૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આપેલ આશીર્વચનો. સં.

મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ ઉ૫૨, રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજવામાં આવેલા બે દિવસના આ યુવ-સંમેલનમાં ભાગ લેવા માટે અહીં ભેગા થયેલા તમને સૌને મળીને ઘણો આનંદ થાય છે. જો કે તમારામાંથી મોટા ભાગના તો તરતમાં આવી રહેલી પરીક્ષાઓની તૈયારી કરવામાં વ્યસ્ત હશો. આમ છતાં અમારા કહેણને તમે પ્રતિસાદ આપ્યો છે. હું તમને સૌને અંતઃકરણ પૂર્વક ધન્યવાદ પાઠવું છું.

યુવા પેઢી પાસેથી સ્વામી વિવેકાનંદે ખૂબ ઊંચી આશાઓ સેવી હતી. તેઓ વારંવાર કહેતા કે થોડા શક્તિશાળી અને નિષ્ઠાવાન યુવ-જનો આખા વિશ્વને ધરમૂળથી પલટાવી શકે છે. આજે વિશ્વને એવી ક્રાન્તિની આવશ્યકતા ઊભી થઇ છે. આ હું કોઇ રાજકીય ક્રાન્તિની વાત કરતો નથી. આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્રાન્તિની વાત છે. એની અત્યારે જરૂર છે.

સ્વામીજીએ સમગ્ર ભારતમાં અને પશ્ચિમના ઘણા દેશોમાં પરિભ્રમણ કર્યું અને વિશ્વ શું ઝંખી રહ્યું છે, તે તેમણે સમજી લીધું. ભારતને પોતાની ભૂતકાલીન ગરિમા પુનઃ સ્થાપિત કરવા સારુ પોતાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના પુનરુત્થાનની સાથોસાથ ભૌતિક ઉન્નતિની આવશ્યકતા છે, તો બીજી બાજુ તેમણે એ પણ જોઇ લીધું કે પશ્ચિમને પણ પોતાની સમગ્ર ભૌતિક પ્રગતિની સાથોસાથ એક શક્તિશાળી આધ્યાત્મિક સંસ્કૃતિના પાયાની આવશ્યકતા છે. સ્વામીજી સમજતા હતા કે વિકાસનાં આ બન્ને ઘટકોમાંથી ફક્ત કોઇ એક જ, અન્યથી નિરપેક્ષ રહીને ટકી શકે નહિ. તેમના મતે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સુમેળ જ વિશ્વની બધી ખરાબીઓ માટેનું રામબાણ ઔષધ છે. એટલા માટે પશ્ચિમમાંથી ભારતમાં વિજય પ્રવેશ કર્યા બાદ તરત જ સ્વામીજીએ સમગ્ર વિશ્વમાં વિચાર પરિવર્તન લાવવા માટે, ‘બહુજન હિતાય’ અને ‘બહુજન સુખાય’ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. મિશનનો આદર્શ કંઇ કેવળ ભારતીય જન સમુદાય માટે જ પ્રયત્નો કરવાનો નથી પરંતુ સમગ્ર વિશ્વના સકલ માનવ સમુદાયની સર્વાંગીણ સુખાકારી સાધવાનો છે. મિશનની સ્થાપનાને સો વરસ થયાં ત્યારે આપણે એટલું કહી શકીએ કે કશુંક સારું કામ તો થયું છે તો પણ હજુ ઘણું કરવાનું બાકી છે.

આજકાલ આપણા નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તાણાવાણામાં નુકશાન થયેલું જોવા મળે છે. બધે સ્થળે અને બધાં જ ક્ષેત્રોમાં અધોગામી વલણ દેખાય છે. વિકાસની બધી જ કેડીઓમાં નકારાત્મક વિચારોથી આકર્ષાયેલા લોકો નજરે પડે છે. સર્વત્ર ફેલાયેલી આવી ગર્હણીય (deplorable) પરિસ્થિતિને લીધે યુવા વર્ગ ખૂબ પીડા અનુભવી રહ્યો છે. નિર્બળ વિચારોના અવિરત આક્રમણને કારણે યુવાનો આત્મવિશ્વાસ ખોઇ બેઠા છે; એટલું જ નહિ, પણ તેમણે રાષ્ટ્રની પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિને પણ ઉવેખી મૂકી છે અને એક વાર જો પોતાનામાંથી, પોતાની પરંપરાઓમાંથી, પોતાની સંસ્કૃતિમાંથી શ્રદ્ધા ડગી ગઇ, તો પછી એવા માણસે એની સજા ભોગવવીજ રહી! આવું થયા પછી તો અન્યનું આંધળું અનુકરણ કરવાનું વલણ જ રહેવાનું! અત્યારે આ દેશમાં આવું જ થઇ રહ્યું છે. ઘણા ખરા યુવાનો કશાય હેતુ વિનાનું જીવન જીવી રહ્યા છે.

આટલા માટે ક્રાન્તિની જરૂર છે. સ્વામી વિવેકાનંદ જેની વાત કરે છે તે આ ક્રાન્તિ શું છે, અને એ કેવી રીતે લાવી શકાય? ક્રાન્તિનો અર્થ આપણે એવો નથી કરતા કે તમારે બધાએ એકબીજા સાથે લડતા ઝઘડતા જ રહેવું! તમે પેલા બાળકની વાત તો સાંભળી છે. એણે ભારતના નક્શાના કરી નખાયેલા ટુકડાઓને ફરી વખત બરાબર ગોઠવ્યા હતા. જો કે એણે તો નક્શાની બીજી બાજુ તૂટેલા માણસના ચિત્રને જ બરાબર ગોઠવ્યું હતું. આમ, જ્યારે માણસ બરાબર રીતે બંધ બેસતો થઇ ગયો એટલે નક્શો પણ બરાબર બંધ બેસતો બની ગયો! આવી જ રીતે દેશના નાગરિકો મહાન થાય તો રાષ્ટ્ર પણ મહાન બની જાય છે. કારણ કે રાષ્ટ્ર વ્યક્તિઓનું જ બનેલું છે. એટલે જેટલા પ્રમાણમાં વ્યક્તિઓ બલવત્તર હશે, તેટલા પ્રમાણમાં રાષ્ટ્ર બલવત્તર બનશે. એટલે યુવાનોએ પોતાના ચારિત્ર્યનો વિકાસ કરવો જોઇએ કે જેથી રાષ્ટ્ર અપેક્ષિત સન્માર્ગે જઇ શકે.

તો ચારિત્ર્યનો આ વિકાસ કેવી રીતે થઇ શકે? સૌથી પહેલાં તો તમારામાંના દરેકે દરેક જણે નકારાત્મક વિચારસરણીનો પરિત્યાગ કરવો જોઇએ. તમે નિર્બળ અને નિઃસહાય છો એવો વિચાર કરવાનું છોડી દો. તમારી ભીતરની મૂળભૂત શક્તિઓ – ક્ષમતાઓ ઉપર સુદૃઢ શ્રદ્ધા રાખો. ભૂતકાળની બધી જ ભૂલોને ભૂલી જાઓ. હંમેશાં વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ શક્યતાઓ વિશે જ વિચાર કરો. આ ખૂબ મહત્ત્વનું પ્રથમ પગથિયું છે.

બીજી વાત એ છે કે જેટલા બને તેટલા નિઃસ્વાર્થ બનવાનો પ્રયત્ન કરો. તમારી આસપાસના લોકોની ખરા હૃદયથી સેવા કરવાનો પ્રયત્ન કરો અને એ એવો વિચાર મનમાં રાખીને કરો કે તે બધાના ઉપર જ તમારા દેશનું ભાવિ અવલમ્બે છે. અન્યની સેવા માટે પોતાની જાતને સમર્પિત કરવી, એ આત્મ સેવાનો અને રાષ્ટ્ર સેવાનો સર્વોત્તમ માર્ગ છે. ભારતના ઉત્થાન માટે આપણી યુવાન પેઢીએ આ માર્ગ અપનાવવો જોઇએ એમ સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા.

સ્વામીજીનું અવતરણ તમારા માટે વ્યર્થ ન બની રહો! આજે પ્રતિજ્ઞા કરો કે સ્વામીજીએ આંકેલી રૂપરેખા પ્રમાણે આત્મ વિકાસ અર્થે તમે સૌ કામ કરશો, તો થોડા જ વખતમાં તમે તમારા સંબંધમાં જોઇ શકશો કે તમારામાં અને સામાન્ય રીતે સમાજમાં કેવું, કેટલું પરિવર્તન આવ્યું છે.

સ્વામી વિવેકાનંદ તમારામાંના દરેકને વિશેષતઃ સ્વદેશના કલ્યાણ માટે અને સામાન્યતઃ વિશ્વના કલ્યાણ માટે કામ કરવાનું આહ્વાન આપે છે. આ આહ્વાનને સાંભળો અને તમે તેમના બતાવેલા માર્ગે પ્રગતિ કરો. તમારા આ પ્રયત્નમાં તમને સફળતા મળે એમ ઇચ્છું છું.

શ્રીરામકૃષ્ણદેવના, શ્રી શ્રીમા શારદાદેવીના અને સ્વામી વિવેકાનંદના આશીર્વાદો તમારા સૌના ઉપર વરસો એવી મારી તેમને પ્રાર્થના છે.

આ યુવ-સંમેલનને હું સંપૂર્ણ સફળતા ઇચ્છું છું.

સૌનો આભાર.

મૂળ અંગ્રેજીમાંથી અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.