સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે નહિ. એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ! (સૌનું હાસ્ય) સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે એની તપાસ કરવા માટે. પણ ખબર આવ્યા જ નહિ. એ જેવી ઊતરી તેવી જ ઓગળી ગઈ! પછી આવીને ખબર કોણ આપે?

વેદ-પુરાણમાં બ્રહ્મ વિશે જે કહ્યું છે તે કેવું છે, જાણો છો?

શ્રીરામકૃષ્ણઃ તો પછી વેદ, પુરાણમાં જે કહ્યું છે તે કેવું છે, જાણો છો? એ એના જેવું કે એક જણ દરિયો જોઈ આવે ને તેને જો કોઈ પૂછે કે દરિયો કેવો જોયો? તો એ માણસ મોઢું પહોળું કરીને કહેશે કે ઓહોહોહો! શું અદ્‌ભુત જોયું! શું હિલ્લોલ-કલ્લોલ!

બ્રહ્મની વાત પણ એ પ્રમાણે. વેદમાં છે—ઈશ્વર આનંદસ્વરૂપ—સચ્ચિદાનંદ. શુકદેવ વગેરેએ આ બ્રહ્મ-સાગરના તટ પર ઊભા રહીને દર્શન-સ્પર્શન કર્યું હતું. એક મત એવોય છે કે તેઓ આ સચ્ચિદાનંદ-સાગરમાં ઊતર્યા નથી. આ સાગરમાં ઊતરે તો પાછા ફરી શકાય નહિ!

સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે નહિ.

એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ! (સૌનું હાસ્ય) સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે એની તપાસ કરવા માટે. પણ ખબર આવ્યા જ નહિ. એ જેવી ઊતરી તેવી જ ઓગળી ગઈ! પછી આવીને ખબર કોણ આપે?

જેને બ્રહ્મજ્ઞાન થયું છે તે શું વાતચીત કરી શકે?

એક ભક્તઃ સમાધિસ્થ વ્યક્તિ કે જેને બ્રહ્મજ્ઞાન થયું છે તે શું વાતચીત કરે નહિ?

શ્રીરામકૃષ્ણ: શંકરાચાર્યે ઉપદેશ કરવા સારુ વિદ્યાનો ‘અહં’ રાખ્યો હતો. બ્રહ્મદર્શન થાય એટલે માણસ ચૂપ થઈ જાય. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જ તર્ક, વાદ, વિચાર એ બધું.

ઘી કાચું હોય ત્યાં સુધી જ છમછમ કરે. પાકી ગયું એટલે ઘીનો કશો અવાજ થાય નહિ. પરંતુ જ્યારે પાકા ઘીમાં કાચી પૂરી પડે, ત્યારે ફરી એકવાર છક છક છમ કરે. જ્યારે કાચી પૂરી તળાઈ જાય ત્યારે પાછું શાંત. તે જ પ્રમાણે સમાધિવાન પુરુષ લોકોને ઉપદેશ આપવા સારુ સમાધિમાંથી નીચે ઊતરી આવે, વાતો કરે.

જ્યાં સુધી મધમાખી ફૂલ પર બેસે નહિ ત્યાં સુધી ગણગણ કરે, ફૂલ પર બેસીને મધ ચૂસવા લાગે એટલે ચૂપ થઈ જાય. મધ પીને મસ્ત થયા પછી વળી ક્યારેક ગણગણ કરે.

તળાવનું પાણી ઘડામાં ભરાતી વખતે ભક્ ભક્ શબ્દ થાય. ઘડો ભરાઈને પૂર્ણ થઈ ગયા પછી શબ્દ થાય નહિ. (સૌનું હાસ્ય) પણ બીજા એક ઘડામાં જો નાખવામાં આવે તો વળી પાછો શબ્દ થાય. (હાસ્ય)

ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત કરતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાનચિંતન કરતા, રાત્રે આશ્રમમાં પાછા આવીને કંઈક ફળમૂળ ખાતા. જોવું, સાંભળવું, અડકવું વગેરે બધા વિષયોમાંથી મનને અળગું કરી રાખતા; ત્યારે જ આત્મામાં બ્રહ્મનો અનુભવ કરતા.

કલિયુગમાં અન્નગત પ્રાણ; દેહબુદ્ધિ જાય નહિ. એવી અવસ્થામાં ‘સોઽહમ્’ (હું એ ઈશ્વર) એમ કહેવું ઠીક નહિ. બધુંય કર્યે જઈએ છીએ, અને છતાં ‘હું બ્રહ્મ’ એમ બોલવું એ બરાબર નહિ. જેઓ વિષયત્યાગ કરી શકે નહિ, જેમની ‘અહંબુદ્ધિ’ કોઈ રીતે જાય નહિ, તેમને માટે ‘હું દાસ’, ‘હું ભક્ત’ એ અભિમાન સારું. ભક્તિમાર્ગે રહેવાથી પણ ઈશ્વરને પામી શકાય.

જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને વિષયબુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ બ્રહ્મને જાણી શકે; જેવી રીતે સીડીનાં પગથિયાં ચડી ચડીને અગાસીએ પહોંચી શકાય. પરંતુ જે વિજ્ઞાની, જે વિશેષરૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે તે એથીયે કંઈક વધુ અનુભવ કરે.

તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે, એ જ ઈંટ, ચૂના, અને રેતીથી પગથિયાં પણ બનેલાં છે. ‘નેતિ નેતિ’ કરી કરીને જેનો બ્રહ્મ તરીકે અનુભવ થયો છે, તે જ જીવજગત થયેલ છે. વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તે જ સગુણ.

અગાસી ઉપર લોકો બહુ વખત રહી શકે નહિ. પાછા ઊતરી આવે. જેઓએ સમાધિસ્થ થઈને બ્રહ્મદર્શન કર્યું છે તેઓ પણ ઊતરી આવીને જુએ કે એ ઈશ્વર જ જીવજગત થઈ રહ્યો છે. સા, રે, ગ, મ, પ, ધ, નિ. નિ—સૂરે વધુ વખત રહી શકાય નહિ. અહં જાય નહિ; એટલે પછી જુએ કે ઈશ્વર જ હું, ઈશ્વર જ જીવ, જગત, બધુંય થઈ રહેલ છે. એનું જ નામ વિજ્ઞાન.

જ્ઞાનીનો માર્ગ પણ એક માર્ગ, જ્ઞાનમિશ્ર ભક્તિનો માર્ગ પણ એક માર્ગ, તેમજ વળી ભક્તિનો માર્ગ પણ એક માર્ગ. જ્ઞાનયોગ પણ ખરો, ભક્તિયોગ પણ ખરો. બધા માર્ગમાંથી ઈશ્વર પાસે જઈ શકાય. ઈશ્વર જ્યાં સુધી અહં રાખી દે, ત્યાં સુધી ભક્તિમાર્ગ જ સહેલો.

વિજ્ઞાની જુએ કે બ્રહ્મ અટળ, નિષ્ક્રિય, સુમેરુવત્. આ જગત સંસાર, ઈશ્વરના સત્ત્વ, રજ, તમ, એ ત્રણ ગુણોથી થયો છે. એ પોતે અલિપ્ત. વિજ્ઞાની જુએ કે જે બ્રહ્મ, તે જ ભગવાન; જે ગુણાતીત, તે જ ષડૈશ્વર્યપૂર્ણ ભગવાન. આ જીવ-જગત, મન-બુદ્ધિ, ભક્તિ-વૈરાગ્ય-જ્ઞાન એ બધું તેમનું ઐશ્વર્ય.

(હસીને) જે શેઠને ઘરબાર હોય નહિ અથવા વેચાઈ ગયાં હોય એ શેઠ પછી શેઠ શેનો? (સૌનું હાસ્ય.) ઈશ્વર ષડૈશ્વર્યપૂર્ણ. તેને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ? (સૌનું હાસ્ય)

Total Views: 659

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.