(નવેમ્બરથી આગળ…)
પ્રકરણ : ૯
સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર
આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને હિન્દુ ધર્મમાં અનેક વાતો છે. શ્યામ બસુ કહે છે, ‘શું કોઈ સૂક્ષ્મ શરીરને બતાવી શકે છે? શું કોઈ એ બતાવી શકે કે તે શરીરથી બહાર ચાલ્યું જાય છે?
શ્રીરામકૃષ્ણ આટલા બધા વિવાદમાં ન પડીને કહે છે, ‘જે સાચા ભક્ત છે એને એવી કઈ ગરજ છે કે તમને એ બધું બતાવે?’ અભિપ્રાય એ છે કે એ બધી બાજીગરી દેખાડવા ઇચ્છતા નથી. દેખાડવાથી શું લોકો માની લેશે? એ લોકો એવું ઇચ્છતા નથી. એ બધી ઇચ્છા એમનામાં રહેતી નથી.
શ્યામ બસુના ઉત્તરમાં શ્રીરામકૃષ્ણ સંક્ષેપમાં સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહનો ભેદ કહે છે, ‘પંચભૂત સાથેનો જે દેહ છે તે સ્થૂળ દેહ છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત સાથે જે દેહ છે તે સૂક્ષ્મ શરીર છે. જે શરીરથી ઈશ્વરનો આનંદ મળે છે અને ઈશ્વરની સાથે એકતા સાધી શકાય છે તે કારણ શરીર છે.’
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ઉપાદાનોથી બનેલ પંચભૌતિક દેહ સ્થૂળ દેહ છે.
મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એ સૂક્ષ્મ શરીર છે. શ્રીરામકૃષ્ણે અહીં સંક્ષેપમાં કહ્યું છે, ‘અન્યત્ર કહેવામાં આવ્યું છે – સપ્તદશ અવયવવિશિષ્ટ દેહ જ સૂક્ષ્મ શરીર છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ આ સત્તર સૂક્ષ્મદેહનાં અંગ છે.
સૂક્ષ્મ શરીર ઘણું નાનું, સ્વચ્છ કે હવા સમાન હશે, એવું નથી. જેનાં ઉપાદાન ઇન્દ્રિયો માટે અગોચર છે, તેને સૂક્ષ્મ શરીર કહેવાય છે. જેને ઇન્દ્રિયો દ્વારા જોઈ ન શકાય તેને કેવી રીતે જાણી શકાય?
શાસ્ત્રો કહે છે કે એ બધું યોગીઓ માટે જ્ઞાનગમ્ય છે. તેઓ જોઈ શકે છે અને બતાવી પણ શકે છે, કારણ કે એમની દૃષ્ટિ સ્થૂળ નથી. સૂક્ષ્મદૃષ્ટિ વિના સૂક્ષ્મ શરીરને સમજી ન શકાય. ‘સૂક્ષ્મ’ કહેવાનું તાપ્તર્ય આપણે એ સમજીએ છીએ કે જે ઘણા શક્તિશાળી અણુવીક્ષણ યંત્ર દ્વારા જોઈ શકાશે. પરંતુ એનાથી પણ દેખાતો નથી, કારણ કે જે પ્રત્યક્ષ કે યંત્રની સહાયતાથી દેખાય છે, તે પણ સ્થૂળ છે. જે ઇન્દ્રિયો દ્વારા કે કોઈ યંત્ર દ્વારા દેખાતું નથી તેને સૂક્ષ્મ કહે છે. સ્થૂળ સૂક્ષ્મના વિષયમાં આ ધારણા સ્પષ્ટ રાખવાની આવશ્યકતા છે. કેટલીયે વાર કહેવાય છે કે મૃત્યુના સમયે પ્રાણ હવાની જેમ કે જ્યોતિની જેમ નીકળી ગયો. એટલે કે ક્યાંકથી મહાપ્રાણ નીકળી ગયો. આ બધી પ્રચલિત લોકોક્તિઓ જ છે.’
Christian Science – ઈસાઈ ધર્મ વિજ્ઞાનમાં Spiritualist – અધ્યાત્મવાદી કહે છે કે Ectoplasm નામના એક ઉપાદાનથી સૂક્ષ્મ શરીર બને છે. તે ઇન્દ્રિયગ્રાહ્ય છે પરંતુ દેખાતું નથી. એનો ફોટો પાડી શકાય છે. અમારી દૃષ્ટિએ આ ધારણા અશાસ્ત્રીય તેમજ નિરાધાર છે. સ્વામી વિવેકાનંદને આ વિષયમાં પ્રશ્ન પૂછાતાં તેમણે કહ્યું, ‘તે લોકો અનેક પ્રકારની બાજીગરી બતાવે છે, હું એ વિશે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી. કારણ કે આ બધું કરવાની આવશ્યકતા પણ તેઓને જણાઈ નથી. કેટલીક વાર જ્યાં એ લોકો પ્રેતનું આવાહન કરે છે ત્યાં આ પ્રકારની ઘટના ઘટે છે. પ્રેતની આકૃતિ દેખાય છે. ચિત્ર ઊતરે છે, વગેરે વગેરે.
આ વાતોનો આપણાં શાસ્ત્રો સાથે મેળ ખાતો નથી. મન, બુદ્ધિ વગેરે દ્વારા જે સૂક્ષ્મ શરીર બન્યું છે, તેનો શું ફોટો લઈ શકાય? સ્થૂળ વસ્તુનો જ ફોટો લઈ શકાય છે. સૂક્ષ્મ શરીરનું ઉપાદાન એની પકડમાં આવી શકતું નથી. ઇન્દ્રિયોથી પર એવું જ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે. યોગીઓની દૃષ્ટિ અતીન્દ્રિય છે. આ દૃષ્ટિ દ્વારા ઇન્દ્રિયોથી અગોચર વસ્તુ પણ જાણી શકાય છે. પણ આપણે યાદ રાખવું પડે કે સૂક્ષ્મ વસ્તુનો અર્થ ખૂબ પાતળો, જળ કે હવા જેવો છે એવું નથી. ભૂત વિશે કોઈ કહે છે કે એણે જોયું છે, વળી કોઈ કહે છે કે જોયું નથી. જેણે જોયું નથી એના મનમાં હંમેશાં આ સંદેહ રહેવાનો અને જેણે જોયું છે એના મનમાં પણ ભૂત વિશે કોઈ સ્પષ્ટ ધારણા નથી. એટલે જ્યારે આપણે આ બધાને સાથે રાખીને ચર્ચા કરીએ છીએ ત્યારે અતીન્દ્રિય વસ્તુને ઇન્દ્રિયગ્રાહ્ય કરવાની કોશિશ કરીએ છીએ. આ એક નિષ્ફળ પ્રયાસ જ છે. પરંતુ આ કારણે આ બધું અગ્રાહ્ય કે અજ્ઞેય નથી. આ વસ્તુને જાણવા માટે યોગીની દૃષ્ટિ મેળવવી પડે. સાધારણ લોકોની દૃષ્ટિએ કામ ન ચાલે. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે : ‘દિવ્યમ્ દદામિ તે ચક્ષુ : પશ્ય મે યોગમૈશ્વરમ્ (૧૧.૮) હું તને દિવ્યદૃષ્ટિ આપું છું, તું મારી ઈશ્વરીય શક્તિ, વિભૂતિ માહાત્મ્યનું દર્શન કર.’
આ જોવું એ કેવા પ્રકારનું જોવું છે. આ તેઓ જ બતાવી શકે કે જેમણે એમને જોયા છે કે જુએ છે. દિવ્યદૃષ્ટિ વિના મનુષ્ય કોઈ પણ રીતે ભગવાનનું વિશ્વરૂપ જોઈ શકતો નથી. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે : ‘મનુષ્ય આ રીતે જોઈ ન શકે, તું મારો ભક્ત છો, પ્રિય છો એટલે તને દિવ્યદૃષ્ટિ આપી છે. એના દ્વારા જો.’ અર્જુને જોયું, પણ શું એ બીજાને દેખાડી શકે છે? ભગવાનની ઇચ્છા હોવાથી તેઓ દિવ્યદૃષ્ટિ આપી શકે છે, પણ મનુષ્યમાં એ સામર્થ્ય નથી. એમ કહેવાય છે કે વ્યાસદેવે તો સંજયને એ દિવ્યદૃષ્ટિ આપી હતી. પરંતુ તેઓ કોઈ સાધારણ માનવ ન હતા. મનુષ્યની દૃષ્ટિ સીમિત છે એટલે તે સ્વયં જોઈ શકતો નથી, તો પછી બીજાને કેવી રીતે બતાવે?
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જે શરીરથી ઈશ્વરનો આનંદ મળે છે અને એનાથી એને ભોગવી-માણી શકાય છે, તે કારણ શરીર છે. તંત્રોમાં એને ‘ભાગવતી તનુ’ કહ્યું છે. સૌથી અતીત છે ‘મહાકારણ’ (તુરીય) એનું મુખથી વર્ણન ન કરી શકાય.’
અહીં હવે શરીર શબ્દનો પ્રયોગ થતો નથી. ભગવાનનું ધ્યાન-ચિંતન સૂક્ષ્મ શરીરથી થાય છે. થોડાક આગળ વધીને તેમણે કહ્યું છે કે કારણ શરીરમાં આનંદ-સંભોગ થાય છે. ‘શરીર’ શબ્દ નો આપણે જે અર્થમાં વ્યવહાર કરીએ છીએ એ અર્થમાં નહીં. એ શરીર આપણી કલ્પનાથી પર છે.
મન, બુદ્ધિ, અહંકારનું જે શરીર છે એને શું હાથ, પગ વગેરે છે ? ના. એને થોડંુ સમજવું પડે. એને શરીર એટલે કહે છે કે એની ભીતર પણ એક વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વના સહારે ભગવદાનંદનો અનુભવ થાય છે. આ વ્યક્તિત્વ આપણી જેમ હાથપગથી યુક્ત સ્થૂળ વ્યક્તિત્વ નથી. સૂક્ષ્મ વ્યક્તિત્વ – ઘર, સંપત્તિ વગેરે કોઈ સાંકળમાં તેને બાંધી રાખી શકતું નથી. શ્રીરામકૃષ્ણે કેટલીયે જગ્યાએ કહ્યું છે, ‘ગોપીઓ સૂક્ષ્મ શરીરમાં શ્રીકૃષ્ણ પાસે જતી.’ ભાગવતમાં વર્ણવ્યું છે ‘એક ગોપીને ઘરમાં પૂરી દીધાં, તેઓ આ દેહનો ત્યાગ કરીને શ્રીકૃષ્ણ પાસે ચાલ્યાં ગયાં.’ આ છે એની વિશેષતા. સ્થૂળ દેહમાં જે અભિમાન રહે છે એનો ત્યાગ કરવાથી સ્થૂળ દેહ પડ્યો રહેશે. એની સાથે કોઈ સંબંધ નહીં રહે. દેહમાં ‘હું’ અભિમાન રહેવા સુધી દેહ મારો છે, અભિમાન ત્યાગ કરવાથી સૂક્ષ્મ દેહ આપણને રોકી શકતો નથી. વ્યક્તિત્વ એનાથી મુક્ત બની જાય છે ત્યારે એ સૂક્ષ્મ શરીર ભગવાન સમીપ પહોંચી જાય છે. એટલે આ શરીરનો અર્થ પંચભૌતિક શરીર નથી.
ભગવદાનંદનો અનુભવ જે શરીરથી થાય છે તેને કારણ શરીર કહે છે. કારણ શરીર-સૂક્ષ્મ શરીરથી પણ એક ઊંચી અવસ્થા છે. સૂક્ષ્મ શરીર એક લોકથી બીજા લોક, એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. સૂક્ષ્મ શરીરમાં સત્તર અવયવોમાંથી કોઈ પણ સ્થૂળ વસ્તુ નથી. કોઈ પણ ‘ભૂત’ એની ભીતર નથી. એટલે જે સતર અવયવવિશિષ્ટ છે તે લોકાંતરગમન કરે છે. એમના દ્વારા પણ ભગવદાનંદનો અનુભવ થતો નથી. એ આનંદ તો એનાથી વધારે સૂક્ષ્મ વસ્તુ છે. એટલે શ્રીરામકૃષ્ણ કહે છે કે કારણ શરીર દ્વારા ભગવદાનંદ મળે છે. આ વિભાજન ઘણું સુંદર છે અને વિચારવા યોગ્ય છે. તેઓ આગળ કહે છે કે તે બધાનું અતીત મહાકારણ છે, જેની ભીતર કોઈ વ્યક્તિત્વ, હું – તું નો ભેદ રહેતો નથી. સમસ્ત ભેદ, સમસ્ત ગુણોથી અતીત જે તત્ત્વ છે તે મહાકારણ (તુરીય) છે. એનું વર્ણન ન કરી શકો.
શ્રીરામકૃષ્ણે અહીં એનો વધારે વિસ્તાર કર્યો નથી. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આ ત્રણ અવસ્થાઓથી પર ચાલ્યા જઈએ ત્યારે મનુષ્ય બ્રહ્મસ્વરૂપ બની જાય છે. આ તુરીયાવસ્થા છે. એક રીતે એને ચોથી અવસ્થા કહેવાય છે, પરંતુ વસ્તુત : એવું કહી ન શકાય. તુરીય એટલે ત્રણની ભીતર નહીં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયથી અતીત; સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આ ત્રણેય અવસ્થાઓથી અતીત, એનું મુખથી વર્ણન ન થઈ શકે.
શ્રીરામકૃષ્ણ હવે અસલ વિષય તરફ ધ્યાન ખેંચે છે. સાધનાની આવશ્યકતા વિશે તેઓ કહે છે, ‘કેવળ સાંભળવાથી શું થાય? કંઈક કરો પણ ખરા.’ શ્યામ બસુનો પ્રશ્ન સાંભળીને એવું લાગે છે કે એમનામાં જાણવાનો કોઈ આગ્રહ નથી. જાણે કે કેવળ તર્ક માટે જ જાણવાની ઇચ્છા હોય તેવું લાગે છે. એ બીજાને સંભળાવીને કીર્તિ પણ મળશે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ભાંગ, ભાંગ રટવાથી શું થાય? એનાથી કાંઈ નશો થઈ શકે ? ભાંગને કૂટીને શરીર પર લગાડવાથી પણ નશો થતો નથી. થોડી ખાવી જોઈએ.’ આ વિશે એમણે બીજે પણ કહ્યું છે, ‘એ રસ્તે ગયા જ નથી અને કહે છે કે મને સમજાવી દો, મને બતાવી દો.’ સાધારણ યુક્તિવાદી લોકો બસ આ જ કહે છે, ‘બતાવી દો ત્યારે માનીશ.’ તમે માનો કે ન માનો, જે આ રસ્તે ચાલ્યા છે એને તમને બતાવી દેવાની કઈ ગરજ છે ? જાણવાની ઇચ્છા છે તો તમે પ્રયત્ન કરો, તેઓ રસ્તો બતાવશે, આ શાસ્ત્રનું વિધાન છે.
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘એટલે જ કહું છું – થોડી સાધના કરો, તો સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ કોને કહેવાય તે સમજી શકશો. જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરો ત્યારે એમનાં ચરણકમળમાં કેવળ ભક્તિની જ પ્રાર્થના કરવી.’ બીજે કહ્યું છે, ‘કેરી ખાવા આવ્યા છો, તો કેરી ખાઓ.’ ખરેખર એ વસ્તુનું આસ્વાદન કરવાથી પ્રાણ પરિપૂર્ણ થઈ જાય છે. તત્ત્વનું આસ્વાદન ન થાય ત્યાં સુધી મનુષ્ય હિસાબકિતાબ, સમાચાર વગેરેનો સંગ્રહ કરતો રહે છે.
શ્રીરામકૃષ્ણ અહલ્યાનું દૃષ્ટાંત આપે છે. અહલ્યાએ શ્રીરામચંદ્રજીને કહ્યું હતું, ‘ભલે મારો જન્મ ડુક્કરની યોનિમાં કેમ ન થાય છતાં પણ તમારાં શ્રીચરણકમળમાં મારું મન લાગેલું રહે.’ શ્રીરામકૃષ્ણ આ પ્રસંગે વધારે કહે છે, ‘મેં મા જગદંબા પાસેથી કેવળ ભક્તિ માગી હતી.’ આ રીતે વાસનાશૂન્ય બનવાથી જ ભક્તિ મળે છે. પ્રાર્થના કેવી રીતે કરવી એ તેઓ આપણને શીખવી રહ્યા છે.
(ક્રમશ 🙂
Your Content Goes Here