ગતાંકથી આગળ…

હૈદરાબાદની આ ભૂમિમાં જ, ત્રણ વરસ અગાઉ, મહાભારતના શાન્તિપર્વમાંના રાજધર્મ પરના ભીષ્મના વાર્તાલાપોનો અભ્યાસ આપણે કર્યો હતો. એ અદ્‌ભુત વિષય છે. એના સંબંધમાં, ‘લોકકલ્યાણ માટે સત્તાના ઉપયોગ’ના વિષયની ચર્ચા આપણે કરી હતી. એ વૈશ્વિક પ્રશ્ન છે. દરેક દેશમાં થોડા માણસો વધુ સત્તાવાળા અને થોડા ઓછી સત્તાવાળા હોય છે. ‘વધુ સત્તાવાળા’ લોકો કેવી રીતે વર્તે છે? દરેક દેશ-સમાજમાં એ પ્રશ્ન હોય છે. ગીતામાં શ્રીકૃષ્ણ જે ઉત્તર આપે છે અને મહાભારતમાં જે ઉત્તર સાંપડે છે તથા ચીની સંતોના બોધમાંથી જે ઉત્તર પ્રાપ્ત થાય છે તે આજને માટે અગત્યના છે. राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ જાણતા હતા.’

તમે સત્તા વાપરો એટલે તમે રાજા કહેવાઓ. રાજાએ મુકુટધારી થવાની આવશ્યકતા નથી. સત્તાનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ તે રાજા. અતિ મર્યાદિત અર્થમાં રાજા એટલે મુકુટધારી. પણ સત્તા ધારણ કરવાથી વ્યક્તિ રાજા બને છે. એને મુકુટ પહેરાવવામાં આવે છે, પણ ધારો કે એની પાસે સત્તા જ ન હોય તો એ કયા પ્રકારનો રાજા ? स राजते विराजते, પોતાના હાથમાં જે રાજકીય સત્તા છે તેના વડે એ પ્રકાશે છે. રાજા શબ્દ એ રીતે વપરાતો હતો. એટલે રાજકીય સત્તા, બૌદ્ધિક સત્તા, સર્વ પ્રકારની સત્તા બીજાઓ ઉપરની સત્તા છે. સત્તાનો અર્થ એ છે. કોઈપણ સમાજમાં સત્તા ધારણ કરી વાપરવા માટે કોઈની ને કોઈની જરૂર રહે છે. રાજ્યની પ્રાચીન ગ્રીક વિભાવના ‘Polity’, શાસન, કહેવાય છે. ગ્રીક શબ્દ ‘Polis’ એટલે નગર અને નગરમાં લોકો સમૂહમાં વસતા હોય ત્યાં ‘Polity’, શાસન, હોય. ‘લોકો સાથે કેવી રીતે રહે ? એકબીજાની સાથે લોકો વ્યવહાર કેવી રીતે કરે ? એમનું શાસન કેવી રીતે થાય અને વિદેશી આક્રમણો સામે એમના શાસનનું રક્ષણ કેવી રીતે થાય?’ પ્રાચીન કાળમાં ગ્રીક લોકોએ આ બધા પ્રશ્નો પૂરેપૂરા ચર્ચ્યા હતા. ગ્રીક નગર રાજ્યમાંથી આજના રાષ્ટ્ર રાજ્યમાં સત્તાની આ વિભાવનાને અર્વાચીન પાશ્ચાત્ય રાષ્ટ્રોએ વિકસાવી છે. અને આજે આપણે આંતરરાષ્ટ્રિય સમાજ તરફ જઈ રહ્યા છીએ. આપણે આજકાલ જોઈએ છીએ કે જગતભરમાં, માનવબાબતોની સાથે કામ પાર પાડવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ વધારે ને વધારે સત્તાધારી બનતો જાય છે. આમ, સત્તાવિભાવનાનો આ વિકાસ છે. જ્યાં એક કરતાં વધારે માણસો છે ત્યાં, સત્તાની વિભાવના આવે છે, સંચાલનનો ખ્યાલ આવે છે, વહીવટ આવે છે. એક જ વ્યક્તિ છે ત્યાં કશો પ્રશ્ન જ નથી. કોઈ વ્યક્તિ કોઈ ટાપુ પર એકલી રહેતી હોય ત્યાં બીજી વ્યક્તિ નહીં હોઈ, કોઈ પ્રશ્ન નથી. એને ગમે તે એ કરી શકે છે. પરંતુ બીજા લોકો હોય ત્યાં એકમેક વચ્ચે વાટાઘાટ જરૂરી બને છે. એ પ્રકારના સંબંધને નિયંત્રિત કરવો પડે છે. એનો અર્થ સત્તા. એટલે કાયદો, કાનૂન, ધારાઓ, વિધાનસભાઓ લોકસંસદો, આ સર્વ ચિત્રમાં આવે છે.

એટલે આપણે એક વિશાળ ગણતંત્ર હોવાની પરિસ્થિતિને લઈને ગ્રામ પંચાયતો પાસે, જિલ્લા પરિષદો પાસે, વિધાનસભાઓ પાસે અને છેલ્લે, રાષ્ટ્રિય લોકસભા પાસે અને એથીયે વિશેષ તો વિશાળ અને નિત્ય વૃદ્ધિ પામતા વહીવટી તંત્ર પાસે અપાર સત્તા છે. એટલે આપણે સૌ આજે સત્તાની હકીકતનો સ્વીકાર કરીશું જ, પણ એ સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રશ્ન સૌથી વિશેષ અગત્યનો છે.

ઘરમાં માતા કે પિતા પણ પોતાનાં બાળકો ઉપર સત્તા ચલાવે છે. એ લોકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. માતાપિતાની સત્તાના દુરુપયોગના દાખલાઓ હોય છે. એથી તો શાસનની સત્તાથી બાળકો પ્રત્યેની ક્રૂરતા અટકાવવાની આ વિભાવના રાષ્ટ્રસંઘે વિકસાવી. આમ, માતાપિતા પાસે સત્તા, શિક્ષક પાસે સત્તા, જેના અધિકાર હેઠળ કોઈક છે તે દરેક પાસે સત્તા હોય છે.

પરંતુ રાજકીય અને વહીવટદારી સત્તાનાં ક્ષેત્રોમાં લોકોના અનેક વિભાગો ઉપરની સત્તાનું એકદમ અગત્યનું પાસું હોય છે. સત્તાધારીઓના માર્ગદર્શન માટે ત્યાં જ આપણને ફિલસૂફીની આવશ્યકતા છે. એ ફિલસૂફી સત્તાધારીઓ માટે પ્રેરક ન હોય તો સત્તાધારી પાગલ થઈ જાય છે, એને સત્તાનો મદ ચડે છે. થોડીક સત્તા મળતાં કોઈ માનવીને સત્તાનો નશો કેવો ચડે છે તે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. એક વ્યક્તિ આજે સરળ અને શાણી છે; આવતીકાલે એને કોઈ સત્તાસ્થાને બેસાડવામાં આવે છે. એનું સમગ્ર રૂપ બદલાઈ જાય છે: ‘હવે હું કોણ છું તે તમે જાણતા નથી શું?’ એમ સત્તા ફૂટી નીકળે છે ! એ બતાવી આપે છે કે એ વ્યક્તિએ સત્તાને પચાવી શકી નથી. તમે સત્તાને પચાવી ન શકો ત્યારે તમને તેનો આફરો-નશો- ચડે. થોડો વધારે દારૂ પીધાથી નશો ચડે તેના જેવું એ છે. માનવચિત્તને નશીલું કરનાર સત્તા કહેવાય છે. એ સત્તા રાજકીય સત્તા હોય, બૌદ્ધિક સત્તા હોય, પૈસાની સત્તા હોય કે વંશપરંપરાગત મળેલી જાગીરદારી સત્તા હોય.

મહાભારત (૫.૩૪.૪૨)માં આ વિશે એક સુંદર શ્લોક છે :

विद्यामदो धनमदः तृतीयोऽभिजनो मदः ।
एते मदा अवलिप्तानां एत एव सतां दमाः ।।

માત્ર થોડાક શબ્દોમાં આ શ્લોકમાંથી અદ્‌ભુત સંદેશ ઊઠે છે. પહેલો મદ વિદ્યાનો, જ્ઞાનનો છે. ‘મારી પાસે જ્ઞાન છે, હું બૌદ્ધિક છું, એ તમે નથી જાણતા શુ?’ એ विद्यामदः કહેવાય છે. બીજો धनमदः છે. ‘કાલ સુધી હું ગરીબ હતો; અચાનક હું તાલેવંત બની ગયો.’ એથી મદ જન્મે છે. ત્રીજો अभिजनो मदः આવે છે – ઊંચા કુળમાં જન્મ્યા હોવાનો મદ. બીજી પંક્તિ मदा एते કહે છે, આ સઘળા મદો છે, अवलिप्तानां, ‘માત્ર अवलिप्तानां, અસંસ્કારી જનો માટે છે’. પરંતુ त एव सतां दमाः, ‘સત્પુરુષો – મહામનાઓ – માટે આ જ मदो, મદનું બહુવચન દમ બની જાય છે.’ मदનું दमમાં થતા પરિવર્તનનું સૌંદર્ય તમને માત્ર સંસ્કૃતમાં સાંપડશે. मद શબ્દને ઊંધો કરવામાં આવ્યો છે. मदનો અર્થ નશો થાય છે તો दमનો અર્થ સંપૂર્ણ આત્મનિગ્રહ થાય છે. પૂરેપૂરો આત્મસંયમ એટલે દમ. એ વ્યક્તિને બધી સત્તા પચી ગઈ છે; નશો ચડવા જેવું કશું છે જ નહીં.

રામે અને ભરતે સત્તાને કેવી પચાવી હતી તે આપણને રામાયણમાં જોવા મળે છે. त एव सतां दमाः, ‘સત્પુરુષો માટે આ જ मद दम બની જાય છે.’ માણસ જરા વધારે શરાબ પીએ કે એને નશો ચડે; પછી એ ગુરુત્વાકર્ષણ ન અનુભવે. એ સતત આમતેમ ડોલવા લાગે અને વચ્ચે વચ્ચે બીજાં નખરાં કરે તે જુદાં. કાવ્યમાં અને નાટકમાં, અનેક લોકોએ સત્તાને કેફી પીણા સાથે સરખાવી છે. આ શ્લોકમાં પણ એ ઉલ્લેખ જોવા મળે છે; પણ ગમે તેવાં આકરાં પીણાંને પણ પચાવી શકે તેવા લોકો જોવા મળે છે. એ જ રીતે અહીં, કેટલાક લોકો બધી સત્તાને પચાવી શકે છે. એ આધ્યાત્મિક પાચન છે. એ યોગથી પ્રાપ્ત થાય છે. યોગશક્તિ બધી સત્તાને પચાવવામાં સહાય કરે છે અને એ માનવીને માટે બધા પ્રકારના મદ દમ બની જાય છે. (ક્રમશ:)

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.