(સ્વામી વિમલાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માંથી સાભાર ગ્રહણ કરેલ આ લેખનો ગુજરાતી અનુવાદ શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ છે. – સં.)

ગૌરવશાળી કાલખંડ

રામકૃષ્ણ સંઘના નેતા સ્વામી વિવેકાનંદની અકાળ મહાસમાધિ તેમના ગુરુભાઈઓ, સંન્યાસીઓ અને ભક્તો માટે સમયનો આકરો ફટકો હતો, તેમાં કોઈ શંકા નથી. પરંતુ સંઘે સ્વામી બ્રહ્માનંદ (૧૯૦૨-૧૯૨૨), સ્વામી શિવાનંદ (૧૯૨૨-૧૯૩૪) અને સ્વામી અખંડાનંદ(૧૯૩૪-૧૯૩૭)ના પ્રબુદ્ધ નેતૃત્વ હેઠળ સતત પ્રગતિ કરી. સંતુલિત વ્યક્તિત્વ ધરાવતા અને સતત પરિશ્રમી સ્વામી સારદાનંદે ૧૯૨૭ સુધી જનરલ સેક્રેટરીના પદ પર રહી પ્રવૃત્તિઓને આગળ ધપાવી. શ્રીરામકૃષ્ણની સાથે રહેલા તેમના નવ સાક્ષાત્‌ શિષ્યો સંઘની દીવાદાંડી જેવા હતા. તેઓનાં તપસ્વિતા, સંન્યાસ, સમર્પણભાવ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વિશુદ્ધ જીવન, આદર્શમાં દૃઢ વિશ્વાસ, વૈશ્વિક દૃષ્ટિકોણ, સહાનુભૂતિપૂર્વકનું વલણ, નેતાઓનું આજ્ઞાનુસરણ અને શ્રીરામકૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવ વગેરેએ સંઘનો સ્વયંસ્ફૂરિત વિકાસ કર્યો અને તેને એક નક્કર સ્વરૂપ આપ્યું. તેઓ બધા માટે પ્રેરણાનો શાશ્વત સ્રોત અને આદર્શોના જીવંત ઉદાહરણરૂપ હતા.

આ બધાથી ઉપર સર્વોચ્ચ જીવંત આધ્યાત્મિક સત્તા, શ્રીમા શારદાદેવીએ ૧૯૨૦ સુધી સંઘને માર્ગદર્શન સાથે આકાર આપ્યો. તેમનો દરેક શબ્દ સાક્ષાત્‌ શિષ્યો અને સંન્યાસીઓ માટે કાનૂન બની જતો. તેમની આધ્યાત્મિક પ્રકૃતિ અને તેમનામાં મૂર્ત સ્વરૂપે રહેલી દિવ્ય શક્તિ સંઘના વિચારો અને આદર્શોનો ચોતરફ પ્રચાર અને પ્રસાર કરવામાં મદદરૂપ રહી.

આધ્યાત્મિક, શૈક્ષણિક, તબીબી, સાંસ્કૃતિક જેવી સંઘની વિવિધ પ્રવૃત્તિઓએ બીજા તબક્કામાં સર્વાંગી વિકાસ સાધ્યો. આપણા દેશવાસીઓએ સંઘમાં વિશેષ રસ લીધો અને તેને ભારતની એક રાષ્ટ્રનિર્માણ ઝુંબેશ તરીકે ઓળખી, અપનાવી અને પ્રશંસા કરી. તે સમયે રામકૃષ્ણ સંઘનાં વિશ્વભરમાં ૭૩ શાખાકેન્દ્રો હતાં અને તેની સાથે જોડાયેલાં અન્ય ૯ પેટાકેન્દ્રો હતાં. આ સમય—સુવર્ણયુગ—કેટલીયે નોંધપાત્ર ઘટનાઓથી ભરેલો હતો. બીજો તબક્કો રામકૃષ્ણ સંઘના ઇતિહાસમાં સૌથી અગત્યનો અને ગૌરવશાળી કહી શકાય.

રામકૃષ્ણ મિશનની નોંધણી

સંઘની પ્રગતિની સંભાવનાઓ અને સામાજિક જવાબદારીઓને કારણે અને કાર્યોને સારી રીતે પાર પાડવા માટે જેને પોતાનો અલગ કાયદાકીય દરજ્જો હોય તેવી પોતાના બંધારણ સાથેની એક સંસ્થાની જરૂર લાગી. તદનુસાર ૧૮૬૦ના સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ XXI હેઠળ ૪થી મે, ૧૯૦૯ના રોજ ‘રામકૃષ્ણ મિશન’ નામની સંસ્થાની નોંધણી કરાવવામાં આવી. તે સમય પૂરતું આ ‘રામકૃષ્ણ મિશન’નું સંચાલન બેલુર મઠના ટ્રસ્ટીઓના બનેલા સંચાલક મંડળને સોંપવામાં આવ્યું. પ્રથમ સંચાલક મંડળમાં ૨૦ સંન્યાસીઓ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી અદ્વૈતાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી સુબોધાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી શુદ્ધાનંદ, સ્વામી બોધાનંદ, સ્વામી આત્માનંદ, સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી વિરજાનંદ, સ્વામી અચલાનંદ, સ્વામી મહિમાનંદ, સ્વામી શંકરાનંદ, સ્વામી ધીરાનંદ અને સ્વામી નિર્ભયાનંદ. સ્વામી બ્રહ્માનંદ પરમાધ્યક્ષ, સ્વામી અદ્વૈતાનંદ ઉપાધ્યક્ષ, સ્વામી પ્રેમાનંદ ખજાનચી, સ્વામી સારદાનંદ સચિવ અને સ્વામી શુદ્ધાનંદ એકાઉન્ટન્ટ બન્યા. ‘રામકૃષ્ણ મિશન’ લોકશાહીના સિદ્ધાંતો પર આધારિત હતું જેમાં ગૃહસ્થાશ્રમીઓ પણ સભ્યપદ ધરાવી શકતા અને તેમને સંઘની વાર્ષિક સાધારણ સભામાં મતદાન કરવા માટે પણ અધિકાર હતો.  

‘રામકૃષ્ણ મિશન’ અને  ‘રામકૃષ્ણ મઠ’ બંને અલગ અલગ સંસ્થા છે અને બંનેને પોતાનાં શાખાકેન્દ્રો હોવા છતાં ‘રામકૃષ્ણ મિશન’ના સંચાલક મંડળના સભ્યો જ ‘રામકૃષ્ણ મઠ’ના ટ્રસ્ટીઓ હોવાથી અને બંનેનું મુખ્યાલય પણ બેલુર મઠ હોવાથી બંને સંસ્થાઓ આંતરિક રીતે ખૂબ નજીકથી જોડાયેલી છે.  જો કે, રામકૃષ્ણ મિશન નામનો ઉપયોગ મઠની તમામ પ્રવૃત્તિઓના સંબંધમાં લોકો દ્વારા છૂટથી કરવામાં આવે છે.

સંઘના આદર્શો અને વિચારોના પ્રચારક અને દૃષ્ટાંતકર્તા

જ્યારે આ સંસ્થાએ પ્રારંભિક અવસ્થામાંથી બહાર આવી સમયાંતરે બીજા તબક્કામાં પ્રવેશ કર્યો ત્યારે કેટલાક સંન્યાસીઓ અને નવા જોડાયેલા બ્રહ્મચારીઓ તેમજ ભક્તોનાં મનમાં આદર્શો અને વિચારો માટે શંકાઓ, ખાસ કરીને અદ્વૈત વેદાન્તની પ્રસ્તુતતા એવી વ્યાવહારિક નર-નારાયણ સેવા – ‘serving man as God’, વિશે ખોટી વિભાવનાઓ અને ગેરસમજ હતી. તેઓ કાર્યને પૂજા તરીકે હૃદયપૂર્વક સ્વીકારી શકતા ન હતા. પરંતુ શ્રીમા અને અન્ય કેટલાક પ્રત્યક્ષ શિષ્યો આ શંકાઓને સ્પષ્ટીકરણ અને પોતાના જીવન દ્વારા નિર્મૂળ કરવા આગળ આવ્યા.

૧૯૧૨માં એક વખત ઉદ્બોધનમાં શ્રીમાના એક શિષ્યે તેમને કહ્યું: ‘કોઈ કહે છે કે રામકૃષ્ણ સંઘના સાધુએ સેવાશ્રમ કે દવાખાનામાં કાર્ય કરવું અથવા પુસ્તકોના વેચાણ, હિસાબકિતાબ સંભાળવા વગેરેમાં રત રહેવું યોગ્ય નથી. શ્રીરામકૃષ્ણે ક્યારેય એવી પ્રવૃત્તિઓ કરી હતી શું? ઈશ્વરના સાક્ષાત્કારની ઝંખના સાથે સંઘમાં જોડાયેલા ઇચ્છુકો પર આ એક જાતનું દબાણ છે. જો કોઈએ કંઈક કાર્ય કરવાનું જ હોય તો તે મંદિરમાં પ્રાર્થના, ધ્યાન, જપ અને ભક્તિસંગીત જ હોવું જોઈએ. આ સિવાયની પ્રવૃત્તિઓ તેને ઇચ્છાઓમાં ફસાવી દેશે અને તે ઈશ્વરથી દૂર થતો જશે.’ ત્યારે શ્રીમાએ એકદમ મક્કમતાથી ઉત્તર આપ્યો:

જેઓ તે રીતે વાત કરે છે તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ નહીં. જો તમે કામમાં વ્યસ્ત ન હો તો તમે દિવસ-રાત શું કરશો? શું ચોવીસ કલાક ધ્યાન અને જપનો અભ્યાસ કરી શકાય? તમે શ્રીરામકૃષ્ણનો ઉલ્લેખ કર્યો. તેમની વાત જુદી હતી… તમે તમારું ભોજન મેળવી શકશો કારણ કે તમે કોઈ કામ કરી રહ્યા છો. નહિંતર તમારે અન્નનો ટુકડો માગવા માટે ઘરે ઘરે ફરવું પડશે. કદાચ તમે બીમાર પડશો. આ ઉપરાંત આજે સાધુઓને ભિક્ષા આપવા માટે લોકો ક્યાં છે? આવા શબ્દો પર ક્યારેય ધ્યાન ન આપો. શ્રીરામકૃષ્ણના નિર્દેશ મુજબ વસ્તુઓ આગળ વધશે. આ રીતે મઠ ચાલશે. જેઓ પોતાની જાતને અનુકૂળ કરી શકતા નથી તેઓ જતા રહેશે. 

શ્રીમા આટલેથી જ ન અટક્યાં, પરંતુ તેઓએ પોતાના જીવન દ્વારા પણ આ દર્શાવી દીધું. તેઓ સંઘનાં તમામ શાખાકેન્દ્રોમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓમાં રસ લેતાં અને કેન્દ્રોના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ભક્તોને મુલાકાત દરમિયાન પ્રોત્સાહિત કરતાં. તેઓએ પોતે પોતાના જન્મસ્થાન જયરામવાટીમાં પણ એક શાળા અને દવાખાનું શરૂ કર્યાં હતાં.

પ્રભુપ્રેમમાં ઉન્મત્ત સ્વામી બ્રહ્માનંદે નિઃસ્વાર્થ સેવા, મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવાના આદર્શને સ્પષ્ટ કરતાં તેને એક પ્રકારની પૂજા જ કહી છે. તેઓએ એ તરફ પણ અંગુલિનિર્દેશ કર્યો કે ધ્યાનના અભ્યાસ વિના સેવા એ જ પૂજાના આદર્શનું અનુસરણ કરવું કઠિન છે અને સેવા નિઃસ્વાર્થ હોવા છતાં અહંનો જડમૂળથી નાશ કરવો એ તો સદંતર અશક્ય છે. તેઓએ નવાગંતુકોના મનમાં એમ કહીને ઊંડી છાપ પાડી કે,

માત્ર પોતાના માટે જ કાર્ય કરવા કરતાં, ઈશ્વરને માટે કાર્ય કરો. એમ જાણો કે તમે જે કાર્ય કરી રહ્યા છો તે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું જ કાર્ય છે. જો તમે એમ વિચારીને કાર્ય કરશો તો એ કાર્ય તમને બંધનકર્તા નહિ રહે. પરંતુ એ તમારી રોજબરોજ આધ્યાત્મિક, નૈતિક, બૌદ્ધિક અને શારીરિક રીતે પણ પ્રગતિમાં સુધારો લાવશે.

તેઓ અવારનવાર સમગ્ર દેશમાં ફેલાયેલાં કેન્દ્રોમાં જતા, દરેક જગ્યાએ થોડા મહિનાઓનું રોકાણ કરતા અને તેમની ઉપસ્થિતિથી સૌને પ્રેરિત કરતા. તેઓએ સેવાશ્રમના નિર્માણ માટે રકમ પણ એકત્ર કરી અને પોતે જ ઓરિસ્સાના લોકોની સેવા કાજે ભુવનેશ્વર કેન્દ્રની સ્થાપના કરી હતી.

સ્વામી સારદાનંદ સેક્રેટરી હોવાના નાતે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ શ્રીમા અને સંઘના પરમાધ્યક્ષની પ્રેરણાથી અને તેઓના વડપણ હેઠળ સ્વામીજી દ્વારા નિર્દેશિત સંઘની પ્રવૃત્તિઓના માર્ગદર્શક બની રહ્યા. સંન્યાસીઓ અને ભક્તો તેમના પર એટલો પ્રેમભાવ રાખતા, તેમની નાની એવી ઇચ્છા પણ તેઓ અતિ પૂજ્યભાવથી પૂરી કરતા. શ્રીમાની વ્યક્તિગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા અને સંઘનો વહીવટ સંભાળવાની સાથે સાથે સ્વામી સારદાનંદે શ્રીમાના જન્મસ્થળ જયરામવાટીમાં શ્રીમાનું નિવાસસ્થાન અને જયરામવાટી, કોલકાતા અને બેલુર મઠમાં શ્રીમાના સ્મારક મંદિરનું નિર્માણ કરાવ્યું. તેમણે શ્રીરામકૃષ્ણનું સર્વગ્રાહી જીવનચરિત્ર લખ્યું, ‘ઉદ્‌બોધન’ નામક સામયિકની જવાબદારી સંભાળી, સ્વામીજીનાં પુસ્તકોનું સંપાદન કર્યું અને આમ સંઘ માટે એક દૃષ્ટાંત સ્થાપિત કર્યું.

સ્વામી પ્રેમાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ, સ્વામી અદ્વૈતાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી અદ્ભુતાનંદ અને સ્વામી સુબોધાનંદ વગેરેએ સાથે મળીને સંઘને આધ્યાત્મિકતાના એક નક્કર પાયા પર લાવી મૂક્યો. તેઓએ સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, ભક્તો અને લોકોમાં સંઘના વિચારો અને આદર્શોનો પ્રચાર અને પ્રસાર કર્યો. સ્વામી પ્રેમાનંદ અને સ્વામી શિવાનંદે બેલુર મઠમાં નવા જોડાયેલા બ્રહ્મચારીઓના જીવનને નવો ઘાટ આપવાની જવાબદારી સંભાળી. બંને સ્વામીજીઓએ દરેક સમયે જીવનસિદ્ધાંત અને ઉદાહરણ દ્વારા સ્વામી વિવેકાનંદના નવીન કર્મયોગ વિશેની સાચી ભાવના યુવાનો અને નવા આવેલ છાત્રોનાં મનમાં ઉપદેશિત કરવાનું કાર્ય કર્યું. સ્વામી રામકૃષ્ણાનંદે મદ્રાસ અને બેંગ્લોરમાં મઠ અને વિદ્યાર્થીભવનનું નિર્માણ કર્યું અને દક્ષિણ ભારત, મુંબઈ અને રંગૂનમાં સંઘનો પ્રચાર-પ્રસાર કર્યો.  

સ્વામી અખંડાનંદે તેમના જીવનનો મોટા ભાગનો સમય સંઘના સેવા-ધર્મના આદર્શના પ્રસાર અને પ્રચાર માટે સારગાછીનાં દૂરદરાજનાં ગામડાંમાં વિતાવ્યો. સ્વામી વિજ્ઞાનાનંદે અલ્હાબાદમાં એક કેન્દ્રની સ્થાપના કરી અને કનખલ તેમજ વારાણસીમાં સેવાશ્રમ તથા બેલુર મઠના શ્રીરામકૃષ્ણ મંદિરના નિર્માણકાર્યની દેખરેખ રાખી. સ્વામી અદ્વૈતાનંદે શ્રીરામકૃષ્ણની સેવાના રૂપમાં શાકભાજીના બગીચાઓની સંભાળ રાખી અને બેલુર મઠમાં પણ એ સેવા ચાલુ રાખી. સ્વામી ત્રિગુણાતીતાનંદે અમેરિકાની ભૂમિ પર પ્રથમ હિંદુ મંદિરનું નિર્માણ કર્યું  અને ત્યાં જ તેમણે દેહત્યાગ કર્યો. સ્વામી અભેદાનંદે પશ્ચિમના દેશોમાં પચ્ચીસ વર્ષ જેટલા લાંબા સમય માટે વેદાંતનો ઉપદેશ અને પ્રચાર કર્યો. ‘વેદાંતના સાવજ’ એવા સ્વામી તુરીયાનંદે અલ્મોડા આશ્રમની સ્થાપના કરી અને તેઓ જ્યાં પણ રહ્યા ત્યાં સહુને ‘નારાયણ સેવા’ માટે પ્રેરિત કર્યા. સ્વામી અદ્ભુતાનંદે સંઘની પ્રવૃત્તિઓમાં સીધી રીતે ભાગ લીધો ન હોવા છતાં તેઓ સ્વામીજીના આદર્શોના પ્રચાર માટે પોતાની લાગણીઓ બહુ સારી રીતે વ્યક્ત કરી શકતા. પોતે વ્યક્તિગત રીતે વધુ કાર્ય ન કર્યું હોવા છતાં ઓરિસ્સાના ચિલ્કા ટાપુ પર ૧૯૦૮માં ભારે દુષ્કાળના સમયે સ્વામી સુબોધાનંદે રાહતકાર્ય કરી લોકોને સ્વામીજીએ શરૂ કરેલા આ સામાજિક સેવાના કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ગૃહસ્થ સભ્યો અને શુભેચ્છકોની સંઘમાં ભૂમિકા 

રામકૃષ્ણ સંઘ વિશેના પુસ્તકમાં સ્વામી બુધાનંદે યોગ્ય રીતે અવલોકન કર્યું છે:

રામકૃષ્ણ ભાવધારા માત્ર સંન્યાસી શિષ્યોના પ્રયત્નો દ્વારા પ્રારંભિક તબક્કાથી મજબૂત અને મજબૂત બનતી ગઈ છે, તે માનવું એ ઘણું ભૂલભરેલું છે. જ્યાં સુધી મિશનને લાગેવળગે છે ત્યાં સુધી તે શરૂઆતથી જ સત્તાવાર રીતે પણ, શ્રીરામકૃષ્ણના સંન્યાસીઓ અને ગૃહસ્થ અનુયાયીઓનો સંયુક્ત પ્રયાસ હતો. ખરેખર તેમના ગૃહસ્થ શિષ્યોએ માત્ર મિશન માટે જ નહીં પરંતુ સમગ્ર સંઘના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

આ વાત બીજા તબક્કામાં પણ ચાલુ રહી. શ્રી ગિરીશચંદ્ર ઘોષ, મહેન્દ્રનાથ ગુપ્ત, અક્ષય સેન, ચુનીલાલ બસુ, દેવેન્દ્રનાથ મજૂમદાર, મણીન્દ્ર  ગુપ્ત, પલટુ (પ્રમથ કર), છોટાે નરેન (નરેન્દ્રનાથ મિત્ર), તેમજ અન્ય વગેરે શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્તોએ પણ પોતાની શક્તિ મુજબ સંઘની પ્રગતિમાં અગત્યનું યોગદાન આપ્યું. ગિરીશનું નિરંતર સમર્થન, મહેન્દ્ર(‘મ’)ની સાહિત્યિક પ્રતિભા, દેવેનનું  સાંગીતિક નૈપુણ્ય, પલટુ અને છોટા નરેનની કાનૂની મદદ વગેરે દ્વારા સંઘને બહુ મોટો ફાયદો થયો. તદુપરાંત, મોટી સંખ્યામાં શુભેચ્છકો અને ભક્તોએ મૂક સેવા કરી મદદ કરી.

ગોલાપ મા, યોગીન મા, ગૌરી મા તેમજ શ્રીરામકૃષ્ણના બીજાં સ્ત્રીભક્તોએ શ્રીરામકૃષ્ણ પ્રત્યે દૃઢનિષ્ઠા અને શ્રીમાની વ્યક્તિગત સેવા દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમાંના મોટાભાગનાએ પોતાના વિશુદ્ધ જીવન દ્વારા સંઘ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.

બીજા તબક્કામાં સ્વામીજીના પૂર્વના અને પશ્ચિમના શિષ્યો અને શુભેચ્છકોએ પણ ભારત અને વિદેશોમાં સંઘની પ્રગતિ માટે પોતપોતાની રીતે મદદનો હાથ લંબાવ્યો. આલાસિંગા પેરુમલ, ડૉ. નન્જુંદા રાવ, રામુ, રામાનુજ અને અન્યો સહાય માટે આગળ આવ્યા. સ્વામી રામકૃષ્ણાનંદ ભારતમાં મહિલા કલ્યાણ માટે ચળવળને આગળ વધારવા સક્ષમ હતા. શ્રીમતી સી. ઇ. સેવિયર અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા અંગ્રેજીમાં ‘Swami Vivekananda Life’ અને ‘Complete Works’ પુસ્તકોના પ્રકાશન માટે એક સાધનરૂપ હતાં. શ્રીમતી ઓલી બુલ, જોસેફાઇન મેક્લાઉડ, શ્રીમતી ફ્રાન્સીસ લેગેટ તેમજ અન્ય કેટલાકે સંઘની આર્થિક બાબતો સંભાળી અને સ્વામીજીનાં પુસ્તકોને પશ્ચિમમાં મુદ્રિત કરાવ્યાં. ઈડા અેન્સેલ, ભગિની દેવમાતા, મીડ બહેનો વગેરેએ પોતાનું જીવન અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વેદાંતના પ્રચાર માટે સમર્પિત કરી દીધું. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશે ફ્રેંચ મનીષી રોમાંરોલાંએ લખેલ પુસ્તકોએ પશ્ચિમી દેશોમાં હલચલ મચાવી દીધી. અને ફ્રેંચ ફિલોસોફર જીન હર્બર્ટનાં વ્યાખ્યાનોએ બૌદ્ધિકોના માનસ પર ઊંડી છાપ છોડી. પશ્ચિમના અન્ય કેટલાયે શુભેચ્છકો અને ભક્તોએ પશ્ચિમી દેશો તેમજ ભારતમાં સંઘની પ્રવૃત્તિઓને સમૃદ્ધ કરી. 

વિપત્તિઓ અને સંઘર્ષ 

લોકો દ્વારા કોઈ પણ આંદોલનની પ્રગતિ અથવા સ્વીકાર્યતા તેણે કરેલ વિપત્તિઓના સામના અને સંઘર્ષ પર અવલંબિત છે. બીજા તબક્કામાં સંઘને બીજું વિશ્વયુદ્ધ, રાજકીય દબાણ, સરકારની નારાજગી, સ્વાધીનતાના ચળવળકારીઓની માગણીઓ તેમજ સામાજિક વિક્ષેપ વગેરે વિઘ્નોમાંથી પસાર થવું પડ્યું. આ સિવાય પણ સંઘને આંતરિક અને બાહ્ય સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. આમ છતાં, સંઘે સંઘર્ષોના સામના માટે પડકાર ઝીલી લીધો અને વિશ્વાસ અને એકતામાં મજબૂત અને મક્કમ રીતે ઊભરી આવ્યો.

સ્વાતંત્ર્ય સેનાનીઓ, વિપ્લવવાદીઓ, ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રીય નેતાઓ સ્વામી વિવેકાનંદને પોતાના નેતા તરીકે પ્રેમાદરપૂર્વક પૂજતા હતા. તેઓ સ્વામીજીને એક મહાન દેશભક્ત માનતા હતા અને તે બધા જ શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીના ઉપદેશોથી પ્રેરિત હતા. તે સહુનો સંઘ સાથે નજીકનો સંબંધ હતો. જ્યારે પોલીસ તે ક્રાંતિકારીઓના નિવાસસ્થાનની તપાસ કરતી ત્યારે તેમને તે લોકોના ઘરમાંથી આ બે મહાન આત્માઓ વિષયક પુસ્તકો મળી આવતાં. સરકાર સંઘના છૂપા ઉદ્દેશને શોધી કાઢવા આતુર હતી. સરકાર સંઘના કાર્યકર્તાઓ ઉપર ગુપ્ત નજર રાખતી અને સંઘના સરનામે વિદેશથી આવેલા પત્રો ખોલીને વાંચી લેતી.

સરકારની શંકા એ સમયે દૃઢ બની, જ્યારે ૧૯૦૬માં બંગાળના ભાગલા પડ્યા અને ‘સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કાર કરો’ના શપથ સાથે રાજકીય મતમતાંતરને કારણે દેશમાં ભાગલા પડી ગયા. સંઘના સત્તાધીશોને આ આંદોલનના અવિવેકી વર્તન, આપત્તિ અને મુશ્કેલીઓની પહેલેથી જ ગંધ આવી ગઈ હતી. તેઓએ સંઘપ્રવૃત્તિઓને બચાવવા અને પોતાના નક્કી કરેલા માર્ગ પર આગળ વધારવા માટે ડર અને ખચકાટ વિના કેટલાંક નક્કર પગલાં લેવાં પડ્યાં. પરંતુ મિશનના સત્તાધીશોને ખબર પડી કે રાજકીય આંદોલનકારીઓ, અરાજકતાવાદીઓ અને ક્રાંતિકારીઓ રામકૃષ્ણ મિશનના શુભ નામનો ઉપયોગ કરી રહ્યા છે અને યુવાનો અને સ્ત્રીઓના મનને દૂષિત કરવા માટે સ્વામીજીના ઉપદેશોનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે. તેથી, સંઘના આદર્શોના ખોટા અર્થઘટન અને ખોટી રજૂઆતને દૂર કરવા માટે, રામકૃષ્ણ મિશનના પદાધિકારીઓને એપ્રિલ, ૧૯૧૪માં ભારતના લગભગ તમામ અખબારોમાં જનતા માટે ખૂબ જ ગંભીર ચેતવણી પ્રકાશિત કરવી પડી.

બંગાળના પ્રથમ રાજ્યપાલ શ્રી ટી.ડી.બેરન કાર્મીચેલે ૧૯૧૬માં જાહેરમાં ઢાકામાં અને કોલકાતાના ટાઉનહોલમાં મિશનનાં કાર્યોનાં વખાણ કર્યાં હોવા છતાં જ્યારે કાર્મીચેલે ૧૧ ડિસેમ્બર, ૧૯૧૬ના રોજ કલકત્તાના ગવર્નમેન્ટ હાઉસમાં ભાષણ કર્યું અને મિશન વિશે અવિશ્વાસ અને શંકા દર્શાવી ત્યારે સંઘના સત્તાવાહકોને આશ્ચર્ય થયું. શ્રીમા શારદાદેવીની સલાહથી સ્વામી સારદાનંદ મેક્લાઉડની મદદથી ૨૨મી જાન્યુઆરી, ૧૯૧૭ના રોજ ગવર્નરને મળ્યા અને તેમને મિશનના દૃષ્ટિબિંદુથી વાકેફ કર્યા અને એક આવેદનપત્ર આપ્યું. સત્યની અનુભૂતિ થવાથી ૨૬મી માર્ચ, ૧૯૧૭ના રોજ તેમણે ફરીથી લખ્યું:

મને રામકૃષ્ણ મિશનના વાસ્તવિક ઉદ્દેશ્ય સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે અને મિશનના નામનો આ દુરુપયોગ હું અટકાવવા માગું છું. હું આશા રાખું છું કે મેં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે મિશનને અનૈતિક લોકો દ્વારા તેના નામના ગેરકાયદેસર ઉપયોગથી બચાવવામાં મદદ કરશે.

આમ, સંઘને સરકારની દુર્ભાવનાથી બચાવી લેવામાં આવ્યો. 

જ્યારે સમગ્ર દેશ રાજકીય સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ૧૯૨૨માં બ્રિટિશ સરકાર સામે આંદોલન કરી રહ્યો હતો ત્યારે તેમાં જોડાવા માટે રામકૃષ્ણ મિશનના ઇન્કારથી ઘણા શુભેચ્છકો અને ભક્તોને નવાઈ લાગી. આવા કટોકટીના સમયે સંઘના પરમાધ્યક્ષ સ્વામી શિવાનંદે મહાત્મા ગાંધીની સેવા, મનોબળ અને બલિદાનની અનન્ય ભાવનાને ઓળખી અને સ્વતંત્રતા ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા, તેમણે મઠ અને મિશનના દૃષ્ટિબિંદુ વિશે સ્પષ્ટપણે કહ્યું:

“મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે અમે અમારા પોતાના આદર્શ પ્રમાણે અમારી રીતે કાર્ય કરી રહ્યા છીએ – એક આદર્શ જે દૂરંદેશી ઋષિ સ્વામી વિવેકાનંદે ઘડ્યો અને અમારા અનુસરણ માટે પ્રસ્તુત કર્યો. માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ભાવિ ચિત્ર તેમની દિવ્ય દૃષ્ટિ સમક્ષ પ્રગટ થયું. તેમણે એ બધું સ્પષ્ટપણે જોયું અને અમારા અનુસરણ માટે ચોક્કસ નીતિ તૈયાર કરી.”

આંતરિક સંઘર્ષમાંનો એક ૧૯૨૯માં કલકત્તાની ઉદ્બોધન શાખાના ગણેન્દ્રનાથ દ્વારા, જ્યારે બીજો ૧૯૩૫માં દક્ષિણ ભારતના બેંગ્લોરના સ્વામી નિર્મલાનંદ દ્વારા સર્જિત હતો. આ બે આફતોએ સંઘની પ્રતિષ્ઠાને ખૂબ હાનિ પહોંચાડી. ઘણા સંન્યાસીઓએ સંઘને છોડી પોતાનો નવો મઠ બનાવ્યો. ઘણા ભક્તો પણ એ વિરોધી સમૂહમાં જોડાયા. પરંતુ મિશનના સત્તાવાહકોએ તે બંને પરિસ્થિતિઓને કડક હાથે સંભાળી લીધી. પહેલા સંઘર્ષને મિશનના વકીલો દ્વારા ઉકેલવામાં આવ્યો હતો અને બીજાની કોર્ટમાં પતાવટ કરવામાં આવી હતી.

આ પ્રકારના સંઘર્ષો અને મુશ્કેલીઓ કોઈ પણ સંગઠન માટે બહુ જ સામાન્ય છે. મોટાભાગના લોકો આ જાણતા હોય છે અને તરત જ ભૂલી પણ જતા હોય છે. તેઓએ મઠ અને મિશનની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને તેને હંમેશની જેમ માનવશક્તિ અને આર્થિક રીતે ટેકો આપ્યો. ગણેન્દ્રનાથની ઘટના બાબતે ૧૯૨૯માં સ્વામી શિવાનંદે જણાવ્યું:

“શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓને સામૂહિક પ્રયાસની નિષ્ક્રિય શક્તિને જાગૃત કરવા ટકોર કરે છે અને એ પણ જણાવે છે કે આ કાર્ય કોઈ પણ દ્વારા એકલા હાથે સંપન્ન થઈ શકતું નથી. આ કાર્ય સંન્યાસીઓએ ઐક્ય દ્વારા સાધવાનું છે અને ત્યારે જ તે સંભવ છે. જેટલાં વધુ આફતો અને સંઘર્ષ હશે, તેટલી જ શ્રીરામકૃષ્ણના સંઘની શક્તિ (સંઘશક્તિ) વધુ જાગૃત થશે. તમામ શ્રેષ્ઠ સિદ્ધિઓ માટે અનેક વિપત્તિઓમાંથી પસાર થવું પડે છે. જેટલા વધુ અવરોધો હશે, તેટલો બધાનાં હૃદયમાં શ્રીરામકૃષ્ણ માટે પ્રેમ અને વિશ્વાસ વધશે, અને તેમના પર શ્રદ્ધા વધશે… સંઘમાં નવા આવનારાઓમાં આ ભાવનું સિંચન કરવાનું કાર્ય સદીઓ સુધી ચાલતું રહેશે; કોઈ પણ તેના કાર્યને રોકી શકશે નહીં, આ સ્વામીજીના શબ્દો છે. સ્વામીજી ભૂત, વર્તમાન અને ભાવિનું દર્શન કરનાર ઋષિ હતા.

બીજા તબક્કા દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓનું સર્વેક્ષણ

બીજા તબક્કાએ સંઘની સર્વાંગી પ્રગતિનો એક ભવ્ય વિક્રમ સર્જી દીધો. આપણને સ્વામી ગંભીરાનંદની ટિપ્પણી યાદ આવે છે:

તેમ છતાં, સાધુઓએ મઠ અને મિશનની બાબતોને વધુ વ્યાવસાયિક રીતે ગોઠવવાની જરૂરિયાત અનુભવી, જેની સ્વામી વિવેકાનંદ દ્વારા ઘણી વાર હિમાયત કરવામાં આવી હતી. એ વાત સાચી છે કે વિભાવનાઓ અને આદર્શો જ નવી વિચારધારાનું જીવન છે, અને તે જ આખરે તેની સફળતા નક્કી કરે છે. પરંતુ જેમ આત્માને શરીરની જરૂર હોય છે તેમ એક વિચારધારાને, ખાસ કરીને આજની પરિસ્થિતિઓમાં, પોતાને વધુ અસરકારક બનાવવા માટે સહકારી પ્રયત્નો દ્વારા નક્કર અભિવ્યક્તિની જરૂર છે. 

આ સમયગાળામાં દેશ અને વિદેશમાં ૭૩ નવાં કેન્દ્રો ઉમેરાયાં. તેમાંથી ૧૩ યુ.એસ.એ; દક્ષિણ અમેરિકા, યુરોપ, સિલોન અને સિંગાપુરમાં સ્થપાયાં. સ્વામી બોધાનંદ, પ્રકાશાનંદ, પરમાનંદ, નિખિલાનંદ, અખિલાનંદ, વિવિદિશાનંદ, જ્ઞાનેશ્વરાનંદ, અશોકાનંદ, પ્રભવાનંદ, દેવાત્માનંદ, વિજયાનંદ, અવ્યક્તાનંદ અને ભાસ્વરાનંદ વગેરે જેવા કેટલાક પ્રતિભાશાળી અને વિદ્વાન સંન્યાસીઓએ પશ્ચિમમાં વેદાંતનો વાવટો ફરકાવવાની જવાબદારી લીધી. વેદાંતના વિદ્યાર્થીઓની વિનંતીથી સ્વામી યતીશ્વરાનંદને ૧૯૩૩માં યુરોપ મોકલવામાં આવ્યા અને ત્યાં તેઓ ખૂબ સફળ રહ્યા. સ્વામી આદ્યાનંદની ૧૯૩૫માં દક્ષિણ આફ્રિકામાં નિયુક્તિ કરવામાં આવી. 

વૃંદાવન, કલકત્તા (સેવા પ્રતિષ્ઠાન), રંગૂન, દિલ્હી, લખનૌ, પોન્નમપેટ વગેરે સ્થળોએ તબીબી કેન્દ્રો હજુ પ્રારંભિક તબક્કામાં હતાં. સમય જતાં આ કેન્દ્રો પ્રતિષ્ઠિત હોસ્પિટલો બની. કલકત્તાનું સ્ટુડન્ટ્સ હૉમ, દેવઘરની નિવાસી શાળા; સરીસા, ચેરાપુંજી, વરાહનગર, જમશેદપુર, કોઇમ્બતુર, મૈસુર, ત્રિચુર, ચીન્ગલપેટ, અને માલદા વગેરે સ્થળોએ શહેરી, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી. પછીથી આ સંસ્થાઓ વિશાળ શૈક્ષણિક સંકુલમાં પરિણત થઈ. સ્વામી કેશવાનંદ, નિર્વેદાનંદ, સદ્ભાવાનંદ, પ્રભાનંદ (કેતકી મહારાજ), ગણેશાનંદ, ત્યાગીશાનંદ, દયાનંદ અને અન્ય સંન્યાસીઓ શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આદિજાતિ સેવા જેવાં ક્ષેત્રોના અગ્રદૂત બની રહ્યા. કાનપુર, મેદિનિપુર, કટિહાર, રંગૂન, પટના, બારીસાલ, ફરીદપુર, મુંબઈ, ઢાકા, સીલ્હટ, બાંકુરા, મૈમેનસિંઘ, કોન્ટાઈ, નારાયણગંજ, સોનારગાંવ, જયરામવાટી, તમલુક, હબીગંજ, બલીઆટી, નાગપુર, ઊટી, રાજકોટ, દિનાજપુર, અલ્મોડા, શ્યામલાતલ, નટ્ટરામપલ્લી, ચાંદીપુર, બગેરહાટ, પૂરી, ઘડબેતા,  જામતારા, કિશનપુર વગેરે સ્થળોએ અન્ય સેવાઓ શરૂ કરવામાં આવી. માયાવતીના પ્રકાશન વિભાગનું કલકત્તામાં સ્થળાંતર કરવામાં આવ્યું. જયરામવાટી અને બેલુર મઠમાં શ્રીમા, સ્વામીજી તેમજ સ્વામી બ્રહ્માનંદનાં સ્મૃતિમંદિરો બનાવવામાં આવ્યાં. કલકત્તામાં શ્રીમાનું કાયમી નિવાસસ્થાન બનાવવામાં આવ્યું. 

મદ્રાસ, ત્રિચુર અને અમેરિકાથી અનુક્રમે તમિલ, મલયાલમ અને અંગ્રેજી ભાષામાં વધુ પાંચ સામયિકો શરૂ કરવામાં આવ્યાં. આ ઉપરાંત અદ્વૈત આશ્રમ, ઉદ્‌બોધન, મદ્રાસ મઠ, મૈસુર, બેંગ્લોર, ત્રિચુર, કાલડી, અને યુરોપ તેમજ અમેરિકાથી અંગ્રેજી, બંગાળી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, જર્મન, અને ફ્રેંચ ભાષામાં ઘણાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું.

બીજા તબક્કામાં સાત ઇન્ડોર હોસ્પિટલો, બેંતાલીસ આઉટડૉર દવાખાનાં, ચોવીસ વિદ્યાર્થીભવન, ત્રણ નિવાસી શાળા, છ હાઇસ્કૂલ, ત્રણ ઔદ્યોગિક શાળા, છ એમ.ઈ. શાળા, સુડતાલીશ પ્રાથમિક શાળા અને ઉચ્ચતર પ્રાથમિક શાળા, ત્રણ અનાથાશ્રમ અને પાંચ સંસ્કૃત ચતુષ્પાઠી વગેરેનું નિર્માણ થયું. મુખ્યાલયનો સમાજ કલ્યાણ વિભાગ સંખ્યાબંધ અસહાય વિધવાઓને મદદ કરતો હતો અને દર વર્ષે લાયક વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ આપતો હતો.

૧૯૦૬થી ૧૯૩૬ દરમિયાન બેલુર મઠ અને શાખાકેન્દ્રો દ્વારા દુષ્કાળ, પૂર, પ્લેગ, વ્યાપક રોગચાળો, ચક્રવાત, ભયંકર વાવાઝોડું, આગ, હુલ્લડ, જળસહાય અને વસ્ત્રસહાય વગેરેનું રાહતકાર્ય કરવામાં આવ્યું, જેમાં મોટી રકમનો વપરાશ થયો હતો.

જ્યારે મિશનની કાયદેસર નોંધણી થઈ ત્યારે શ્રીરામકૃષ્ણના દસ સાક્ષાત્‌ શિષ્યો અને દસ અન્ય સંન્યાસીઓને સંચાલક મંડળના સભ્યો તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા. બીજા તબક્કા દરમિયાન સમયે સમયે યુવાન પ્રતિભાશાળી સંન્યાસીઓને ટ્રસ્ટીમંડળ અને સંચાલકમંડળમાં સામેલ કરવામાં આવ્યા: ૧૯૦૬માં સ્વામી વિરજાનંદ; ૧૯૨૨માં સ્વામી વિશુદ્ધાનંદ, સ્વામી માધવાનંદ, અને સ્વામી અમૃતેશ્વરાનંદ; ૧૯૨૮માં સ્વામી યતીશ્વરાનંદ, સ્વામી કાલીકાનંદ, સ્વામી રાઘવાનંદ, સ્વામી અસીમાનંદ, અને સ્વામી આત્મબોધાનંદ; ૧૯૨૯માં સ્વામી આત્મપ્રકાશાનંદ, સ્વામી નિર્વાણાનંદ, સ્વામી વીરેશ્વરાનંદ, સ્વામી નિર્વેદાનંદ, સ્વામી ઓમકારાનંદ, સ્વામી શાન્તાનંદ અને સ્વામી પ્રબોધાનંદ. ત્યાર પછી સ્વામી કાલીકાનંદ અને સ્વામી રાઘવાનંદે ટ્રસ્ટીમંડળમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. આ યુવા સાધુઓનું જીવન શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ શિષ્યોના ચરણોમાં ઘડાયું હતું. તેઓએ પછીનાં વર્ષોમાં વિવિધ સામર્થ્ય દ્વારા વિચારધારાનું નેતૃત્વ કર્યું. આ સમયની આસપાસ, ‘સંયુક્ત સચિવ’ના પદ માટે ‘મદદનીશ સચિવ’ શબ્દ બદલવામાં આવ્યો. 

૧૯૨૬ના સંમેલનમાં યુવાન સંન્યાસીઓના પ્રસ્તાવ પ્રમાણે મઠ અને મિશન, બેલુર મઠના પદાધિકારીઓએ ટ્રસ્ટીઓ અને સંચાલકમંડળની સહાય માટે બાર સભ્યોની એક સમિતિ રચી.

એપ્રિલ, ૧૯૩૫માં સંગઠન માટેના વિસ્તૃત નિયમો ઘડવા માટે બેલુર મઠ ખાતે પ્રથમ સાધુ- સંમેલન યોજવામાં આવ્યું હતું. પરિષદના પ્રમુખ તરીકે સ્વામી સિદ્ધાનંદે નિર્દેશ કર્યો હતો:

મઠ અને મિશનની પ્રવૃત્તિઓના વિસ્તરણને ધ્યાનમાં રાખીને, સ્વામીજી દ્વારા ઘડવામાં આવેલા નિયમો સમયની જરૂરિયાતો સાથે સુસંગત રીતે અમલમાં આવે તે જોવાની જરૂર છે.

પરિષદમાં થયેલ વિચારવિમર્શ પછી જે નિયમોનો સ્વીકાર કરી તેને મંજૂર કરવામાં આવ્યા તેને Rules and Regulations of the Ramakrishna Order, 1935 તરીકે ઓળખવામાં આવ્યા.

ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન

બીજો તબક્કો (૧૯૦૬-૧૯૩૬) મઠ અને મિશનની વિચારધારાનો સુવર્ણકાળ હોવા છતાં તે પ્રથમ પેઢીના દિગ્ગજ મહાપુરુષોના અવસાનનો સાક્ષી પણ હતો. તેમાંના દરેકે ચળવળની પ્રવૃત્તિઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો પ્રભાવ પાડ્યો હતો. એમના અવસાનને કારણે સંઘને થયેલ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું હતું.

શ્રીમા શારદાદેવી દરેક માટે આશ્વાસન અને પ્રેરણાનો શાશ્વત સ્રોત હતાં. તેઓ ૨૧ જુલાઈ, ૧૯૨૦માં તિરોધાન પામ્યાં. સ્વામી બ્રહ્માનંદે ૧૦ એપ્રિલ, ૧૯૨૨ના રોજ દેહત્યાગ કર્યો. તેમણે સંઘની બાલ્યાવસ્થાથી તેનું પાલન-પોષણ અને વિકાસ કર્યો હતો. બેલુર મઠનાં ‘માતા’ સ્વામી પ્રેમાનંદે ૩૦ જુલાઈ, ૧૯૧૮ના રોજ વિદાય લીધી. સ્વામી અદ્ભુતાનંદની શુદ્ધતા, ત્યાગ અને નિરક્ષર હોવા છતાં તેઓની વિદ્વત્તાએ તે યુગમાં ચમત્કાર સર્જ્યો હતો. તેઓએ ૨૪મી એપ્રિલ, ૧૯૨૦માં દેહત્યાગ કર્યો. ૨૧મી જુલાઈ, ૧૯૨૨ના રોજ સ્વામી તુરીયાનંદે વિદાય લીધી. તેઓ ધર્મ, પ્રાચીન અને અર્વાચીન ઉચ્ચ આદર્શોના વિશિષ્ટ સમન્વયરૂપ હતા. મુખ્ય વ્યવસ્થાપક સ્વામી સારદાનંદ આધુનિક યુગમાં ગીતાના આદર્શનું જીવંત મૂર્ત સ્વરૂપ હતા. તેઓએ પણ ૬ ઓગસ્ટ, ૧૯૨૭ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. સ્વામી શિવાનંદે ૨૦ ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમનું જીવન ઇતિહાસની અંધકારમય અવસ્થા માટે પ્રકાશ સમાન હતું. સ્વામી રામકૃષ્ણાનંદે ૨૧ ઓગસ્ટ, ૧૯૧૧ના દિવસે દેહ છોડી દીધો, તેઓ દક્ષિણ ભારત માટે દીવાદાંડી સમાન હતા. સ્વામી ત્રિગુણાતીતાનંદનું જીવન મનુષ્યમાં રહેલી આધ્યાત્મિકતાના પ્રગટીકરણ માટે સમર્પિત હતું. તેઓએ ૧૦મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ મહાસમાધિ લીધી. સ્વામી અદ્વૈતાનંદે પોતાના જીવનને શ્રીરામકૃષ્ણના જીવન અને આદર્શો મુજબ ઘડવાનો સખત પરિશ્રમ કર્યો. તેઓએ ૨૮ ડિસેમ્બર, ૧૯૦૯ના રોજ નશ્વર દેહ છોડી દીધો. સ્વામી સુબોધાનંદની છેલ્લી પ્રાર્થના હતી કે શ્રીરામકૃષ્ણના આશીર્વાદ સદાય સંઘ પર વરસતા રહે. તેઓ પણ ૨ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ મહાસમાધિમાં લીન થઈ ગયા. ગિરીશ ઘોષ, માસ્ટર મહાશય (‘શ્રીમ’), ચુનીલાલ બસુ અને અન્ય ગૃહસ્થ ભક્તોના મૃત્યુથી પણ સંઘને મોટો ધક્કો લાગ્યો. 

વિચારધારાના બીજા તબક્કાનો સુખદ અંત

આપણે આંદોલનના બીજા તબક્કાના અંતમાં આવ્યા છીએ. ખરેખર તે એક સુખદ અંત હતો. સ્વામી ગંભીરાનંદે યોગ્ય રીતે અવલોકન કર્યું છે:

શ્રીરામકૃષ્ણ જન્મશતાબ્દી એ દાયકાની શ્રેષ્ઠ સિદ્ધિ હતી… કારણ કે તે પોતે જ એક ઘટના હતી. તે ઘટનાએ અડધી સદીની કસોટીઓ અને વિપત્તિઓ, વિલંબ અને પ્રગતિ, લડાઈઓ અને વિજયનો તાજ પહેરાવ્યો… શ્રીરામકૃષ્ણદેવના ૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬ના રોજ કામારપુકુર જેવા દૂરના ગામડામાં થયેલ જન્મને એકસો વર્ષ વીતી ગયાં. તે જ યોગ્ય હતું કે તેના અનુયાયીઓ આ પ્રસંગને વિશ્વવ્યાપી આનંદ અને તેમના સંદેશને પ્રસારિત કરવાના નવા પ્રયાસ તરીકે ઉજવે. અડધી સદીના આ અનુભવ પછી, તેઓને ખાતરી થઈ ગઈ કે તેમાં જ વિશ્વની સમસ્યાઓ માટેનો રામબાણ ઇલાજ છે. ખરેખર શ્રીરામકૃષ્ણ આ યુગના પયગંબર હતા.

શતાબ્દીની ઉજવણી ૨૪ ફેબ્રુઆરી, ૧૯૩૬થી શરૂ થઈ અને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો થતા રહ્યા. બેલુર મઠ ખાતે શ્રીરામકૃષ્ણના ભવ્ય મંદિરનું નિર્માણ શતાબ્દી ઉજવણી માટે યોગ્ય શ્રદ્ધાંજલિ હતી. આ મંદિરનો નકશો સ્વામી વિજ્ઞાનાનંદે સ્વામી વિવેકાનંદની કલ્પના મુજબ તૈયાર કર્યો હતો. તે સ્વામીજી અને અન્ય સંન્યાસીઓનું એક સ્વપ્ન હતું. તેને પરિપૂર્ણ કરવા માટે સ્વામી શિવાનંદે શ્રીરામકૃષ્ણના જન્મદિવસે ૧૩ માર્ચ, ૧૯૨૯ના રોજ તે મંદિરનો શિલાન્યાસવિધિ કર્યો. પરંતુ આર્થિક ભંડોળ ન હોવાથી નિર્માણકાર્ય શરૂ ન કરી શકાયું. પાંચથી વધુ વર્ષો વીતી ગયાં અને સ્વામી શિવાનંદે પણ દેહત્યાગ કર્યો. ૧૯૩૪માં તે વખતના વેદાંત સોસાયટી ઓફ પ્રોવિડન્સ, યુ,એસ.એ.ના વડા સ્વામી અખિલાનંદના વિદ્યાર્થીઓ મિસ. હેલન રૂબેલે (ભક્તિ) અને શ્રીમતી અન્ના વૂસ્ટરે (અન્નપૂર્ણા)એક ખૂબ સુંદર દરખાસ્ત કરી. આ બંને સમર્પિત શિષ્યાઓએ આનંદપૂર્વક મંદિરના નિર્માણ માટે વિપુલ રકમ આપવાની તૈયારી બતાવી.

મંદિરનિર્માણની સમગ્ર જવાબદારી સ્વામી વિજ્ઞાનાનંદની ઉપર આવી પડી. નિર્માણકાર્ય કલકત્તાની માર્ટીન બર્ન કંપનીને સોંપવામાં આવ્યું. મઠના પદાધિકારીઓ દ્વારા નકશો મંજૂર કરવામાં આવ્યો. અંદાજિત ખર્ચ ૬ લાખ રૂપિયાનો હતો. નિર્માણનું પ્રાથમિક કાર્ય ૧૦ માર્ચ, ૧૯૩૫ના રોજ શરૂ કરવામાં આવ્યું. ઇજનેરોની સલાહ પ્રમાણે નિર્માણકાર્યની જગ્યા મૂળ સ્થળથી ૧૦૦ ફૂટના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવી. ૧૬ જુલાઈ, ૧૯૩૫ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ભક્તોની હાજરીમાં પુન: ભૂમિપૂજન કર્યું. શિલાલેખવાળી ધાતુની પેટી જૂના સ્થળેથી બહાર કાઢી નવા સ્થળે મૂકવામાં આવી. તે દિવસે શ્રીરામકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવી અને ત્યારબાદ વિવિધ શાસ્ત્રોમાંથી અને કથામૃતમાંથી વાચન કરવામાં આવ્યું તેમજ રામકૃષ્ણનામ-સંકીર્તન અને ભક્તિભાવપૂર્વક ભજનો ગાવામાં આવ્યાં.

Total Views: 738

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.