ગયા અંકમાં આપણે નાના નરેનની ધ્યાનાવસ્થા અને તેના શાળાપ્રવેશ વિશે વાંચ્યું, હવે આગળ…
નરેનની ભીતર બાળપણથી જ સાહસિકતા અને મદદ માટે પોતાની જાતને સમર્પી દેવાની ભાવના જોવા મળતી. એની છ વરસની ઉંમરે બનેલા એક પ્રસંગની વાત આવી છે. તે પોતાના નજીકના સગા એક મોટાભાઈ સાથે શિવ પૂજા જોવા ચડકના મેળામાં ગયો હતો. મેળામાં એણે શિવજીની મૂર્તિ ખરીદી અને સાંજે બન્ને ધીમે ધીમે ઘર તરફ પાછા ફરતા હતા. બન્ને ભીડમાંથી થોડા બહાર આવી પહોંચ્યા હતા. એકાએક એક ઘોડાગાડી તીવ્ર વેગે તેના તરફ ધસી આવી. તેનો અવાજ કાને પડ્યો. અત્યાર સુધી તો નરેનને એવું લાગતું હતું કે તેનો ભાઈ પાછળ પાછળ આવે છે. પાછું વળીને જોયું તો તે ડરી ગયો. એની સાથે આવેલ ભાઈ ગભરાઈને રસ્તામાં ઊભો હતો અને ઘોડાગાડી એના તરફ દોડતી આવતી હતી. નરેને તત્કાલ શિવમૂર્તિને પોતાની ડાબી કાંખમાં દબાવી દીધી. દોડીને તેણે પોતાના જમણા હાથે ભાઈને પકડીને ખેંચી લીધો. ઘોડાના ડાબલાની નીચે આવતાં તેને બચાવી લીધો. આ બધું એટલી બધી ઝડપથી થઈ ગયું કે આજુબાજુના લોકો કંઈ સમજી ન શક્યા. તેઓ દંગ રહી ગયા. પછીથી કેટલાક લોકોએ નરેનની પીઠ થાબડી અને શાબાશી આપી. ઘરે પાછા ફર્યા પછી નરેને માતાને બધી વાત કહી. તેમની આંખોમાં ગર્વ અને આનંદનાં આંસુ છલકવા લાગ્યાં. તેમણે કહ્યું, ‘બેટા, હમેશાં આવો જ માનવ જેવો વ્યવહાર દાખવતો રહેજે.’
Your Content Goes Here