આંધ્રપ્રદેશ વાવાઝોડા રાહતકાર્ય

રામકૃષ્ણ મિશન દ્વારા અંકલાપલ્લીની પાસે યેલામનચીલીમાં રાહત કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને આ રાહતકેન્દ્રની પાસેના સોમલિંગપાલેમ, કોટ્ટાપાલેમ અને ચાર અન્ય ગ્રામોના ૧૨૮૨ પરિવારોમાં રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા ૨૨૫૦ કિ. ચોખા અને ૪૨૭૫ ધોતિયાં, સાડી તથા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય ડૉક્ટરોની એક ટુકડી વાવાઝોડાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યું છે. બીજા ભાગોમાં પણ રાહતકાર્ય શરૂ થઈ રહ્યું છે.

રામકૃષ્ણ મઠ અને મિશનના રાજમન્દ્રી કેન્દ્ર દ્વારા ગુંટુર જિલ્લાના કારલાપાલેમ, રાપાલ્લે અને પાંડુરંગપુરમના વાવાઝોડાગ્રસ્ત લોકોમાં ૧૮૦૦૦ કિ. ચોખા, ૧૧૦૦ કિ. બટાટા, ૧૧૦૦ કિ. ડુંગળીં, ૮૦૦ કિ. મરચાં, ૮૦૦ કિ. આમલી, ૨૪૦ કિ. અથાણું અને ૯૫૦ એલ્યુમિનમ વાસણોના સેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય ક્રિષ્ણા અને ગુંટુર જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત લોકોમાં ૩૦૦૦ સાડીઓ, ૩૦૦૦ ધોતિયાં અને ૩૬૩૨ વસ્ત્રોનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આંધ્રપ્રદેશના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે મોટા પાયા પર પુનર્વસવાટનો કાર્યક્રમ પણ હાથ ધરાઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર પૂર રાહતકાર્ય

રામકૃષ્ણ મિશન દ્વારા મુંબઈ કેન્દ્રના માધ્યમથી કોલ્હાપુર જિલ્લાના વાંદુર, કાર્નુર અને સિદ્ધાનેરલી ગ્રામોમાં ૭૧ મકાનોના પુનર્નિર્માણ માટે ૬૦,૭૧૨ મેંગ્લોર ટાઈલ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

દિલ્હી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી શ્રી પી. ઉપેન્દ્રે રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રની મુલાકાત લીધી અને એક જાહેર સભામાં હિન્દી ગ્રંથ ‘પ્રબુદ્ધ નાગરિકતા’નું વિમોચન કર્યું.

મદ્રાસ

રામકૃષ્ણ મિશનની મદ્રાસ આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીએ ૧૯૯૦ની ૧૨મા ધોરણની જાહેર પરીક્ષામાં ‘એકાઉન્ટન્સી એન્ડ ઓડિટીંગ (Accountancy & Auditing) વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

આસનસોલ

રામકૃષ્ણ મિશનના આસનસોલ (પ. બંગાંળ) કેન્દ્રના સુવર્ણ જયંતી મહોત્સવનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૨૮મી એપ્રિલે કર્યું. ઔદ્યોગિક અને વિજ્ઞાન પ્રદર્શન, વક્તૃત્વસ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાહેરસભા વગેરેનું આયોજન પણ આ ઉત્સવ દરમિયાન થયું.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન, નારાયણપુરના સેક્રેટરી સ્વામી ગૌતમાનંદજીનું પ્રવચન ‘સ્વામી વિવેકાનંદનો રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે સંદેશ’ વિષય પર ૧૮મી જૂને યોજાયું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીના ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પર પ્રવચનો ૧૯મી મે, ૯મી જૂન તથા ૨૪મી જૂને યોજાયાં હતાં.

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

૧૭મી જૂનના રોજ સવારે અને સાંજે સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ પર રામકૃષ્ણ મિશન, નારાયણપુર (મ.પ્ર.)ના સેક્રેટરી સ્વામી ગૌતમાનંદજીનાં પ્રવચનો યોજ્યાં હતાં. સાંજના પ્રવચન પછી વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો. ૨૪મી જુલાઈએ યુવા સેવાભાવી ડૉક્ટરોની અને અન્ય શુભેચ્છકોની એક સભા રાખવામાં આવી હતી જેમાં એક મેડિકલ કેર સેન્ટર શરૂ કરવા વિષે ચર્ચા થઈ હતી.

બેંગ્લોરમાં બીજા શ્રીરામકૃષ્ણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ

સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી વિમલાનંદ દ્વારા સ્થાપિત અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, બાસવનગુંડીના શાખા કેન્દ્ર તરીકે ચાલતા બેંગ્લોરની નજીકના ઉત્સૂરનાં સ્વામી વિવેકાનંદ આશ્રમમાં સ્નાન પૂર્ણિમા (જ્યેષ્ઠ પૂર્ણિમા) ૮ જૂન ૧૯૯૦ શુક્રવારે રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૦૦ જેટલા વરિષ્ઠ સંન્યાસીઓ અને દૂર-સુદૂરના ૪૦૦૦ જેટલા ભક્તોની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્હસ્તે શ્રીરામકૃષ્ણ મંદિરનો સમર્પણ વિધિ થયો હતો.

આ પાવનકારી પર્વ નિમિત્તે જૂના મંદિરમાંથી નવા મંદિર સુધી સંન્યાસી ભક્તજનોનું વૈદિક મંત્રોચ્ચાર ભજન સાથે એક સરઘસ નીકળ્યું હતું. આ પાવન દિને વિશેષ પૂજા, હોમ, આરતી, વૈદિકમંત્રોચ્ચાર, સહસ્રનામ, સ્તોત્રપાઠ વગેરેનું આયોજન થયું હતું. બપોર પછી શ્રીરામકૃષ્ણદેવ વિશે હરિકથા સંત અચ્યુત દાસે રજૂ કરી હતી. સાંજની જાહેર- સભાના અધ્યક્ષસ્થાને પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી હતા. મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજે ઉપસ્થિત રહીને પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે સ્મરણિકાનો વિમોચનવિધિ કર્યો હતો. ૮ અને ૯ જૂનના કાર્યક્રમમાં સ્વામી સ્મરણાનંદજી, સ્વામી વિજ્ઞાનંદજી, સ્વામી શ્રીધરાનંદજી, સ્વામી નિશ્વાનંદજી, સ્વામી હર્ષાનંદજી અને સ્વામી દયાત્માનંદજી મુખ્ય વક્તાઓ હતા.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.