નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં સુધી જ ઈશ્વરના રૂપનાં દર્શન થાય અને ઈશ્વર વિષે વ્યક્તિ તરીકેનું જ્ઞાન સંભવે. વિચારની દૃષ્ટિથી જોઈએ તો ભક્તની ‘હું ભક્ત’ (પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ) એ ભાવનાએ તેને ઈશ્વરથી દૂર રાખ્યો છે.
‘કાલી-રૂપ કે શ્યામ-રૂપ સાડા ત્રણ હાથનું શા માટે ? સૂર્ય દૂરથી નાનો દેખાય, પણ પાસે જાઓ તો એટલો બધો મોટો દેખાય કે તેની ધારણા પણ કરી શકાય નહિ. તેમજ કાલી-રૂપ કે શ્યામ-રૂપ (કાળા) રંગનું શા માટે ? એ પણ દૂર છે માટે. સરોવરનું જળ દૂરથી આસમાની, લીલું કે કાળા રંગનું દેખાય. પાસે જઈને હાથમાં લઈને જુઓ તો કશો રંગ નહિ. આકાશ દૂરથી જુઓ તો વાદળી રંગનું લાગે, પણ પાસેથી જુઓ તો કશોય રંગ નહિ.’
‘એટલે કહું છું કે વેદાંત-દર્શનના વિચાર પ્રમાણે બ્રહ્મ નિર્ગુણ, તેનું સ્વરૂપ કેવું તે મોઢેથી બોલી શકાય નહિ. પણ જ્યાં સુધી તમે પોતે સાચા, ત્યાં સુધી જગત પણ સાચું, ઈશ્વરનાં જુદાં જુદાં રૂપો પણ સાચાં, ઈશ્વરનું વ્યક્તિ તરીકેનું જ્ઞાન પણ સાચું.’
‘ભક્તિમાર્ગ તમારો માર્ગ. એ માર્ગ બહુ સહેલો. અનંત ઈશ્વરને શું જાણી
શકાય ? અને તે જાણવાની જરૂર પણ શી ? આવો દુર્લભ મનુષ્ય-જન્મ મળ્યો છે તો આપણી જરૂર એ કે પ્રભુનાં ચરણકમળમાં ભક્તિ આવે.
એક લોટા પાણીથી જો મારી તરસ છીપે, તો આખા તળાવમાં કેટલું પાણી છે તે માપવા જવાની મારે શી જરૂર ? અડધી બાટલી પીતાં જો હું ગાંડો થઈ જાઉં તો પછી કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે એ હિસાબની મને કાંઈ જરૂર ખરી ? અનંતને જાણવાની જરૂર શી ?’
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૨૦-૧૨૧)
Your Content Goes Here