ગોપાલકૃષ્ણ ગોખલે નાના હતા ત્યારે એક શાળાની અંદર અભ્યાસ કરતા હતા. એકવાર એમના શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને ઘેરથી થોડા દાખલા ગણી લાવવા આપ્યા. ગોખલે ઘેર આવ્યા. એમનો એક મિત્ર હતો; એ મિત્રની મદદ લઈને ગોખલેએ દાખલા ગણ્યા.
બીજે દિવસે તે શાળામાં આવ્યા. શિક્ષકે બધાના દાખલા તપાસ્યા. ગોખલેના બધા જ દાખલા ખરા પડ્યા. શિક્ષક ખુશ થયા. એમણે ગોખલેને ઇનામ આપવા માંડ્યું. ગોખલે પોતાની જગાએથી ઊભા થયા. શિક્ષક તરફ તેમણે થોડાં પગલાં ભર્યાં, પણ એવામાં કશીક વસ્તુ યાદ આવતાં તેઓ ત્યાં જ ઊભા રહી ગયા. વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમના તરફ જોઈ જ રહ્યા.
ગોખલેના મુખ પર એક જાતનું દુ :ખ છવાયું. આંખોમાંથી ટપક ટપક આંસુ ટપકવા લાગ્યાં. શિક્ષક આ જોઈને તાજુબ બન્યા.
એમણે ગોખલેને પૂછ્યું : ‘તને તો ઇનામ મળે છે. આ પ્રસંગે તો તારે આનંદ પામવાનું હોય. આમ રડાય નહિ. મને કહે તો ખરો કે હસવાને બદલે રડે છે શા માટે ?’
ગોખલેએ જવાબ આપ્યો : ‘એ ઇનામ લેવા હું અધિકારી નથી.’
‘તારો જ અધિકાર છે. તારા બધા દાખલા સાચા છે. તું પહેલા નંબરે આવે છે એટલે તું એ ઇનામને પાત્ર ઠરે છે.’
ગોખલેએ કહ્યું : ‘સાહેબ, દાખલા સાચા છે, પણ ખરી વાત એ છે કે, એમાં મેં મારા એક મિત્રની મદદ લીધી છે. મેં જાતે ગણ્યા નથી.’
શિક્ષક અને વિદ્યાર્થીઓ આ સાંભળી જ રહ્યા.
ગોખલેની આ સચ્ચાઈ જોઈને શિક્ષક પણ મનોમન બોલી રહ્યા : ‘જ્યાં સુધી આવાં બાળકો ભારતમાં વસે છે, ત્યાં સુધી ભારતની સંસ્કૃતિની પ્રણાલીને ઊની આંચ પણ નહિ આવે.
Your Content Goes Here