સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ શિવની ઉપાસના કરે છે! પણ જો તે ભગવાન શિવને માત્ર તેનાં લિંગમાં જ જુએ તો તેની ઉપાસના હજુ પ્રાથમિક ભૂમિકામાં છે, એમ સમજવું. જે મનુષ્ય ભગવાન શિવને કેવળ મંદિરોમાં જ જુએ છે તેના કરતાં જે મનુષ્ય દીન-દુખિયાંમાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વગર તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે.
જે ભગવાન શિવની સેવા કરવા ઇચ્છે છે તેણે તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ. તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે, ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે તે તેના શ્રેષ્ઠ સેવકો છે. માટે તમે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો.
એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે, ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ.’ જે એમ વિચારે છે કે, ‘બીજાઓની પહેલા હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ.’ તે મનુષ્ય સ્વાર્થી છે. નિ:સ્વાર્થ મનુષ્ય કહે છે, “હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી; વળી, જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું.” આ નિ:સ્વાર્થવૃત્તિ જ ધર્મની કસોટી છે. જેનામાં આ નિ:સ્વાર્થવૃત્તિ વધુ હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે. એ મનુષ્ય શિક્ષિત હોય કે અશિક્ષિત, તે આ જાણતો હોય કે ન જાણતો હોય, તો પણ તે બીજા કોઈ કરતાં ભગવાન શિવની વધુ નજીક છે. જો કોઈ મનુષ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાંય મંદિરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એક દીપડાની માફક પોતાની જાતને અને ટીલાંટપકાંથી શણગારતો હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો ઘણો દૂર છે.
– સ્વામી વિવેકાનંદ
(‘ભારતમાં આપેલાં ભાષણો’ પૃ. સં. ૩૪-૩૫)
Your Content Goes Here