સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતના વિદ્યાર્થી-જગતમાં સ્વામીજીના પ્રેરણાદાયી જીવન અને સંદેશનો બૃહત્ પ્રમાણમાં પ્રચાર કરવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ હેઠળ ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓને સાવ નજીવી કિંમતે સ્વામીજીનું એક રંગીન, સરળ અને માહિતીપ્રદ પુસ્તક આપવામાં આવ્યું છે જેની સાથે આ પુસ્તક આધારિત પ્રશ્નોત્તરીની એક સ્વાધ્યાયમાળા છેે. પુસ્તક વાંચીને વિદ્યાર્થીઓ સ્વામીજીના ઉપદેશોથી પોતે શું શીખ્યા છે તે સ્વાધ્યાયમાળામાં લખવાનું હોય છે. સ્વાધ્યાયમાળા પૂરી કરનાર પ્રત્યેક વિદ્યાર્થીને આશ્રમ તરફથી એક પ્રમાણ પત્ર આપવામાં આવશે. હર્ષ સાથે અમને જણાવતાં આનંદ થાય છે કે આજે ગુજરાતના ૨૪ જીલ્લાઓની શાળાઓના આશરે ૩ લાખ ૮૦ હજાર વિદ્યાર્થીઓના હાથમાં જીવન ઘડતર કરનાર સ્વામીજીનાં પુસ્તકો પહોંચ્યાં છે.
સમાજસેવાનું કામ કરતા અનેક જાગૃત નાગરિકોને આ પ્રકલ્પ થી પ્રેરણા મળી છે. ગરીબ બાળકોને શિક્ષણ અપાવવાનો પ્રયત્ન કરતાં એક સન્નારીનો કિસ્સો સહુએ જાણવા જેવો છે. સુરતનાં લગભગ ૧૫૦૦ જેટલાં અનાથ ગરીબ બાળકો માટે શૈક્ષણિક સામગ્રી એકઠી કરવાનો તેઓ અગાધ પ્રયત્ન કરી રહ્યાં છે. સ્વાધ્યાયમાળા પ્રકલ્પ દ્વારા બાળકોમાં સંસ્કાર – સિંચન વિશે જાણીને એમણે પોતાનાં આ બાળકોને આ પુસ્તક તેમજ સ્વાધ્યાયમાળા અપાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી એક ટ્યુશનક્લાસ ચલાવતા શિક્ષકભાઈને આ વાતની જાણ થઈ અને એમણે આ ઉમદા કાર્ય માટે વીસ હજાર રૂપિયાનું દાન આપ્યું. આમ એક જાગૃત નાગરિકના પ્રયાસથી સમાજના અંતિમ કિનારા પર બેઠેલ ૧૫૦૦ બાળકો આ સંસ્કાર યજ્ઞમાં જોડાઈ શક્યાં.
Your Content Goes Here