કેવલાદ્વૈતના આચાર્યો
અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨
કેવલાદ્વૈત જેવા કઠિન વિષયમાં પ્રવેશીને પોતાના ચિંતનમનનના પરિપાકરૂપે આવું સુંદર પુસ્તક આપીને શ્રી જસવંત કાનાબારે ગુજરાતી ભાષાની સારી સેવા કરી છે. કારણ કે ગુજરાતી ભાષામાં શાંકર વેદાન્તના પ્રસ્થાનકારોનાં જીવન અને કૃતિઓ વિશેનું લખાણ તો દુર્લભ જ છે.
આ પુસ્તકમાં કુલ ઓગણીસ પ્રકરણો છે. પહેલા પ્રકરણમાં વેદાન્તદર્શનનો સામાન્ય ખ્યાલ અપાયો છે અને બીજામાં શંકરપૂર્વ વર્તી વેદાન્તચાર્યો વિશે થોડું થોડું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજા પ્રકરણથી માંડીને ઓગણીસમા પ્રકરણ સુધી કેવલાદ્વૈતમાં વિવિધ ઉન્મેષો દર્શાવતા આચાર્યોનું ઠેઠ આદ્ય શંકરાચાર્યથી માંડીને અપય્ય દીક્ષિત સુધીનાનું – જીવન તેમ જ વેદાન્તમાં તેમણે કરેલું પ્રદાન વર્ણવાયું છે. તેમની કૃતિઓ વિશે પણ નિર્દેશ કરાયો છે. પુસ્તકની મર્યાદામાં રહીને આ બધું સુપેરે સમાવાયું છે. પુસ્તકના અંતમાં આચાર્ય પ્રસાદીરૂપે ‘સ્વરૂપ સ્મરણ’ અને ‘પ્રશ્નોત્તર રત્નમાલિકા’ એમ બે સ્તોત્રો અપાયાં છે.
કયા કયા આચાર્ય શેના શેના પ્રસ્થાનકાર છે, તે વાત, તે તે આચાર્યો વિશેના લખાણમાં કહી છે. આમ શાંકરવેદાન્તનાં મુખ્ય પ્રસ્થાનોનો ખ્યાલ પણ આનાથી વાચકને આવી શકે છે. દા.ત. ગૌડપાદાચાર્ય (શંકરાચાર્યના દાદા ગુરુ) અજાતવાદના પુરસ્કર્તા હતા, પદ્મપાદાચાર્ય – સર્વજ્ઞાત્મન્ – પ્રકાશાત્મન્ – આ ત્રણેય બિંબપ્રતિબિમ્બવાદના પ્રસ્થાપકો હતા; શ્રી સુરેશ્વરાચાર્ય આભાસવાદના પ્રસ્તોતા હતા; – શ્રી વાચસ્પતિ મિશ્ર અવચ્છેદવાદના સમર્થક હતા વગેરે. આ ઉપરાંત હસ્તામલક, તોટકાચાર્ય, હર્ષ, ચિત્સુખ, વિદ્યારણ્ય, આનંદગિરિ, મધુસૂદન સરસ્વતી, પ્રકાશાનંદ વગેરેનાં જીવન અને કૃતિઓ વિશે વ્યવસ્થિત રીતે કહેવામાં આવ્યું છે.
આ બધા આચાર્યોના જીવન – આલેખનમાં તેમને વિશે ચાલી આવતી માહિતીઓનો ઉપયોગ કર્યો છે. “મંડનમિશ્ર અને સુરેશ્વરાચાર્ય એક છે કે જુદા જુદા?” વગેરે જેવા મહત્ત્વના ઐતિહાસિક સમસ્યાઓવાળા મુદ્દાઓ ઉઠાવાયા નથી. પણ પરંપરાને જ પ્રમાણ માનીને કામ ચલાવ્યું છે.
પુસ્તક જિજ્ઞાસુઓને અને અભ્યાસીઓને માટે સાચે જ સંગ્રહણીય છે – મૂલ્ય થોડું વધુ લાગે છે. એ પુસ્તકને સર્વજનસુલભ થવામાં અવરોધે છે. પુસ્તકમાં રહી ગયેલી છાપભૂલો ખૂંચે છે, આવતી આવૃત્તિમાં એ દૂર થશે એવી આશા છે.
સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
સાભાર સ્વીકાર
એકોક્તિ: લેખક: અરવિંદ ધોળકિયા. પ્રકાશક ભદ્રાયુ અ. ધોળકિયા, “ગુલમહોર”, ૪, જગન્નાથ પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫, પૃ. ૪૦, મૂલ્ય: રૂ.૧૫
યાત્રાપથનો આલાપ: લેખક: રતુભાઈ દેસાઈ: પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલે પારલે (પૂર્વ) મુંબઈ – ૫૭, પૃ. ૨૧૧, મૂલ્ય: રૂ. ૩૫
કબીર સાહેબની સાખીઓ (ભાગ ૧): પૃ. ૫૮ કિંમત રૂ. ૧૩/- કબીર સાહેબની સાખીઓ (ભાગ ૨): પૃ. ૮૬ કિંમત રૂ. ૧૬/– કબીર સાહેબનાં ભજનો: પૃ. ૭૪ કિંમત રૂ. ૧૫/- સંપાદક: શરદકુમાર ચંદ્રકાન્ત મહેતા, અશોકકુમાર ચંદ્રકાન્ત મહેતા, પ્રકાશક: શ્રી ચંદ્રકાન્ત મણિલાલ મહેતા “સાહેબ નિલયમ્”, રાવપુરા, કોઠી ચાર રસ્તા પાસે, શાસ્ત્રીની પોળના નાકે, ગોકુળ હોટલની બાજુમાં વડોદરા – ૩૯૦૦૦૧
જન્મ મૃત્યુના રાસ: સંપાદક: રતિલાલ મહેતા, પ્રકાશક: હરિ ૐ આશ્રમ, જહાંગીરપુરા, સુરત ૩૯૫૦૦૫, દ્વિતીય આવૃત્તિ: માર્ચ ૧૯૯૦, પૃ.: ૮૪+૮, કિંમત રૂ. ૫/-
સમર્પણાંજલિ: લેખિકા: શ્રી સરોજબહેન કાંટાવાળા પ્રકાશક: હરિ ૐ આશ્રમ જહાંગીર પુરા, સુરત – ૩૯૫૦૦૫, પ્રથમ આવૃત્તિ: માર્ચ ૧૯૮૯, પૃ. ૧૨૪+૧૨, કિંમત: રૂ. પ/-
તથ્યાન્વેષણ: લેખક અને પ્રકાશક: દુદાભાઈ ગોવિંદભાઈ ધામેલિયા, શાંતા કુંજ, રાષ્ટ્રીય શાળા માર્ગ, રાજકોટ ૩૬૦૦૦૨, કિંમત રૂ. ૫૦/-
કલ્પવૃક્ષની છાયામાં: લેખક: હરેશ ધોળકિયા, પ્રકાશક: ક્રેસ્ટ એસોસિયેટ વતી, મહેન્દ્ર ચોટલિયા, એચ-૧, યુનિવર્સિટી કૉલૉની, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦, મૂલ્યઃ રૂ. ૧૫/-
Your Content Goes Here