શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્‌, બ્રહ્મ જ ખરી વસ્તુ, બાકીનું બધું અવસ્તુ; શક્તિ પણ સ્વપ્નવત્‌, અવસ્તુ. પણ તમે હજાર વિચાર કરો ને, છતાં સમાધિસ્થ થયા વિના શક્તિની હદ ઓળંગી શકો નહિ. હું ધ્યાન કરું છું, હું ચિંતન કરું છું એ બધુંય શક્તિની સીમાની અંદર, શક્તિના ઐશ્વર્યની અંદર, એટલે બ્રહ્મ અને શક્તિનો અભેદ. એકને માનીએ એટલે બીજાને પણ માનવું પડે. જેમ કે અગ્નિ અને તેની દાહક-શક્તિ. અગ્નિને માનો એટલે તેની દાહક-શક્તિને માનવી જ પડે. દાહક-શક્તિને છોડીને અગ્નિનો વિચાર થઈ શકે જ નહિ. વળી અગ્નિને છોડી દઈને તેની દાહક-શક્તિનો પણ વિચાર થઈ ન શકે. સૂર્યને છોડીને સૂર્યનાં કિરણોનો વિચાર કરી શકાય નહિ. સૂર્યનાં કિરણોને છોડીને સૂર્યનો ખ્યાલ ન આવી શકે.

‘દૂધ કેવું હોય? ધોળું ધોળું. દૂધને છોડીને દૂધની ધોળાશનો વિચાર ન આવી શકે, તેમ જ દૂધની ધોળાશ છોડીને દૂધનો ખ્યાલ ન આવે. એટલે બ્રહ્મને છોડીને શક્તિનો કે શક્તિને છોડીને બ્રહ્મનો વિચાર આવી શકે નહિ. નિત્યને છોડીને લીલાનો કે લીલાને છોડીને નિત્યનો ખ્યાલ સંભવે નહિ.’

‘આદ્ય-શક્તિ લીલામયી, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરી રહી છે. એનું જ નામ કાલી. કાલી એ જ બ્રહ્મ, બ્રહ્મ એ જ કાલી. એક જ વસ્તુ જ્યારે એમ વિચાર કરું કે એ નિષ્ક્રિય, સૃષ્ટિ, સ્થિતિ કે પ્રલય એમાંનું કોઈ પણ કામ કરતી નથી, ત્યારે તેને બ્રહ્મ કહું. પરંતુ જ્યારે એ જગતની સૃષ્ટિ, સ્થિતિ, લય વગેરે કરે, ત્યારે તેને હું શક્તિ કહું. એક જ વ્યક્તિ, ભેદ માત્ર નામરૂપનો. જેમ કે ‘જળ’, ‘વોટર’, ‘પાણી.’ એક તળાવને ત્રણ-ચાર ઘાટ. એક ઘાટે હિંદુઓ પાણી પીએ, તેઓ કહે ‘જળ.’ બીજે ઘાટે મુસલમાનો પાણી પીએ, તેઓ કહે ‘પાની’. ત્રીજે ઘાટે અંગ્રેજો પાણી પીએ, તેઓ કહે ‘વોટર’. એ ત્રણેય એક, માત્ર નામ જુદાં. તેવી રીતે પરમાત્માને કોઈ કહે છે ‘અલ્લાહ’, કોઈ કહે ‘ગોડ’, કોઈ ‘બ્રહ્મ’, કોઈ ‘કાલી’, તો કોઈ ‘રામ’, ‘હરિ’, ‘ઈશુ’, દુર્ગા’ વગેરે વગેરે.

કેશવ (સહાસ્ય)- કાલી કેટલી કેટલી રીતે લીલા કરે છે તે વાત એક વાર કહો તો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય)- એ ઘણીયે રીતે લીલા કરે છે. એ જ મહાકાલી, નિત્યકાલી, સ્મશાનકાલી, રક્ષાકાલી, શ્યામાકાલી. મહાકાલી, નિત્યકાલીની વાત તંત્રોમાં છે. જ્યારે સૃષ્ટિ હજી થઈ ન હતી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પૃથ્વી વગેરે હતાં નહિ, હતો માત્ર ગાઢ અંધકાર, ત્યારે એકલાં મા નિરાકાર, મહાકાલી મહાકાલ સાથે બિરાજી રહ્યાં હતાં.

‘શ્યામા-કાલીનો ઘણે અંશે કોમળભાવ, વર-અભય-દાયિની. ગૃહસ્થોના ઘરમાં તેની જ પૂજા કરવામાં આવે. જ્યારે મહામારી, દુષ્કાળ, ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વગેરે થાય ત્યારે રક્ષા-કાલીની પૂજા કરવી જોઈએ. સ્મશાન-કાલીની સંહારમૂર્તિ, શબ, શિયાળ, જોગણી, ડાકણો વગેરે બધાંની વચ્ચે સ્મશાનમાં રહેનારી. તેને હોય છે રુધિરની ધારા, ગળામાં મુંડમાળા, કેડે નરહસ્તનો કમરબંધ. જ્યારે જગતનો નાશ થાય, મહાપ્રલય થાય ત્યારે મા સૃષ્ટિનાં બીજ બધાં ભેગાં કરીને રાખી મૂકે. ઘરમાં સ્ત્રીઓની એક એવી માટલી હોય, કે જેમાં ગૃહિણી જાતજાતની ચીજો સંઘરી રાખે. (કેશવ અને સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય)- હા ભાઈ હા. ઘરની સ્ત્રીઓ એવી એક માટલી રાખે. તેમાં સમદરફીણ, ગળીની ગોટી, કાકડી, પતકોળાં તેમ જ દૂધીનાં બી વગેરે નાની નાની પોટલીઓમાં બાંધીને રાખી મૂકે. જરૂર પડ્યે બહાર કાઢે.

મા બ્રહ્મમયી સૃષ્ટિના નાશ પછી એવાં બધાં બીજ સંઘરી રાખે.

સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી આદ્ય-શક્તિ જગતની અંદર જ રહે. જગતને પ્રસવ કરે, તેમ જ તેની અંદર રહે. વેદમાં છે ઊર્ણનાભિ: એટલે કરોળિયાની વાત, કરોળિયો અને તેની જાળ, કરોળિયો પોતાની અંદરથી જ જાળ બહાર કાઢે, તેમ જ પોતે એ જાળની અંદર રહે. તે જ પ્રમાણે ઈશ્વર જગતનો આધાર અને આધેય બંને.

(શ્રીરામકૃષ્ણ કથામૃત : ભાગ-૧, ખંડ-૫, અધ્યાય-૪)

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.