એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા.

ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા કરે. મિત્રોને કહે, ‘ભઈલા આજે તો મેં પેટ ભરીને દ્રાક્ષ ખાધી, દે તાલ્લી.’ પોતાની પત્નીને પણ કહે, ‘અલી, આપણા બચ્ચાનું પૂછડું મોટું થતું જાય છે હોં, દે તાલ્લી!’ અને પોતાના બચ્ચાને પણ કહે, ‘અલ્યા, તારા મોઢામાં હવે દાંત ફૂટી ગયા છે અને મારા મોઢામાંથી હવે દાંત ધીમે ધીમે પડવા માંડ્યા છે,

દે તાલ્લી!’ શિયાળભાઈનાં વહુ તો તેમને પૂછતાં પણ ખરાં, ‘અરે, તમને તમારા દોસ્તો ‘દે તાલ્લી, દે તાલ્લી’ કહીને ખીજવતા નથી ને? જો જો, તમારું નામ જ કોઈ ‘દે તાલ્લી’ પાડી ન દે!’

એક વખત વનના રાજા સિંહે ‘દે તાલ્લી’ શિયાળભાઈને નોકરીમાં રાખી લીધા. કામ સોંપ્યું સંદેશવાહકનું. સિંહરાજાને પોતાના જંગલની પ્રજા બહુ વ્હાલી. વાઘ, દીપડો, વરુ, ભેંસ, ગાય વગેરે પશુ એમને વ્હાલાં હતાં. આ પશુઓ પણ વનરાજ ફરવા નીકળે ત્યારે ‘મહારાજાને ઘણી ખમ્મા!’ કહેતાં અને લળી-લળીને સલામો ભરતાં. રાજા પણ વાર તહેવારે સૌ પશુઓને ભાવતાં ભોજન દેતા. સિંહરાજાએ એક વાર શિયાળભાઈને કામ સોંપ્યું : ‘શિયાળભાઈ, બધાં વનવાસી પશુઓને આટલું કહી આવો :

‘આજે રાતે તળાવ પાળે, મસમોટા વનવડલા હેઠળ, વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, તો સૌ હાજર રહેજો.’

અને પછી શિયાળભાઈને ખાસ કહ્યું, ‘કોયલબેનને કહેજો કે ગાવાનું કામ એમણે સંભાળવાનું છે અને મોર ભાઈને કહેજો કે શરણાઈ વગાડવાનું કામ એમણે સંભાળવાનું છે. ઘોડાલાલને કહેજો કે તબલાં તો એમના જેવાં કોઈને આવડે જ નહીં અને ઓલા ત્રમત્રમિયા તમરાવને કહેજો કે તંબૂરવાદન તો બસ એમનું જ! તો એ સૌ આવી પહોંચે વાંદરાભાઈને સંગત દેવા.’

શિયાળભાઈ તો ખુશ-ખુશ. જથ્થાબંધ વાળવાળું ગુચ્છાદાર પૂંછડું વીંઝતા ગયા સંગીતશાસ્ત્રીઓની પાસે.

કોયલબેનને કહે : ‘આજે રાતે તળાવ પાળે, મસમોટા વનવડલા હેઠળ, વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દે તાલ્લી! કોયલબેન, રાજાસા’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે ગીત ગાવાનાં છે… તમારે… દે તાલ્લી!’
પછી ગયા મોરભાઈ પાસે. જઈને કહ્યું : ‘આજે રાતે તળાવ પાળે, મસમોટા વનવડલા હેઠળ, વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દે તાલ્લી! મોરભૈયા, રાજાસા’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે શરણાઈ વગાડજો … દે તાલ્લી!’

પછી ગયા ઘોડાલાલ પાસે અને સંદેશો સુણાવ્યો : ‘આજે રાતે તળાવ પાળે, મસમોટા વનવડલા હેઠળ, વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દે તાલ્લી! ને ઘોડાલાલ,

રાજાસા’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે તબલાં વગાડજો… દે તાલ્લી!’

પછી ગયા ત્રમત્રમિયા તમરાવ પાસે અને જઈને કહ્યું : ‘આજે રાતે તળાવ પાળે, મસમોટા વનવડલા હેઠળ, વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દે તાલ્લી! ને તમરાવ, રાજાસા’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે તંબૂર બજાવજો… દે તાલ્લી!’

આમ તાલી દેતાં અને તાલી લેતાં શિયાળભાઈ પક્ષીઓના માળે-માળે ફર્યા, ઝાડની બખોલે-બખોલે ફર્યા. પહાડની ગુફાએ-ગુફાએ ફર્યા. ટૂંકમાં બધાંને

જઈ-જઈને નિમંત્રણ દઈ આવ્યા : ‘આજે રાતે તળાવ પાળે, મસમોટા વનવડલા હેઠળ, વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દે તાલ્લી! તો સૌ ત્યારે હાજર રહેજો,

હાજર રહેજો, હાજર રહેજો રે… દે તાલ્લી!’

પછી તો રાત્રે મોટી સભા ભરાઈ. વનરાજા આવીને મોટા રાજસિંહાસને બેઠા. ગીધરાય આવીને પોતાની મોટી મોટી પાંખે વનરાજાને વીંજણો નાખવા

લાગ્યા અને આખરે શરીરે ઉઘાડા એવા વાંદરાભાઈએ બાંધ્યા પગમાં ઘમક ઘૂઘરા અને માથે આભલાંવાળી અને ફૂમતાંવાળી ટોપી પહેરી લીધી, ત્યારે

શિયાળભાઈએ મોટા ભૂંગળામાં મોઢું રાખીને મોટેથી જાહેરાત કરી :

‘ભાઈઓ અને બહેનો! કાર્યક્રમ શરૂ થાય છે… દે તાલ્લી! શરણાઈ પર સંગત કરશે મોરભાઈ ચાંદલાવાળા… દે તાલ્લી! અને તબલાં પર સંગત કરશે

ઘોડાલાલ ડાબલાવાળા… દે તાલ્લી! તંબૂરના તાર છેડશે તમરાવ ત્રમત્રમિયા… દે તાલ્લી! અને વાંદરાભાઈને ઠેકે ઠેકે ગીત છેડશે કોયલબેન કલશોરિયા… દે

તાલ્લી! તો હવે જુઓ, શ્રીવાંદરાભાઈનું નૃત્ય! શ્રીવાંદરાભાઈ ઠેકડિયા… દે તાલ્લી!’

અને તાલીઓની લેતી-દેતીના જોરદાર ગડગડાટ સાથે પડદો ખૂલ્યો. વાંદરાભાઈએ હૂપ-હૂપાહૂપ સાથે, કૂદ-કૂદાકૂદ સાથે કૂદકાનૃત્ય કર્યાં. અને પછી તો…

‘દે તાલ્લી!’

સિંહરાજા તો ખૂબ ખુશ થઈ ગયા. કાર્યક્રમ સફળ જતો હતો. તેનું કારણ તેમને શિયાળભાઈની

‘દે તાલ્લી!’ માં જણાવા લાગ્યું. કાર્યક્રમ આખરે પૂરો થયો. શિયાળભાઈએ જાહેર કર્યું : ‘કાર્યક્રમ અહીં પૂરો થાય છે, દે તાલ્લી! સૌ સૌને ઘેર જાઓ, દે તાલ્લી! જાઓ, નહીં તો ધક્કા મારીને કાઢી મૂકવાં પડશે. દે તાલ્લી!’

પછી તો અનેક સંદેશા શિયાળભાઈ દ્વારા વનરાજાએ કહેવડાવ્યા. એક વાર વનરાજાને ત્યાં એક નાનકડું બચ્ચુ જન્મ્યું અને શિયાળભાઈએ આખા વનમાં રાજકુમારના જન્મની વધાઈ ‘દે તાલ્લી, દે તાલ્લી,

દે તાલ્લી’ કરતાં પહોંચાડી દીધી. સિંહરાજાનો કુંવર જ્યારે એક વર્ષનો થયો, ત્યારે રાજાએ સૌને ચા-નાસ્તાનું નોતરું મોકલ્યું અને શિયાળભાઈ દોડ્યા :

‘રાજકુંવરનો જન્મદિવસ છે; રાજાજીએ સૌને નોતર્યાં, જમવા કાજે… દે તાલ્લી!’

બધાં ચૂપાચૂપ હોય ત્યારે ઝાડવાંની ડાળીઓ પવન વાતાં ભટકાતી ત્યારે પણ સૌને ‘દે તાલ્લી, દે તાલ્લી,’ જ સંભળાતું. આવું શિયાળભાઈનું ‘દે તાલ્લી!’ સૌના કાનમાં ભરાઈ ગયેલું.

એક વખત વનના રાજા સિંહનાં રાણી બે નાના રાજકુમારોને રડતા મૂકીને ગુજરી ગયાં. સિંહના ગુફામહલમાં તો કાળો કકળાટ થઈ ગયો. શિયાળને કહેવામાં આવ્યું કે આખા રાજ્યમાં જઈને આ કમોતની ખબર કરો. શિયાળભાઈ દોડતાં-દોડતાં વનમાં ગયા. રોતા જાય અને બોલતા જાય : ‘વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું… દે તાલ્લી!’

સૌ પ્રથમ મળ્યા ગધેડાભાઈ, પૂછ્યું ‘શિયાળભાઈ, કેમ રડો છો?’

શિયાળ કહે, ‘અરે, ગધ્ધાભાઈ! શું કહું તમને? માઠો આ સંદેશો વદતાં જીભ ઊપડતી નથી અમારી… દે તાલ્લી! અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું… દે તાલ્લી!’

શિયાળભાઈ કહે, ‘ગધેડાભાઈ! તમે મારી સાથે આવો તો બહુ સારું… દે તાલ્લી!’

ગધેડાભાઈ તો સાથે ગયા. વચ્ચે મળ્યા પાડાભાઈ, તેમણે પૂછ્યું, ‘અલ્યા કેમ રડો છો?’ શિયાળભાઈ કહે : અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું…

દે તાલ્લી!’

ગધેડાભાઈને એમ કે મરણના સમાચાર આવી રીતે દેવાતા હશે, તેથી તેઓ પણ શિયાળભાઈ સાથે મંડી પડ્યા ‘ દે તાલ્લી, દે તાલ્લી’ કરવા. પાડાભાઈ પણ શિયાળભાઈ અને ગધેડાભાઈ સાથે ‘અરેરે’માં જોડાયા. શિયાળભાઈ અને ગધેડાભાઈને ‘ દે તાલ્લી!’ બોલતાં સાંભળીને પાડાભાઈને થયું કે ‘કોઈ મરી જાય ત્યારે છાતી કૂટવી જોઈએ. હવે તેવું આપણે ન કરીએ, તો તાળી તો કૂટવી જ જોઈએ ને!’ તેથી તેણે પણ શરૂ કર્યું… ‘દે તાલ્લી!’. સામે મળ્યા બળદભાઈ. તેમને પણ મોકાણના સમાચાર આપ્યા : ‘અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું… દે તાલ્લી!’

બળદભાઈ, વાંદરાભાઈ અને બીજાં પશુઓ પણ તેમની સાથે ચાલવા લાગ્યાં. બધાં પશુઓ જાણ્યે-અજાણ્યે, ઇચ્છા-અનિચ્છાએ, શિયાળભાઈનું સંદેશા-વાક્ય ‘અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું…’ – પૂરું થાય કે તરત ‘દે તાલ્લી!’ બોલવા લાગ્યાં. તે સહુએ તો પક્ષીઓને પણ જઈને કહ્યું : ‘અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું… દે તાલ્લી!’

અને પક્ષીઓની નાતમાં પણ તાલીનો તાબોટો બોલી ગ્યો. ઉંદરડાઓ અને કીડી-મકોડા વગેરે જીવ-જંતુઓને પણ કહ્યું : ‘અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું… દે તાલ્લી!’

અરે, ઘાસપાન તથા ધૂળ અને ઢેફાંને પણ જઈને કહ્યું : અરે અરેરે! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું… દે તાલ્લી!’

અને પછી સૌ પશુઓ ટોળાબંધ ખરખરે ગયાં. સૌથી મોખરે રહ્યા શિયાળભાઈ, ગધ્ધાભાઈ, પાડાભાઈ અને બળદભાઈ. સિંહ પાસે જઈને જરા ઓરે સુધી માથે ઓઢીને સૌ બોલ્યાં : ‘તમારે રે, માથે રે, વિપત્તિ રે, આવી રે, દે તાલ્લી!… તમારા રે, દુ :ખમાં રે, અમને રે, સાથે રે, ગણજો રે, દે તાલ્લી!…’

આ ‘દે તાલ્લી’ સાંભળીને વનરાજા તો દંગ થઈ ગયા. આંખમાં આંસુ અને મુખમાં ‘દે તાલ્લી’? પણ દુ :ખમાં ડૂબેલા હતા અને સ્મશાને જવાની ધમાલમાં હતા, તેથી કાંઈ બોલ્યા નહિ. મનમાં ને મનમાં સમસમી રહ્યા. રાણીબાના અંતિમસંસ્કાર થઈ ગયા પછી શિયાળભાઈએ એક શોકસભા ભરી, દુ :ખી વનરાજાની આસપાસ સૌ ટોળે વળીને બેસી ગયાં. ત્યારે શિયાળભાઈએ શોક-પ્રવચન શરૂ કર્યું :

‘આજે આપણા વનરાજાને ભીડ પડી છે…

દે તાલ્લી! રાણી મૂઆં સાવ નાનકડાં છોરું મૂકી…

દે તાલ્લી! તો આપણે એમના આત્મા કેરી શાંતિ માટે

બે-ત્રણ પળનું મૌન પાળીએ…’ અને આખો પશુ-સમાજ બોલી ઊઠ્યો : ‘દે તાલ્લી!’

અને વનરાજાનો પિત્તો ગયો, ‘સાલાઓ, હરામખોરો, દુ :ખમાં ભાગ લેવા આવ્યાં છો કે તાળીઓ ટીચવા? એકએકને હમણાં હખણાં ન કરું તો મારું નામ રાણા સિંહ નહિ. પહેલો વારો લઉં છું આ ‘દે તાલ્લી’ના સરદાર શિયાળનો.’

અને વનરાજાને વીફરતા જોઈને બધાં પશુઓ શિયાંવિયાં થઈ ગયાં. મૂંઝાયાં, ગભરાયાં, ઊઠ્યાં, દોડ્યાં, ભાગ્યાં અને નાસી છૂ…ટ્યાં.

બસ, ત્યારથી વનરાજા સિંહ બધાં પશુઓ ઉપર ખિજાયેલા રહે છે અને તેથી બધાં પશુઓ તેમનાથી ડરતાં ફરે છે.

કેમ, કેવી લાગી વાર્તા? મજા પડી ને?

તો… દે તાલ્લી!

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.