ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને સંન્યાસીઓ સાથે પોતાનો થોડો સમય ગાળતા. કાલીકૃષ્ણનું ગણિત ઘણું નબળું હતું અને એ વિષયથી એમને ઘણો ડર લાગતો હતો.

એક દિવસ સ્વામી રામકૃષ્ણાનંદજીએ એમના અભ્યાસનો તાગ મેળવવા કેટલીક પૂછપરછ કરી. કાલીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો, ‘સ્વામી રામકૃષ્ણાનંદજી અમારા અભ્યાસ વિશે અવારનવાર પૂછતા રહેતા. તેઓ એવું તારણ કાઢવાનો ચોક્કસ પ્રયત્ન કરતા કે અમે મઠમાં આવીએ છીએ એટલે અભ્યાસની ઉપેક્ષા કરીએ છે કે કેમ. એક દિવસ આવા પ્રશ્નો માટે મારો વારો આવી ગયો. મેં તો શરૂઆતમાં જ કહી દીધું, ‘‘તમે મારા અભ્યાસના બીજા વિષયો વિશે ગમે તે પૂછી શકો છો, પણ ગણિત વિશે ન પૂછતા. એમાં હું ઘણો નબળો છું.’’ તેમણે કહ્યું, ‘‘ઉનાળાનાં છ અઠવાડિયાંની રજાઓમાં તમે અહીં રહેવા આવી શકો છો. હું તમને એવી રીતે ગણિત વિષય શીખવીશ કે તમને એમાં નાપાસ થવાનો ડર ક્યારેય નહિ રહે.’ મેં કહ્યું કે ‘હું મારા પિતાજીને પૂછી જોઈશ.’ તેમના પિતાની રજાથી ઉનાળાની રજાઓ શરૂ થતાંવેંત કાલીકૃષ્ણ મઠમાં પુસ્તકો લઈને આવી પહોંચ્યા. હેતુ તો સ્વામી રામકૃષ્ણાનંદજીની નિશ્રામાં ગણિત વિષય શીખવાનો હતો. એમને મઠમાં જોઈને દરેકે દરેક રાજી થઈ ગયા. કાલીકૃષ્ણને પણ એવું લાગ્યું કે અંતે તે ખરેખર જેનો હતો ત્યાં આવી ગયો છે. ઝડપથી તેઓ મંદિરના કામમાં મદદ કરવી અને સાધુઓની સેવા કરવી જેવાં મઠનાં દૈનંદિન કાર્યોમાં ડૂબી ગયા. સ્વામી રામકૃષ્ણાનંદજીને સહાય કરવા માટે તેઓ તળાવમાંથી જળ લાવતા, પૂજા માટે ફૂલો વીણી લાવતા, પૂજાનાં વાસણો સાફ કરતા અને એવાં બીજાં કાર્યો કરતા. આમ કાલીકૃષ્ણનો દોઢ મહિનાનો સમય એક સ્વપ્નની જેમ પસાર થઈ ગયો. એમનાં પાઠ્યપુસ્તકો તો એમ ને એમ બાંધેલાં રહ્યાં. આ તો ખરેખર એક ગણિતનો નવો પાઠ હતો! પછી જ્યારે કોલેજ ઊઘડી ત્યારે તેમને ઘરે પાછું ફરવું પડ્યું. પરંતુ એમનું હૃદય તો વરાહનગરના એ જૂનાપુરાણા મઠના મકાનમાં જ રહ્યું.

હવે કાલીકૃષ્ણને અભ્યાસમાં ધ્યાન પરોવવું મુશ્કેલ લાગ્યું. તેમને ઘરમાં બેચેની લાગતી અને સંસારની પ્રવૃત્તિઓમાંથી એમનો રસ ઊડી ગયો. પોતાના ઘરની નજીક કેટલાક શીખોની માલિકીનો વિશાળ ઉદ્યાન હતો. ત્યાં જઈને તળાવના કિનારે તેઓ કલાકો સુધી ધ્યાન ધરતા. મોડી રાત સુધી ઘરે જાગતા અને અભ્યાસ કરવાને બદલે તેમનો સમય ધ્યાનમાં જ વિતાવતા. કાલીકૃષ્ણનાં માતાપિતા પોતાના પુત્રના જીવનમાં આવેલા ઓચિંતાના પરિવર્તનને જોઈને સચેત અને વ્યગ્ર બની ગયાં.

અંતે પિતા ત્રૈલોક્યનાથે કાલીકૃષ્ણને બોલાવ્યા અને કહ્યું, ‘કાલી, ભાઈ તારા મનમાં શું છે એ વાત મને કહે?’ આમ તો કાલીકૃષ્ણ સ્વભાવે શરમાળ હતા પણ આ વખતે એમણે જરાય ખચકાટ ન અનુભવ્યો. તેમણે વિનમ્રતાથી અને મક્કમતાથી જવાબ આપ્યો, ‘મને હવે અભ્યાસમાં જરાય રસરુચિ નથી. હવે હું મારો મોટાભાગનો સમય ઈશ્વરની અનુભૂતિ કરવા આધ્યાત્મિક ઉપાસનામાં ગાળું છું.’ ત્રૈલોક્યનાથે સ્વસ્થતા ગુમાવ્યા વિના કહ્યું, ‘ઈશ્વરનો સાક્ષાત્કાર અને સંસારી જીવન એકી સાથે ન ચાલી શકે. જો તું આ સંસારમાં સમૃદ્ધ થવા ઇચ્છતો હો તો તારે તારા અભ્યાસ પર વધારે સારી રીતે ધ્યાન એકાગ્ર કરવું જોઈએ અને જો તું ઈશ્વરની અનુભૂતિ કરવા ઇચ્છતો હો તો તારાં પ્રાણહૃદય સાથે આધ્યાત્મિક અભ્યાસ કરવો જ જોઈએ. કાળજીથી આ બન્નેમાંથી એકની પસંદગી કર. તારે કયા પથે આગળ વધવંુ એ વિશે તારે પોતે જ યોગ્ય નિર્ણય કરવો પડે. હું તને નિર્ણય લેવા માટે ત્રણ દિવસનો સમય આપું છું.’

ત્રણ દિવસ પછી કાલીકૃષ્ણે તેમના પિતાને કહ્યું, ‘મેં ઈશ્વરની અનુભૂતિ કરવાનો નિર્ણય કર્યાે છે… મારા હેતુની પ્રાપ્તિ માટે હું વરાહનગર મઠમાં જઈ શકું અને શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો સાથે રહી શકું, એ માટે આપ સહાયરૂપ બનો એમ હું વિચારું છું.’ આવો અદ્‌ભુત નિર્ણય સાંભળીને કાલીકૃષ્ણના પિતાએ કહ્યું, ‘સારું, જો તું ધર્મજીવનમાં આગળ વધવા ઇચ્છતો હો તો તારાં માતાની પરવાનગી મેળવવી આવશ્યક છે. મને તારા નિર્ણયમાં જરાય વાંધોવિરોધ નથી. ઊલટાનો હું તો મારા ચાર દીકરામાંથી જો એક ધર્મજીવન ગાળે તો રાજી થઈશ.’આ પહેલાં વર્ણવ્યું છે કે તેમનાં માતાએ પણ રાજીખુશીથી એ માટે હા ભણી હતી. આમ છતાં પણ તેમને ત્રણ દિવસ સુધી થોભવા કહ્યું. માતાની ઇચ્છાને પૂર્ણ કરીને અને માતપિતાના આશિર્વાદ મેળવીને કાલીકૃષ્ણે ગૃહત્યાગ કર્યાે અને વરાહનગર મઠમાં ગયા. કાલીકૃષ્ણનાં માતાએ એમનાં વસ્ત્રો ભગવા રંગે રંગી દીધાં. સાથે ને સાથે શ્રીરામકૃષ્ણદેવને ધરાવવા માટે અનેક પ્રકારની મીઠાઈઓ પણ બનાવી દીધી. આ વખતે કાલીકૃષ્ણની ઉંમર માત્ર ૧૭ વર્ષની હોવા છતાં પણ તેઓ યુવાન જેવા લાગતા હતા.

૧૮૯૧ની સાલ હતી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના સમય પછીથી શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ સંન્યાસી શિષ્યો સિવાય વરાહનગર મઠમાં જોડાનારા કાલીકૃષ્ણ સર્વપ્રથમ વ્યક્તિ હતા. સ્વામી પ્રેમાનંદજીએ એક વખત જે હૃદયદ્રાવક શબ્દો કાલીકૃષ્ણને લખ્યા હતા એનો ઉલ્લેખ કરવો અહીં વધારે યોગ્ય રહેશેઃ ‘કાલીકૃષ્ણ, આગળ અને આગળ, વધુ આગળ ધપતા રહો! આપણે બધાએ ઈશ્વરની પ્રાપ્તિ કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણ દેવની સમાધિ પછી વરાહનગર મઠમાં સંન્યાસ માટે જોડાનાર તમે પ્રથમ વ્યક્તિ છો. ત્યારથી માંડીને આજસુધીમાં કેટકેટલાં વર્ષાે વીતી ગયાં!’

કાલીકૃષ્ણના ત્યાગી જીવનને શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો ઘાટ આપતા હતા. તેઓ પણ ત્યાગ અને નિરાસક્તિની પ્રતિમૂર્તિસમા હતા. મંદિરની સાથે જોડાયેલી દૈનંદિનની ફરજોમાં સહાય કરવામાં તેઓ સ્વામી રામકૃષ્ણાનંદજીનો જમણો હાથ બની ગયા. આધ્યાત્મિક સાધનામાં પણ તેમણે પોતાનાં મન-પ્રાણ રેડી દીધાં. ક્યારેક એકલા તો ક્યારેક સ્વામી નિરંજનાનંદ સાથે તેઓ દક્ષિણેશ્વર જતા અને પંચવટીમાં કે શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં બેસીને ધ્યાનમાં સમય વિતાવતા. જે ભાવ અને ઉત્સાહથી તેઓ સંન્યાસીઓની સેવા કરતા તે રામકૃષ્ણ સંઘના બધા સભ્યો માટે હંમેશાં દૃષ્ટાંતરૂપ બની રહેશે.

એક વખત એમની સેવાથી ખૂબ જ પ્રભાવિત થઈને સ્વામી સારદાનંદજીએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘આ છોકરો કોણ છે કે જે મારી સેવા મારી માની માફક કરે છે?’ પછીના જીવનમાં પણ વિરજાનંદને વરાહનગર મઠમાં ગાળેલા દિવસો યાદ આવતા ત્યારે તેઓ ખૂબ લાગણીશીલ બની જતા. વરાહનગર મઠમાં જોડાયા પછી તરત જ સ્વામી નિરંજનાનંદ અને શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજા રામલાલ દાદા સાથે કાલીકૃષ્ણ બોધગયા અને ગયા વગેરેની યાત્રાએ ગયા.

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.