શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં પણ ન આવડે, જેને માટે ફાનસ પેટાવવું એ પણ એક મોટી સમસ્યા છે, જે કોઈ પરિવારની કુળવધૂની બુદ્ધિની એટલા માટે પ્રશંસા કરે કે તેને ઘડિયાળને ચાવી દેતાં આવડે છે, જે નળમાંથી પાણી ભરતી વખતે પાઈપમાં ગયેલી હવાનો સિસોટો સાંભળીને ‘ઓય મા, સાપ !’ કહીને ચિત્કાર કરે એવી સ્ત્રીને સરસ્વતી કહેવી, એ કેવું આશ્ચર્યજનક લાગે! પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્ઞાનનો અર્થ ફક્ત અક્ષરજ્ઞાન જ નથી થતો, અક્ષર-બ્રહ્મનું જ્ઞાન પણ થાય છે. મુંડકોપનિષદમાં બે વિદ્યાની વાત આવે છે- પરા અને અપરા. પરાવિદ્યા એટલે પરમાત્મા વિશેની વિદ્યા, અધ્યાત્મવિદ્યા અને અપરાવિદ્યા એટલે લૌકિક, ભૌતિક જ્ઞાન એમાં વેદોનું જ્ઞાન, શિક્ષણ, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ વગેરેનો સમાવેશ થાય છે.

વિશ્વના ઇતિહાસમાં આપણને કોઈ પણ એવું સ્ત્રીપાત્ર જોવા મળતું નથી કે જેમાં શ્રીમા શારદાદેવીના જેવું ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ થયું હોય. ફલહારિણી કાલીપૂજાની રાત્રે શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીની જગદંબાભાવે ષોડશીપૂજા કરી હતી. પોતાની સાધનાનું બધું ફળ એમનાં ચરણોમાં સમર્પી દીધું હતું. શ્રીમા શારદાદેવીને તેમણે વિભિન્ન સાધનાઓની સમજ આપી હતી, વિભિન્ન મંંત્રોની સમજ આપી હતી. મંત્રદીક્ષા કેવી રીતે આપવી, એ બધું સમજાવ્યું હતું અને તેમને ગુરુ તરીકેની ભૂમિકા માટે તૈયાર કર્યાં હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી શ્રીમા શારદામાં અપૂર્વ ગુરુભાવ પ્રગટ થયો હતો. રખેને આપણે એમ માની લઈએ કે આ બધું શ્રીરામકૃષ્ણદેવને લીધે થયું! નહીં, નહીં! તેઓ તો દેવીના મહિમામાં સ્વપ્રતિષ્ઠિત છે. જાણે સાક્ષાત્ સરસ્વતી ! જે કંઈ તેમણે પોતાના જીવનમાં કર્યું તે સામાન્ય માનવી માટે અશક્ય છે. હજારોને તેમણે મંત્રદીક્ષા આપી, અધ્યાત્મજ્ઞાન આપ્યું, શિષ્યોનાં પાપતાપ સહન કર્યાં, તેમની ગૂઢ આધ્યાત્મિક સમસ્યાઓનું સમાધાન કર્યું. તેમનો ઇહલોક અને પરલોકનો ભાર પોતાના પર લીધો અને આમ અપૂર્વજ્ઞાદાયિની, મોક્ષદાયિની બન્યાં.

એમની અદ્‌ભુત આધ્યાત્મિક સમજણનો એક જ દાખલો જોઈએ : એક વાર તેમના મંત્રશિષ્ય સ્વામી વિરજાનંદજી (સ્વામી વિવેકાનંદ પાસેથી એમણે દીક્ષા લીધી હતી અને પાછળથી તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ બન્યા હતા.) શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ થઈ જતાં કેટલાયે ઇલાજ કર્યા પણ એકેય ઇલાજ કારગર ન નીવડ્યો. છેવટે આ વાત શ્રીમા શારદાદેવી પાસે આવી. તેમણે સ્વામી વિરજાનંદજી મહારાજને પૂછ્યું, ‘દીકરા ! શું તું સહસ્રારમાં ધ્યાન કરે છે ?’ તેમણે હા પાડી એટલે શ્રીમાએ કહ્યું, ‘જો દીકરા, લાંબો વખત સહસ્રારમાં ધ્યાન કરવાથી જ આવું થયું છે.’ સ્વામી વિરજાનંદજીએ આ પછી પોતાની સાધનાપ્રણાલી બદલી. પહેલાં તેઓ કલાકો સુધી ધ્યાન કરતા, ધ્યાનમાં લીન રહેતા, પણ હવે તેમણે સહસ્રારમાં ધ્યાન કરવાનું ઓછું કર્યું અને આશ્ચર્યજનક રીતે થોડા જ દિવસોમાં તેઓ સ્વસ્થ થઈ ગયા.

આ તો થઈ એમના અધ્યાત્મ-જ્ઞાનની વાત. તેમનું લૌકિક જ્ઞાન પણ ઓછું ન હતું. અભણ હોવા છતાં તેમનામાં અદ્‌ભુત વ્યાવહારિક બુદ્ધિ, વ્યવહાર કુશળતા અને સમજણશક્તિ હતાં. પોતાની અસાધારણ વહીવટી કુશળતાને લીધે જ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી ૩૪ વર્ષ સુધી (૧૮૮૬-૧૯૨૦) તેમણે રામકૃષ્ણ સંઘનું સફળતાપૂર્વક સંચાલન કર્યું, અનેક સમસ્યાઓનું સમાધાન પણ કર્યું.

સ્વામી વિવેકાનંદ મે ૧૮૯૮માં આરોગ્યસુધારણા માટે દાર્જિલિંગ ગયા, ત્યારે તેમને સમાચાર મળ્યા કે કોલકાતામાં પ્લેગનો ઉપદ્રવ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વામીજી ચૂપ ન બેસી શક્યા. તેઓ તરત જ કોલકાતા પાછા ફર્યા અને સેવાકાર્યમાં લાગી ગયા. નાણાંના અભાવે આ સેવાકાર્ય બંધ પડી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. સ્વામીજીએ સંકલ્પ કર્યો કે જરૂર પડ્યે બેલુર મઠની નવી ખરીદેલી જમીનને પણ વેચી નાખવી. સ્વામીજીના ગુરુભાઈઓ ચિંતામાં પડી ગયા. જો મુખ્ય મઠની જમીન જ વેચાઈ જાય તો રામકૃષ્ણ સંઘનું ભવિષ્ય શું ? શ્રીમાએ ત્યારે મધ્યસ્થી બનીને સ્વામીજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘દીકરા નરેન ! હું દેશવાસીઓનાં દુ :ખ પ્રત્યેની તારી લાગણીને સમજી શકું છું. હું એ પણ જાણું છું કે તમે લોકો શ્રીરામકૃષ્ણના ત્યાગી શિષ્યો છો. તમે લોકો તપસ્યા કરી શકશો, વૃક્ષ તળે નિવાસ કરીને જીવન વિતાવી શકશો. પણ દીકરા, મઠ તો ફક્ત તમારા લોકો માટે નથી. ભવિષ્યમાં કેટલાય યુવાનો આ સંઘમાં જોડાશે, તેઓ તો તમારી જેમ કઠોર જીવન વિતાવી નહીં શકે. બીજી વાત, આ મઠની જમીન ફક્ત તારા એકલાની નથી. એ તો ટ્રસ્ટની છે. બીજા ટ્રસ્ટીઓની પરવાનગી વગર તું આ જમીન કેવી રીતે વેચી શકે ?’ સ્વામીજી પાસે શ્રીમાએ ઉઠાવેલ ટ્રસ્ટીઓના આ કાનૂની પ્રશ્નનો કોઈ ઉકેલ ન હતો. આમ પણ તેઓ માના કહ્યાગરા પુત્ર હતા. તેમણે બેલુર મઠની જમીન વેચવાનો વિચાર માંડી વાળ્યો. શ્રીમાની અપૂર્વ દૂરદૃષ્ટિ ને તાર્કિક બુદ્ધિએ રામકૃષ્ણ સંઘને વિપત્તિમાંથી ઉગાર્યો.

એક વાર રામકૃષ્ણ મિશન સમક્ષ એક વિકટ સમસ્યા આવી. શ્રીમાએ પોતાની આગવી બુદ્ધિથી સંઘને એ વિપત્તિમાંથી ઉગાર્યો. બંગાળ સરકારના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું કે બંગાળના ક્રાંતિકારીઓ સ્વામી વિવેકાનંદના અગ્નિશિખા જેવા સંદેશ ને લખાણોથી અસીમ ઉત્સાહ મેળવે છેે અને તેને આદર્શ તરીકે અપનાવે છે. આ ઉપરાંત બંગાળના ગવર્નર લોર્ડ કાર્માઈલે ઈ.સ. ૧૯૧૬માં ઢાકા દરબારમાં ભાષણ આપતાં રામકૃષ્ણ મિશન વિશે એવાં કેટલાંય ભયાનક વિધાનો કર્યાં. એને લીધે સામાન્ય જનોના મનમાં ભય વ્યાપી ગયો કે મિશન સાથે સંપર્ક રાખવાથી રાજ્યના કોપનો ભોગ બનવું પડશે. એ વખતે કેટલાક ક્રાંતિકારીઓ પોતાનું જીવનપરિવર્તન કરીને મિશનમાં જોડાયા હતા. તેમને રાખવા કે સંઘમાંથી કાઢી મૂકવા, એવી વિમાસણ ઊભી થઈ. આવી અતિ વિકટ પરિસ્થિતિમાં નિર્ભય રહીને શ્રીમા શારદાદેવીએ તે વખતના મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સારદાનંદજીને સૂચન કર્યું કે અંગ્રેજ સરકારને સાચી હકીકતનો ખ્યાલ આપવો જોઈએ, જેનાથી મિશનના સંન્યાસીઓને કે મિશનની કીર્તિને આંચ ન આવે. શ્રીમાના આ સૂચનથી સ્વામી સારદાનંદજીએ એક જાહેરાત કરી. મિસ મેક્લાઉડ જેવા મિત્રોની મદદથી સરકારને મિશનના વાસ્તવિક સ્વરૂપનો પરિચય કરાવ્યો. તેઓ પોતે જ ઉચ્ચ કક્ષાના ઓફીસરોને મળ્યા અને રામકૃષ્ણ મિશન એક રાજનૈતિક સંસ્થા છે એવો તેમનો ભય દૂર કર્યો. આને પરિણામે લોર્ડ કાર્માઈલે ૨૬મી માર્ચ, ૧૯૧૭ એક પત્રમાં સ્વામી સારદાનંદજીને જણાવ્યું, ‘રામકૃષ્ણ મિશન તથા તેમના સભ્યોની કોઈ પણ પ્રકારની આલોચના કરવાનો મારો હેતુ ન હતો. હું જાણું છું કે રામકૃષ્ણ મિશનનું તમામ કાર્ય રાજનીતિથી સંપૂર્ણપણે મુક્ત છે. તેઓ સામાન્ય જનતાની જે સેવા આજ સુધી કરતા આવ્યા છે, તેથી બધા પાસેથી પ્રશંસા સિવાય બીજું મેં કંઈ સાંભળ્યું નથી. આમ શ્રીમાની અસાધારણ બુદ્ધિમત્તાથી રામકૃષ્ણ સંઘ પર આવી પડેલી એક મોટી આફત ટળી ગઈ.

એક વાર શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે નાવમાં બેસીને પાણિહાટિના ઉત્સવમાં ગયા. શ્રીમા શારદાદેવીએ પુછાવ્યું કે તેઓ સાથે આવી શકે કે કેમ ? શ્રીરામકૃષ્ણદેવે કહેવડાવ્યું કે જો તેમની ઇચ્છા હોય તો તેઓ સાથે આવી શકે છે. શ્રીમા ગયાં નહીં. એટલે શ્રીરામકૃષ્ણદેવે શ્રીમાની બુદ્ધિમત્તાની પ્રશંસા કરતાં કહ્યું, ‘સારું થયું, તેઓ આવ્યાં નહીં, નહીં તો લોકો ટીકા કરત અને કહેત, ‘જુઓ, જુઓ, હંસહંસીનું જોડકું આવ્યું.’ પછીથી શ્રીમાએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે તેમણે પાણિહાટિ જવાનો વિચાર માંડી વાળ્યો કારણ કે શ્રીરામકૃષ્ણદેવે કહેવડાવ્યું હતું કે જો તેની ઇચ્છા હોય તો આવે; એટલે હું સમજી ગઈ કે શ્રીરામકૃષ્ણની પોતાની ઇચ્છા નથી કે હું સાથે જાઉં. જો એમ ન હોત તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં જવા માટે કહેવડાવ્યું હોત.

અભણ છતાં તેમની અગાધ બુદ્ધિ અને શિક્ષણ પ્રત્યેનો ઉદાર અભિગમ નવાઈ પમાડે તેવો છે. તેઓ લખીવાંચી ન શકતાં પણ રામાયણ-મહાભારત જેવા ગ્રંથો બીજા પાસે વંચાવતાં. તત્કાલીન બંગાળમાં નાની વયે લગ્ન થતાં અને છોકરીઓને શાળામાં મોકલવી એ સારું ન ગણાતું. એટલે તેઓ જયરામવાટીની શાળામાં ભણી ન શક્યાં. પોતાની જ્ઞાનની પિપાસાને લીધે દક્ષિણેશ્વરમાં મોટી વયે તેમણે છાનાંમાનાં ભણવાનું શરૂ કર્યું. શ્રીરામકૃષ્ણના ભત્રીજા હૃદયરામે તેમની ચોપડીઓ ઝૂંટવી લીધી. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ તેમને અંગ્રેજી શીખવા પ્રેરતા. પોતાની સેવિકા સરલાબાલાને (પ્રવ્રાજિકા ભારતીપ્રાણા) નર્સિંગની ટ્રેઈનીંગ લેવા પ્રેર્યાં હતાં. ભગિની નિવેદિતાને શાળા શરૂ કરવાની તેમણે પ્રેરણા આપી હતી. એક માતા પોતાની ૯ વર્ષની બાળકીને લઈને શ્રીમા પાસે આવીને કહેવા લાગ્યાં, ‘જુઓ તો મા, આ છોકરી આટલી મોટી થઈ ગઈ અને કહે છે કે મારે લગ્ન નથી કરવાં.’ શ્રીમાએ ઠપકા સાથે કહ્યું, ‘એ તો સાચી જ વાત કરે છે. અત્યારથી લગ્ન શા માટે? એને નિવેદિતા સ્કૂલમાં મોકલી આપો. ભણીગણીને મોટી થાય પછી વિવાહ કરવા હોય તો કરે કે અપરણિત રહે, એને ગમે તે કરે !’

લોકોની ટીકા સહન કરીને તેઓ પોતાની ભત્રીજીઓ રાધૂ અને માકૂને ભણવા મોકલતાં.

એક વાર શ્રીમા કોલકાતાથી જયરામવાટી આવ્યાં ત્યારે તેમને ખબર પડી કે ગ્રામપંચાયતે એમના ઘર પર ટેક્સ નાખ્યો છે. શ્રીમાએ ટેક્સનાબૂદી માટે અરજી કરવા કહ્યું, ‘હમણાં તો હું છું, ભક્તો આ પૈસા આપી દેશે. પણ મારા ગયા પછી સંન્યાસીઓને ભીખ માગીને આ પૈસા ભેગા કરવા પડશે.’ માના આગ્રહથી પછીના વર્ષથી ટેક્સમાફી મળી.

એક વાર શ્રીમાને એક વ્યક્તિએ પત્ર લખીને જણાવ્યું કે જ્યાં તે નોકરી કરે છે ત્યાં એને જૂઠું બોલવું પડે છે. એટલે ગરીબ હોવા છતાં એણે નોકરી છોડી દેવાનું વિચાર્યું છે. શ્રીમાએ એને નોકરી ન છોડવાની સલાહ આપી. આ સલાહનું કારણ આપતાં શ્રીમાએ જણાવ્યું, ‘હમણાં તો એ સત્યને ખાતર નોકરી છોડવા તૈયાર થયો છે, પણ પછી પેટની જ્વાળાથી ચોરી કરતાંય નહીં અચકાય.’ આના પરથી શ્રીમાની વ્યાવહારિક સૂક્ષ્મ દૃષ્ટિનો આપણને ખ્યાલ આવે છે.

એક વાર બેલુર મઠમાં સરસ્વતી પૂજાના દિવસે એક બ્રહ્મચારી પૂજાનો પ્રારંભ કર્યા પહેલાં સ્વામી શિવાનંદજી મહારાજ પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે કહ્યું, ‘શ્રીમા શારદાદેવી પોતે જ સરસ્વતી છે. એમની કૃપા વડે તેઓ આપણું અજ્ઞાન દૂર કરે છે અને જ્ઞાનભક્તિ આપે છે.’

સરસ્વતી પૂજાના પાવન પ્રસંગે સરસ્વતીરૂપિણી શ્રીમા શારદાને પ્રાર્થીએ, ‘મા, અમને સાચું જ્ઞાન આપો, નિર્મળ મતિ આપો, તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આપો.’

 

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.