પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ ।
ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।।
(ગીતા,૧૧.૪૩)
શ્રી કેશવ સેનને બોધ – ગુરુપણું અને બ્રાહ્મસમાજ – એક સચ્ચિદાનંદ જ ગુરુ
સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને કહે છે, ‘તમે સ્વભાવ જોઈને શિષ્ય કરો નહિ, એટલે આમ તમારો સમાજ ભાંગી જાય.
માણસો દેખાય બધા એકસરખા, પણ સૌના સ્વભાવ જુદા. કોઈની અંદર સત્ત્વગુણ વધુ, કોઈમાં રજોગુણ વધુ તો કોઈમાં તમોગુણ વધુ. ખાવાના ઘૂઘરા દેખાવમાં બધા એકસરખા લાગે, પણ કોઈની અંદર માવાનું પૂરણ, તો કોઈની અંદર નાળિયેરનું ખમણ, તો કોઈની અંદર અડદની દાળનું પૂરણ ! (સૌનું હાસ્ય). મારો અંતરનો ભાવ શો છે તે જાણો છો? હું તો ખાઉંપીઉં ને મજા કરું, બીજું બધું મા જાણે. મને ત્રણ વાતમાં કાંટો વીંધાયા જેવું થાય : કોઈ મને ગુરુ, માલિક કે બાબા કહે ત્યારે.’
‘ગુરુ એક સચ્ચિદાનંદ. ઉપદેશ એ જ આપે. મારો સંતાનભાવ. માણસ-ગુરુ મળે લાખ લાખ. સૌ કોઈ ગુરુ જ થવા માગે, શિષ્ય થવા કોણ ઇચ્છે ?’
‘લોકોને ઉપદેશ આપવો બહુ કઠણ બાબત. જો તેનો (ઈશ્વરનો) સાક્ષાત્કાર થાય અને તે આદેશ આપે તો થઈ શકે. નારદ, શુકદેવ વગેરેને આદેશ મળ્યો હતો, શંકરને (શંકરાચાર્યને) આદેશ મળ્યો હતો. આદેશ ન હોય તો તમારી વાત કોણ સાંભળે ? કોલકાતાના લોકોનો ઊભરો તો તમે જાણો છો. જ્યાં સુધી નીચે લાકડું બળતું હોય ત્યાં સુધી દૂધમાં ઊભરો હોય, લાકડું તાણી લો એટલે કાંઈ નહિ. કોલકાતાના માણસો એવા ઊર્મિલ. પાણી માટે કૂવો ખોદવા માંડ્યો; એક જગાએ પથ્થર નીકળ્યો, એટલે તે જગા છોડી દીધી ને બીજી જગાએ ખોદવા માંડ્યું. ત્યાં રેતી નીકળી એટલે એ પણ છોડી દીધી અને ત્રીજી જગ્યાએ ખોદવાનો આરંભ કર્યો; એના જેવું.
‘તેમ વળી મનમાં ને મનમાં આદેશ મળે એ ન ચાલે. ઈશ્વર ખરેખર દર્શન દે અને વાત કરે ત્યારે જ આદેશ મળ્યો કહેવાય. એ ઉપદેશનું જોર કેટલું હોય ? પર્વત હલી જાય ! અમસ્તાં લેકચરથી શું વળે ! લોકો થોડાક દિવસ સાંભળે, પછી ભૂલી જાય, એ ઉપદેશ પ્રમાણે વર્તે નહિ.
(શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ : ૧, પૃ. ૧૦૭-૧૦૮)
Your Content Goes Here