જરાસંધ સાથે યુદ્ધ
આવો નિર્ણય કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની ભીતર એક આકર્ષક, અદ્ભુત અને દુર્ગમ નગરની રચના કરી. આ નગરની રચના અને નિર્માણ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ કર્યાં. એનું નામ દ્વારકા રાખ્યું. શ્રીકૃષ્ણે પોતાનાં બધાં સ્વજનોને દ્વારકા પહોંચાડી દીધાં અને બલરામજીને બાકીના પ્રજાજનોની રક્ષા માટે મથુરામાં રાખ્યા. પછી શ્રીકૃષ્ણ અસ્ત્રશસ્ત્ર લીધા વિના પોતાના ગળામાં કમળની માળા પહેરીને મથુરામાંથી બહાર નીકળી ગયા. કાલયવને આ પહેલાં ક્યારેય શ્રીકૃષ્ણને જોયા ન હતા. તેણે પોતાની સામે પીતાંબરધારી એક અત્યંત સુંદર કિશોરને આવતો જોયો. એમના વક્ષ :સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભતું હતું. અને ગળામાં કૌસ્તુભમણિ ઝગમગતો હતો. એમને જોઈને કાલયવને નક્કી કર્યું, ‘આ જ કૃષ્ણ છે કારણ કે નારદે જે જે લક્ષણ બતાવ્યાં હતાં- વક્ષ :સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન વગેરે એમનામાં જોવા મળતાં હતાં. તે અસ્ત્રશસ્ત્ર વિના ચાલ્યો આવે છે, એટલે હું પણ એની સાથે અસ્ત્રશસ્ત્ર વિના જ લડીશ.’ આવો નિર્ણય કરીને જ્યારે કાલયવન શ્રીકૃષ્ણની પાછળ દોડ્યો, ત્યારે શ્રીકૃષ્ણ પણ રણભૂમિ છોડીને ભાગવા માંડ્યા. ભગવાન લીલા કરતાં કરતાં દોડી રહ્યા હતા. કાલયવનને તો એમ જ લાગતું હતું કે તે હમણાં જ શ્રીકૃષ્ણને પકડી લેશે. તે પાછળથી વારંવાર આવા આક્ષેપો કરતો હતો, ‘અરે કૃષ્ણ, તમે કાયરની જેમ કેમ નાસભાગ કરો છો ? તમારા જેવા પરાક્રમી વ્યક્તિ માટે આ પ્રકારે ભાગવું યોગ્ય ન ગણાય.’ આ રીતે ભગવાન એને ઘણે દૂર એક પર્વતની ગુફામાં લઈ ગયા. શ્રીકૃષ્ણ એ ગુફામાં ઘૂસી ગયા અને એમની પાછળ કાલયવને પણ પ્રવેશ કર્યો. ગુફામાં અંધકાર હતો. શ્રીકૃષ્ણને શોધતાં શોધતાં કાલયવને એક મનુષ્યને સૂતેલો જોયો. એને જોઈને કાલયવને વિચાર્યું, ‘જુઓ તો ખરા, આ મને આટલે દૂર સુધી લઈ આવ્યો છે અને હવે આ રીતે ઊંઘે છે !’ આવું વિચારીને એ મૂઢ કાલયવને પેલા સૂતેલા વ્યક્તિને જોરથી પાટું માર્યું. આ પુરુષ ઘણા દિવસોથી સૂતો હતો. પગની એક ઠોકર લાગતાં જ તે ઊઠી ગયો અને ધીરે ધીરે તેણે પોતાની આંખો ખોલી. તેણે પોતાની સામે કાલયવનને ઊભેલો જોયો. કાલયવનને આવી રીતે ઊભેલો જોતાં જ એની દૃષ્ટિ એના પર પડી અને કાલયવનના દેહમાં આગ પ્રગટી ઊઠી. થોડી જ વારમાં કાલયવન બળીને ખાક થઈ ગયો. આ વળી કેવું રહસ્ય હતું ? એ વ્યક્તિ કોણ હતો ? અને અહીં શા માટે ઊંઘતો હતો ? આની પણ એક લાંબી કથા છે.
તેઓ ઇક્ષ્વાકુવંશી રાજા મુચુકુન્દ હતા. તેઓ પરમવીર અને ભગવાનના ભક્ત પણ ખરા. તેઓ એટલા બધા તેજસ્વી હતા કે એક વાર દેવરાજ ઇન્દ્રે અસુરોથી ભયભીત થઈને પોતાની રક્ષા કરવા રાજા મુચુકુન્દને પ્રાર્થના કરી. મુચુકુન્દે એમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને કેટલાયે દિવસો સુધી એમની રક્ષા કરી. ઘણા દિવસો પછી દેવતાઓને પોતાના સેનાપતિ રૂપે કાર્તિકેય મળી ગયા. એ વખતે રાજા મુચુકુન્દને ઇન્દ્રે વિનમ્રતાપૂર્વક કહ્યું, ‘હે રાજન ! આપે કૃપા કરીને આટલાં વર્ષો સુધી અમારી રક્ષા કરી છે. આપે અમારા માટે પોતાનું રાજ્ય અને પરિવારજનોનો પણ પરિત્યાગ કરી દીધો. જો કે મનુષ્યનું આયુષ્ય તો મર્યાદિત હોય છે, એટલે આ સમયગાળામાં આપનાં પુત્રો, રાણીઓ અને બાંધવો પરલોક સિધાવી ગયાં છે. આપની જે ઇચ્છા હોય એ વરદાન માગો.’
મુચુકુન્દ આ સાંભળીને ખૂબ નિરાશ થઈ ગયા. તેઓ ખૂબ થાકી ગયા હતા, એટલે એમણે નિદ્રાનું જ વરદાન માગ્યું અને ઉપર વર્ણવેલા પર્વતની ગુફામાં જઈને સૂઈ ગયા. ઇન્દ્રે આવું પણ કહ્યું, ‘હે રાજન ! સૂતી વખતે જો કોઈ આપને ઊંઘમાંથી જગાડી દેશે તો એ વખતે આપની નજર જગાડનાર પર પડતાં જ તે વ્યક્તિ બળીને રાખ થઈ જશે.’
કાલયવન બળીને રાખ થઈ ગયો પછી શ્રીકૃષ્ણે પરમ બુદ્ધિમાન રાજા મુચુકુન્દને પોતાનાં દર્શન કરાવ્યાં. ભગવાનનો દેહ વર્ષાકાલીન મેઘ જેવો શ્યામ હતો, ગળામાં કૌસ્તુભમણિ તથા કાનમાં ઝગમગતાં મકરાકૃતિ કુંડળ હતાં. આ એમની શોભામાં અભિવૃદ્ધિ કરતાં હતાં. એમનું મુખમંડળ અત્યંત સુંદર અને પ્રસન્નતાથી ખીલી ઊઠ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણનું અલૌકિક સૌંદર્ય જોઈને મુચુકુન્દ ચકિત થઈ ગયા. આ કોણ હોઈ શકે ? એમણે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, ‘આપ કોણ છો ? આપનું તેજ જોઈને એવું લાગે છે કે આપ સ્વયં ભગવાન નારાયણ છો. આપ સમસ્ત પ્રાણીઓના માનનીય છો. હે મહાભાગ ! આપને મારા પ્રણામ છે.’
મુચુકુન્દની ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે મુચુકુન્દ ! મારાં તો હજારો જન્મ, કર્મ અને નામ છે. એનો આદિ કે અંત નથી. આ જન્મમાં હું વસુદેવજીનો પુત્ર ‘વાસુદેવ’ કે ‘કૃષ્ણ’ છું. મેં અત્યાચારી કંસ અને અનેક અસુરોનો વિનાશ કર્યો છે. આ કાલયવન હતો કે જે મારી જ પ્રેરણાથી તમારી તીક્ષ્ણ દૃષ્ટિ પડતાં જ બળીને ભસ્મ થઈ ગયો. હું જાણતો હતો કે તમે મારી ઘણી આરાધના કરી છે અને હું તો ભક્તવત્સલ છું. એટલે હું તમારી બધી અભિલાષાઓ પૂર્ણ કરવા ઇચ્છું છું. તમે ઇચ્છો તે વરદાન માગો.’
મુચુકુન્દનાં નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. એમણે આનંદપૂર્ણ ભાવે કહ્યું, ‘હે પ્રભુ ! હું જાણું છું કે આ જગત અનિત્ય છે અને બધાં પ્રાણી આપની માયાથી મોહિત થઈ રહ્યાં છે. જેમને સંસારમાં આસક્તિ છે તેઓ આપથી વિમુખ બનીને દુ :ખકષ્ટ જ ભોગવી રહ્યાં છે. માટે હું આપની ભક્તિ સિવાય બીજું કોઈ વરદાન માગતો નથી. હું અનાદિકાળથી કર્મોનું ફળ ભોગવતાં ભોગવતાં થાકી ગયો છું. મને એક ક્ષણ માટે પણ ક્યારેય શાંતિ મળી નથી. હું આપને શરણે આવ્યો છું. મને આપનાં ચરણોની સેવા નિરંતર મળતી રહો, એ સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘હું તમારી નિષ્કામ ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું. તમારો નિશ્ચય અત્યંત પવિત્ર અને ઉચ્ચકોટિનો છે. મારી ભક્તિ કરતાં કરતાં અંતે તમે મારા વિશુદ્ધ પરમતત્ત્વને પ્રાપ્ત કરશો.’
જરાસંધ છેતરાઈ ગયો
કાલયવનનો સંહાર થયા પછી શ્રીકૃષ્ણ મથુરા પાછા ફર્યા. કાલયવનની સેનાએ અત્યાર સુધી મથુરાપુરીને ઘેરી રાખી હતી. શ્રીકૃષ્ણે એ સેનાનો સંહાર કર્યો અને એનું બધું ધન છીનવી લઈને દ્વારકા લઈ ગયા. જે સમયે આ ધન લઈ જવાતું હતુ બરાબર એ જ સમયે જરાસંધ પોતાનું વિશાળ સૈન્ય લઈને અઢારમી વારના આક્રમણ સાથે આવી ચડ્યો. શત્રુની સેનાનો પ્રબળ વેગ જોઈને શ્રીકૃષ્ણ અને બલરામજી બન્ને જાણે કે ભયભીત થઈ ગયા હોય તેમ ભાગવા લાગ્યા. વાસ્તવિક રીતે એમના મનમાં જરાય ભય ન હતો. જ્યારે જરાસંધે બન્ને ભાઈઓને ભાગતા જોયા ત્યારે તે હસવા લાગ્યો અને તેણે પોતાની સેના સાથે પીછો કર્યો. ઘણા દૂર સુધી દોડ્યા પછી બન્ને ભાઈ પ્રવર્ષણ પર્વતની પાસે પહોંચ્યા અને દોડીને પર્વત પર ચડી ગયા. જ્યારે જરાસંધે જોયું કે બન્ને ભાઈ પર્વત પર છુપાઈ ગયા છે, ત્યારે તેણે પર્વતની ચારેબાજુએ આગ લગાડી દીધી. જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે પર્વતના બધા છેડા બળવા લાગ્યા છે, ત્યારે બન્ને ભાઈ જરાસંધની સેનાના ઘેરાને ઓળંગી અત્યંત વેગે પર્વત પરથી કૂદી પડ્યા. જરાસંધ એમને જોઈ ન શક્યો. બન્ને ભાઈઓ દ્વારકા પાછા આવી ગયા. જરાસંધે વિચાર્યું કે શ્રીકૃષ્ણ અને બલરામ બળીને મરી ગયા છે, એટલે પોતાની સેનાને પાછી લઈને મગધ આવી ગયો.
Your Content Goes Here