એક દિવસની વાત છે. વર્ષ અને તારીખ યાદ નથી અને તેની આવશ્યકતા પણ શી છે ! શ્રીશ્રીમાની ભત્રીજી રાધુ ઘણા દિવસથી બીમાર હતી. રોગનું દુ :ખ ભોગવતાં ભોગવતાં એનુ શરીર માત્ર કંકાલ થઈ ગયું હતું. વાતચીત કરવાની શક્તિ પણ રહી ન હતી. ગળામાંથી અવાજ પણ ક્ષીણ નીકળતો. શ્રીશ્રીમાના મનમાં કરુણા જાગી. તેમણે કહ્યું,‘હરિ, તમે મારી સાથે ચાલો. છોકરીને લઈને બાંકુડા જઈએ. ત્યાં વૈકુંઠ છે, એલોપથીનો એમ.બી ડાૅક્ટર, પણ હોમિયોપથીની સારવાર કરે છે. તેની ઘણી ખ્યાતિ છે.’
એમની વાત ચાલતી હતી તેની વચ્ચે જ હું બોલી ઊઠ્યો, ‘વૈકુંઠ એટલે વૈકુંઠ મહારાજ ? સ્વામી મહેશ્વરાનંદ ?’
શ્રીશ્રીમા – ‘હા, હા. તું તો બાંકુડા શહેરમાં રહે છે. તેને જરૂર જાણતો હોઈશ.’
હરિપ્રેમાનંદ – ‘હા, બરાબર ઓળખું છું. બાંકુડા મઠના મહંત છે. હોમિયોપથીના ધન્વંતરી છે.’
શ્રીશ્રીમા – ‘હા રે, એની જ વાત કરું છું.’
આ રીતે શ્રીશ્રીમા પોતાની ભત્રીજીને લઈને ત્યાં ગયાં. હું પણ સાથે ગયો. એ સમયે બાંકુડા મઠમાં વધારે ઓરડાની સુવિધા ન હતી. બહારના લોકોને, એમાંય વિશેષ કરીને સ્ત્રીઓને રહેવાની જગ્યાની જરા પણ સગવડતા ન હતી. એટલે ફિડર રોડ પર એક નાનું મકાન ભાડે લીધું. ઘરમાં કેવળ બે જ ઓરડા હતા. એકમાં દર્દીને રાખ્યાં અને બીજામાં અમે બન્ને રહેતાં. એ દિવસે સંધ્યા સમય પછી ડાૅક્ટર મહારાજ (સ્વામી મહેશ્વરાનંદ) રોગીને જોઈને પાછા ચાલ્યા ગયા. અમારા ઓરડામાં એક નાનું સ્ટુલ હતું. શ્રીશ્રીમા એના પર બેસતાં. કોણ જાણે મારા મનમાં શું આવ્યું કે હું શ્રીશ્રીમાનાં બન્ને ચરણો પર હાથ ફેરવવા લાગ્યો. બન્ને ચરણ શુષ્ક હતાં, એ દિવસોમાં શ્રીશ્રીમાનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું હતું.
તેમનાં ચરણ પર હાથ ફેરવતી વખતે એકાએક મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો, ‘શ્રીશ્રીમા શું ખરેખર વાસ્તવમાં જગદંબા છે? (જો હોય) તો જગદંબાનાં ચરણોમાં પણ આવી રીતે શિરાઓ ઉપર ઉપસી આવે ખરી?’ મનમાં આવો પ્રશ્ન ઊઠ્યો ખરો પણ મેં મુખેથી એનો ઉચ્ચાર ન કર્યો. ચરણો પર હાથ ફેરવતો રહ્યો.
ધીરે ધીરે મને અનુભવ થવા લાગ્યો- આ તો કોઈ વૃદ્ધા કે દુર્બળનાં ચરણ નથી, પરંતુ એક યુવાન નારીના પુષ્ટ ચરણ છેે. પડખે જ ફાનસ પ્રગટેલું હતંુ, તેના પ્રકાશમાં મેં સ્પષ્ટ જોયું તો અળતો લગાડેલ સુંદર અને અનુપમ બન્ને ચરણ ! ચરણની સઘન પરિપુષ્ટ આંગળીઓમાં અર્ધચંદ્ર સમાન નખ શોભી રહ્યા હતા! બન્ને ચરણોમાં સોનાનાં નૂપુર અને એ નૂપુરોમાં મણિમોતી જડ્યાં હતાં! મનમાં વિચાર આવ્યો, ‘આ હું કોની પદસેવા કરી રહ્યો છું?’
વિસ્મયથી હતપ્રભ થઈને મેં એમનાં ચરણ પરથી દૃષ્ટિ દૂર હટાવી અને ઉપર એમના શ્રીમુખ તરફ લઈ ગયો. જોયું તો સ્વર્ણકાંતિ, ત્રિનયના, ચતુર્ભુજા, અનેક અલંકારોથી સુશોભિત જગદ્ધાત્રીની મૂર્તિ! શિર પર મુકુટ, હાથમાં અસ્ત્ર- એમના સમગ્ર દેહમાંથી અનુપમ જ્યોતિ નીકળતી હતી! હું એમને બરાબર નિહાળી લઉં તે પહેલાં, હું ‘મા, મા’ કહેતાં કહેતાં અચેત થઈ ગયો. હું કેટલા સમય સુધી એ અવસ્થામાં પડ્યો રહ્યો, એની મને ખબર ન પડી ! જ્યારે ચેતના આવી અને જોયું તો શ્રીશ્રીમા મારી પીઠ પર હાથ ફેરવીને કહેતાં હતાં, ‘ઓ હરિ, ઓ હરિ! આ તને શું થઈ ગયું ? ઊઠ ! ઊઠ !’
હું બેઠો થયો. જોયું તો દુર્બળ વૃદ્ધ શરીરવાળાં શ્રીશ્રીમા રોગથી જર્જર ભત્રીજીને નિહાળતાં બેઠાં છે. તેઓ જ અમારાં જગદંબા મા શારદામણિ, ભગવાન શ્રીરામકૃષ્ણનાં લીલાસંગિની છે. જય મા! જય ઠાકુર !
Your Content Goes Here