ડૉ. કરણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તેઓ વિવિધ બૌદ્ધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને વેદાંતનાં પ્રતિભાશાળી પ્રવક્તા છે. તેઓ આ લેખમાં થોડા અગત્યનાં અવલોકનો રજૂ કરે છે. ભૌતિક સમૃદ્ધિ માટેના નવા અને ઝડપી માર્ગો વિશ્વના રાષ્ટ્રોને રાજકીય અને ભૌતિક સ્તરે સહકાર સાધવા માટે ઝડપી પદ્ધતિઓ વિચારી કાઢવા માટે ધકેલી રહ્યા છે. છતાં, લોકોના હૃદયને નજીક લાવવાનો માર્ગ હજુ સુધી કાંટાળો રહ્યો છે. આ વિશ્વની જબરદસ્ત ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા ધ્યાનમાં લીધા વિના, લોકોને ગમે કે ન ગમે છતાં એક એકસરખી બિનસાંપ્રદાયિક (Secular) અને આર્થિક વિચારસરણી લાદવાનું પ્રલોભન જોવા મળે છે. જ્યારે બીજી બાજુએ, વેદાંતની વિચારસરણી વિશ્વના બૌદ્ધિકો સુધી હજુ પહોંચી નથી, જીવનના બધા સ્તરે વિવિધતામાં એક્તા સ્થાપવાનો માર્ગ વેદાંત સ્પષ્ટ કરે છે. અને આવી રીતે વૈશ્વિક ગામડાનો (Global village) નો આરંભ કરે છે. – સં.

ઇતિહાસમાં એવી ક્ષણ ભાગ્યે જ આવતી હોય છે જ્યારે તદ્દન સ્પષ્ટ રીતે એક યુગનો અસ્ત થતો હોય છે અને બીજા યુગનો આરંભ થતો હોય છે. આવા સમયે આપણે ભાંગી પડતા ભૂતકાળ અને અનિશ્ચિત ભવિષ્યની વચ્ચે ઊભા હોઈએ છીએ. જ્યારે પ્રસ્થાપિત માપદંડો એક પછી એક અદૃશ્ય થતા હોય અને આપણે અમાપ સમુદ્ર પર દિશાશૂન્ય જણાતા હોઈએ, ત્યારે ટકી રહેવા માટે આપણને ધીમી ગતિની જરૂર નથી પણ ચેતનામાં હનુમાન કૂદકાની જરૂર છે. પ્રસ્થાપિત ખ્યાલોને નવું સ્વરૂપ આપવાથી નહિ ચાલે પરંતુ આપણે આપણાં વલણોમાં મૂળગત ફેરફાર કરવો પડશે.

માનવજાત આજ એક એવા નિર્ણાયક તબક્કે પહોંચી છે. આ પૃથ્વી પરના તેના ઇતિહાસમાં માનવજાત ઘણાં સંક્રમણોમાંથી પસાર થઈ છે. અને તે ઇતિહાસ લાંબો અને વાંકોચૂકો છે. પરંતુ આ વખતનું સંક્રમણ સૌથી વધુ અઘરું અને સૌથી વધુ મહત્ત્વનું છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં થયેલ જ્ઞાનના વિસ્ફોટને કારણે પૃથ્વી પરના જીવનનાં બધાં પાસાંઓ આજે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.

થૉમસ માને (Thomas Mann) એક વખત કહ્યું હતું કે આ યુગમાં માણસનું નસીબ તેને રાજકારણ તરફ પાછું દોરી જાય છે. રાજકીય પ્રવૃત્તિ જાહેરજીવનનું એક અગત્યનું પાસું છે. છેલ્લી થોડી સદીઓ દરમ્યાન ‘Nation – State’ના ખ્યાલે માનવ ઇતિહાસ પર પ્રભુત્વ રાખ્યું છે. છતાં, આજે બે વિરોધાભાસી પરિબળો દ્વારા ‘Nation – State’ નો ખ્યાલ ક્ષીણ થઈ રહ્યો છે.

એક બાજુએ રાષ્ટ્રવાદના સિદ્ધાંતનો લોપ થઈ રહ્યો છે; અને યુરોપીય સમાજ (European Community) માટેની ચળવળ એ તેનો સુંદર દાખલો છે. એ આશ્ચર્યજનક બાબત છે કે યુરોપના દેશો સદીઓ સુધી એકબીજા સાથે યુદ્ધો કરતા રહ્યા છે, અને તેઓની સ્પર્ધાને કારણે વિશ્વ વારંવાર ક્રૂર યુદ્ધોમાં ધકેલાતું રહ્યું છે; છતાં, તેઓની સદીઓ જૂની દુશ્મનાવટ ભૂલી જઈને આર્થિક રીતે ટકી રહેવા માટે આ રાષ્ટ્રો પ્રથમ આર્થિક એકમ અને પછી રાજકીય એકમ (Entity) તરફ જઈ રહ્યા છે.

બીજાં પ્રાંતિય સંગઠનો પણ એ જ દિશામાં જઈ રહ્યા છે, અને સાર્ક (SAARC) સંગઠન પણ અંતે એ જ દિશામાં જશે. અત્યારે લગભગ બસો Nation-Statesની અસ્તવ્યસ્ત પરિસ્થિતિ છે, અને તે રાષ્ટ્રો આવતા થોડા દશકાઓમાં દશથી બાર પ્રાંતિય સંગઠનો બનાવવાની દિશામાં આગળ વધશે એવું ભવિષ્યદર્શન કરવું શક્ય છે. આવતી સદીના અંત પહેલાં આ પ્રાંતિય સંગઠનો કદાચ એકીકરણની દિશામાં આગળ વધે અને વિશ્વ સંઘ (Federation of the World)ની ભવિષ્યવાણી સાચી પાડે તેવું જણાય છે. અંગ્રેજ કવિ ટૅનિસને ‘માનવ સંસદ’ (Parliament of Man) ની કલ્પના કરી હતી, અને શ્રી અરવિંદે ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ લખ્યું હતું કે એકતાની ભાવના માનવજાત પર છવાઈ જશે.

બીજી બાજુએ Nation-State ને ક્ષીણ કરતું, પરિબળ પણ છે – માર્કસવાદી અને લૅનીનવાદી વિચારધારાએ પૂર્વ અને મધ્ય યુરોપમાં ઊભા કરેલા આપખુદ રાજ્યો, અને ધાર્મિક અને વંશીય ઓળખનું (Identity) નિશ્ચિત કથન. સૉવિયેટ યુનિયનનું આંતરિક વિઘટન એક ખૂબ જ અગત્યની ઘટના છે, કારણ કે તેણે એક કૃત્રિમ રાજકીય એકમને છિન્નભિન્ન કરી દીધું છે. તે કૃત્રિમ રાજકીય એકમની હાજરી વૈશ્વિક સમાજ તરફના અનિવાર્ય સંક્રમણને વિકૃત બનાવતી હતી. જ્યાં સુધી એ રાજકીય એકમ રહ્યું ત્યાં સુધી સમાજનો વિકાસ જાણે કે અટકી ગયો હતો, અને રાજકીય વિકાસના પરિબળો સ્થિર રહ્યાં હતાં. શ્રી મિખેલ ગાર્બાચેવની ભરપૂર પ્રશંસા કરવી જોઈએ કે તેમણે જબરદસ્ત લોકતાંત્રિક પરિબળોને વિમુક્ત કર્યાં, અને તે કાર્ય માટે તેમને પોતાનું પ્રમુખપદ ગુમાવવું પડ્યું પરંતુ માનવજાતના ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. હકીકતમાં સામ્યવાદનો અંત અર્વાચીન યુગ પછીના ઇતિહાસનો આરંભ સૂચવે છે, તેનો અંત નહિ, જેમ અમુક લોકો કહે છે.

યુગોસ્લેવિઆનો વિસ્ફોટ માનવ ઇતિહાસની એક નાની છતાં લોહિયાળ ઘટના છે. તે ઘટનાએ સાબિત કર્યું છે કે જો વાસ્તવિક Nation-States કટોકટીમાં હોય તો પછી કૃત્રિમ રાજકીય એકમો ટકી રહેવાની અપેક્ષા રાખી શકે નહિ. છેક ૧૯૬૭માં, હું પ્રમુખ ટીટો સાથે ભારતમાં મુસાફરી કરતો હતો. અમારી વાતચીત દરમિયાન મેં પ્રમુખ ટીટોને પૂછ્યું કે તેઓ શું એમ નથી માનતા કે યુગોસ્લેવિઆનું બંધારણ વધુ પડતું સમવાયી (Federal) છે. ને મેં શંકા વ્યક્ત કરી કરી કે તેઓના અવસાન પછી કદાચ યુગોસ્લેવિઆના ભાગલા પડી જાય. તરત તેમણે જવાબ આપ્યો- ‘જો મારા ગયા પછી દેશ વિઘટન સ્વીકારે, તો તેનું વિઘટન થવા દો.’ તેથી, અર્વાચીન યુગોસ્લેવિઆના ઘડવૈયાને ખ્યાલ હતો કે કદાચ તેમનો પ્રયોગ લાંબો સમય ન ટકે, છતાં દેશનું વિઘટન એટલું લોહિયાળ બનશે તે તેઓ આગળથી નહીં જોઈ શક્યા હોય.

સામ્યવાદના અસ્ત સાથે સૉવિયેટ યુનિયન અને યુગોસ્લેવિઆનું વિઘટન થયું તે વૈશ્વિકીકરણના સિદ્ધાંતને ખોટું નથી પાડતું. સ્પષ્ટ રીતે, જે રાષ્ટ્રીય એકમો લાંબા સમય સુધી સામ્યવાદની અસર નીચે રહ્યા હતા તેઓ તે અસરમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ કરે તે પહેલાં તેઓને સાચી સ્વતંત્રતાના સમયગાળાની જરૂર રહે છે. વધારેમાં વધારે, સામ્યવાદ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને ઢીલમાં નાખી શક્યું હોત પણ તેની દિશા ઊલટાવી શકત નહિ.

જો રાજકારા વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં હોય, તો આર્થિક પ્રવૃત્તિને રાષ્ટ્રીય સરહદોની મર્યાદા રહી નથી. આર્થિક અને નાણાં વિષયક નિર્ણયો વૈશ્વિક ધોરણે માનવજાત સામે ટકરાય છે, ખાસ કરીને, બહુરાષ્ટ્રીય નિગમોએ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં એક શક્તિશાળી નવું તત્ત્વ ઊમેર્યું છે; અને તે રાષ્ટ્રીય સરહદોના અવરોધોને વધુને વધુ ક્ષીણ બનાવશે. આર્થિક વિવશતાને કારણે પશ્ચિમ યુરોપના દેશો એકમેકની નજીક આવ્યા છે. અને વિશ્વના બીજા વિસ્તારોમાં પણ તે પરિબળ અનિવાર્ય રીતે કાર્ય કરશે. અંતવિહીન જણાતી Uruguay Round ની વાટાઘાટો પછી GATT કરાર અંતે અસ્તિત્વમાં આવ્યો અને વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સફળતાપૂર્વક તે સિદ્ધાંતનો પ્રચાર કરી રહ્યા છે કે જેને રૅગન ‘બજારના પરિબળોનો જાદુ’ (The magic of the marketplace) કહેતા હતા. આ જાદુની અસરકારકતા અર્થતંત્રના પ્રકાર પર આધાર રાખશે, પરંતુ આપણી દલીલના હેતુ માટે તે સ્પષ્ટ છે કે વિશ્વના આર્થિક સંદર્ભમાં રાષ્ટ્રીય સરહદો ઓછી અને ઓછી મહત્ત્વની થતી જાય છે. અને આવી રહેલા વૈશ્વિક સમાજ માટે તે શક્તિશાળી દાબબળ (Thrust) બને છે.

પર્યાવરણના પ્રશ્નો વૈશ્વિક છે. ૧૯૯૨ની સાલમાં રિઓ ડી જાનીરો (Rio De Janeiro) ખાતે પર્યાવરણ અને વિકાસ પર યુનોની (United Nations) ઐતિહાસિક પરિષદ મળી હતી અને વિશ્વ સમક્ષ તે હકીકત મૂકી હતી. જ્યારે વીસ વર્ષ પહેલાં સ્ટૉકહોમ ખાતે ભરાયેલી પરિષદમાં માત્ર બે જ વડા પ્રધાનોએ હાજરી આપી હતી – સ્વીડનના ઑલ્ડ પામે અને ભારતના શ્રીમતિ ઈન્દિરા ગાંધી. વીસ વર્ષના સમયગાળાએ સ્પષ્ટ કર્યું કે અમુક પ્રશ્નોના આંશિક ઉકેલો હોતા નથી. તે પ્રશ્નો છે- વૈશ્વિક તાપમાન (Global Warming) ઓઝોનનાં (Ozone) પડનું પાતળું થવું, નદી અને સમુદ્રનું પ્રદૂષણ (Pollution), Co2નો ફેલાવો (enission), પ્રાણીજીવન અને વનસ્પતિની વિવિધતા, જંગલોનો વિનાશ અને રણ પ્રદેશનો વિસ્તાર. આ કારણોએ એકસો થી વધુ રાજ્યોના વડાઓને રિયોની પરિષદમાં હાજરી આપવા માટે પ્રેર્યા. પર્યાવરણના પ્રશ્નો અને તેના ઉકેલો વૈશ્વિક પ્રકારના છે તેવી સભાનતા વધતી જાય છે. અને આ હકીકત ઝડપથી આવી રહેલા વૈશ્વિક સમાજનો સ્પષ્ટ સંકેત છે.

માનવ ઇતિહાસમાં ઘણાં સંક્રમણો જોવા મળ્યાં છે પણ વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ પહેલાંનાં સંક્રમણો કરતા ઘણું જુદું છે. સમયનું તત્ત્વ અગત્યનું છે. સમગ્ર વિશ્વને બદલી નાખનારા પાયાના ફેરફારો છેલ્લાં પચાસ વર્ષમાં થયા છે. માનવજાતની બે પેઢીઓ, કે જે હજુ જીવિત છે તેના જીવનકાળ દરમિયાન આ ફેરફારો થયા છે.

વધુ વૃક્ષો વાવવાની ચળવળો અને પર્યાવરણવાદીઓ આ નવી ચેતનાના અગ્રેસરો છે. લગભગ બે દશકાઓ પહેલાં આ ચળવળોનું મહત્ત્વ ન હતું, પરંતુ અત્યારે મહત્ત્વ વધી ગયું છે. અને દુનિયાના દેશોની સરકારોએ તેઓના મંતવ્યને ધ્યાનમાં લેવું પડે છે. સમગ્ર વિશ્વ એક જીવંત એકમ છે એવો ખ્યાલ બળવત્તર બનતો જાય છે. ધરતી માતાએ આ ચેતનાનું પાલનપોષણ કર્યું છે અને સમુદ્રના કાદવમાંથી વર્તમાન સ્થિતિ સુધી પહોંચાડી છે. ગ્રીક પ્રણાલિકામાં તેને GAIA અને હિન્દુ પ્રણાલિકામાં તેને ભવાની વસુંધરા કહેવામાં આવે છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં આ ચેતના એક શક્તિશાળી પરિબળ બની ચૂક્યું છે અને તેને વેગ મળતો જાય છે અવકાશમાંથી લીધેલો પૃથ્વીનો ફોટો ખૂબ જ સુંદર છે અને વૈશ્વિક જાગૃતિના પ્રતીક સમો છે. અરિસામાં પહેલી વખત આપણે આપણો ચહેરો જોયો હોય તેના જેવું છે. અનંત અવકાશમાં પ્રકાશ અને જીવનના એક નાના કણ જેવી પૃથ્વી જણાય છે; સુંદર છતાં નિર્બળ, વૈશ્વિક સમાજ તરફ લઈ જતા બધા પરિબળોમાં સૌથી વધુ શક્તિશાળી પરિબળ સંદેશાવ્યવહાર ક્ષેત્રે થયેલી બહુવિધ ક્રાંતિ છે. અવકાશ સંશોધન અને ઉપગ્રહ ટૅકનૉલૉજીના વિકાસને કારણે આ ક્રાંતિ શક્ય બની છે. જ્યારે યુરી ગૅગરીને અવકાશના અવરોધને તોડી નાખ્યો અને નીલ આર્મસ્ટ્રોંગે પહેલી વખત ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે તેઓ માનવ ઇતિહાસને એક નવો વળાંક આપી રહ્યા હતા. વૈજ્ઞાનિક અને ટૅકનૉલૉજિકલ સિદ્ધિઓ અદ્‌ભુત હતી. આ પૃથ્વી પરનું પ્રાણી ગુફામાંથી અવકાશ સ્ટેશન તરફ સંક્રમણ કરી શક્યું, અને તે પણ થોડા હજાર વર્ષોના ગાળામાં, તે એક ચકિત કરી દે તેવી ઘટના છે. સ્ટૅનલી ક્યુબિકનું ચલચિત્ર – 2001 A Space Odyssey – આ ઘટનાની આબેહૂબ છબી દોરે છે. આ ઘટનાના દૂરોગામી સૂચિતાર્થો ખરેખર મહત્ત્વના છે.

બીજા ઉપયોગો સિવાય અવકાશ-ઉપગ્રહના સંશોધનની મોટી અસર સંદેશાવ્યવહાર, રેડિયો અને આશ્ચર્યજનક રીતે ટૅલિવિઝનના ક્ષેત્રે છે. વર્તમાન સમયમાં કેબલ નેટવર્કસમાં થયેલા વિકાસને કારણે દુનિયાના મોટા ભાગોમાં માનવચેતના લગભગ બદલાઈ ગઈ છે. આ વિકાસને કારણે વિશ્વના કરોડો લોકો એક જ સમયે કાર્યક્રમો અને ઘટનાઓ જોઈ શકે છે. વૈશ્વિક ધોરણે માનવચેતનાનું એકત્ર થવું એ એક અપૂર્વ ઘટના છે, અને તેના પ્રભાવનું મૂલ્ય આંકવું અત્યારે અશક્ય છે.

ટેલિવિઝનનો સાંસ્કૃતિક પ્રભાવ ખૂબ જ મોટો છે. માનવ ઇતિહાસમાં પહેલી વખત એક વિશ્વ ભાષા બહાર આવી છે; તે છે English. વિશ્વ સંસ્કૃતિ માટે તે પહેલી આવશ્યકતા છે. કહેવાનો અર્થ એ નથી કે અંગ્રેજી બીજી ભાષાઓનું સ્થાન લેશે, પરંતુ, દુનિયાના ભાષાકીય અને રાષ્ટ્રીય સમૂહોની તે ઝડપથી કડીરૂપ ભાષા (Link Language) બનતી જાય છે. તેવી જ રીતે, રૉક સંગીત (Rock Music) વિશ્વ સંગીત તરીકે બહાર આવ્યું છે. યુવાન લોકો એક જ તાલ પ્રમાણે નૃત્ય કરે છે પછી તેઓ ન્યુૉર્કમાં હોય કે ન્યુદિલ્હીમાં હોય, મુંબઈમાં હોય કે બેજીંગમાં હોય, રિકજેવિકમાં હોય કે રિયો ડી જાનેરોમાં હોય. તેવી જ રીતે, જીન્સ (Jeans) યુવાન લોકો માટે વૈશ્વિક પોશાક (Uniform) બનતો જાય છે. અને કોલા પીણાં (Drinks) વૈશ્વિક પીણાં બનતાં જાય છે. આ ઉદાહરણો મૂલ્ય વિશે કોઈ ફેંસલો સૂચવતાં નથી. ઘણા લોકો બિટલ્સ (Beatles) કરતાં બિથોવનને (Beethoven) સાંભળવાનું પસંદ કરશે અને કોકા કોલા કરતાં શૅમ્પેઈન પીવું પસંદ કરશે. કહેવાનો મુદ્દો એ છે કે લોકપ્રિય ચીજો, પછી સંગીત હોય કે પીણાં હોય, વૈશ્વિક સ્તરે મહત્ત્વની બનતી જાય છે. અને આવી રીતે વૈશ્વિક સમાજનો પાયો નાખે છે.

પ્રવાસન જેટ-યુગની એક એવી ઘટના છે કે જેણે રાષ્ટ્રીય અને ભાષાકીય અવરોધોને ખૂબ જ ક્ષીણ બનાવી દીધા છે. વાર્ષિક ટર્નઓવરની દૃષ્ટિએ પ્રવાસન દુનિયાનો મોટામાં મોટો ઉદ્યોગ છે. પૅટ્રોલિયમ અને શસ્ત્રોના ઉદ્યોગ કરતાં પણ પ્રવાસન મોટો ઉદ્યોગ છે. દર વર્ષ લાખો લોકો પોતાના દેશની સરહદો છોડીને બહાર જાય છે. આ પ્રવાસન ઉદ્યોગ જૅટ ઍરલાઈનરના વિકાસથી શક્ય બન્યો છે. જૅટ ઍરલાઈનર પોતે ઍન્જિનિયરિંગ ટૅકનૉલૉજીનો ચમત્કાર છે. આ જબરદસ્ત પ્રવાસીઓનો ટ્રાફિક ભિન્ન ભિન્ન પ્રજાઓ અને ધર્મના લોકોને નજીક લાવે છે, તેમ જ ભાષાકીય અને રાષ્ટ્રીય સમૂહોને પણ નજીક લાવે છે. ચીનની મહાન દીવાલની મુલાકાત વખતે અમે એક ડઝન જે દેશના પ્રવાસીઓને મળ્યા હતા, અને ત્યાં ભિન્ન ભિન્ન ભાષાઓનો બડબડાટ સાંભળવા મળતો હતો. તાજમહેલ અને સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીના મુલાકાતીઓને એવો જ અનુભવ થતો હશે. સમગ્ર વિશ્વના દેશોમાં ભમતા આ પ્રવાસીઓ એક નવી વૈશ્વિક ચેતના તૈયાર કરી રહ્યા છે કે જે ધીમે ધીમે સમગ્ર વિશ્વને આવરી લઈ રહી છે.

આપણી સરળ અને નિશ્ચિત ધારણાઓ આંચકો પામી રહી છે. આપણી ચારે બાજુ પરિવર્તનનું તોફાન જોવા મળે છે. અને આપણને ગમે કે ન ગમે તે તોફાન આપણને એક વૈશ્વિક સંસ્કૃતિ તરફ ધકેલી રહ્યું છે. આ પ્રક્રિયાને ઓલવિન ટૉફલરે પહેલી વખત ‘Future shock’ તરીકે ગણાવી હતી.

ઍટમિક શક્તિ, જૅટ ઉડ્ડયન, ટૅલિવિઝન, કૉમ્પ્યુટર વિજ્ઞાન, રૉબોટિકસ, અવયવ ફરીરોપણી (transplant), ઉપગ્રહ ટૅકનોલૉજી, અવકાશ પ્રવાસ, જૅનૅટિક (genetic) ઍન્જિનિયરિંગ અથવા cybernetics, જેવાં ક્ષેત્રોમાં ક્રાંતિકારી વિકાસની પ્રક્રિયાઓ આપણા જીવનકાળ દરમિયાન થઈ છે. આ પરિવર્તન એટલું ઝડપી છે કે મોટા ભાગના લોકો અવાક બની ગયા હોય અને પોતાની સ્થિતિ સ્થાન વિશે અસ્પષ્ટ હોય તેવું જણાય છે. એક તરફ વૈશ્વિક સમાજ, તેના અસંખ્ય સૂચિતાર્થો સાથે, ઝડપથી સામે આવી રહ્યો છે અને બીજી તરફ લાખો લોકોના મનોવિચાર વૈશ્વિક સમાજ પહેલાંનાં વલણોમાં સ્થગિત થયેલા છે. આજે વિશ્વની વિરોધાભાસી સ્થિતિ માટે મહદ અંશે આ સમયગાળો જવાબદાર છે.

એ સ્પષ્ટ છે કે વૈશ્વિકીકરણના બધા સૂચિતાર્થો રચનાત્મક નથી. આતંકવાદ આજે વિશ્વમાં ફેલાય ગયો છે, અને જો આંતકવાદીઓના હાથમાં આણુવિક હથિયારો આવે અને તેઓ પોતાના અનિષ્ટકારી હેતુ માટે તેનો ઉપયોગ કરે તો વિશ્વ માટે ખરેખરી વિકટ પરિસ્થિતિ ઊભી થશે. માદક વસ્તુઓનો વ્યાપાર આજે એટલો ભયંકર બની ચૂક્યો છે કે તે સમાજની સ્થિરતાને ભયમાં મૂકી દે તેવું લાગે છે. અને દુનિયાના બે દેશોમાં તો આ વ્યાપાર સ્વયં રાજ્યના અસ્તિત્વને ભયમાં મૂકી દે તેવું જણાય છે. લોકોના વ્યસનમાં થયેલા ભયંકર વધારાને કારણે માદક વસ્તુઓનો વ્યાપાર અબજો ડૉલરમાં થાય છે. માદક વસ્તુઓને લગતા ગુનાઓ અનિષ્ટકારી અંધારી આલમના પ્રતીકો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની ઝાકઝમાળનો આ અંધારો પડછાયો છે અને તેની વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ નિષ્ઠુર રીતે તેની અસરો ફેલાવી રહી છે કે જેથી વિકાસ પામતા સમાજો વધુ ને વધુ તેની પકડમાં આવે.

વ્યક્તિગત અને સામૂહિક હિંસા આજે વિશ્વમાં ફેલાઈ ગઈ છે, ટૅલિવિઝન તેની આર્યજનક ક્ષમતા સાથે, લોહી થિજાવનારી હિંસા અને ત્રાસનું માધ્યમ બની જાય છે. સમગ્ર વિશ્વનાં લાખો ઘરોમાં તે દૃશ્યો પહોંચે છે. ટૅલિવિઝન પરનાં ચલચિત્રોમાં જે પ્રકારની હિંસા બતાવવામાં આવે છે તેમાં અનિષ્ટકારી ચીજો, ત્રાસ અને માનવચેતનાની વિકૃતિઓ હોય છે. આને કારણે સમગ્ર વિશ્વના લોકોની સમતુલા અને માનસિક સ્વસ્થતાને એક ગંભીર ખતરો ઊભો થયો છે. યુવાન લોકોના મન ઉપર આવી ફિલ્મોની લાંબા ગાળાની શું અસર થશે તે ભાગ્યે જ માપી શકાય. પરંતુ તદ્દન સ્પષ્ટ રીતે, વૈશ્વિક ક્રાંતિની આ એક મોટી નકારાત્મક અસર છે.

છેલ્લા દશ વર્ષમાં એઈડ્સના રોગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે, અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. જો વર્તમાન આગાહી સાચી માનીએ તો આ સદીના અંત સુધીમાં, લાખો માનવીઓ HIV વાયરસથી પીડાતા હશે, અને દર વર્ષે લાખો માણસો તેનાથી મૃત્યુ પામશે. આફ્રિકાના અમુક દેશોમાં એવો ભય સેવવામાં આવે છે કે જનસંખ્યાનો ત્રીજો ભાગ ખતમ થઈ જશે. આથી કરીને, તે દેશોની ઉત્પાદક ક્ષમતા ખોરવાઈ જશે અને આર્થિક વિકાસની યોજનાઓને મોટો ધક્કો લાગશે એઈડ્સને કારણે થતું માત્ર દુ:ખ ખરેખર એક કરુણ વૈશ્વિક બોજો છે. છેલ્લા થોડા દશકાઓ દરમ્યાન જાતીય સંબંધી ખ્યાલો બદલાઇ ગયા છે. બીજા કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ કરતા, પશ્ચિમના સમાજનો મુક્ત જાતીય વ્યવહાર (Promiscuity) ખૂબ જ ગંભીર બની ગયો છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા મારફત આ વલણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. વિડીયોઝ (Videos) દરેક ઘરમાં અશ્લિલતા પહોંચાડવાનાં માધ્યમો બની ગયા છે. એ વાત ખરી છે કે ભારતમાં પ્રખ્યાત કામસૂત્ર (Kama Sutra) હતું, પરંતુ તે પ્રવૃત્તિઓ જાહેરમાં ન હતી, આજના ટૅલિવિઝને નગ્નાવસ્થાને સાર્વત્રિક બનાવી દીધી છે.

આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને ઘણાં રચનાત્મક પાસાં છે. અને તે પાછી વાળી ન શકાય તેવી પ્રક્રિયા છે તેની એક ભયંકર અને અનિષ્ટ બાજુ પણ છે. આ નકારાત્મક પાસાંને પહોંચી વળે તેવી રચનાત્મક ચેતના આપણે નહિ વિકસાવીએ તો સમગ્ર સંક્રમણ નિષ્ફળ જશે અને અંતે આત્મઘાતક પૂરવાર થશે. જો આપણે સંક્રમણ અને રૂપાંતરની પ્રક્રિયાને આગળ ચલાવીએ તો વર્તમાન વિશ્વની પરિસ્થિતિને પતંગિયાની વિકાસયાત્રા સાથે સરખાવી શકાય. ઈયળનું પતંગિયામાં રૂપાંતર થાય તે પહેલાં તે તેના વિકાસક્રમની સુષુપ્તાવસ્થામાં હોય છે. એ અનુભવ આનંદદાયક ન હોઇ શકે. મનમાં સંકોચન અને કટોકટીની એક ભયંકર ભાવના હોવી જોઈએ, જો તે દુઃખદ પ્રક્રિયા સહન કરવામાં સફળ થાય, તો એક બેડોળ, પૃથ્વી સાથે બંધાયેલું જીવડું એક સુંદર રંગબેરંગી પતંગિયામાં રૂપાંતર પામે છે. પછી તે પતંગિયું વૃક્ષના પાદડાં પર નથી ચાલતું પણ હવામાં ઊડી શકે છે. જો આપણે વૈશ્વિકીકરણ તરફના સંક્રમણને સહીસલામત રીતે પાર પાડીએ તો આશા રાખી શકીએ કે માનવ ચેતનાનું પણ તેવું બની શકે.

માનવ ઇતિહાસની એક અતિ હિંસક અને લોહિયાળ સદીના અંત તરફ આપણે એકદમ ધસી રહ્યા છીએ. આપણી સામે આવી રહેલા વૈશ્વિક સમાજને ટકાવી રાખવા માટે માનવ ચેતનાનો કેવી રીતે વિકાસ કરવો તે મોટો પ્રશ્ન છે. આપણને વૈશ્વિક ધર્મની જરૂર છે. એવી વિચારસરણીની જરૂર છે કે જે સ્પર્ધાની જગ્યાએ સહકારને મહત્ત્વ આપે, સંઘર્ષની જગ્યાએ સુમેળને મહત્ત્વ આપે, અને મોજશોખ અને જલસાવાદની જગ્યાએ સર્વગ્રાહી જીવનને (Holism) મહત્ત્વ આપે, આના માટે આપણે માનવજાતની મહાન આધ્યાત્મિક પ્રણાલિકા તરફ વળી શકીએ. વેદાંતના અમુક વૈશ્વિક ખ્યાલો તમારી સાથે ચર્ચવા મને ગમશે. વેદાંત, ચોક્કસપણે, વિશ્વ તત્ત્વજ્ઞાનના સર્વોચ્ચ મુદ્દાઓમાંનો એક છે.

ધર્મશાસ્ત્રના પાંચ પાયાના સિદ્ધાંતો તમારી સમક્ષ મૂકવા દો. જો આ પાંચ સિદ્ધાંતોને સાથે લઈને સમજીએ તો એક સંપૂર્ણ વૈકલ્પિક વિચારધારા પૂરી પાડી શકે. આપણા વર્તમાન ખ્યાલો ખંડિત અને વિભાજિત છે. આ સિદ્ધાંતોની શરૂઆત ખૂબ જ અગત્યના સિદ્ધાંતથી થાય છે. અને તે છે દિવ્ય તત્ત્વની સર્વવ્યાપકતા. ઈશાવાસ્ય ઉપનિષદની પહેલી પંક્તિ કહે છે કે આ બ્રહ્માંડ દિવ્ય તત્ત્વથી વ્યાપ્ત છે – આ બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી નહિ પરંતુ કરોડો અને કરોડો તારામંડળો (Galaxies) આવેલા છે, તેને કોઈ સીમા નથી અને તેથી જ તેને અનંતકોટિ બ્રહ્માંડ કહ્યું. જ્યાં જ્યાં સર્જન છે, તે બધું દિવ્ય તત્ત્વથી પ્રકાશિત છે. અને આ હકીકત unified field theory નો ફિલૉસૉફિકલ correlate સૂચવે છે. આજે વૈજ્ઞાનિકો એ સિદ્ધાંતની શોધ કરી રહ્યા છે કે જે સમગ્ર ઘટના (phenomena) સમજાવી શકે. પહેલામાંથી બહાર આવતો બીજો ખ્યાલ (concept) આ છે. જો દિવ્ય તત્ત્વ સર્વવ્યાપક હોય તો તે દરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન હોવું જોઈએ. આપણા દરેકમાં દિવ્ય તત્ત્વ છે. ગુપ્ત રીતે રહેલું પણ શોધી શકાય તેવું. આ ખ્યાલ તરત જ દરેક વ્યક્તિને ગૌરવ પ્રદાન કરે છે. કારણ કે તેની ચેતના એક દિવ્ય ચિનગારીને તેનામાં સમાવિષ્ટ કરે છે. ઉપનિષદોએ માનવજાત માટે એક અદ્‌ભુત શબ્દ સમૂહનો ઉપયોગ કર્યો છે. ‘अमृतस्य पुत्रा:’ અમૃતનાં સંતાનો. આપણે માત્ર આકસ્મિક રીતે આવેલા (chance products) નથી, આપણે નસીબ દ્વારા આમ તેમ ઘકેલાતાં માત્ર પ્યાદાં નથી કે જેને પોતાના નસીબ ઘડતરમાં કોઈ અવાજ ન હોય, પરંતુ આપણે અમૃતના સંતાનો છીએ. આ ખ્યાલ અમુક રીતે લોકશાહી માટેનો પાયો છે, કારણ કે આ એકમાત્ર રાજકીય સંગઠન છે કે જેમાં, ઓછામાં ઓછું – સિદ્ધાંતમાં દરેક વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખ અને માન મળે છે. અને આ ખ્યાલમાં નાત, જાત, સ્ત્રી-પુરુષ અથવા ધર્મ, આર્થિક દરજ્જો અથવા રાષ્ટ્રીયતાનાં બંધનો આડે આવતાં નથી. વિશિષ્ટ જાતિ, વિશિષ્ટ લોકો, અથવા વિશિષ્ટ રાષ્ટ્ર એવી કોઈ બાબત વેદાંતે પ્રસ્થાપિત કરી નથી. વેદાંત સમગ્ર માનવજાતને ધ્યાનમાં લે છે, અને આપણી સમક્ષ આ મહાન સિદ્ધાંત રજૂ કરે છે કે દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે.

ત્રીજો ખ્યાલ એ છે કે દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે, ઇતિહાસના આરંભથી માનવજાતે સંઘર્ષો અને ભયંકર બનાવો જોયા છે. છતાં માનવજાત એક વિસ્તરેલું કુટુંબ છે. આપણી સંસદગૃહના પ્રથમ દરવાજા પર એક સુંદર મંત્ર લખેલો છેઃ ‘આ મારું છે, પેલું તારું છે, એ વાસ્તવિકતા તરફ જોવાનો નાનો અને સંકુચિત અભિગમ છે. ઉચ્ચતર ચેતના ધરાવતા લોકો માટે વિશ્વ એક કુટુંબ છે.’

‘વસુધૈવ કુટુંબકમ્’ આ બે શબ્દો આપણી સમક્ષ આવી રહેલા વૈશ્વિક સમાજ માટેનો મુદ્રાલેખ બનવો જોઈએ. હજારો વર્ષો પહેલાં, જ્યારે પગે ચાલીને દરરોજ થોડા માઈલ જવું તે શક્ય નહોતું, ત્યારે ઉપનિષદોના આર્ષદૃષ્ટાઓએ માનવજાતની પાયાની એકતાનું દર્શન કર્યું હતું, સમગ્ર માનવજાતનું એક કુટુંબ તરીકે, આ ભાવનાએ, ટકી શકે તેવા વૈશ્વિક સમાજને પ્રેરણા પૂરી પાડવી જોઈએ.

વેદાંતનો ચોથો ખ્યાલ બધા ધર્મોની પાયાની એકતા વિશેનો છે. ઋગ્વેદની વારંવાર ટાંકવામાં આવતી પંક્તિઓ આ પ્રમાણે છે: ‘एकं सद्विप्रा बहुधा वदन्ति’ ‘સત્ય એક છે, મહાન પુરુષો તેને ભિન્ન ભિન્ન નામથી બોલાવે છે’ અથવા મુંડક ઉપનિષદનો શ્લોક ‘જેવી રીતે નદીઓ અને ઝરણાંઓ વિશ્વના જુદા જુદા ભાગોમાંથી બહાર આવે છે પરંતુ અંતે એક જ સમુદ્રમાં ભળે છે, તેવી રીતે માનવજાતના બધા સંપ્રદાયો અને ધર્મો ભિન્ન ભિન્ન રીતે અસ્તિત્વમાં આવે છે પરંતુ અંતે એક જ લક્ષ્યને પહોંચે છે.’

હિમાલયના હિમમય પર્વતોમાં હિન્દુ ધર્મનો જન્મ થયો હતો, સાઉદી અરેબિયાના રણપ્રદેશમાં ઈસ્લામ ધર્મનો જન્મ થયો હતો. માનવ ઇતિહાસમાં ભિન્ન ભિન્ન સ્થળે અને ભિન્ન ભિન્ન સમયે બીજા ધર્મોનો જન્મ થયો છે, અને તે પણ ભિન્ન ભિન્ન આર્થિક, સામાજિક અને રાજકીય સંજોગોમાં. પરંતુ જો બધા ધર્મોમાં પ્રકૃતિદત્ત દિવ્યતા હોય, તો આખરે તે લોકો માટે ભિન્ન ન હોઈ શકે; પછી ભલે લોકોએ ભિન્ન ભિન્ન ધાર્મિક પ્રણાલિકાઓમાં જન્મ લીધો હોય.

ચોક્કસપણે દિવ્ય તત્ત્વનો અમાપ પ્રકાશ એક હજાર રીતે આવિર્ભાવ પામી શકે. જો પૃથ્વી જેવા નાના ગ્રહના રહેવાસીઓ એમ કહે કે દિવ્ય તત્ત્વ આ સમયે અને આવી રીતે જ આવિર્ભાવ પામી શકે તો તે અહંકાર કહેવાય, દિવ્ય તત્ત્વનું દરેક પ્રગટીકરણ પોતાની રીતે સાચું હોય છે. કોઈ પણ સ્વરૂપને ઉતારી પાડવાનો પ્રયત્ન નથી, પરંતુ, સ્પષ્ટ રીતે દિવ્ય તત્ત્વને પામવાના ઘણા માર્ગો છે, આધ્યાત્મિક સત્યનો એકાધિકાર ન હોઈ શકે. તેથી જો દરેક વ્યક્તિમાં રહેલી પ્રકૃતિદત્ત દિવ્યતા લોકશાહીનો પાયો હોય, તો પછી બધા ધર્મોની એકતા ધાર્મિક બહુલતાનો પાયો છે.

દરેક વ્યક્તિને દિવ્ય તત્ત્વ તરફ લઈ જવાની શક્તિ એ બધા ધર્મોનું સામાન્ય તત્ત્વ છે. જ્યાં સુધી આ સામાન્ય તત્ત્વ છે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ ક્યા ધર્મને અનુસરે છે તે મહત્ત્વનું નથી. જે ધાર્મિક પ્રણાલિકાઓ અસ્તિત્વમાં છે, વેદાંત તેનું સ્થાન ગ્રહણ કરવા નથી માગતું, પરંતુ વિશ્વની બહુવિધ ધાર્મિક પ્રણાલિકાઓ તરફ જોવાનો એક નવો દૃષ્ટિકોણ આપે છે. દરેક ધર્મ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે, દરેક ધર્મને પોતાની વિશિષ્ટ ઓળખ પણ હોવી જોઈએ, પરંતુ, વેદાંત કહે છે કે બધા ધર્મોને દિવ્ય તત્ત્વ પામવાના માર્ગો તરીકે સ્વીકારવા જોઈએ અને નહિ કે પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ તરીકે. અને જો આ બાબત સિદ્ધ કરી શકાય, તો સંવાદી વૈશ્વિક સમાજ સ્થાપવામાં મોટું પ્રદાન થશે.

બધાંનું કલ્યાણ અને બધાંનું સુખ; એ વેદાંતનો પાંચમો ખ્યાલ છે એ ભૂલભરેલી માન્યતા છે કે વેદાંત પાયાની રીતે. સંકુચિત તત્ત્વજ્ઞાન છે, વેદાંત વ્યક્તિગત મોક્ષમાં રસ લે છે, અને ગરીબાઈ, દર્દો અને આપણી આજુબાજુના વિશ્વના વાસ્તવિક પ્રશ્નોમાં રસ લેતું નથી. પરંતુ આ મંતવ્ય સાચું નથી. ઋગ્વેદ કહે છે કે આપણા જીવનનું લક્ષ્ય બેવડું છે. આત્માની મુક્તિ અને વિશ્વનું કલ્યાણ. સ્વામી વિવેકાનંદે આ મુદ્દા પર ભાર મૂક્યો છે – દરિદ્રનારાયણની સેવા, દરિદ્રોમાં રહેલો મારો ભગવાન, સ્વામીજીએ કહ્યું કે જ્યારે આપણે કોઈ દરિદ્ર વ્યક્તિને સહાય કરીએ, ત્યારે આપણે કૃતજ્ઞતાની અપેક્ષા નહીં રાખવી જોઈએ, પરંતુ તે વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે તેને સહાય કરવાની આપણને તક પૂરી પાડી છે. અને સ્વામીજીએ આગળ કહ્યું કે ભૂખ્યા માણસને ધર્મનો ઉપદેશ આપવો એ તે વ્યક્તિનું અપમાન છે. તેથી વેદાંતમાં સામાજિક કર્તવ્ય ભાવનાનો અભાવ નથી. હકીકતમાં સામાજિક કર્તવ્ય ભાવના વેદાંતના ઉપદેશના કેન્દ્ર સ્થાને છે, કારણ કે એ ઉપદેશ એ સિદ્ધાંતમાંથી બહાર આવે છે કે સમગ્ર માનવજાત દિવ્ય તત્ત્વથી વ્યાપ્ત છે; અને તેથી મનુષ્યોની સેવા એ ખરેખર ઈશ્વરની સેવા છે.

વેદાંતના આ પાંચ સિદ્ધાંતો સર્વદેશીય મહત્ત્વ ધરાવે છે; મને ખાતરી છે કે બીજી મહાન ધાર્મિક પ્રણાલિકાઓમાંથી પણ આવા સમાન વિચારો મેળવી શકાય. પરંતુ જે સ્પષ્ટતા સાથે આ સિદ્ધાંતો વેદાંતમાં મૂકવામાં આવ્યા છે તે તેના સમકાલીન સંદર્ભમાં આશ્ચર્યજનક છે, અને નવા યુગનો શ્રેષ્ઠ ધર્મ પૂરો પાડે છે.

ભાષાંતર : શ્રી સી.એમ.દવે

(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુ’૯૫માંથી સાભાર)

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.