શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે કે ગુફાનાં બારણાં બંધ કરીને માત્ર પાંચ સાચા વિચારો જ સેવીને ચાલ્યા જઈએ, તો પણ તેમના એ પાંચ વિચારો અનંતકાળ સુધી સજીવ રહેશે. ખરેખર, આ વિચારો પર્વતોને ભેદીને, મહાસાગરો ઓળંગીને સારાયે જગતમાં ફેલાશે. (૩.૮૫)
એક જ વિચારને પકડૉ. એ એક વિચારને તમારું જીવનસર્વસ્વ બનાવો, – તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકેએક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે. (૩.૧૪૦)
બધાં મન એક જ છે; એક વિરાટ મનના તેઓ જુદા જુદા ભાગો છે. જે માણસ માટીના એક ઢેફાને ઓળખે છે તે દુનિયાભરની માટીને ઓળખે છે. જે માણસ પોતાના મનને જાણે છે અને તેને વશમાં રાખે છે, તે દરેકના મનનું રહસ્ય જાણે છે અને દરેકના મન ઉપર અધિકાર ધરાવે છે. (૭.૫૮)
જ્યારે તમારા મન પર કાબૂ આવે, ત્યારે તમારા આખા શરીર પર કાબૂ આવશે; અને આ શરીરયંત્રના ગુલામ બનવાને બદલે શરીર તમારું ગુલામ બનશે. આ શરીરયંત્ર તમારા આત્માને ખેંચીને નીચે પાડવાને બદલે તેનો મોટામાં મોટો મદદગાર બને છે. (૩.૨૧૭)
Your Content Goes Here