બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે
હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને ભગવાન શંકર અદૃશ્યરૂપે કારાગારમાં દેવકી પાસે આવ્યા. હાથ જોડીને મધુર સ્વરે થોડા જ વખતમાં પ્રગટ થનાર શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા.
એમણે કહ્યું, ‘હે પ્રભુ ! આપ સત્યસંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. આપ જ્ઞાન સ્વરૂપ આત્મા છો. ચરાચર જગતના કલ્યાણ માટે જ આપ અનેક રૂપ ધારણ કરો છો. આપના ભક્તજન સમગ્ર જગતના નિર્મળ પ્રેમી અને સાચા હિતેચ્છુ છે. આપ સર્વેશ્ર્વર છો. આ જગતની રક્ષા કરવા આપે જેમ પહેલાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ તથા રામના રૂપે અવતાર લીધા હતા, તેવી જ રીતે આ વખતે પણ પૃથ્વી પર અવતરીને તેનો ભાર દૂર કરો. અમે આપનાં ચરણોની વંદના કરીએ છીએ.’
ત્યાર પછી એમણે માતા દેવકીને કહ્યું, ‘માતા ! આપના અને અમારા સદ્ભાગ્યથી નારાયણ પોતે આપના ગર્ભમાં પધાર્યા છે. હવે કંસથી ડરવાની આપને કોઈ જરૂર નથી. જે સમસ્ત બ્રહ્માંડના રક્ષક છે, એમના દ્વારા તેનો વધ થવાનો જ છે. આપનો પુત્ર યદુવંશનું રક્ષણ કરશે.’ દેવકીને સાંત્વના આપીને દેવગણ પોતપોતાના લોકમાં પાછા ફર્યા.
ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાકટ્ય
ઈશ્વર સૌંદર્ય અને આનંદની પ્રતિમૂર્તિ છે. સમસ્ત બ્રહ્માંડને તેઓ આનંદ અને શાંતિ આપે છે. એટલે જ્યાં તેઓ પ્રગટે છે, એ સ્થાન પરમ મંગલકારી બની જાય છે. બધા શુભગુણો સાથે સુંદર સમય આવી ગયો છે. મધ્યરાત્રિનો સમય છે. ચારેકોર શાંતિનું રાજ્ય છે. નિર્મળ આકાશમાં તારા ચમકે છે. રોહિણી નક્ષત્ર છે. રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી રહ્યાં છે. જાણે કે પ્રકૃતિ શ્રીકૃષ્ણના આગમન સાથે પોતાની પ્રસન્નતા વ્યકત કરતી ન હોય! બધાંનાં હૃદય શાંતિ અને પ્રસન્નતાથી ભરપૂર છે. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો, ત્યારે સ્વર્ગના દેવતાઓનાં દુન્દુભી વાગવા લાગ્યાં. દેવો પ્રસન્ન થઈને પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. મધ્યરાત્રિના ઘનઘોર અંધકારમાં દેવકીના ગર્ભમાંથી મહાવિષ્ણુ પ્રગટ થયા. વસુદેવજીએ જોયું કે પોતાની સામે એક અદ્ભુત બાળક છે. એ બાળકે મહાવિષ્ણુરૂપે દર્શન દીધાં – ‘તેમનાં નેત્ર કમળ શાં કોમળ અને વિશાળ છે. તેમણે પોતાના ચાર સુંદર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યાં છે. તેમના સુંદર, શ્યામ દેહ પર પીતાંબર અને કાનમાં કિંમતી રત્નજડિત કુંડળ છે. કમરમાં ચમકતા કંદોરાનાં ઝૂમખાં, બાવડે બાજુબંધ, હાથે કંકણ અને અન્ય અલંકારો શોભી રહ્યાં છે.’ મારા પુત્રના રૂપે સ્વયં ભગવાન જ પધાર્યા છે, એ જોઈને પહેલાં તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો, પછી એમની આંખો આનંદથી ચમકી ઊઠી.
બે હાથ જોડીને તેઓ સ્તુતિ કરવા લાગ્યા, ‘હે પ્રભુ ! જગતને રક્ષવા અસીમ કરુણાથી આપે મારા ઘરે જન્મ લીધો છે. હું મારા હૃદયની પ્રસન્નતા કયા શબ્દોમાં પ્રગટ કરું ? મનુષ્યોમાં હું સૌથી વધુ ભાગ્યશાળી છું,મારાં પત્નીને સાક્ષાત્ નારાયણની મા બનવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારા પ્રત્યે આપની કૃપાની કોઈ સીમા નથી. હે પ્રભુ ! આપના આગમનની સંભાવનાને લીધે દુષ્ટ કંસે મારા બધા પુત્રને મારી નાખ્યા. હવે આપના જન્મના સમાચાર સાંભળતાં હાથમાં અસ્ત્રશસ્ત્ર લઈને આપને મારવા જરૂર આવશે જ.’
દેવકી પણ કંસથી સતત ભયભીત રહેતાં. પરંતુ પોતાના પુત્રમાં ભગવાનનાં બધાં લક્ષણો જોઈને તેઓ પવિત્રભાવે સસ્મિત વદને સ્તુતિ કરવા લાગ્યાં, ‘હે પ્રભુ, મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ સ્વયં ભગવાન વિષ્ણુ જ છો. અત્યાચારી કંસ સજ્જનોને નિરંતર સતાવે છે. આપ પ્રસન્ન થઈને તેનો વધ કરી નાખો. આપ સર્વશક્તિમાન અને પરકલ્યાણના આશ્રયસ્થાન છો. હું આપને શરણે આવું છું. જીવ તો મૃત્યુગ્રસ્ત છે. તે મૃત્યુની કરાળ ઝાળથી ભયભીત થઈને એક લોકથી બીજા લોકમાં ભટકતો રહે છે. પરંતુ આપનાં ચરણો સિવાય એવું કોઈપણ સ્થાન નથી કે જ્યાં એ જીવ નિર્ભય થઈને રહે. આપનું આ રૂપ અલૌકિક છે; આપ એને ગોપવી લો. પાપી કંસને એ વાતનો ખ્યાલ ન આવે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે.’
દેવકીની ભક્તિભાવપૂર્ણ સ્તુતિ સાંભળીને શ્રીભગવાને કહ્યું, ‘હે દેવી! સ્વાયંભુવ મનવન્તરમાં તમે અને વસુદેવે પુત્રપ્રાપ્તિ માટે તપસ્યા કરી હતી. તમારું ચિત્ત ઘણું શાંત હતું અને તમે ઘણી શ્રદ્ધાભક્તિથી મારી ઉપાસના કરી હતી. તમારા પર પ્રસન્ન થઈને મેં વરદાન માગવા કહ્યું હતું, ત્યારે તમે બન્નેએ મારા જેવો પુત્ર માગ્યો હતો. મેં જોયું કે સંસારમાં મારા જેવો તો બીજો કોઈ નથી, એટલે હું જ તમારા બન્નેનો પુત્ર બન્યો. આ વખતે પણ મેં તમારા પુત્રરૂપે જન્મ લીધો છે. મેં તમને મારું પોતાનું આ રૂપ એટલા માટે દેખાડ્યું કે જેથી તમને મારા પૂર્વ અવતારોની યાદ આવી જાય. જો હું એવું ન કરત તો તમને પણ મારા અવતારની ઓળખાણ ન થાત.’ આમ કહીને ભગવાન વિષ્ણુએ પોતાની યોગમાયાથી એક સાધારણ શિશુનું રૂપ ધારણ કર્યું.
ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુળમાં સ્થાનાંતરણ
હવે ભગવાનની પ્રેરણાથી વસુદેવજીને નવજાત શિશુને લઈને બંદીગૃહમાંથી નીકળવાની ઇચ્છા થઈ.પણ એવું કરવું સંભવ હતું ખરું ? કારાગારની કોટડી પર તો તાળાં લગાવ્યાં હતાં. વળી દરેક દરવાજે એક શસ્ત્રધારી પહેરેદાર રાખ્યો હતો. પરંતુ જેવા વસુદેવે બાળકને પોતાના ખોળામાં લીધો કે તરત એક ચમત્કાર થયો. કારાગૃહનાં તાળાં અને મોટી મોટી લોઢાની સાંકળો બાંધીને બંધ કરેલા દરવાજા જરાય અવાજ થયા વિના ખૂલી ગયા. બધા પહેરેદારો પણ અચેત થઈને ઊંઘી ગયા. વસુદેવજી સરળતાથી કારાગારની બહાર નીકળી ગયા અને યમુના નદીના તટ પર પહોંચી ગયા.
Your Content Goes Here