‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ નવો સ્તંભ પ્રારંભ કરી રહ્યા છીએ, આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.
‘ક્યારેક હું પણ ગંભીર બનું છું!’
સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં હતા ત્યારની વાત છે. પ્રવચનોના કાર્યક્રમો પછી હળવાશની પળોમાં સ્વામીજી ઘણી ગમ્મત કરતા, ક્યારેક મોટેથી હસતા. તેમનાં વિદેશી શિષ્યોની માન્યતા હતી કે ધર્મોપદેશકોએ ગંભીર રહેવું જોઈએ. એક વાર સ્વામીજીને આવી રીતે હસતા જોઇને એક મહિલાથી ન રહેવાયું. છેવટે સ્વામીજીને તેમણે પૂછ્યું, ‘સ્વામીજી, તમે ધર્મોપદેશક છો. તમારે તો ગંભીર રહેવું જોઈએ, આવી રીતે હસવું તમને છાજે છે?’ સ્વામીજીએ તરત જ રમૂજમાં ઉત્તર આપ્યો, ‘મૅડમ, એવું નથી કે હું હંમેશાં આવી રીતે આનંદ કરું છું. ક્યારેક હું પણ ગંભીર બની જાઉં છું – જ્યારે પેટમાં દુઃખે છે ત્યારે’ પછી તેમણે સમજાવ્યું, ‘આપણે આનંદસ્વરૂપ બ્રહ્મ છીએ, આનંદનાં સંતાન છીએ, આપણે ગમગીન શા માટે રહેવું જોઈએ?’
Your Content Goes Here