બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા

માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા; અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ.

સમુદ્રનાં જળ ઘડીક શાંત હોય અને ઘડીકમાં ગતિમાન મોજાં બની જાય. બ્રહ્મ અને માયાનું પણ તેવું જ છે. શાંત સાગર તે બ્રહ્મ અને ઊછળતાં મોજાં તે માયા.

બ્રહ્મનો શક્તિ સાથેનો સંબંધ અગ્નિ અને એની દાહકશક્તિના સંબંધ જેવો છે.

સૃષ્ટિ માટે શિવ અને શક્તિ બંનેની જરૂર છે. સૂકી માટી વડે કોઈ કુંભાર ઘડો ન બનાવી શકે; પાણીની જરૂર પડે જ. એ રીતે શક્તિની સહાય વિના શિવ સર્જન કરી શકે નહીં.

માયા જોવાની ઇચ્છાથી, મને એક દિવસ દર્શન થયું : એક નાનું બિંદુ ધીમે ધીમે વિકસવા લાગ્યું અને એણે એક છોકરીનું રૂપ લીધું; છોકરી સ્ત્રીમાં ફેરવાઈ અને એણે એક બાળકને જન્મ આપ્યો; અને જેવું છોકરું જન્મ્યું તેવું જ એને ઊંચકીને એ ખાઈ ગઈ. આ રીતે, એને ઘણાં છોકરાં જન્મ્યાં અને એણે એ બધાં ખાધાં. ત્યારે મેં જાણ્યું કે એ માયા હતી.

પોતાની દાઢમાંના ઝેરની અસર સર્પને થતી નથી; પણ એ કરડે છે ત્યારે, જે પ્રાણીને કરડે તેના એ પ્રાણ લે છે. એ જ રીતે, ભગવાનમાં માયા છે પણ, એને કશું કરતી નથી જ્યારે, એ જ માયા જગતને મોહમાં નાખે છે.

– શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૨

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.