અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક જ શબ્દ આપવાનો હોય તો આપણે ‘નિર્બળતા’ કહી શકીએ. અનિષ્ટનું પ્રેરક બળ જ નિર્બળતા છે. સ્વાર્થના મૂળમાં પણ આ નિર્બળતા જ રહેલી છે. નિર્બળતા જ અન્યને હાનિ કરવા પ્રેરે છે. લોકોને પોતાના મૂળ સ્વરૂપથી પરિચિત કરો. ‘સોઽહમ્’ ‘સોઽહમ્’ના પુનરોચ્ચારથી લોકોના આત્મસ્વરૂપને જાગ્રત કરો. ‘શક્તિ સ્વરૂપ તે હું જ છું.’ એ આદર્શનું બાળકને માતાના દૂધ સાથે જ પાન કરાવો. પ્રથમ તો ‘હું તે છું’ એનું શ્રવણ કરો, પછી એનું મનન કરો અને તમે જોશો કે જગતે ન જોયાં હોય એવાં કાર્યો એમાંથી પ્રગટશે. હિંમતપૂર્વક સત્યને જાહેર કરો. સત્યમાત્ર શાશ્વત જ હોય છે. સત્ય એ સર્વ આત્માઓની પ્રકૃતિ છે અને સત્યની કસોટી પણ આ રહી :
જે વસ્તુ તમને શારીરિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક રીતે નિર્બળ બનાવે એને ઝેર માની ફેંકી દો. એમાં જીવન સંભવી ન શકે, તે સત્ય હોઈ શકે નહિ. સત્ય એ શક્તિ છે, સત્ય એ પવિત્રતા છે, સત્ય એ પરમજ્ઞાન છે. સત્ય શક્તિપ્રદ હોય, જીવનને પ્રકાશિત કરનારું હોય, જીવનમાં પ્રાણ પૂરનારું હોય ! પ્રકાશ, બળ અને તેજનું પ્રદાન કરતી ફિલસૂફીથી ભરેલાં તમારાં ઉપનિષદો તરફ પાછાં ફરો. આ ફિલસૂફીને અપનાવો. સર્વોચ્ચ સત્યો હંમેશાં આપણાં પોતાનાં જીવન જેવાં તદ્દન સરળ જ હોય છે. ઉપનિષદનાં સત્યો તમારી પાસે જ છે. એમનો સ્વીકાર કરો, એમને જીવનમાં ઉતારો, તો પછી ભારતની મુક્તિ તમારા હાથમાં જ છે. શારીરિક નિર્બળતા એ આપણાં દુ:ખોના ઓછામાં ઓછા એક તૃતીયાંશ ભાગના કારણરૂપ છે. આપણે પ્રમાદી છીએ, આપણે સંગઠિત થઈ શકતાં નથી. પોપટની જેમ આપણે બોલ-બોલ કરીએ છીએ પણ તેનો કાર્યમાં અમલ કરતા નથી. કંઈ જ કર્યા વિના ફક્ત બડબડાટ કરવો એ તો આપણી ટેવ થઈ ગઈ છે. તેનું કારણ શું ? શારીરિક નિર્બળતા. અને આ જાતનું નિર્બળ મન કશું જ કરી શકતું નથી. આપણે મનોબળ કેળવવાની જરૂર છે. સૌ પ્રથમ આપણા જુવાનોએ બલિષ્ઠ બનવાનું છે. ધર્મ તો પછીથી પ્રવેશ કરશે. મારા યુવાન મિત્રો ! તમે બલિષ્ઠ બનો. મારી તમને આ સલાહ છે. ગીતાના પોપટિયા અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્વારા તમે પ્રભુની વધુ નજીક પહોંચી શકશો. તમારા સ્નાયુઓ અને માંસપેશીઓ જો મજબૂત હશે તો તમે ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં શક્તિની માત્રા વધશે તો તમે શ્રીકૃષ્ણની પ્રચંડ પ્રતિભા અને અલૌકિક શક્તિને પૂરેપૂરી રીતે સમજવાને સમર્થ બનશો. જ્યારે તમે તમારા પગ ઉપર દૃઢપણે ઊભા રહેશો અને પોતાની જાતનો મર્દ તરીકે અનુભવ કરશો ત્યારે તમે ઉપનિષદોને અને આત્માના મહિમાને વધુ સારી રીતે સમજી શકશો.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here