यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह।
मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥

यत्‌ एव इह, જે કંઈ અહીં છે; तत्‌ अमुत्र, તે ત્યાં પણ છે; यत्‌ अमुत्र, જે ત્યાં છે; तत्‌ अनु इह, તે જ અહીં પણ છે; य: इह नाना इव पश्यति, જે અહીં જુદું જુદું જ જુએ છે; स: मृत्यो: मृत्युम्‌ आप्नोति, તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને પામે છે.

જે કંઈ અહીં છે, તે ત્યાં પણ છે અને જે કંઈ ત્યાં છે તે જ બધું અહીં પણ છે. જે (મનુષ્ય) અહીં જુદું જુદું જુએ છે તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને પામ્યા જ કરે છે. (૧૦)

આ મંત્રમાં એમ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે આ જગત બ્રહ્મથી અલગ નથી. આ જગત એ બ્રહ્મનું – ઈશ્વરનું – ‘થવું’ છે. (સ્વરૂપાંતર છે). બ્રહ્મ સિવાય બીજા કશાનું અસ્તિત્વ હોઈ જ ન શકે. કારણ કે એ જ બધામાં તાણાવાણારૂપે અનુસ્યૂત છે.

આ જગતની એક સ્વતંત્ર પદાર્થ તરીકેની ઓળખ તો ભયંકર ભૂલ જ છે. એમ માનવાનો અર્થ તો એ થયો કે આપણે આ જગતને પારમાર્થિક રીતે સત્ય – સ્થાયી – માનીએ છીએ. તો તો પછી મનુષ્ય પોતાની બધી પ્રલોભનકારી વસ્તુઓ તરફ આસક્ત થાય છે અને આ આસક્તિ તો બંધનકારી છે. એ તો સ્થૂળ ઈંદ્રિયજન્ય સુખો કરતાં વધારે આગળનું કશું જોવાની દૃષ્ટિને મુશ્કેલ બનાવી દે છે. અને એમ થવાથી તો જીવન દિશાવિહીન જ બની જવાનું. આસક્તિ તો એક પ્રકારનું મરણ જ છે. – એ આધ્યાત્મિક મરણ છે અને એ શારીરિક મરણ કરતાં પણ વધારે ખરાબ મરણ છે. આધ્યાત્મિકતા જે આનંદ આપે છે, તે સ્થાયી હોય છે અને ઉન્નતિકારક પણ હોય છે; પરંતુ જ્યારે તમે ઈંદ્રિયજન્ય સુખોમાં આસક્તિ રાખો છો, ત્યારે તમે એવા આનંદથી વંચિત રહી જાઓ છો. અને એથીયે ખરાબ બાબત તો એ છે કે તમે જીવન-મરણના ચકરાવામાં ફસાઈ ગયેલા જ રહો છો. આ રીતે તમે નાશ પામો છો.

मनसैवेदमाप्तव्यं नेह नानाऽस्ति किश्चन।
मृत्योः स मृत्युं गच्छति य इह नानेव पश्यति ॥११॥

मनसा एव इदम्‌ आप्तव्यं, ફક્ત મનથી જ આનો સાક્ષાત્કાર કરવા યોગ્ય છે; इह किश्चन नाना न अस्ति, અહીં કશું જુદું નથી; य: इह नाना इव पश्यति, જે અહીં બધું જુદું જુદું જુએ છે; स: मृत्यो मृत्युम्‌ गच्छति તે (એક) મૃત્યુમાંથી (બીજા) મૃત્યુ તરફ જાય છે – ફરે છે.

આ કેવળ (વિશુદ્ધ) મનથી જ આ (બ્રહ્મ)નો સાક્ષાત્કાર થઈ શકે છે. આ (બ્રહ્મ) કરતાં કશું જ જુદું નથી. આ (બ્રહ્મ) કરતાં જે કોઈ મનુષ્ય કંઈક બીજું જુદું છે એમ માને છે, તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુ તરફ જાય છે. (૧૧)

સાચી વાત તો એ છે કે સ્થૂળ મન ધરાવનારા કોઈથી પણ આ બ્રહ્મ પામી શકાતું નથી. એને પામવા – સમજવા – માટે તમારે ખૂબ જ ઉચ્ચતર દૃષ્ટિ કેળવવી જોઈએ. વર્ષો સુધીની આધ્યાત્મિક સાધનાથી શુદ્ધ – નિર્મળ થયેલું અને તીક્ષ્ણ પ્રકારનું મન તમારી પાસે હોવું જોઈએ. આવી રીતે જ્યારે તમારું મન વિશુદ્ધ થઈ જાય, ત્યારે તમે બધી વસ્તુઓની ભીતર રહેલી એક્તાને પ્રાપ્ત કરી શકો છો અને ત્યારે તમને એ અનુભૂતિ થાય છે કે આ જગત બ્રહ્મના પ્રકટીકરણ સિવાય બીજું કશું જ નથી. જગતના રૂપમાં તો આ જગતની પોતાની કશી જ હસ્તી નથી. જો કાંઈ, આ જગતની બ્રહ્મ કરતાં અલગ કોઈ હસ્તી છે, એમ સ્વીકારે, તો તે અજ્ઞાની છે. અને તે વારંવારનાં જન્મમરણને લીધે દુ:ખી થાય છે.

अंङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मनि तिष्ठति।
ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते।
एतद् वै तत्‌ ॥१२॥

अंगुष्ठमात्रः, અંગૂઠાના પરિમાણ જેવડો પુરુષ; (એટલે કે બ્રહ્મ); मध्ये आत्मनि तिष्ठति, શરીરની અંદર રહેલો છે; ईशान: भूतभव्यस्य, (તે) ભૂતકાળ, (વર્તમાનકાળ) અને ભવિષ્યકાળનો સ્વામી છે; तत:, જ્યારે (આધ્યાત્મિક સાધક આ જાણી લે છે) ત્યારે; न विजुगुप्सते, તે પોતાને છુપાવવાની કોશીશ કરતો નથી; एतद् वै तत्‌ , આ ખરેખર તે છે (કે જે આત્મા વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.)

અંગૂઠા જેવડા પરિમાણવાળું બ્રહ્મ શરીરમાં રહેલું છે, એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું નિયમન કરે છે. જ્યારે આધ્યાત્મિક સાધક આ બ્રહ્મને જાણી લે છે, ત્યારે તે પોતાને છુપાવવા માગતો નથી. ખરેખર આ જ તે (બ્રહ્મ) છે કે જેને વિશે નચિકેતા પૂછી રહ્યો હતો. (૧૨)

આ મંત્ર એવો અર્થ દર્શાવવા માગે છે કે વ્યષ્ટિચૈતન્ય – જીવ અને સમષ્ટિ ચૈતન્ય – બ્રહ્મ – એ બન્ને એક અને અદ્વિતીય છે.

હૃદયને કમળ સ્વરૂપે નિરખવાનું અહીં ધારવામાં આવ્યું છે. અને એ કમળની વચ્ચે એક નાનકડી ખાલી જગ્યા છે. અને એ ખાલી જગ્યાને વ્યષ્ટિચૈતન્ય રૂપે એટલે કે જીવચૈતન્ય રૂપે ત્યાં અંગૂઠાનું પરિમાણ ધારણ કરીને એમાં રહીને ભરી દે છે. દરેક પ્રાણીમાં અને દરેક જગ્યાએ બ્રહ્મ રહેલું છે. એ દરેક જગ્યાએ વ્યાપીને રહેલું છે. અને એટલા જ માટે એને ‘પુરુષ’ કહેવામાં આવે છે. (તે દરેકને ભરી દે છે.) આપણી ભીતર અને બહાર બધી જ જગ્યાએ બ્રહ્મ છે એ ખ્યાલ રાખવો જોઈએ. બ્રહ્મને કોઈ ક્ષીણ કરી શકતું નથી. જીવનનો ઉદ્દેશ એ જ્ઞાન છે કે વ્યષ્ટિચૈતન્ય – જીવ – અને સમષ્ટિચૈતન્ય – બ્રહ્મ, એ બન્ને એક અને અદ્વિતીય છે. જ્યારે તમે એ જાણી લો છો, ત્યારે તમે તમને પોતાને બધી જ જગ્યાએ અને બધામાં જ જોવા લાગો છો. તમને લાગે વળગે છે ત્યાં સુધી ત્યાં દ્વૈતની બુદ્ધિ રહેતી નથી. ત્યાં ‘એક’ જ છે અને તે ‘એક’ તમે જ છો. એટલે તમારે કોઈ પ્રાણી કે કોઈ વસ્તુથી ભડકવાની કે ગભરાવાની કશી જરૂર નથી. અને એટલા જ માટે તો તમે તમને પોતાને ક્યાંય છુપાવવાની આવશ્યકતા જોતા નથી.

अंङ्गुष्ठमात्रःपुरुषो ज्योतिरिवाधूमकः।
ईशानो भूतभव्यस्य स एवाद्य स उ श्वः।
एतद् वै तत्‌ ॥१३॥

अंगुष्ठमात्रः पुरुष:, અંગૂઠાના પરિમાણવાળો પુરુષ; अधूमकः ज्योति: इव, ધૂમાડા વગરના અગ્નિની પેઠે પ્રકાશે છે; भूतभव्यस्य ईशान:, તે ભૂતકાળ, (વર્તમાનકાળ) અને ભવિષ્યકાળનો નિયામક છે; स: एव अद्य स: उ श्वः, તે જ બધાં પ્રાણીઓમાં અત્યારે હાજરાહજૂર છે અને ભવિષ્યમાં પણ એવી જ રીતે હાજરાહજૂર રહેશે; एतत्‌ वै तत्‌, ખરેખર આ જ તે (નચિકેતાએ પૂછેલું બ્રહ્મ) છે.

આ અંગૂઠાના પરિમાણવાળા પુરુષને (યોગીઓએ પોતાના હૃદયમાં) ધૂમાડા વગરના અગ્નિની પેઠે પ્રકાશતો જોયો છે. આ સત્ત્વ ભૂતકાળ, (વર્તમાનકાળ અને) ભવિષ્યકાળ ઉપર નિયંત્રણ રાખે છે એ અત્યારે પણ ઉપસ્થિત છે અને ભવિષ્યમાં પણ ઉપસ્થિત રહેવાનો જ છે. નચિકેતા જેને વિશે પૂછી રહ્યો હતો તે બ્રહ્મ ખરેખર આ જ છે. (૧૩)

વ્યષ્ટિચૈતન્ય – જીવાત્મા, એ સમષ્ટિચૈતન્ય – પરમાત્મા સિવાય બીજો કોઈ જ નથી, આ હકીકત ફરીથી આ મંત્રમાં ભારપૂર્વક કહેવામાં આવી છે. ચૈતન્ય તો એક જ છે. તે બધે ઠેકાણે અને બધામાં રહેલું છે.

આપણાં ચર્મચક્ષુઓથી આપણે આ આત્માને જોઈ શકતા નથી. પરંતુ, યોગીઓ પોતાના હૃદયમાં એવું નિર્ધૂમ અગ્નિના રૂપમાં ધ્યાન કરે છે. એ નિર્ધૂમ – ધૂમાડા વગરનું છે, કારણ કે એ વિશુદ્ધ છે, કોઈ ગુણ-વિશિષ્ટતાવાળું નથી. હકીકતમાં તે બ્રહ્મ છે. વિશુદ્ધ ચૈતન્ય છે. એને ‘અંગુષ્ઠ પરિમાણવાળું’ પણ કહેવામાં આવે છે ખરું, પણ એનો શાબ્દિક અર્થ – વાચ્યાર્થ એવો લેવાનો નથી. એને અંગૂઠાના કદનું તો એટલા માટે કહેવામાં આવેલ છે કે હૃદયમાં રહેલી એ ખાલી જગ્યા નાની છે અને દરેક પ્રાણીમાં આત્માનું એ આસન છે. માયાથી ઉપહિત થયેલું – તેની સાથે સંબંદ્ધ એવું બ્રહ્મ એટલે કે હિરણ્યગર્ભ આત્મા, એ જ વિશ્વનો નિયામક છે – સર્વોચ્ચ છે. આ પરિવર્તનશીલ વિશ્વમાં નાની – મોટી બધી જ વસ્તુઓનું એ નિયમન કરે છે. એ સમયનો પણ સ્વામી છે કારણ કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને પણ એ નિયંત્રિત કરે છે.

यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति।
एवं धर्मान्‌ पृथक्‌ पश्यंस्तानेवानुविधावति ॥१४॥

दुर्गे, પ્રવેશી ન શકાય એવા પ્રદેશમાં; वृष्टम्‌, વરસી ગયેલું; उदकम्‌, વરસાદનું પાણી; यथा, જેવી રીતે; पर्वतेषु, ટેકરીઓમાં; विधावति, નીચે દોડી જાય છે; (અર્થાત્‌, વેરવિખેર થયેલાં ઝરણાંઓમાં વહીને વેડફાઈ જાય છે); एवम्‌, એ જ પ્રમાણે; धर्मान्‌, જુદી જુદી વિશિષ્ટતાઓને (જુદા જુદા વ્યષ્ટિચૈતન્યમાં-જીવોમાં); पृथक्‌ पश्यन्‌, તેમને વાસ્તવિક રૂપે અલગ રૂપે જ મૂલવતો; तान एव अनुविधावति, (તે મનુષ્ય) તે (જુદાઈને રસ્તે જ) જાય છે.

જ્યારે પ્રવેશ ન કરી શકાય તેવા પ્રદેશમાં વરસાદ વરસે છે, ત્યારે વરસાદી પાણી પર્વતની ચારે બાજુ વેરવિખેર ઝરણાંરૂપ થઈને નીચે (નકામું) ફેલાઈ જાય છે. એવી જ રીતે જે માણસ એવું ધારે કે દરેક વ્યક્તિને પોતાનો એક અલગ આત્મા છે. કારણ કે દરેકને અલગ આકાર – વિશેષતાવાળું જુદું શરીર છે. પરંતુ, આવું વિચારનાર મનુષ્ય અલગ નામરૂપાત્મક શરીરને માર્ગે જ જાય છે. (અર્થાત્‌ નાશ પામે છે.) (૧૪)

ફરી વધુ એક વખત ઉપનિષદ ભારપૂર્વક કહે છે કે વ્યષ્ટિચૈતન્ય અને સમષ્ટિચૈતન્ય – એ બન્ને એક જ અને અદ્વિતીય છે. જેઓ બધાને જુદા જુદા ગણે છે, તેઓ દયા ખાવાલાયક છે. તેવા મનુષ્યો વારંવાર જન્મમરણના ચકરાવામાં ફર્યા કરે છે.  આભાસ અને પારમાર્થિક વચ્ચેનો ભેદ સમજવા માટે અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ટેકરીઓના જુદા જુદા ભાગો ઉપર પડતું વરસાદનું પાણી પોતે મૂળથી તો નિર્મળ જ હોય છે. એ પાણીનું મૂળ તો એક જ છે. પરંતુ, એ પાણી જેમ જેમ એ ટેકરીઓની નીચે ઢળતું જાય છે, તેમ તેમ વિવિધ વહેણોમાં પોતાના ભાગલા કરી નાખે છે. એટલું જ નહિ, પણ એ પાણી ધરતીના સંપર્કને લીધે પીળા, ભૂરા વગેરે જુદા જુદા રંગોને ધારણ કરે છે. આ રીતે એક જ પ્રકારનું પાણી પણ વિભક્ત અને વિશિષ્ટ બને છે. એવી જ રીતે બીજાં શરીરો કરતાં પોતાનું એક જુદું જ શરીર હોવાને કારણે આત્મા પણ પોતાનો બીજા કરતાં અલગ છે, એવું ભલે દેખાતું હોય, પણ ઉપનિષદ આપણને ચેતવણી આપે છે કે શરીરને કોઈપણ જાતનું મહત્ત્વ આપવું કે એ જેવું દેખાય છે તેનું માનવું, એ એક ભૂલ છે. શરીર તો એક આભાસ – અધ્યાસ – છે, અને એટલા માટે એ વાસ્તવિક નથી. એ તો નાશવંત છે. જો કોઈ એવું માને કે આ શરીર વાસ્તવિક છે અને દરેક વ્યક્તિને પોતાનો એક સ્વતંત્ર આત્મા છે, તો તે અજ્ઞાની છે અને તેથી જે માર્ગે આ શરીર જાય છે, તે જ માર્ગે તે જાય છે. અર્થાત્‌, તે નાશ પામે છે. તદુપરાંત, શરીર તરફની આસક્તિને કારણે તે વારંવાર જન્મ લીધા કરે છે. ઉપનિષદ ભાર દઈને કહે છે કે વ્યષ્ટિચૈતન્ય પણ વિશ્વચૈતન્ય જ છે. પરંતુ, શરીર સાથેના સંબંધને કારણે તે જુદું જુદું હોય એવું ભાસે છે. પણ આ તો ખાલી આભાસ છે – અધ્યાસ છે. જેવી રીતે એકસમાન વરસાદી પાણી, ટેકરી અને ધરતીના સંપર્કને કારણે ઊભી થતી વિભક્તતા અને વિવિધતાથી યુક્ત ભાસે છે તેવી જ રીતે આ પણ એક ભ્રમ જ છે.

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.