શ્રીરામકૃષ્ણ : શરણમ્
શ્રીબદરીનાથ
મંગળવાર, ૧૮૮૯
પરમપ્રિય,
રાખાલ, આજે ચાર દિવસ થયા શ્રી બદરીનારાયણમાં આવ્યો છું. અતિ રમણીય સ્થળ, અલકાનંદજીની બરાબર ઉપર ચારેકોર ચિરતુષાર મંડિત પર્વતમાળા. આ સ્થળે અલકાનંદા ક્યાંક બરફમાં થઈને પ્રવાહિતા, તો વળી ક્યાંક એકદમ નુખાર વૃત્તા – જળ બિલકુલ દેખાતું નથી. બદરીનારાયણમાં પહોંચવાના પથે સ્થળે સ્થળે બરફ ઉપર થઈને ચાલવું પડ્યું હતું, એટલે સુધી કે અડધો માઈલ !
બદરીનાથજીનું મંદિર ખૂબ મોટું નથી. ખાસ કરીને નાટમંદિર તો એટલું નાનું કે તેમાં ૧૦/૧૨ માણસોથી વધારે લોકો એકસાથે બેસી શકે નહીં. વળી યાત્રી-સમાગમ મોટા પ્રમાણમાં હોય. ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતથી અસંખ્ય યાત્રાળુઓ આ સ્થળે એકઠા થાય છે. મંદિરમાં યાત્રાળુઓની ભીડ એટલી વધારે કે સ્થિરભાવે દેવદર્શન કરવાં સાવ અશક્ય. મારા માટે શ્રવિગ્રહની બરાબર પાસે જ લાકડાંના મંચ પર એક જગ્યા નક્કી હતી, તેથી દર્શનાદીમાં ખૂબ સગવડ રહી. સ્થાનીય ડેપ્યુટી કલેકટરે મારી વ્યવસ્થા કરી આપવા માટે મંદિરના કર્મચારીઓ પર એક પત્ર લખી આપ્યો હતો. તેથી અહીં મારા માટે નિર્જન રહેઠાણ, પ્રસાદ અને બીજી બધી ખૂબ જ સારી વ્યવસ્થા થઈ. આ તો ખરેખર આશાતીત ઘટ્યું. ખાસ લોકો અથવા રાજરાણીઓ ખૂબ ધનવ્યય કરે, તેથી આ પ્રકારની વ્યવસ્થા કરવા સમક્ષ હોય. આ ઉજ્જડ પર્વતીય પ્રદેશ, જ્યાં ચારે તરફ કેવળ બરફ ! બાળવાનાં લાકડાં ખૂબ દર્લભ, પરંતુ હું એ લોકોની દયાથી તે પણ પ્રચુર પ્રમાણમાં મેળવું છું. તેમ જ કેવી આંતરિકતા !…
ગંગાધર અહીં બધે જ વિખ્યાત, કેવળ સુપરિચિત જ નથી, બધા જ તેને ખૂબ શ્રદ્ધાથી જુએ.
સરકાર મહાશય દર્શનાદી સંપૂર્ણ કરીને ગયા. ગઈ કાલે શ્રી કાશી તરફ રવાના થયા છે. કાલી વગેરે પણ દર્શન કરીને નીચે ઉતરી ગયા છે અને દેવપ્રયાગમાં ગંગાધરના પરિચિત એક વ્યક્તિ પાસે એક પત્ર મૂકી ગયા છે. ગંગાધરના કોઈ સમાચાર મળે તો તેને એ પત્ર પહોંચાડે. ઈતિ.
તમારા
તારક (શિવાનંદ)
Your Content Goes Here