સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સ્વામી દુર્ગાનંદજી મહારાજે ચીનના પોતાના પ્રવાસને આધારે લખેલ લેખ ‘A Monk’s Peregrinations in China’ નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે.
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
છેલ્લી ઘણી સદીઓથી વેણુપડદાથી (વાંસના પડદે) ઢંકાયેલ ચીન દેશ આપણને રહસ્યમય લાગે છે. છતાં પણ એનો રહસ્યભેદ કેવળ મનોરંજક નહીં બની રહે, પરંતુ એ બોધપ્રદ અને લાભદાયી પણ નીવડશે. ભારતની જેમ આપણો આ ઉત્તર-પૂર્વીય પાડોશી દેશ ભૂખંડીય આકારનો, ગીચ વસતીવાળો અને પ્રાચીન સંસ્કૃતિયુક્ત દેશ છે. ભારતની જેમ આ દેશ ગરીબીમાંથી ઉન્નત થવાનો કઠિન પ્રયાસ કરે છે. આ બન્ને દેશોમાં આટલી સમાનતા હોવાને કારણે વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ દેશ ભારતનો સહયોગી બની શકે છે.
આ અનુસંધાન આર્થિક સ્તરની એક સહક્રિયા, સાંસ્કૃતિક સ્તરની એક સૂરસંવાદિતા અને જાગતિક અને આંતરરાષ્ટ્રિય પ્રશ્નો અંગે સમાકલન સાધવાથી થઈ શકે.
એક મહત્ત્વપૂર્ણ વાસ્તવિકતા એ છે કે એશિયાના બધા દેશો એક પ્રકારની વિચારપ્રણાલીના જ છે અને પાશ્ચાત્ય દેશો બીજા જ પ્રકારની વિચારપ્રણાલીના છે. પાશ્ચાત્ય દૃષ્ટિકોણની વિશેષતા છે – વિશ્લેષણ, પૃથક્કરણ, વિભાજન, વિરોધાભાસ, ભિન્નતા અને વૈધર્મ્ય પ્રત્યુત. જ્યારે એશિયાઈ દૃષ્ટિકોણની વિશેષતા – સમાકલન, એકીકરણ, સંકલન, એકત્રીકરણ, સમન્વય, સંબંદ્ધીકરણ, સંગતિ અને સુસંવાદમાં સમાયેલી છે.
એશિયા તાર્કિકતા કરતાં અંત:પ્રેરણા પર આધારિત વૈશ્વિક અભિગમને અનુસરે છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ યુક્તિવાદ અને તર્કશક્તિનો ઉપયોગ કરે છે. તર્કનો અતિઉપયોગ કલ્પનાશક્તિને દબાવી દે છે, એને સંકુચિત અને સીમિત કરી દે છે આ વાત બધા જાણે છે. બીજી બાજુએ એશિયાની સંસ્કૃતિમાં સ્વપ્નશીલતા, કવિત્વ, સંવેદનશીલતા, દયા-કરુણા, ભાવુકતા અને સુસંસ્કૃતતા છે એ વાત પણ એટલી જ જાણીતી છે. પ્રજ્ઞા અને પ્રતિભા વિકાસ માટે પોષક છે, એ વાત બધા જાણે છે. આઈન્સ્ટાઈને જે વિજ્ઞાન જગતમાં સિદ્ધાંતોની છલાંગ લગાવી હતી તે તર્કથી નહીં, પણ પ્રતિભાથી હતી. આ જ રીત છે એશિયાના દેશોની. માનવના ભાવિવિકાસની એક ઉન્નત છલાંગ માટે આ સાધનનો ઉપયોગ થવો જોઈએ. પશ્ચિમની વિચાર પદ્ધતિ તાર્કિક (rational) છે અને એશિયાની વિચાર પ્રણાલી અતાર્કિક (irrational) નથી, પરંતુ અધિતાર્કિક (supra-rational) એટલે કે તર્કથી પણ પર છે.
Your Content Goes Here