બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી થાઓ છો. અખબારોમાં નિરર્થક વાદવિવાદો અને ઝઘડાઓમાં તમારી શક્તિઓને વેડફી નાખવાને બદલે, તમારા પોતાના જ ઘરમાં જે પાપરૂપ છે તેવા કજિયાકંકાસ કરવાને બદલે, બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરો, એટલે કામ પતી જશે.
ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે માત્ર દસ હજાર વર્ષનાં Mummies (સચવાયેલાં-શબ)માત્ર જ છો! ભારતમાં જે કાંઈ ખમીર દેખાય છે, તે તો માત્ર જેમને પૂર્વજો “હાલતાં-ચાલતાં કંકાલ” કહીને ધિક્કારતા હતા, તે લોકોમાં જ છે. ખરી રીતે એ કંકાલ તો તમે પોતે જ છો… હા, માત્ર તમારાં હાડકાંની આંગળીઓમાં તમારા પૂર્વજોએ સાચવેલી અને પહેરાવેલી કેટલીક અમૂલ્ય રત્નમય મુદ્રિકાઓ તથા દુર્ગંધ મારતાં તમારાં શબનાં આલિંગનમાં ઘણી પુરાણી રત્નપેટીઓ છે… તમારા વારસોને જેમ બને તેમ જલદીથી તે બધું આપી દો અને પછી તમે પોતે શૂન્યમાં મળી જાઓ અને અદૃશ્ય થઈ જાઓ, તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો.
જ્યારે જનતા જાગશે, ત્યારે તેઓ તમારા જુલમો સમજશે, અને ત્યારે તેમની એક ફૂંકથી તમે ક્યાંય ઊડી જશો! તમારી સંસ્કૃતિ તેઓ જ લાવ્યા છે અને તેઓ જ તેને તોડી પાડશે… માટે હું કહું છું કે, આ નીચલા વર્ગના લોકોને વિદ્યા અને સંસ્કાર આપી ઊંઘમાંથી જગાડો. જ્યારે તેઓ જાગશે, અને એક દિવસ જાગવાના જ છે – ત્યારે તમારી સેવા તેઓ ભૂલશે નહિ અને તમારા ઋણી રહેશે.
– સ્વામી વિવેકાનંદ
(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ (૧૯૮૫) પૃ. સં. ૩૫-૩૬)
One Comment
Leave A Comment
Your Content Goes Here
અદ્ભૂત સંદેશ.