શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમો

મૂલ્યલક્ષી શિક્ષણ : આશ્રમના બાલ પુસ્તકાલયમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ૧૪ કાર્યક્રમોમાં ૮૨૬ બાળકોએ; આશ્રમના વિવેકહાૅલમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના ૯ કાર્યક્રમોમાં ૧૦૪૪ શિક્ષાર્થીઓએ; આ જ હાૅલમાં કોલેજના વિદ્યાર્થીઓ માટેના ૩ કાર્યક્રમોમાં ૩૬૯ છાત્રોએ ભાગ લીધો હતો. આશ્રમના પટાંગણ સિવાય બહાર કે બહારગામ યોજાયેલ કુલ ૩૬ કાર્યક્રમોમાં ૧૦,૦૭૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આમ જુલાઈ-૨૦૧૯ સુધીમાં કુલ ૬૨ કાર્યક્રમોમાં ૧૨,૩૧૫ શિક્ષાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણનો લાભ મળ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ

તા.૨૪મી ઓગસ્ટ, શનિવારે સવારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીભગવદ્ ગીતા પાઠનું આયોજન થયું હતું. સાંજે સંધ્યા આરતી પહેલાં ‘શ્રીશ્યામનામ સંકીર્તન’માં ભક્તજનોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો. સાંજના સંધ્યા આરતી પછી જન્માષ્ટમી નિમિત્તે વિશેષ પૂજા અને પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સર્વધર્મ સમન્વય પરિસંવાદ

સ્વામી વિવેકાનંદના શિકાગોસંબોધનના ૧૨૫મા વર્ષની ઉજવણી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને પાર્લામેન્ટ આૅફ વર્લ્ડ રિલિજિયનના સંયુક્ત ઉપક્રમે આશ્રમના વિવેક હાૅલમાં ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સાંજે ૭ થી ૯ દરમિયાન ‘સર્વધર્મ સમન્વય પરિસંવાદ’નું આયોજન થયું હતું.

કાર્યક્રમનો પ્રારંભ આશ્રમના સંન્યાસી અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચાર, વૃંદગાન અને સર્વધર્મ પ્રાર્થનાથી થયો હતો. ત્યાર પછી વક્તાઓની ઉપસ્થિતિમાં દીપપ્રાકટ્ય વિધિ સમ્પન્ન થયો હતો. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે વક્તાઓના પરિચય સાથે તેમનું અને આમંત્રિત શ્રોતાઓનું અભિવાદન કર્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનના ‘ખ્રિસ્તીધર્મી હિંદુ થાય એવી આશા હું સેવું ? ના, ભાઈ ! ના. હિંદુધર્મી કે બૌદ્ધધર્મી ખ્રિસ્તી થાય એવી આશા હું સેવું ? નહીં જ… દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે : ‘સહાય; પરસ્પર વેર નહીં.’ ‘સમન્વય; વિનાશ નહીં.’ ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’ એ શબ્દોને યાદ કરીને આજના ધાર્મિક ઝનૂનવાદને દૂર કરવા અને સર્વત્ર સમન્વય, સંવાદિતા, શાંતિનું વાતાવરણ સર્જવા સ્વામીજીના આ ઉદાત્ત વિચારો આજે પણ પ્રાસંગિક છે, એમ કહ્યું હતું. આ પ્રસંગે બૌદ્ધધર્મના અખિલ ભારતીય ભિખ્ખુ પ્રજ્ઞારત્ને; જૈનધર્મના તત્ત્વચિંતક વસંતભાઈ ખોખાણીએ; રાજકોટના બીશપ જોસ સીએમઆઈએ; સુન્ની મુસ્લિમ સૈયદ જમાતના પૂર્વ પ્રમુખ ડૉ. એમ.કે.કાદરીએ; જરથોસ્તી પરિવારના સભ્ય ખુશરૂ ડોસાભોયે અને શીખ સંપ્રદાયના મનમોહનસિંહ નંદાએ પોતપોતાનાં પ્રવચનમાં સર્વધર્મ સમન્વય વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં.

ગયે વર્ષે ટોરન્ટોમાં યોજાયેલી સાતમી પાર્લામેન્ટ આૅફ રિલિજિયનની વીડિયો કેસેટ બતાવવામાં આવી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : મેડિકલ કેમ્પ

૧૪મી સપ્ટેમ્બરે આશ્રમના વિવેક હાૅલમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન-ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મેડિકલ કેમ્પમાં ભાઈઓને મુખના તથા બહેનોને મુખ, સ્તન તથા ગર્ભાશયના કેન્સરની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ તથા બી.ટી.સવાણી કીડની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી હિમોગ્લોબીન ચકાસીને લોહીની ઊણપવાળાંને હિમોગ્લોબીનની દવા નિ :શુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં આશરે ૩૦૦ જેટલાં લાભાર્થીઓની ચિકિત્સાસેવા થઈ હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : યુવસંમેલન

૧૯મી સપ્ટેમ્બરના રોજ રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજાના મુખ્ય અતિથિસ્થાને એક યુવસંમેલનનું આયોજન થયું હતું. તેમાં ૪૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને મુખ્ય અતિથિના હસ્તે દીપપ્રાકટ્યથી થયો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદે પ્રાસંગિક પ્રવચનમાં હિંદુ ધર્મના ઉદાર દૃષ્ટિકોણ અને મનુષ્યમાં રહેલ દિવ્યચેતનાની વાત સિંહ અને ઘેટાંની વાર્તા દ્વારા રજૂ કરી હતી. યુવાનોએ નિરાશાને ખંખેરીને આત્મશ્રદ્ધા કેળવવાનું આહ્‌વાન કર્યું હતું. શ્રી મનોહરસિંહજી જાડેજાએ વિદ્યાર્થી અવસ્થામાં વિવેકાનંદ સાહિત્યના વાંચનથી પોતાની કારકિર્દીમાં સફળ રહ્યા હતા તેની વાત કરીને યુવાનોને સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાચવા પ્રેર્યા હતા. રાષ્ટ્રીયકક્ષાનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર શ્રીમતી પન્નાબહેન પંડ્યાએ હિંદુધર્મ અને નારીસશક્તીકરણ વિશે મનનીય પ્રવચન આપ્યું. સ્વામી પ્રભુસેવાનંદજીએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને સ્વામી ધર્મપાલાનંદે આભારદર્શન કર્યું હતું. ભાગલેનારને ‘શિકાગો વ્યાખ્યાનો’ નામનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : નાટક-સાંસ્કૃતિક કાર્યક્રમ

૨૭મી સપ્ટેમ્બરે આશ્રમના વિવેક હાૅલમાં સાંજે ૭ :૦૦ વાગ્યે રાજકોટના સિસ્ટર નિવેદિતા વિદ્યાસંકુલ અને મા શારદા સેરેબ્રલ પાલ્સી કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલાં વ્યાખ્યાનો પર આધારિત એક નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. બન્ને સંસ્થાના બાળકોઓએ રજૂ કરેલા કાર્યક્રમને ભાવિકોએ માણ્યો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : નવરાત્રી મહોત્સવ-દુર્ગાપૂજા

૨૮મી સપ્ટેમ્બર થી ૩જી ઓક્ટોબર સુધી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૪ થી ૭ ઓક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની સ્તોત્રગાનનો કાર્યક્રમ યોજાયો હતો. ૬ ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમીપૂજાના કાર્યક્રમમાં મંગલ આરતી, વેદપાઠ, સ્તોત્રગાન, ધ્યાન, વિશેષ પૂજા અને શ્રીચંડીપાઠ, ભજન, હવન, પુષ્પાંજલી અને ભજન, ૧૨ વાગ્યે પ્રસાદ વિતરણ, સાંજે ૫ :૪૫ વાગ્યે શ્રીમા નામસંકીર્તન, ૭ વાગ્યે આરતી, ભજનકીર્તન, ૮મી ઓક્ટોબરના રોજ સંધ્યા આરતી પછી શાંતિજળના કાર્યક્રમો યોજાયા હતા. ૨૭મી ઓક્ટોબરને રવિવારે રાત્રીના ૯ થી સવારના ૪વાગ્યા સુધી શ્રીશ્રીકાલી પૂજા, હવન, ભજનકીર્તન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. ૨૮મી ઓક્ટોબરને સોમવારે બપોરે ૪વાગ્યે શ્રીમા કાલીની પ્રતિમાના વિસર્જન બાદ સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમો યોજાયો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરાનું રાહત સેવાકાર્ય

તાજેતરમાં વડોદરા અને તેની આજુબાજુના વિસ્તારમાં અતિવૃષ્ટિએ વેરેલી તારાજી દરમિયાન રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૨૩૦૦ લોકોમાં ૭૮૮૪ ફૂડપેકેટ્સ અપાયાં હતાં. આ ઉપરાંત ૧૦કિ. લોટ, ૪કિ. ચોખા, ૧.૫કિ.દાળ, ૧કિ. ખાદ્ય તેલ, મીઠું, ૨૫૦ગ્રા. ચા અને ૨૦૦ગ્રા. મસાલાવાળી રેશનકીટનું ૩૯૬ કુટુંબોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૯૨ સાડી તેમજ વડોદરા જિલ્લાની ૬ શાળાના જરૂરતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોની કીટ આપવામાં આવી હતી.

રામકૃષ્ણ મિશન, પોરબંદર : નિ :શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પ

૧૩મી સપ્ટેમ્બરના રોજ ૩૬ દર્દીઓ માટે નેત્રચિકિત્સા કેમ્પ યોજાયો હતો. તેમાંથી ૧૩ દર્દીઓનાં શિવાનંદ આઈ હોસ્પિટલ, વીરનગરમાં નિ :શુલ્ક ઓપરેશન થયાં હતાં.

આઈઆઈટી ખડકપુર અને રામકૃષ્ણ મિશન વિદ્યામંદિરની અનેરી સિદ્ધિ

પશ્ચિમ બંગાળના આઈઆઈટી ખડકપુર અને રામકૃષ્ણ મિશન વિદ્યામંદિરના અધ્યાપકોને ‘ઇન્ડિયન નેશનલ એકેડમી આૅફ એન્જિનિયરીંગ (INAE) દ્વારા ૨૦૧૯ના ‘યંગ એન્જિનિયર એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યા છે.

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.