પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં એનો જનમ. ગળસૂથીમાં જ રામ ભગતિના સંસ્કાર મળેલા ને એમાં ભંડારી અંબાબાઈ પણ મળ્યા સતસંગી. કલ્યાણને સહુ લોક ભગતના નામથી ઓળખતા. પણ ભાઈ ! નામ જેવા જ એના ગુણ હોં! નામ કલ્યાણ ભગત… ઈ  જીવ માતરનું ભલું થાય, સારું થાય, કલ્યાણ થાય એની  રાત-દિ ચિંતા ર્ક્યા કરે.

નાનકડી એવી હાટડી માંડેલી-પરચુરણ વેપાર કરે પણ મૂળથી જ જીવ ભગતિ ને સતસંગવાળો. એટલે આવ્યા ગ્યા સાધુ-સંતોને આશરો આપે છે, આદર-માન આપે છે, અભિયાગતને સાંચવે. પંખીડાંને ચણ્ય નાખે ને કૂતરાને રોટલો દેવાના ને ગાયુંને લીલું નાખવાના એના કાયમના નીમ છે ભાઈ ! મૂળ વતન તો એનું મોટી જતવાડમાં. પાટણ જિલ્લાના રાધનપુર પાંહેનું વારાહી ગામ, પણ વેપાર ધંધા અરથે વારાહીથી નીકળી ગયેલા ને ચરોતર પ્રદેશમાં બોરસદ તાલુકાના કિંખલોડ ગામે આવીને હાટડી માંડેલી. આવા સેવાભાવી ને ધરમનીમ પાળનારા અખાણી શાખના રઘુવંશી લોહાણા કલ્યાણ ઠક્કરને ત્યાં સદ્ગુરુ ભાણ સાહેબે અવતાર લીધો.

આજથી બરોબર ત્રણસો ને ચાર વરસ પહેલાંની આ વાત છે. વિક્રમ સંવત 17પ4, મહા મહિનાની અંજવાળી  અગિયારસ આવી, મંગળવારનો શુભ દિવસ છે શુભ ઘડી ને શુભ નક્ષત્રમાં કલ્યાણ ઠક્કરને ત્યાં એક અવતારી પુરુષનો જન્મ થયો. સંતના આશીર્વાદ મળ્યા. પારણામાંથી જ ભક્તિ પદારથની કંઠી ભાણગુરુને મળી ગઈ. કલ્યાણ ભગત ને અંબાબાઈના મનનો ઉચાટ ભાંગી ગ્યો.

ધીરે ધીરે બાળક ભાણ મોટા થાય છે… પણ ઘરના સંત-સેવાના સંસ્કાર લાગી ગ્યા છે. આવ્યા ગ્યા સાધુ સંતોની સેવા કરવી ને ભજન મંડળીઓમાં જઈને સત્સંગ કરવો ઈ જ એનો શોખ. જીવ માત્રની સેવાનો મહામંત્ર લઈને ભાણનું બાળપણ વીતે છે.  આઠ વરસના ભાણ થ્યા ને કલ્યાણ ઠક્કરે કિંખલોડ ગામ છોડયું. પોતાના મૂળ વતન વારાહીમાં આવ્યા. ત્યાં હાટડી માંડી ને વેપાર શરૂ ર્ક્યો… વેપારમાં મોટો દીકરો કાનો મદદ કરે છે ને ભાણ જીવતરની નિશાળમાં સેવા સતસંગના એકડા ઘૂંટે છે. યુવાની આવી. પચ્ચીસ-છવ્વીસ વરસના થયા ને વારાહીના મેઘા ઠક્કરની દીકરી ભાણબાઈ સાથે ભાણસાહેબના વિવાહ થયા. ભાણબાઈ ભંડારી પણ પૂરવ જનમના યોગ સંગાથી હતા. સંતોની ભજનમંડળીમાં ભાણ ઠક્કર સત્સંગ કરે છે, ભજનો ગાય છે ને ઉપદેશ આપે છે કે-

તમે કૂડ કાયાના કાઢો રે, તમે વિખિયાનાં રૂખડાં વાઢો રે હે વીરા! આવ્યો અષાઢો…

હે ભાયું ! આ અષાઢ મહિનો આવ્યો છે. તમે તમારા મન-ખેતરને ખેડીને ચોખ્ખા કરી રાખજો. કામ -ક્રોધ-મોહ-મદનાં રૂખડાં વાઢી નાખજો. જો તમારી  ખેડય સાચી હશે તો જ વાવેલાં કણ ઊગશે, નકર ભગતિના કણમાં કોંટા નૈં ફૂટે. એક મૂઠી વાવશો ને તો પછી માણું ભરીને પામશો… આ વાવેતર તો છે સતનાં. મૂઠી ભરીને શબદનાં વાવેતર ર્ક્યાં હોય તો પછી અનુભવના કોઠાર ભરાઈ જાય, પણ ખોટમનાનું એમાં કામ નૈં. ઈ તો અરધે રસ્તેથી પાછાં વળે. એનાં ભગતિ-વૈરાગના ભાવ ઝાકળ થઈને ઊડી જાય. દેખાદેખીથી ભગતિને મારગે હાલવા જાય તો બીજ ને બદલે કૂથા જ- ફોતરાં જ ચાવવાની વેળા આવે.

એકવાર  ફરતાં ફરતાં  ભાણસાહેબ શિષ્યમંડળી સાથે વડોદરા પહોંચ્યા છે. વઢિયારા બળદ જોડેલો સિગરામ જોઈ વડોદરાના શેખ હુસેનદીનના મોઢામાં પાણી આવ્યું. વડોદરાના સૂબા પાસે ખોટી ફરિયાદ કરી કે મારો સિગરામ આ સાધુ ઓળવી ગયો છે. સૂબાએ આ મિયાંનો પક્ષ લીધો. ભાણ સાહેબને ચોર ઠેરવી જેલમાં પૂર્યા. એ વખતે ભાણ સાહેબે ગાયું –

અસુરાને મન દયા આણો રે, એમ ભણે લુહાણો ભાણો… હે અનાથુંના નાથ ! ભાંગ્યાના ભેરુ ! એકલના બેલી! ધ્રુવ-પ્રહ્‌લાદના તારણહાર!  તેં મીરાંનાં વખડાં પીધાં, નરસૈયાની હુંડી સ્વીકારી ને શામળિયો શેઠ થઈને આવ્યો.. તેં કબીર, નામદેવ, રૈદાસ ને પીપા ભગતની આબરૂ રાખી છે. હે દીન દયાળ! … હે પ્રભુ! આ અસુરના મનમાં તમે દયા લાવજો. એ અજ્ઞાની છે. એને કંઈ ખબર નથી. મીરાબાઈનાં વખડાં તમે અમરત કરેલાં. નામા ભગતનું કારજ સાર્યું, કબીર માથે કરુણા કરેલી, અરે વાલા! ઊંડા જળમાં ગજને તમે જ તાર્યો  તો ને!…

આમ એક પછી એક સંત ભગતનાં કામ ભગવાને કરેલાં તેની યાદી આપતાં ભાણસાહેબ વડોદરાની જેલમાં આ ભજન ગાય છે. તે રાત્રે વડોદરાના સૂબાને સપનું આવ્યું. પેટમાં ભારે પીડા ઊપડી. સદ્ગુરુ ભાણને શરણે જતાં ઈ પીડા ટળી ગઈ. ભાણ સાહેબને એણે દત્તાત્રેયના સ્વરૂપે જોયા. એનું અજ્ઞાન અંધારું ટળ્યું ને સવારે ભાણ સાહેબના ચરણમાં પડી ગયો. માન-પાન આપીને એક જરકસી નેજો, એક ઘોડી ને એક જરિયન શાલ આપીને ભાણ સાહેબને પોતાના સદ્ગુરુ ધાર્યા.

પછી તો ભાણસાહેબની ખ્યાતિ વધવા માંડી, વડોદરા પાસેના શેરખી ગામના ઠાકોરની બે રાણીઓને તાંત્રિકના પંજામાંથી છોડાવીને શેરખી ગામે પ્રથમ જગ્યા બાંધી. પોતાના મોટાભાઈ કાનદાસજીને શેરખીના પ્રથમ મહંત તરીકે નિમ્યા. પોતાની લોહાણા જ્ઞાતિના સાતસો ઘરની નાત બાંધીને મહી રેવા લોહાણા પંચ એવું નામ આપ્યું. ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં કરતાં સંત ભાણસાહેબ પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યનો આદેશ આપતા રહે છે. આવા ભાણસાહેબના પ્રથમ શિષ્ય થયા બંધારપાડાના કુંવરજી ઠક્કર. ને બીજા શિષ્ય થયા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણસા ગામના શ્રીમાળી વાણિયા કુળમાં મંછારામ અને માતા ઇચ્છાબાઈને ત્યાં ઈ.સ. 1783માં જન્મેલા રવિદાસ. ઈ.સ. 1803 ને મહાસુદ 11 ના દિવસે રવિદાસના અંતરનાં કમાડ ભાણસાહેબે ખોલી દીધાં ને અને નામ દીધું રવિસાહેબ..

વિ.સં. 180પ-ઈ.સ.1749માં કચ્છના રાઓશ્રી દેશળજીએ ભૂજમાં શિવરામંડપનો સંતમેળો ર્ક્યો. આ મેળા-મંડપમાં ભારતભરમાંથી સંતો-મહંતો-ભક્તોને નિમંત્રણ આપીને તેડાવેલા. ભાણસાહેબ અને તેમના શિષ્યમંડળને ખાસ આમંત્રણ આપી બોલાવેલા ને સારો સત્કાર કરેલો. આ વખતે કચ્છનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલી, એમાં કચ્છ વાગડના રાપરમાં આવેલ દરિયાસ્થાનની જગ્યા પોતે સંભાળેલી.

જ્ઞાન, ભક્તિ, યોગ, સેવા, સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગોનો ઉપદેશ આપતાં આપતાં ભાણસાહેબ કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતની યાત્રાઓ ર્ક્યે જાય છે. દ્વારકાની યાત્રાએથી પાછાં ફરતાં વિ.સં.1811 ચૈત્ર સુદિ બીજના દિવસે નળકાંઠા વિસ્તારમાં ફરતાં ફરતાં વિરમગામથી નળસરોવર જતાં રસ્તામાં આવતા કમીજલા ગામે આવી પહોંચ્યા. આખી રાત સત્સંગ-ભજન થયાં, સવારે ઊઠીને સંતમંડળી રવાના થઈ. ગામના સેવકો ઝાંઝ-કરતાલ લઈને ભાણ ગુરુને વળાવવા ભજનની રમઝટ બોલાવે છે. ગામ બહાર આવેલા તળાવની પાળ પાસે મંડળી પહોંચી, ત્યાં પાછળથી પરગામ ગયેલો ભરવાડ ભગત મેપો દોડતો દોડતો સાદ પાડતો આવે છે : ‘ગુરુદેવ  ભાણબાપુ  થોભો..ઊભા રયો… રોકાઈ જાવ..મારે ન્યાં પગલાં ર્ક્યા વિના આમ હાલી નીકળાય? ઊભા રયો..હવે એક ડગલું ય આગળ વધો તો તમને રામદુહાઈ છે..’

‘રામદુહાઈ’ શબ્દ સાંભળતાં જ ભાણસાહેબ થંભી ગયા. એ જ ક્ષણે સ્થિર થઈ ગયા. ભાવાવેશમાં દોડતા આવેલા મેપા ભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે ભાણગુરુએ હસતાં હસતાં વેણ કાઢયાં : ‘મેપા  હવે તો એક ડગલું ય આઘું-પાછું નૈં જવાય. તેં રામદુહાઈ દીધી. મારું આયખું પૂરું થયું. હવે આ જ ઠેકાણે સમાધ ગળાવો..’ રામદુહાઈની બેડી પગમાં પડી ગઈ.

શ્રીરામના સોગંદનું એ વચન પાળવા ભાણસાહેબે ત્યાં જ સમાધિ ગળાવી. ન છૂટકે ભાણસાહેબના દૃઢ નિશ્ર્ચયનો અમલ કરવાનું કાર્ય શરૂ થયું. મેપા ભગતે ગુરુની સાથે જ દેહત્યાગ કરવાની જીદ કરી ત્યારે ભાણસાહેબે બરોબર એક વર્ષ પછી સમાધિ લેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે, જા આ લીમડાની ચીર વાવી દે, એમાં કૂંપળ ફૂટે ત્યારે જાણજે કે એક વરસ થઈ ગયું.

ભાણગુરુ હસતાં હસતાં ગાય છે : હંસો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, તમે પોરા પરમાણે જાગો. એ દિવસ હતો વિકમ સંવત 1811ના ચૈત્ર સુદિ ત્રીજનો. ઈ.સ. 1755માં બરોબર સત્તાવન વર્ષના આયુષ્ય સાથે અર્ધી રાત વીતી જતાં ભાણસાહેબે જીવતાં સમાધિ લઈ લીધી. સાથોસાથ ભાણસાહેબની વહાલી ઘોડી અને એક પાળેલી કૂતરીએ પણ પોતાના દેહ એ જ સમયે છોડી દીધા.

આજે પણ વિરમગામ-નળસરોવર રોડ પર આવેલ કમીજલા ગામે ભાણસાહેબનું સમાધિમંદિર સંતસેવા-સાધના-સમાજસુધારણા, શિક્ષણ, આરોગ્યની વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરતું ધર્મની ધ્વજા લહેરાવતું ઊભું છે. જાનકીદાસજી બાપુ મહંત ગાદીએ બિરાજે છે.

Total Views: 852

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.