શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧ મે,થી ૩૦ મે, ૨૦૧૫ દરમિયાન (દરરોજ) ૩ થી ૧૩ વર્ષનાં બાળકો માટે સાંજના ૬ :૩૦ થી ૮ :૦૦ સુધી ‘ગ્રીષ્મકાલીન નિ :શુલ્ક વર્ગાે’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ કાર્યક્રમમાં ૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧ મે,થી ૩૦ મે, ૨૦૧૫ દરમિયાન (સપ્તાહમાં પાંચ દિવસ) ૭ થી ૧૩ વર્ષનાં બાળકો માટે સવારના ૮ :૩૦ થી ૧૦ :૩૦ વાગ્યા સુધી ‘મા શારદા સંસ્કાર શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમને જણાવતાં આનંદ થાય છે કે આ શિબિરમાં ૨૪૦ બાળકોએ ભાગ લીધો હતો.
દરરોજ સત્રનો પ્રારંભ પ્રાર્થના, ધ્યાન અને ભજનથી થતો. બાળકોને નૈતિક પ્રેરણાદાયક વાર્તાઓ કહેવામાં આવતી; નિષ્ણાતો તેમજ ભક્ત-સ્વયંસેવકો દ્વારા યોગાસન અને ચિત્રકામ, હસ્તકૌશલ્ય અને સર્જનાત્મક કળાની તાલીમ અપાતી. માટીકામ જેવા નવા કૌશલ્યના શિક્ષણથી બાળકોએ પોટ્સ જેવાં માટીનાં સાધનો બનાવ્યાં હતાં. એક અંધ જાદુગરે રજૂ કરેલ જાદુઈ ખેલને બાળકોએ માણ્યો. દૃશ્યશ્રાવ્ય સાધનોના ઉપયોગથી બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને ચારિત્ર્ય ઘડતરનું શિક્ષણ અપાયું. દરેક સત્રના અંતે બાળકોને પોષક નાસ્તો આપવામાં આવ્યો. એક દિવસ બાળકોને ઘરના ખાદ્યપદાર્થાેથી નાસ્તો કેમ બનાવવો તેનું નિદર્શન પણ અપાયું હતું.
આ બંને પ્રવૃત્તિ માટે માતપિતા અને બાળકોનો અમને સારો પ્રતિભાવ સાંપડ્યો હતો. એક મહિનાની આ શિબિરમાં ઘણું શીખવા મળ્યું હતું. બંને શિબિરોનું સમાપન બાળકો દ્વારા થયું હતું. સમાપન સમારંભમાં વૈદિક અને ગીતાના મંત્રોચાર, સમૂહ ભજન, શાસ્ત્રીય નૃત્ય, યોગાસનો, નાટક, વકતવ્યો વગેરે રજૂ થયાં હતાં. કાર્યક્રમનું સંચાલન, સ્વાગત અને આભારદર્શન પણ બાળકોએ કર્યાં હતાં. આટલા નાના સમયગાળામાં બાળકોને આવું પ્રશિક્ષણ મળતાં તેઓ ભાવવિભોર બની ગયાં હતાં. કાર્યક્રમના અંતે બાળકોને પ્રમાણપત્રો, વિશેષ ભેટ અને નાસ્તો અપાયાં હતાં.
અમને જણાવતાં આનંદ થાય છે કે દિવસે ને દિવસે ઉપર્યુક્ત શિબિરોમાં બાળકોની સંખ્યા વધતી જાય છે.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની અમીકૃપા આપ અને આપશ્રીના પરિવારજનો પર સદૈવ વરસતી રહો, એવી એમનાં શ્રી ચરણકમળમાં અમારા હૃદયની પ્રાર્થના.
રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ
રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા તા. ૨૬ એપ્રિલ થી ૨૪ મે, ૨૦૧૫ દરમિયાન સવારના સત્રમાં ‘સંસ્કાર- ૨૦૧૫’ અને સાંજના સત્રમાં ‘શ્રદ્ધા-૨૦૧૫’ એ નામની ગ્રીષ્મકાલીન વ્યક્તિત્વવિકાસ શિબિરનું આયોજન થયું હતું. સવારના સત્રમાં ૧૩૦૦ અને સાંજના સત્રમાં ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં વિદ્યાર્થીઓ યોગાસનો, ધ્યાન, મંત્રગાન, ભજનો શીખ્યાં. ભારતીય સંસ્કૃતિ તેમજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદના ઉપદેશ-સંદેશ વિશે જ્ઞાન મેળવ્યું.
આ શિબિરનું વિશેષ આકર્ષણ એ હતું કે બધા બાળકોએ ૧૬ મે, ૨૦૧૫ના રોજ પોતાનાં માતપિતાની ‘પાદપૂજા’ કરી.
Your Content Goes Here