(ગતાંકથી આગળ)

અવતારના હેતુ

‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર કાર્ય સંપન્ન કરવા માટે અભિનંદન દેવા આવ્યા. પણ નવાઈની વાત! દેવોના દેવ મહાદેવ દેખાતા નથી. છેલ્લે, શિવજી આવે છે. પણ ક્યારે? તુલસીદાસજી કહે છે કે, જ્યારે દેવતાઓ સ્તુતિ કરીને પોતપોતાનાં વિમાનો પર ચડીને ચાલ્યા ગયા ત્યારે ઉત્તમ અવસર જાણીને સુજ્ઞ ભગવાન શંકર શ્રીરામચંદ્રજી પાસે આવ્યા:

સુમન બરષિ સબ સુર ચલે
ચઢી ચઢી રુચિર વિમાન ॥
દેખી સુઅવસર પ્રભુ પહિં,
આયઉ શંભુ સુજાન ॥

(રામચરિતમાનસ : ૭/૧૯૨)

પણ આશ્ચર્યની વાત, શિવજી શ્રીરામચંદ્રજીની પ્રશંસા કરવાને બદલે હાથ જોડીને શ્રીરામને કહે છે :

મામભિરક્ષય રઘુકુલ નાયક ।
ધૃત બર ચાપ રુચિર કર સાયક ॥
મોહમહા ઘન પટલ પ્રભંજન ।
સંશય બિપિન અનલ સુરરંજન ॥
અગુન સગુન ગુન મંદિર સુંદર ।
ભ્રમ તમ પ્રબલ પ્રતાપ દિવાકર ॥
કામ ક્રોધ મદ ગજ પંચાનના ।
બસહું નિરંતર જંન મન કાનન ॥

(રામચરિતમાનસ : ૬/૧૯૪/૧-૨-૩-૪)

હે રઘુકુળના સ્વામી! સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષબાણ ધરતા આપ મારી રક્ષા કરો. આપ મહામોહરૂપી મેઘસમૂહને છિન્નભિન્ન કરનારા પ્રચંડ પવનરૂપ છો. સંશયરૂપી વનને ભસ્મ કરતા અગ્નિરૂપ છો. અને દેવોને આનંદ આપનાર છો. આપ નિર્ગુણ સગુણ દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો; ભ્રમરૂપી અંધકારનો નાશ કરતા પ્રબળ પ્રતાપી સૂર્યરૂપ છો, કામક્રોધ અને મદરૂપી હાથીઓના નાશ માટે સિંહ સમાન આપ સેવકના મનરૂપી વનમાં નિરંતર વસો.

આમ, શિવજી પણ તુલસીદાસની જેમ માને છે કે કેવળ બહારના એક રાવણના વધથી સમસ્યાઓનું સમાધાન નહિ થઈ જાય. મનમાં પઠેલ કામ, ક્રોધ, લોભ મોહરૂપી રાક્ષસોનો વધ આવશ્યક છે. આ યુગના પ્રયોજન અનુસાર પ્રભુ શ્રીરામકૃષ્ણરૂપે અવતરી પ્રણામઅસ્ત્ર લઈ દુષ્ટોનો વિનાશ કરવાને બદલે કેવી રીતે અન્તર્નિહિત દુર્ગુણોરૂપી રાક્ષસોનો વધ કરે છે. તેની ચર્ચા આપણે કરેલ છે. પણ શું આ એક જ હેતુથી ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે? ઈશ્વરના અવતારનાં કારણો અનેક હોય છે. ‘રામચરિતમાનસ’માં કહ્યું છે :

હરિ અવતાર હેતુ જેહિ હોઈ ।
ઈદમિત્થં કહિ જાઈ ન સોઈ ॥

(રામચરિતમાનસ : ૧/૧૨૯/૨)

“શ્રી હરિના અવતાર જે કારણથી થાય છે; તે ‘આમ આ જ છે’ એમ કહી શકાતું નથી.” એક તો કારણ આપણે જોયું કે, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે પ્રભુ અવતરે છે. એક બીજું કારણ છે – લીલાઆસ્વાદન. પ્રભુ લીલા પસંદ કરે છે. ભક્તો મળીને પોકારે છે. – “પ્રભુ, અમે આપનાં દર્શન કરવા માગીએ છીએ.” ભગવાન કહે છે, “સાધનાની સીડી બનાવેલી જ છે. સાધના કરી ઉપર આવો. તમને મારા દર્શન થશે.” ચતુર ભક્તો કહે છે : “અમે તો આટલા બધા છીએ. એક એક કરીને સીડી ચડીને ઉપર આવશું તો તો ઘણો સમય લાગશે. તેના કરતાં એમ કરો. તમે જ નીચે ઊતરી આવો. સીડીથી ચડી શકાય તો ઊતરી પણ શકાયને! તમે નીચે આવશો તો અમને બધાને એકી સાથે દર્શન થઈ જશે.” પ્રભુ ભક્તોની ચતુરાઈથી પ્રસન્ન થઈ તેઓની મનોવાંછા પૂર્ણ કરવા સીડીથી નીચે ઊતરે છે, દેહ ધારણ કરે છે. સંસ્કૃતમાં સીડીને ‘અવતરણિકા’ કહેવાય છે. આમ ઈશ્વર ધરતી પર અવતરે છે. અવતારનો એક અર્થ આ છે.

‘રામચરિતમાનસ’માં કથા આવે છે કે, મનુ અને શતરૂપાએ વનમાં કઠોર તપ કર્યું. ભગવાન દર્શન દઈને વર માગવાનું કહે છે. ત્યારે મનુ કહે છે :

દાનિ, સિરોમનિ કૃપાનિધિ,
નાથ કહઉ સતિભાઉ ॥
ચાહઉં તુમ્હહિ સમાન સુત,
પ્રભુ સન કવન દુરાઉં. (૭/૧૫૬)

‘હે દાનીઓના શિરોમણિ! હે કૃપાના ભંડાર! હે નાથ! સત્યભાવે હું કહું છું, હું તમારા સમાન પુત્ર ઇચ્છું છું. પ્રભુ પાસે છુપાવવાનું શું હોય?’

ભગવાન ત્યારે પ્રસન્ન થઈ વર આપે છે-

આપુ સરિસ ખોજૌ કહ જાઈ,
નૃપ તવ તનય હોબ મૈ આઈ ॥ (૧/૧૫૬/૨)

“‘एवमस्तु’ ભલે એમ થાઓ, હે રાજા! હું પોતાના સમાન બીજાને ક્યાં જઈ શોધું? માટે હું જ આવીને તમારો પુત્ર થઈશ.”

મનુ અને શતરૂપા જ્યારે દશરથ અને કૌશલ્યારૂપે જન્મ ગ્રહણ કરે છે ત્યારે પ્રભુ પોતાનું વચન પાળે છે અને તેમના પુત્રરૂપે અવતરે છે. શ્રીમદ્ ભાગવતમાં આખ્યાન આવે છે કે, પૃથ્વી પર પાપનો ભાર વધી જવાથી તે ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્મા પાસે જઈ પોતાનું દુ:ખ પ્રગટ કરે છે. અને પછી બ્રહ્મા અને દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વચન આપે છે કે, તેઓ પૃથ્વી પર અવતાર લઈ કંસ વગેરે દુષ્ટોનો વિનાશ કરી પૃથ્વીનો ભાર હળવો કરશે. શ્રીકૃષ્ણરૂપે ભગવાન અવતાર ગ્રહણ કરે છે. આમ, શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભક્તોના પોકાર સાંભળીને અવતરણ કરે છે.

પણ પ્રભુ જ્યારે શ્રીરામકૃષ્ણરૂપે અવતાર ગ્રહણ કરે છે, ત્યારે ભક્તોના આમંત્રણની રાહ નથી જોતા. અહીં તો ઊંધું જ થાય છે. ભક્ત તો કહે છે, “પ્રભુ! હું તમારી સેવા નહિ કરી શકું. તમે અમારા પુત્રરૂપે આવશો મા.” પણ પ્રભુ છતાંય તેના પુત્રરૂપે અવતરે છે. માટે એવું નથી કે ભક્તો જ ભગવાનને ચાહે છે; અવતારલીલા પસંદ કરે છે. ભગવાન પણ લીલાનું આસ્વાદન કરવા માગે છે; ભક્તોને ચાહે છે. શ્રીરામકૃષ્ણે એક વાર કહ્યું હતું, ‘મને બે હોંશ હતી. પહેલી એ કે, ભક્તોના રાજા થવું અને બીજી એ કે, સૂકા સાધુ થવું નહિ.’

અવતારના અલૌકિક જન્મ

ક્લકત્તાથી લગભગ એંસી માઇલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં એટલા લીન કે શ્રીરઘુવીરની પૂજા કર્યા પછી જ અન્ન ગ્રહણ કરે. એક વાર તેઓ કામપ્રસંગે બીજે ગામ ગયા અને ત્યાંથી પાછા ફરતી વખતે થાકી ગયા હોવાથી રસ્તામાં એક ઝાડ તળે વિસામો ખાવા બેઠા, થોડી વારમાં તો ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી સ્વપ્નમાં તેઓ જોવા લાગ્યા કે, તેમના ઇષ્ટદેવ, નવદુર્વાદળ-શ્યામતનુ ભગવાન શ્રીરામચંદ્ર જાણે દિવ્ય બાળકના વેશે તેમની સામે ઊભેલા છે. અને એક સ્થળે ચીંધીને બોલી રહ્યા છે કે, “અહીંયાં હું કેટલાય દિવસોથી સારસંભાળ વગરનો અને આહાર વિના પડી રહેલો છું. મને તારે ઘેર લઈ જા. તારી સેવા ગ્રહણ કરવાની મને ઉત્કટ અભિલાષા જાગી છે.” આવાં વચન સાંભળીને ખુદીરામ વિહ્‌વળ થઈ પ્રણામ કરીને બોલવા લાગ્યા, “પ્રભુ! હું ભક્તિહીન અને સાવ જ દરિદ્ર. મારે ઘેર આપને યોગ્ય સેવા થવી ક્યારેય સંભવિત નથી. ઊલટાનું, સેવાની ત્રુટિના અપરાધી થઈને મારે નરકમાં જવું પડે એટલે આવો અણછાજતો આગ્રહ શીદને કરી રહ્યા છો?’ તેના ઉત્તરમાં બાળક વેશધારી શ્રીરામચંદ્રે તેમને પ્રસન્ન મુખે અભયદાન આપતાં કહ્યું: “સહેજ પણ ડરવાની વાત નથી. હું ક્યારેય તારી ત્રુટિને ધ્યાનમાં નહિ લઉં. મને લઈને ચાલ.” નિદ્રાભંગ થયા પછી ખુદીરામે ઊઠીને જોયું તો સામે જ સ્વપ્નમાં જોયેલી જેવી જગ્યા દેખાઈ. ત્યાં ડાંગરના ક્યારા પાસે પહોંચતાં જ જોયું કે, એક સુંદર શાલિગ્રામની શિલા ઉપર એક ફણીધર ફેણ માંડીને બેઠેલો છે! પાસે જતાં જ સર્પ અદ્રશ્ય થઈ ગયો અને તેમણે ‘જ્ય રઘુવીર’ એમ ઉચ્ચ સ્વરે ઘોષણા સહિત શિલાને હાથમાં લીધી. શિલાનાં બધાં લક્ષણોનું નિરીક્ષણ કરીને જોયું તો સાચે જ એ ‘રઘુવીર’ નામની શિલા હતી. આનંદ અને વિસ્મયથી અધીરા ઉતાવળા તેઓ ઘેર પાછા ફર્યા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંસ્કાર કરીને પોતાના ગૃહદેવતા તરીકે પ્રતિષ્ઠા કરીને તેનું નિત્યપૂજન કરવા લાગ્યા. આમ, સામે ચાલીને પ્રભુ પોતે ભક્ત પાસે ‘રઘુવીર’ શિલારૂપે આવ્યા. આ ઘટના ઈ.સ. ૧૮૨૦ની આસપાસ બની.

આ ઘટનાનાં લગભગ ૧૬ વર્ષ પછી રઘુવીર પોતે પુત્રરૂપે દેહ ધારણ કરે છે. શ્રીરામકૃષ્ણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું : “મારા બાપુજી ગયા ગયા હતા. ત્યાં રઘુવીર સ્વપ્રમાં આવ્યા અને કહે કે, ‘હું તારો દીકરો થઈને આવું છુ.’ બાપુ બોલી ઊઠ્યા કે, ‘પ્રભુ! હું સાવ ગરીબ બ્રાહ્મણ, કેવી રીતે તમારી સેવા કરીશ?’ રઘુવીર બોલ્યા ‘એ થઈ રહેશે.’

૧૮૩૫માં ગયાધામથી ખુદીરામ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમની પત્ની ચંદ્રાદેવીમાં તેઓ અદ્ભુત પરિવર્તન જુએ છે. તેમને પણ આ ગાળામાં દિવ્ય દર્શનો થયેલાં. પતિ-પત્ની બન્ને એક મહાપુરુષના અવતરણની રાહ જુએ છે. અને ખરેખર! બધાંના આશ્ચર્યની વચ્ચે ૧૮૩૬ માં ૬૧ વર્ષની મોટી ઉંમરે અલૌકિક રીતે ખુદીરામને પુત્ર સાંપડે છે. ગદાધર વિષ્ણુની કૃપાના ફળરૂપે માની તેનું નામ ‘ગદાધર’ રાખવામાં આવે છે જેને જગત આજે રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખે છે. શ્રીરામનો જન્મ યજ્ઞમાં હોમતાં બાકી વધેલા ચારુભક્ષણથી અલૌકિક રીતે થયો હતો, શ્રીકૃષ્ણનો જન્મ પણ કંસના કારાવાસમાં દેવકીના ગર્ભમાં અલૌકિક રીતે થયેલો અને શ્રીરામકૃષ્ણનો જન્મ પણ આમ અલૌકિક રીતે થાય છે. (કમશ:)

સંદર્ભ સૂચિ

૧ શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ ૩ (૧૯૮૩) મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’ પૃ.સં.૧૩૭
૨ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ૧ (૧૯૮૭) સ્વામી સારદાનંદ પૃ.સં. ૩૩-૩૫
૩ શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ ૧ (૧૯૮૨) મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’ પૃ.સં. ૩૬૮

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.