શ્રીકૃષ્ણ વંદના

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ।।

કંસ અને ચાણૂરનો વધ કરનાર, દેવકીનો આનંદ વધારનાર, વસુદેવના પુત્ર જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.

भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं
स्वभक्तचित्तरञ्जनं सदैवनन्दनन्दनम्।
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनङ्गरङ्गसागरं नमामिकृष्णनागरम्।।१।।

વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં પાપોનો નાશ કરનારા, પોતાના ભક્તોના ચિત્તને પ્રસન્ન કરનારા, નંદના કુમારને હું સદા ભજું છું. સુંદર મોરપીંછના મુગટવાળા, હાથમાં મધુરનાદ કરતી વાંસળીવાળા, કામ-કલાના સાગર, સર્વશ્રેષ્ઠ શ્રીકૃષ્ણને હું નમન કરું છું.

मनोजगर्वमोचनं विशाललोललोचनं
विधूतगोपशोचनं नमामि पद्मलोचनम्।
करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं
महेन्द्रमानदारणं नमामि कृष्णदुर्लभम्।।२।।

કામદેવનો ગર્વ છોડાવનાર, વિશાળ અને ચંચળ નેત્રોવાળા, ગોવાળોના શોકને દૂર કરનારા, કમળ સમાન નેત્રવાળા(શ્રીકૃષ્ણ)ને હું નમન કરું છું. કરકમળથી ગોવર્ધન ધારણ કરનારા, સ્મિતપૂર્વકના કટાક્ષોથી સુંદર, ઇન્દ્રના અભિમાનને ચીરી નાખનારા, શ્રીકૃષ્ણરૂપી ગજરાજને હું નમન કરું છું.

આપણો વારસો

अर्थानाम् अर्जने दुःखम् अर्जितानां च रक्षणे।
आये दुःखं व्यये दुःखं धिगर्थो दुःखभाजनम्।।४।।

ધનનું અર્જન કરવામાં અને અર્જિત કરેલા ધનની રક્ષા કરવામાં અત્યંત દુઃખ વેઠવું પડે છે. આવક અને જાવક બન્નેમાં દુઃખ આપવાવાળા, હે દુઃખના ભંડાર સ્વરૂપ ધન! તને ધિક્કાર છે!

अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् ।
उदार-चरितानां तु वसुधैव कुटुम्बकम्।।५।।

આ વ્યક્તિ પોતાની છે કે પારકી- એવો વિચાર સંકીર્ણ ચિત્તના લોકો જ કર્યા કરે છે, પરંતુ ઉદાર દિલવાળાઓની દૃષ્ટિમાં સંપૂર્ણ વિશ્વ એક જ પરિવાર છે.

अति परिचयाद्-अवज्ञा सन्ततगमनादनादरो भवति।
मलयेभिल्लपुरन्ध्री चन्दनतरुकाष्ठमिन्धनं कुरुते ।।६।।

અત્યંત ગાઢ પરિચયથી અનાદરનો ભાવ આવી જાય છે, વારંવાર કોઈની પાસે જવાથી અપમાન થવા લાગે છે; ઉદાહરણરૂપે મલય પર્વત પર પ્રચુર પ્રમાણમાં ચંદનનાં વૃક્ષો હોવાને લીધે આદિવાસી ભીલ-નારી તેનાં લાકડાં કાપીને ભોજન બનાવવામાં તેનો ઉપયોગ કરે છે.

अमृतं किरति हिमांशुः विषमेव फणी समुद्गिरति।
गुणमेव वक्ति साधुः दोषमसाधुः प्रकाशयति ।।७।।

જેમ ચંદ્રમા અમૃત જ વરસાવે છે અને નાગ ઝેર જ ઓકે છે, તેવી જ રીતે સજ્જન વ્યક્તિ બધાના ગુણોનું જ વર્ણન કરે છે, જ્યારે અસાધુ-દુર્જન વ્યક્તિ બધાના દોષોને જ પ્રગટ કરે છે.

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.