપિલના શબ્દો જુઓ: નૈવ તુલ્યે, ‘હું જરાય તુષ્ટ નથી.’ આગળ એ કહે છે: અર્ચિતો અર્યાયામ્ મૂર્તિગ્રામાવ માનિતઃ, એટલે કે તમે ભલે મને મસ મોટાં મંદિરો ને વિવિધ ઉપહારો સાથે પૂજો, તમે ભૂતગ્રામ ને, બહુજનને અપમાનો તો તમારી પૂજા હું સ્વીકારતો નથી. ને પછી, ત્યાર પછીના શ્લોકમાં એક સુંદર સંદેશ આપવામાં આવ્યો છેઃ

‘તો સર્વ ભૂતોના આત્માના મંદિરમાં રહેતા મને તું દાનથી અને માનથી ભેટ ઉપહાર ધરીને અને સન્માન દર્શાવીને તેમ કરીને, બધાં પ્રાણીઓનાં દુઃખોને દૂર કરીને અને તેમનું ગૌ૨વ તથા તેમનું સ્વાભિમાન જાળવીને પૂજન અને આ બધું મૈત્રીભાવથી અને અભેદદૃષ્ટિથી કરજે.’

કપિલ કહે છે, ‘બધાં ભૂતોમાં મારું પૂજન કરો. બધાનો આત્મા હું છું. બધાં પ્રાણીઓમાં મેં મારે માટે મંદિર બાંધ્યું છે. અને ત્યાં કેવળ મારી સેવા નહીં, મારી પૂજા કર.’ શ્લોકમાં અર્હયેત્ શબ્દ વપરાયો છે તે નોંધવો જોઈએ. એ અર્ચન પરથી બન્યો છે. માત્ર સેવા સેવાયેત નહીં.

માણસમાં ભગવાનનું પૂજન કેવી રીતે કરવું તે આપણે માટે મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સાચો ઉત્તર તમે ન જાણતા હો તો તમને અચરજ થશે કે રસ્તે મળતાં દરેક સ્ત્રી પુરુષની આરતી ઉતા૨વાની તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે શું? એ દરેકને તમારી આરતી ત્રાસરૂપ થશે નહીં? પણ એવી પૂજા કરવાનું કહ્યું નથી. એથી કપિલ સ્પષ્ટતા કરે છે ને સજીવ પ્રાણીમાં ભગવાનની પૂજા કેવી રીતે કરવી તે દર્શાવતાં કહે છે કે: ‘તમારી આસપાસના લોકોને પીડતી જે ઊણપો હોય તે દૂર કરો અને આમ કરતાં તે વ્યક્તિ પ્રત્યે સન્માન દાખવો.’ આ કેટલો સુંદર વિચાર છે! આપણે કેવી રીતે દાનધર્મનું પાલન કરીશું? અભિમાન સાથે? કદાપિ નહીં પણ, આદરભાવ સાથે. આ શ્લોકમાં બીજા ત્રણ સુંદર અને અર્થગર્ભ શબ્દો છે: મૈત્ર્યા અભિન્નેન ચક્ષુષા ‘ગાઢ મૈત્રીના ભાવથી, અભેદના વલણ સાથે: તત્ત્વમાં આપણે સૌ એક જ છીએ. રામકૃષ્ણ-વિવેકાનંદના સમગ્ર સાહિત્ય સોંસરો આ સંદેશ આપણી પાસે ફરી ફરી આવે છે.

બધાં પ્રાણીઓની સેવા કરીને, એમની જરૂરિયાતો પૂરી પાડીને, એમનાં આંસુ લુછીને આપણે પ્રભુની સેવા કરવાની છે. ભારતમાં મોટે પાયે આ ભાવના વિકસાવવાની જરૂર છે. આજે તમે કોઈ ગામડે સેવા કરવા જાઓ તો ત્યાંના લોકોને તમારી ઉપર શંકા આવે છે. ‘આ બધા ફરીથી અમારું શોષણ કરવા આવ્યા છે’ એમ તેમને લાગે છે. એવું વિચારવામાં એ સાચા છે કારણ, સદીઓથી એ લોકો શોષાતા આવ્યા છે. એટલે, શહેરી લોકો ગામડાઓમાં જાય છે ત્યારે, ત્યાંના લોકો ગભરાય છે. આ પરિસ્થિતિ બદલવી જ જોઈએ. આપણે ત્યાં મિત્ર તરીકે જવાનું છે. ‘તમે તમારા પગ પર ઊભા રહી શકો એ માટે મદદ કરવા અમે આવ્યા છીએ.’ તેમ આપણે તેમને કહેવું જોઈએ. આપણાં કાર્યો અને શબ્દો દ્વારા આપણે તેમને ખાતરી કરાવવી જોઈએ. તો જ એ તમારો સ્વીકાર કરશે. ઉપર અવતરણ આપ્યું છે તે સંસ્કૃત શ્લોકમાં એ ‘મૈત્રી’-ના વલણની વાત છે.

છેલ્લા બે શબ્દો, ‘અભિન્નેન ચક્ષુષા’ ‘અભેદ દૃષ્ટિથી’, ભારતીય આધ્યાત્મિક પરંપરાનો ચરમ બોધ નિરૂપે છે. ઉપનિષદોમાં અને ‘ગીતા’માં બધે જ આ અભેદનો પરમ બોધ જોવા મળશે. તત્ત્વતઃ આપણે સૌ એક જ છીએ. આપણા સૌમાં એક જ આત્મા વિલસી રહ્યો છે.

જે દેશે અભેદની ફિલસૂફી પ્રબોધી તે જ દેશ ઊંડા ભેદભાવના વ્યવહારનો દેશ બન્યો છે એ કરુણતા છે. આપણો ઇતિહાસ લાંબા સમયથી જ્ઞાતિભેદ, ઉચ્ચનીચના ભેદ ઉ૫૨ અને કોમો વચ્ચેના ભેદોથી ચિતરાયેલો છે. માનવી માનવી વચ્ચેના દરેક પ્રકારના ભેદ ઉપર આપણે ભાર મૂકીએ છીએ. એ જવું જ જોઈએ. એને સત્યનો આધાર નથી. એ નિરાધાર છે. વળી એ સમાજ માટે નુકસાનકા૨ક છે. કમનસીબે, લોકશાહીને નામે જ આજે આપણે આ ભેદભાવના વલણને સાચી સમજણને અભાવે પોષી રહ્યા છીએ. અભેદની ભાવનાને સ્થાયી વલણ તરીકે વિકસાવવી જ જોઈએ. હાલ તો પાંચ વર્ષે એક વાર આપણે તેમ કરીએ છીએ. ચૂંટણી વખતે! એ વખતે આપણા જ કહેવાતા મોભીઓ પણ રાંકની ઝૂંપડીએ જાય છે અને ત્યાં ઊભા રહી ઘોષણા કરે છે: ‘આપણે સૌ એક છીએ, એક છીએ, કૃપા કરી આપનો મત મને આપજો. અમે આપના સેવકો છીએ.’ આ વલણ સાચું છે. પણ ઉમેદવારની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન એ જાળવવામાં આવતું નથી. પણ એક દહાડાનો ઊભરો બની ખતમ થઈ જાય છે.

પ્રત્યેક માનવીનું પૂર્ણતયા મૂલ્ય લોકશાહીમાં પાયાનો સિદ્ધાંત છે. આપણા મહાન વેદાન્ત દર્શનનો પણ એ પાયાનો બોધ છે. કોઈ વૃદ્ધાને મતદાન કેન્દ્રે ઊંચકી લઈ જવાતી તમે જુઓ ત્યારે એ વૃદ્ધાના મૂલ્યનો તમે વિચાર કરો છો? દેહે એ વૃદ્ધ છે, જર્જરિત છે. પણ રાજકીય દૃષ્ટિએ એનું મૂલગત, જેને બદલી ન શકાય તેવું મૂલ્ય છે. ને એ પ્રાપ્ત થાય છે એના ગણતંત્રના નાગરિકત્વના અધિકા૨થી. એનું એ મૂલ્ય પ્રધાનમંત્રીથી કે અન્ય કોઈથીયે ઊતરતું નથી. અગત્યનું એ છે કે એના એ મૂલ્યની કદર ચૂંટણીને વળતે દહાડે થાય છે કે નહીં. આપણો અનુભવ છે કે એમ નથી થતું; આપણી લોકશાહીની એ મુખ્ય નબળાઈ છે. ચૂંટણીને બાદ કરતાં, નાગરિકને યોગ્ય સન્માન વિનાના જંતુની જેમ આમ પ્રજા પ્રત્યે વર્તન રાખવામાં આવે છે. આપણા બધા નાગરિકો પ્રત્યે પૂરતો આદર્શ દર્શાવવા શક્તિમાન બને તે માટે આપણા રાજકારણ અને વહીવટને દાયકાઓના વેદાન્તના અને લોકશાહીના શિક્ષણની જરૂર છે. – સ્વામી વિવેકાનંદના આઠ ગ્રંથોમાંથી શક્તિદાતા અને શુચિપ્રેરક માનવ ઘડતર અને રાષ્ટ્ર ઘડતરનો વેદાન્તનો સંદેશ આપણને સાંપડે છે.

આપણા લોકોમાંના ઘણા મંદિરે જાય છે. તે ભગવાનને સાંભળવા નહીં પણ ભગવાનને સંભળાવવા! આજે આખા ભારત દેશમાં આપણને ઘોંઘાટિયો, દેખાડાનો, સ્વકેન્દ્રી ધર્મ જ જોવા મળે છે. રામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યમાં ધર્મ પ્રત્યેનું જુદું જ દૃષ્ટિબિંદુ તમને જોવા મળશે. એ શું કહે છે? એ કહે છે: મંદિરે જાઓ શાંતિથી અને આધ્યાત્મિક ખોજના ભાવપૂર્વક. મંદિરને ચોખ્ખું રાખો. ચારિત્ર્યને સુદૃઢ ક૨વા અને લોકોની સેવાના કાર્યમાં તેનો વિનિયોગ કરવા. મંદિરમાંથી થોડીક આધ્યાત્મિક પ્રેરણા પ્રાપ્ત કરો. પછી તમારા જીવનમાં અને કાર્યમાં તેને વિસ્તારો. ભારતમાંના આપણા લાખો ભણેલા લોકો આ અદ્‌ભુત સંદેશથી અજાણ છે. રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો આ ચૈતન્યદાયી અને પ્રેરક સંદેશ શાતિ, ધર્મ કે જાતિના ભેદ વિના સર્વ લોકોમાં ફેલાવવા માટે છે. આ સંદેશનાં બળ અને સૌન્દર્ય એવાં તો છે કે જગતભરમાંથી એ લોકોને આકર્ષે છે.

જગત પર ભારતની સૌથી મોટી અસર ફિલસૂફી અને આધ્યાત્મના ક્ષેત્રમાં રહી છે. આપણા રાજકીય વિચારો કે રાજકીય પ્રદાન માટે કોઈ આપણો આદર કરતું નથી. ખરેખર તો એ ક્ષેત્રમાં આપણે લેનાર છીએ. પણ ભારતની ફિલસૂફી અને આધ્યાત્મિકતા પાસે જગત આખુંય આદરપૂર્વક જુએ છે. આપણી બધી રાજકીય એલચી કચેરીઓનો ખર્ચ આપણે અહીંથી ચૂકવીએ છીએ. પણ આપણી આધ્યાત્મિક એલચી કચેરીઓનો ખર્ચ ત્યાંની સ્થાનિક પ્રજા ઉપાડે છે. આનો અર્થ સમજવાની કોશિશ આપણી પ્રજાએ કરવી જોઈએ. કૃપા કરી વિવેકાનંદનાં પુસ્તકો વાંચો અને પ્રેરણાની એ કેટલી મોટી ખાણ છે તે જાતે જાણો. એ શક્તિનું સાહિત્ય છે. માનવતાવાદી દૃષ્ટિનું સાહિત્ય છે.

શ્રીરામકૃષ્ણનું આપણી સામે ઊભેલું મંદિર ભવ્યચિંતન અને પ્રેરણા આપતી શક્તિનું કેન્દ્ર છે. માત્ર ધર્મના કહેવાતા સંકુચિત ક્ષેત્રમાં નહીં પણ, જીવનના દરેક ક્ષેત્રમાં મનુષ્યજાતિને ઊર્ધ્વગામી બનાવે તેવા વિચારો જ્યાંથી પ્રસરે તેવા ડાયનેમો સમાં કેન્દ્રો આવાં મંદિરો છે.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

૧ રોમાં રોલાં, ‘ધ લાઈફ ઑફ રામકૃષ્ણ’ (કલકત્તા: અદ્વૈત આશ્રમ, ૧૯૭૯) પૃ. ૧૩

૨ એજન

૩ અહં સર્વેષુ ભૂતેષુ ભૂતાત્ભાવસ્થિતઃ સદા।
તમવજ્ઞાય માં મર્ત્યઃ કુરુતેઽર્ચાવિડમ્બનમ્॥

અહમુચ્ચાવચૈર્દ્રવ્યૈ: ક્રિયયોત્પન્નયાનધે।
નૈવ તુષ્યેઽર્ચિતોઽર્ચાયાં ભૂતગ્રામાવમાનિનઃ।।

(‘ભાગવત’ ૩.૨૯.૨૧,૨૪.)

૪ અથ માં સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માનં કૃતાલયમ્।
અર્હયેત્ દાનમાનાભ્યાં મૈત્ર્યા અભિન્નેન ચક્ષુષા।।

(‘ભાગવત’ ૩.૨૯.૨૭)

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.