“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ પ્રોવીડન્સ, રોડ આઈલેન્ડ (યુ.એસ.એ)ના અધ્યક્ષ સ્વામી યોગાત્માનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
સપ્ટેમ્બર ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદનો ભાગ લેવો એ ઇતિહાસમાં યાદગાર બનાવ બની ગયો. જેમ જેમ સદીઓ વીતશે તેમ તેમ આ પ્રસંગનું વધુ ને વધુ મહત્ત્વ પ્રગટ થતું જશે. પરંતુ છેલ્લાં ૧૦૮ વર્ષમાં જ તેનાં ખૂબ જ મહત્ત્વનાં પરિણામો એટલાં સ્પષ્ટપણે બહાર આવ્યાં છે કે દરેકને તે નજરે ચડે.
‘ન્યુ ડીસ્કવરીઝ’ નામનાં પુસ્તકમાં સિસ્ટર ગાર્ગી એક મહત્ત્વની વાત લખે છે : ‘સ્વામીજી અહીં આવ્યા તે ભારતના લોકો માટે સહાય મેળવવા, અને અમેરિકન પ્રજાને પોતાના દેશની સાચી જરૂરિયાતો અને તેની બૌદ્ધિક સંપદા વિશે કહેવા. પરંતુ તેઓ આપવા માટે અહીં રોકાયા, અમેરિકનો માટે તેમણે જ્ઞાનનો ભંડાર ખુલ્લો મૂકી દીધો. કેમ કે કોઈ પણ પ્રકારની ભૂખ, પછી તે આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, તેને સંતુષ્ટ કર્યા સિવાય તેમને ચેન પડતું નહિ.’ પોતાના દેશ માટે સહાય માગવા સ્વામીજી અમેરિકા આવ્યા હતા, તે બાબતના અનેક પુરાવાઓ મળે છે. અમેરિકામાંથી તેમના શરૂઆતના દિવસોમાં લખાયેલ પત્રો અને તેમાંનાં વર્ણનોથી સ્પષ્ટ થાય છે કે તેઓ અહીંથી મદદ લેવા માટે આવ્યા હતા, આપવા માટે નહિ.
અને છતાં તેમણે ભારત માટે જે કંઈ લીધું તેના કરતાં અનેકગણું આપ્યું. તેમને ‘આદાન સાથે પ્રદાનનો’ નિયમ મળી આવ્યો. આપણે જોઈએ છીએ કે તેમણે ભારતીયોને પણ ‘કશુંક મેળવવા કશુંક આપવા’ કહ્યું. પૂર્વ-પશ્ચિમના સંબંધો બાબતે તેમનો પ્રધાન સૂર આ હતો : વેદાંતની અંદર રહેલા આધ્યાત્મિક જ્ઞાનની મહાન ભેટ ભારતે પશ્ચિમના જગતને આપવી; પશ્ચિમમાં આની ભૂખ છે, અને તેના બદલામાં તેણે પશ્ચિમનાં ભૌતિક વિજ્ઞાનો અને તકનીકી જ્ઞાનપ્રાપ્ત કરી ભારતના લોકોની ભૌતિક જરૂરિયાતો સંતોષવી.
પૃથ્વી પરનાં રાષ્ટ્રોમાં અમેરિકાનું ગૌરવભર્યું સ્થાન છે. અહીંથી ઘોષિત થયેલ ‘સ્વતંત્રતાના ખતપત્ર’માં સૌ માનવપ્રાણીઓના સમાન હક્કની તથા વ્યક્તિનો વંશ કે સામાજિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય, પણ સૌ માટે સમાન તકની ઘોષણા કરવામાં આવી છે. અહીં માનવ તરીકેના તેના ગૌરવનો આદર કરવામાં આવે છે. આ દેશે તમામ બાબતોમાં ભયરહિત અને સ્વતંત્રપણે વિચારને ઉત્તેજન આપ્યું છે. તેજસ્વી વૈજ્ઞાનિક બુદ્ધિશાળીઓ સાથે સખત પરિશ્રમ કરનાર હાથ જોડાયા. તેનાથી એક આશ્ચર્યકારક તકનીકી અને ઔદ્યોગિક પ્રગતિ થઈ. આથી આ યુવાન દૂરંદેશી પ્રજા દુનિયાની ટોચ પર પહોંચી ગઈ. આવી અદ્ભુત સફળતાનો જોટો દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતો નથી. આ સમૃદ્ધ દેશે ૧૮૯૩ની સાલમાં એક પ્રશંસનીય કાર્ય કર્યું. દુનિયાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર તેણે પૃથ્વીના પ્રત્યેક પ્રદેશમાંથી જુદા જુદા ડઝનેક ધર્મોના મહાપુરુષોને આમંત્રી ‘વિશ્વધર્મપરિષદ’ યોજી. આવો વિરાટ વિચાર આ મહાન પ્રજાએ કર્યો અને તેને કાર્યાન્વિત કરવા વ્યવસ્થા ગોઠવી. આવા ભવ્ય સ્તરના સમારોહનું આયોજન કરવું એ ઉત્સાહી, કુશળ અને વિશાળ મનવાળા અમેરિકનો માટે જ શક્ય હતું.
દિવ્યહક્કથી બોલતા એવા સ્વામી વિવેકાનંદે તેથી જ આ ધર્મપરિષદના અંતમાં બહુ ઉચિત રીતે જ કહ્યું: ‘આ ધર્મપરિષદે દુનિયાને જો કાંઈ પ્રદાન કર્યું હોય તો તે આ છે : તેણે સાબિત કરી આપ્યું છે કે નૈતિકતા, પવિત્રતા અને અન્યને સહાય – એ ગુણો દુનિયામાં કોઈ એક જ ધર્મના વિશિષ્ટ ગુણો નથી. દરેક ધર્મે અત્યંત ઉન્નત ચારિત્ર્યવાન પુરુષો અને સ્ત્રીઓ આપ્યાં છે.’
સ્વામી વિવેકાનંદનો વિશિષ્ટ ભાર વેદાંત પર હતો. પ્રત્યેક આત્મા દિવ્ય છે, તેના પર હતો. તેમના દ્વારા અમેરિકનોને એ મહાન સંદેશ મળ્યો કે શુદ્ધિ, અને પવિત્રતા, તેમનામાં છે જ. તેમને ફક્ત શોધી કાઢીને પ્રગટ કરવાનાં છે. તે દિવસોનાં વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા તેમના પ્રવચનના અહેવાલો દર્શાવે છે કે લાખો અમેરિકનોના મન પર, દરેક આત્મામાં રહેલી દિવ્યતાના ઉદ્બોધનની બહુ ઊંડી છાપ પડી. અત્યાર સુધી તેમને દર રવિવારે (અને અન્ય પ્રસંગોએ) દેવળોની વ્યાસપીઠ પરથી એમ જ કહેવાયું હતું કે તેઓ તો જન્મથી જ પાપી છે, તેમણે તો કાયમ તેમનાં પાપનો પશ્ચાતાપ કરવાનો રહે છે અને પ્રભુ પાસેથી સતત દયાની યાચના કરવાની રહે છે (પ્રભુના અને તેમના વચેટિયા દેવળના પાદરીઓ છે), અને તેઓ તેમ નહિ કરે તો તેઓ જરૂર નરકમાં જઈ ત્યાં કાયમ યાતનાઓ ભોગવશે. તે જ પ્રજાએ આ જોરદાર અને છતાં મધુર, હૃદયસ્પર્શી શબ્દોમાં આ વચનો સાંભળ્યાં ત્યારે તેમના પર કેવી અદ્ભુત અસર થઈ હશે : ‘શાશ્વત સુખના વારસદારો!’ – કેવું મધુર અને આશાજનક સંબોધન! – ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો – હિંદુઓ તમને ‘પાપી’ તરીકે ગણવાનો ઇન્કાર કરે છે. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે.’
અમેરિકનો માટે આ આશ્ચર્યકારક અને સૌથી મહત્ત્વની ભેટ હતી. વધતી જતી ભૌતિક સમૃદ્ધિએ દેશમાં કેટલાંય અનિષ્ટો પેદા કર્યાં હતાં. જ્યારે જીવનના સાચા ધ્યેયને પૈસા ખાતર વેંચવામાં આવે ત્યારે વર્ણવી ન શકાય તેવાં દુ:ખો, નિરાશા અને એકતલતા અનિવાર્યરૂપે આવે જ. હવે તો દરેક વિચારશીલ અમેરિકન આ બાબતે સભાન છે; કોઈ પણ વ્યક્તિ નજરે જોઈ શકે તેવા આના પુરાવા છે. તેથી આ વિશે વધુ વિસ્તારથી કહેવું બિનજરૂરી છે. અહીં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. વળી એ અત્યંત ખેદની વાત છે કે ઘણા લોકો તો માત્ર ઉત્તેજના મેળવવા કે આનંદ મેળવવા ગુનાઓ આચરે છે. માનવજાતે કદી ન વિચાર્યા હોય તેવા મહાન ઉમદા વિચારો પર સ્થપાયેલ આ બળવાન દેશમાં યુવાન અને વૃદ્ધ, ગરીબ અને તવંગર એવા અનેકોમાં દવાઓનું વ્યસન વધવા લાગ્યું. (તેની સામેના કડક શિક્ષાત્મક કાયદાઓ છતાં) માનસિક રોગીઓની ટકાવારી દુનિયામાં સૌથી વધુ અહીં છે.
સ્વામીજીએ આ બધાનો ઈલાજ બતાવ્યો : માણસના પવિત્ર, અણિશુદ્ધ અને હંમેશાં આનંદમાં રહેતા ભાગ પર ભાર મૂકીને વેદાંતની જાણીતી ઘેંટા અને સિંહની કથાનો ઉલ્લેખ કરીને, તેમણે દુનિયાભરનાં અને ખાસ તો અમેરિકાનાં, સ્ત્રી-પુરુષોને આવાહન કર્યું, ‘અરે ઓ સિંહો! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અમર આત્મા છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી, જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.’
‘આ શરીર તો તમારો દાસ છે, તમે કાંઈ તેના દાસ નથી.’ – આ ઊંડા મહત્ત્વપૂર્ણ સંદેશ તરફ વધુને વધુ અમેરિકને વળવા લાગ્યા. આધુનિક દુનિયાના વર્તણૂકની સમસ્યા અને મનના રોગના ઈલાજ તરીકે તેની પર વિચાર કરતા થયા. શરીર અને મન વચ્ચેની વિસંવાદિતા, ચેતનાના કેન્દ્રની શોધ, સાચા વ્યક્તિત્વના પ્રશ્નો – એ કાંઈ ખાલી વૈચારિક ચર્ચાના વિષયો નથી. તાત્ત્વિક ફિલસૂફીના સ્તરે તે માનવ વર્તણૂકના વ્યવહારુ પ્રશ્નો છે. વેદાંતનું એ સૂત્ર કે આપણે શરીરના સ્વામી છીએ, ગુલામ નહિ, એ આપણને શરીર અને મનને અંકુશમાં લાવવાના વ્યવહારુ ઉકેલ બતાવે છે. અને તેમને જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવાનાં સાધન પૂરાં પાડે છે. સંખ્યાબંધ મનોવિજ્ઞાનીઓ અને મગજના ચિકિત્સકોને (જેમ કે એરીક ફ્રોમ, કાર્લ પ્રીબ્રામ વગેરે) જણાયું કે ‘પહેલી મરઘી કે પહેલું ઈંડું’ જેવો ગુંચવાડાભર્યા ‘મગજ અને મનની પરસ્પર અસર’નો પ્રશ્ન આપણે આ મહાન સિદ્ધાંત દ્વારા સમજી શકીશું. પછી તો સામાન્ય ખ્રિસ્તીધર્મી જ નહિ, પણ તે ધર્મના વિવિધ સ્તરના પાદરીઓ પણ માનવમાં અંતર્નિહિત રહેલી દિવ્યતાના સિદ્ધાંતને સ્વીકારવા લાગ્યા, અને પહેલું પાપ (આદમ અને ઈવે ચાખેલ ફળનું) અને શાશ્વત નરકની વાતોને ભોંયમાં ભંડારી દીધી. મારા એક વર્ષના અમેરિકા નિવાસ દરમિયાન મને ઘણા ખ્રિસ્તી દેવળોના વરિષ્ઠ ધર્મપ્રચારકો મળ્યા છે. તેઓ હવે સ્વીકારે છે કે માનવના દિવ્ય જન્મના અને મૂળરૂપે તે શુદ્ધ હોવાના સિદ્ધાંતને સ્વીકારવો તે ‘મૂળ પાપ’ અને વારંવાર તેના વિશે પશ્ચાત્તાપ કરવા કરતાં, ફિલસૂફીની અને વ્યવહારુ એમ બંને દૃષ્ટિએ વધુ સારું છે. ખ્રિસ્તી ધર્મના વિવિધ વર્ગોના યુવાનોને પણ માણસમાં રહેલી દિવ્યતાની શક્યતા વધારે સ્વીકાર્ય અને ઉત્સાહપ્રેરક લાગી…
આ સિદ્ધાંતનું એક સ્વાભાવિક પરિણામ ‘પોતાનામાં વિશ્વાસ’ એ આવ્યું. આ પણ અમેરિકા તથા સમગ્ર માનવજાતને મળેલી કિંમતી ભેટ છે. પોતાનામાં વિશ્વાસ રાખવાની સ્વામી વિવેકાનંદની જુસ્સાદાર હિમાયત આજે પણ ઈશ્વરની નિંદા જેવી લાગે છે. તો તે વખતે તો તે ભયંકર રીતે આઘાતજનક લાગી હોવી જોઈએ. પરંતુ એક વાતની તો કોઈ ના કહી શકે તેમ નથી કે વ્યક્તિની વર્તણૂકની મનોવૈજ્ઞાનિક સમસ્યાનું મૂળ આત્મવિશ્વાસના અભાવમાં જ રહેલું છે. વળી, વિવેકાનંદના ‘આત્મવિશ્વાસ’ના વિચારમાં પ્રત્યેક વ્યક્તિમાં રહેલી દિવ્યતા પર વિશ્વાસના વિચારનો સમાવેશ થઈ જાય છે. તેથી આ વિચાર કંઈ અહંકારભરી બડાઈ હાંકવાની વાત નથી, પરંતુ તેઓ આપણને પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરના આવિર્ભાવ તરીકે આદર આપવાનું કહે છે. અમેરિકાનું ‘સ્વાતંત્ર્યનું ઘોષણાપત્ર’ પણ પ્રત્યેક વ્યક્તિના આદર પર ભાર મૂકે છે. તેના અમલનો રાહ વેદાંતના આત્મવિશ્વાસના સિદ્ધાંતમાં આવેલો છે. સ્વામી વિવેકાનંદે અમેરિકનોને વારંવાર કહ્યું છે કે ઉપનિષદના ઋષિઓ તો ભારપૂર્વક ઘોષણા કરે છે, ‘આ બધું જ ખરેખર આત્મા છે.’ ‘આજે આ વિશ્વ જે રીતનું અસ્તિત્વમાં છે તે ‘હું’ છું, અને ‘હું’ જ સતત પરિવર્તનશીલ જથ્થો છું. હું બધા ફેરફારો, અને બધા ગુણોથી પર છું, હું કાયમ માટે પૂર્ણ છું, કાયમ માટે ધન્ય છું.’ (કં.વ.એસ.વી., પૃ.૨૭૫)
આના પરથી આપણને સ્વામી વિવેકાનંદની એક વધુ ભેટ યાદ આવે છે. તે છે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સંવાદિતતા. વૈજ્ઞાનિક મન હંમેશાં આ વિશ્વની બહાર રહ્યો હોય એવા ઈશ્વરને માનવાનો ઈન્કાર કરે છે. વળી, સાચાં જ્ઞાન મેળવવા માટેનાં સ્વીકૃત સાધનો દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરી શકાતું નથી; એટલું જ નહિ, પરંતુ આવા કોઈ ઈશ્વરનો ખ્યાલ પણ તાર્કિક બુદ્ધિમાં અનેક શંકા ઊભી કરે છે. પરંતુ આત્માનો સિદ્ધાંત તો તુરત જ અનુભવી શકાય છે. તેનો ઇન્કાર કરવો અશક્ય છે. મહાન શંકરાચાર્ય કહે છે કે ‘આત્માનો ઈન્કાર કરવા માટે પણ કોઈનામાં આત્મા હોવો તો જોઈએ ને?’ સ્વામીજીએ આધુનિક દુનિયાને બતાવી આપ્યું છે કે આ આત્માની જ મૂર્તિઓ બનાવાય છે, તેને જ પૂજાય છે, અને બધા ધર્મોમાં જુદા જુદા સ્વરૂપે તેનો જ આદર થાય છે. સ્વામીજીની તર્કસંગત વાતથી તુરત વૈજ્ઞાનિકો ધર્મના વિચાર પ્રત્યે ખુલ્લા થાય છે. આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકોના કેન્દ્ર એવું અમેરિકા, સ્વામીજીની આ ભેટને બીજા કોઈ કરતાં વધુ સારી રીતે સમજી શકે. આધુનિક વિજ્ઞાન અને વેદાંત વચ્ચેની સમાનતા સ્પષ્ટ કરતું મોટા ભાગનું સાહિત્ય અમેરિકન વૈજ્ઞાનિકો તરફથી પ્રાપ્ત થયું છે. સ્વામીજી વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સેતુ બાંધી આપે છે કે જેથી બંને સમૃદ્ધ થાય. વિજ્ઞાન સમજે છે કે તેની શોધો માત્ર સાપેક્ષ સત્યોનો આવિષ્કાર કરે છે. તેઓ તો સ્થળ અને કાળ પ્રમાણે બદલાય છે; ઇન્દ્રિયો અને મન પરનો આધાર છોડ્યા વિના તે અંતિમ સત્ય શોધી ન શકે; અને ધર્મ પણ સમજે છે કે આ સાપેક્ષ ક્ષેત્રમાં તર્કનો પણ આદર કરવો જોઈએ. એ આનંદની વાત છે કે બંને ક્ષેત્રની મહત્ત્વની પ્રતિભાઓએ, માનવ વિકાસની આ બે મહત્ત્વની શાખાઓએ પણ અન્યોન્યના વિકાસમાં બંનેના મહત્ત્વના ફાળાનાં મહત્ત્વને સ્વીકાર્યું છે. વિજ્ઞાન અને ધર્મનું મિલન અને હસ્તધૂનન જેની સ્વામીજીને ખૂબ આશા હતી, એ વાસ્તવિકતા છે.
સ્વામીજીએ અમેરિકાને આપેલ અન્ય પ્રદાનોમાં ધર્મો ધર્મો વચ્ચેની સંવાદિતાનો સમાવેશ થઈ જાય છે. અમેરિકા સૌને ધર્મનું સ્વાતંત્ર્ય આપે છે અને જેમાં સંખ્યાબંધ ધર્મો પળાય છે, એ એવા બિંદુ પર આવી પહોંચ્યું છે કે જ્યાંથી તેને ધર્મપરિષદમાંના સ્વામીજીના શબ્દોની મહત્તા સમજાય છે : ‘માત્ર સહિષ્ણુતા નહિ, પરંતુ સ્વીકૃતિ;’ ‘જો એક ધર્મ સાચો હોય તો બધા ધર્મો સાચા હોવા જોઈએ.’ હવે અહીં અમેરિકામાં વિવિધ ધર્મોના અભ્યાસમાં રુચિ વધી છે. કેટલાક ધર્માંધ અને ધર્મઝનૂની પાદરીઓ ભલે ગમે તે કહેતા હોય. સામાન્ય અમેરિકન હવે ધર્મોનું વૈવિધ્ય અને તેમના તરફ આદર કરતો થયો છે. એક જ ધર્મમાં પ્રભુ હોવાના ગઈકાલના દાવા ઇતિહાસની વાત બની ગઈ છે એ આનંદની બાબત છે. રોડ આઈલેન્ડમાં આવેલા યહૂદીઓના નૂતન દેવળના ‘રબ્બી’ (મુખ્ય પાદરી)ના ‘ધી પ્રોવીડન્સી જર્નલ’ નામના સામયિકમાં કેટલાક સમય પહેલાં છપાયેલા એક સુંદર લેખમાંથી હું અહીં અવતરણો આપું છું: ‘કોઈ એક ધર્મ પાસે પૂરું સત્ય નથી; તેથી ધર્મ ધર્મ વચ્ચેનો સંવાદ એ કાંઈ એવી ચર્ચા નથી કે જેમાં એક જૂથ તેના હરિફ જૂથ પર જીત મેળવે. સાચી ચર્ચામાં તો જેમણે પ્રભુ-પ્રત્યે જુદો પંથ લીધો છે તેમને પણ સહાનુભૂતિપૂર્વક સાંભળવાની તૈયારી હોય અને તેઓની હકીકતો પરત્વે ખુલ્લાપણું હોય.’ આના પરથી આજના આમ અમેરિકનની લાગણીઓનો સાર આવી જાય છે. અને તેઓ જાણે કે ન જાણે (ઘણા એ નથી જાણતા એ કમનસીબી છે) કે આ સમજણ પણ વિવેકાનંદે આપેલી ભેટ છે.
દુનિયાની તમામ સભ્યતાઓ જ્યાં એકઠી થઈ છે તેવું અમેરિકા વિવેકાનંદ પાસેથી શીખ્યું છે કે પોતાથી ભિન્ન સંસ્કૃતિમાંથી આવતા લોકોમાં પણ ખૂબ ખૂબ માનવીય મૂલ્યો હોય છે અને તે તેમને પ્રિય હોય છે. વિવેકાનંદ દ્વારા અમેરિકાને એ જાણ થઈ કે ભારતમાં વિવિધ રીતરિવાજો હોવા છતાં, ભારત પાસે સર્વોત્તમ જ્ઞાન ધરાવનાર મહાન પુરુષો છે અને માનવીય મૂલ્યો પણ છે. તેમના પ્રવચનોના તે વખતનાં વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા અહેવાલોમાં આશ્ચર્ય વ્યક્ત થયું છે કે એક ભારતીય હોવા છતાં તેમનામાં આવું અદ્ભુત જ્ઞાન છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે મહાનતા એ કોઈ એક દેશ કે સંસ્કૃતિનો જ અલાયદો વારસો નથી, તે સ્વીકારતાં આપણે શીખવું પડશે.
વિવેકાનંદે અમેરિકાને આપેલ ઘણા પ્રદાનનાં પેકેટ હજુ તો પૂરેપૂરાં ખૂલ્યાં નથી, કેટલાંક થોડાંક ખૂલ્યાં છે, કેટલાંક પૂરેપૂરાં ખૂલ્યાં છે, તેમનો પૂરેપૂરો આવિષ્કાર થતાં અને તેને આચારમાં મૂકતાં હજુ સદીઓ થશે. એલનોર સ્ટાર્કના લખેલ એક સુંદર અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ : ધી ગીફ્ટ અનઓપન્ડ’માં વિવેકાનંદે આપેલી વિવિધ પ્રદાનોની ચર્ચા કરવામાં આવી છે. અહીં સ્વામી વિવેકાનંદના પોતાના જ શબ્દોને સંભારીએ, ‘મેં જે જે આપ્યું છે તે આવતાં પાંચસો વર્ષ સુધી ઉપયોગી થશે.’
Your Content Goes Here