શ્રીરામકૃષ્ણ (બંકિમને) – દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !… ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં જોઈએ.’

‘સંસારી-વહેવારી માણસને પૈસાની જરૂર છે; કારણ કે તેને બૈરીછોકરાં છે…‘સંસારી માણસ શુદ્ધ ભક્ત હોય તો અનાસક્ત થઈને કર્મ કરે. કર્મનું ફળ, લાભ, નુકસાન, સુખદુ :ખ ઈશ્વરને સમર્પણ કરે. અને ઈશ્વર પાસે રાતદિન ભક્તિ માટે પ્રાર્થના કરે… સંસારી માણસ જો નિષ્કામ ભાવે કોઈને દાન કરે તો એ પોતાના ઉપકારને માટે, ‘પરોપકાર’ને માટે નહિ. એથી સર્વ ભૂતમાં જે હરિ છે તેની સેવા કરાય છે. હરિ-સેવા કરવાથી પોતાને જ ઉપકાર થયો, ‘પર-ઉપકાર’ નહિ. આ સર્વભૂતોમાં રહેલા હરિની સેવા, એ પ્રકારના ભાવથી જો સેવા કરે તો તેનાથી ખરેખરું નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ થયું એમ કહેવાય. આ રીતે નિષ્કામ કર્મ કરવાથી પોતાનું કલ્યાણ થાય, આનું નામ કર્મયોગ. આ કર્મયોગ પણ ઈશ્વર-પ્રાપ્તિનો એક રસ્તો. પરંતુ બહુ કઠણ, કલિયુગને માટે નહિ.’

‘એટલે કહું છું કે અનાસક્ત થઈને જે આ રીતે કર્મ કરે; દયા-દાન કરે એ પોતાનું જ ભલું કરે. બીજા પર ઉપકાર, પારકાનું ભલું એ તો ઈશ્વર કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય, માબાપ, ફળ, ફૂલ, ધાન્ય વગેરે જીવોને માટે કર્યાં છે. માબાપની અંદર જે સ્નેહ જુઓ છો એ ઈશ્વરનો જ સ્નેહ, જીવોના રક્ષણને માટે જ એણે આપેલો છે. દયાળુની અંદર જ્યાં દયા જુઓ તે એમની જ દયા, નિ :સહાય જીવની રક્ષા માટે આપી છે. તમે દયા બતાવો કે ન બતાવો, ઈશ્વર કોઈ ને કોઈ રીતે પોતાનું કામ કરવાનો જ; એનું કામ અટકી રહે નહિ !’

‘એટલા માટે જીવનું કર્તવ્ય શું ? બીજું શું, ઈશ્વરના શરણાગત થવું, અને જે રીતે એની પ્રાપ્તિ થાય, એનાં દર્શન થાય એ સારુ આતુર થઈને ઈશ્વરની પાસે પ્રાર્થના કરવી.’ (કથામૃત ભાગ-૨.૨૪૨-૪૩)

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.