વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે,
સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહમાયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈંયો તેનું દરશન કરતાં, કુળ ઈકોતેર તાર્યાં રે…
– નરસિંહ મહેતા
Your Content Goes Here